કોરોનાથી ડર નથી લાગતો એટલો ડર ઘરમાં પૂરાઇ રહેવાથી લાગે છે, સોસાયટી, એપાર્ટમેન્ટોમાં અડોશ-પડોશના લોકો વોચ રાખતા હોઇ, કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનો કફોડી સ્થિતિમાં મૂકાતા હોવાની અનૂભુતિ કરી રહ્યા છે
શહેરમાં હાલ કોરોના પોઝીટીવ હોય તેવા એક્ટીવ દર્દીઓની સંખ્યા 50ની થઇ છે. આંકડો મોટો નથી પણ જે સ્પીડમાં છેલ્લા અઠવાડીયામાં દર્દીઓની સંખ્યા વધી છે એ જોતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને હવે કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓથી બીજાને ચેપ ન લાગે અને શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ન વધે તે માટે તકેદારીના પગલાં રૂપે કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓના ઘરે કોરોન્ટાઇનના પોસ્ટર લગાડવાનું શરૂ કરાયું છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના ઘરે કોરોન્ટાઇનના પોસ્ટર લગાડવાની શરૂઆત આજે પાલિકાએ રાંદેર અને લિંબાયત ઝોનમાંથી શરૂ કરી છે. આજે દસેક દર્દીઓના ઘરે જઇને કોરોન્ટાઇન રહેવા અંગેના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેને લઇને જે તે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. ફરીથી પહેલા જેવી સ્થિતિ સર્જાશે કે શું એવી ચર્ચાઓ લોકોમાં શરૂ થઇ છે.