R.T.I. : હાઇ ડ્રામા બાદ ખરડો રાજ્યસભામાં પાસ
હાઇ ડ્રામા અને ધાંધલ-ધમાલ બાદ ગુરુવારે આખરે આરટીઆઇ (સુધારા) ખરડો રાજ્યસભામાં પસાર કરાયો હતો.
આરટીઆઇ (સુધારો) ખરડાને સંસદની ખાસ કમિટી પાસે વધુ વિશ્ર્લેષણ માટે મોકલવાની વાતે સરકાર અને કૉંગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ વચ્ચે હાઇ ડ્રામા ખેલાયો હતો અને વિરોધ પક્ષે ચાર વખત સભા ઍડજોર્ન કરવાની ફરજ પાડી હતી.
જોકે, કમિટી પાસે ખરડાને મોકલવાના મોશનની તરફેણમાં ૭૫ અને વિરોધમાં ૧૧૭ મત પડયા બાદ એ રદ કરાયો હતો.
બપોરે સત્રની શરૂઆત બાદ નાયબ ચેરમેન હરીવંશે રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહને રાઇટ ટુ ઇન્ફર્મેશન (સુધારા) ખરડો રજૂ કરવા જણાવ્યું હતું.
ઓછામાં ઓછા પાંચ સભ્યોએ આ ખરડાને ખાસ કમિટી પાસે મોકલવાની માગણી કરતી નોટિસ આપી હતી અને સિંહે ખરડો રજૂ કર્યા બાદ ચેરને આ મામલે ચર્ચા યોજીને ત્યાર બાદ ખરડાને કમિટી પાસે મોકલવો કે નહીં એ વિશે નક્કી કરવાની વિનંતી કરી હતી.
ખરડાને કમિટી પાસે મોકલવાનો મુદ્દો ચર્ચા થયા બાદ જ લેવાની માગણી સરકારે કરી હતી, પણ કૉંગ્રેસ, ડીએમકે, સીપીઆઇ, સીપીએમ, ટીએમસી અને આપના સભ્યો વેલમાં ધસીને સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને એને કારણે ચાર વખત સભા બરખાસ્ત કરવી પડી હતી.
વિરોધ પક્ષના સભ્યો ચર્ચા અગાઉ જ ખરડાને કમિટી પાસે મોકલવાની જીદે ચઢ્યા હતા.
દિવસમાં ચાર વખત ૧૦થી ૧૫ મિનિટ સુધી સભા બરખાસ્ત કર્યા બાદ ફરી જ્યારે સત્ર શરૂ કરાયું ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ કાગળના ડૂચા ફેંકવા માંડયા હતા. આ વખતે નાયબ ચેરમેને જણાવ્યું હતું કે આ તમારું અશિસ્ત ગણાય અને અહીં શાળાના વિદ્યાર્થીઓ હાજર છે, તો એમના મન પર તમારી કેવી છબિ પડશે એ વિચારો.
આ દરમિયાન નાયબ ચેરમેને ઘોંઘાટ કરી રહેલા સભ્યોને વારંવાર પોતાના સ્થાને જઇને બેસવાની વિનંતી કરી હતી.
દરમિયાન, એઆઇએડીએમકેના નવનીતક્રિશ્ર્નન, શિવસેનાના અનિલ દેસાઇ અને વાયએસઆરસીપીના વિ. વિજયાસાઇ રેડ્ડીએ એમનો પક્ષ આ ખરડાને ટેકો આપે છે.
ટીડીપીમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા સાંસદ સી. એમ. રમેશ સભ્યો પાસેથી મતની સ્લીપ ભેગી કરતા હતા ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ એનો સખત વિરોધ કર્યો હતો અને વિરોધ પક્ષના એક બે સભ્યોએ રમેશના હાથમાંથી સ્લીપ છીનવવાનો પ્રયત્ન કર્યો ત્યારે નાયબ ચેરમેને રમેશને પોતાના સ્થાને બેસી જવા જણાવ્યું હતું.
કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે ૩૦૩ બેઠક કઇ રીતે જીત્યા એ આ પરથી સાબિત થાય છે. ટ્રેઝરી બેન્ચે એનો વળતો જવાબ આપ્યા બાદ આઝાદની આગેવાનીમાં વિરોધ પક્ષના નેતાઓ વૉકઆઉટ કરી ગયા હતા. વૉકઆઉટ બાદ મૌખિક મતદાન દ્વારા બહુમતિથી ખરડો પસાર કરાયો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now