Film Star અક્ષય કુમારે હાલમાં બોલીવૂડ સ્ટાર અજય દેવગણ અને શાહરૂખ ખાનની સાથે Tulsi પાન મસાલાની બ્રાન્ડની જાહેરાત કરી હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો. ફેન્સે કાન આમળીને અક્કીને તેની ભૂલનું ભાન કરાવ્યું અને અક્કીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સની માફી માગી છે.
આ પોસ્ટમાં અક્કીએ કહ્યું છે કે હું મારા ફેન્સ અને શુભેચ્છકોની માફી માંગું છું. છેલ્લા કેટલાક દિવસથી તમારા તરફથી મળી રહેલી પ્રતિક્રિયાઓએ મને હચમચાવી મૂક્યો છે. રિયલ લાઈફમાં હું તમાકુનું સેવન કરતો નથી. તમે લોકોએ ટ્રોલ કરીને મને મારી ભૂલનું ભાન કરાવ્યું છે અને હું તમારી લાગણીનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’ ઉલ્લેખનીય છે કે અક્કી આગળ ઘણી વખત એવું કહી ચૂક્યો છે કે ગુટકા કંપની દ્વારા મને જાહેરાત કરવા માટે કરોડો રૂપિયાની ઑફર આવે છે, પણ હું એ સ્વીકારતો નથી, કારણ કે તે મારી સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોકે અક્કી એકલો નથી કે જેણે ગુટકા, તમાકુ કે પાનમસાલાની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લીધો હોય.
પુષ્પા રાજ ઉર્ફે અલ્લુ અર્જુને પણ તમાકુ કંપનીની કરોડો રૂપિયાની ઓફર્સ ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્ર્વાસ કરીએ તો એક કંપનીએ અલ્લુને તમાકુની જાહેરાત માટે કરોડો રૂપિયાની ફી ઓફર કરી હતી પણ અલ્લુએ એવું કહીને એ ઓફર ઠુકરાવી દીધી હતી કે હું મારા ચાહકો સામે કોઈ પણ ખોટી વસ્તુને પ્રમોટ નથી કરવા માગતો. હું પોતે તમાકુ ખાતો નથી તો પછી હું શા માટે તમારૂ કંપનીની બ્રાન્ડને એન્ડોર્સ કરું?