Happy Birthday GST, બરાબર એક વર્ષ પહેલા લાગૂ થયો હતો GST
બરાબર એક વર્ષ પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતમાં ઐતિહાસિક ટેક્સ જીએસટી લાગૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે ‘વન નેશન વનટેક્સના સ્લોગન સાથે સાથે તા. ૧-૭-૨૦૧૭ની અસરથી ભારતમાં GSTનો અમલ શરૂ કર્યો હતો. એક વર્ષ પછી પણ GST બાબતે કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ મક્કમ નથી તો પછી જેના પર GST લદાયો છે એ વ્યાપારીઓનું તો પૂછવું જ શું. GSTના અમલના એક વર્ષમાં ૩૦૦થી વધુ સુધારા-વધારા અને કર માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. GSTનો કાયદો હજુ અધિકારીઓ જ પુરી રીતે સમજી શક્યા નથી તો વેપારીઓની વાત જ શું કરવી. GSTને કારણે ભારતના વેપાર-ધંધા પર ઘેરી અસર થઇ છે અને ઇકોનોમી સ્લોડાઉનની સ્થિતિ સર્જાઇ હોવાના મત અર્થશાસ્ત્રીઓ આપી રહ્યા છે. સૌથી ઘેરી અસર સુરતના ટેક્સટાઇલ વ્યાપારીઓથી લઇને મેન્યુફેક્ચરર્સ પર પડી છે.
ટેક્સ ક્રેડિટ રિટર્ન કરવામાં આંખ મિચામણા
GSTના અમલના પગલે છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતના વેપારીઓ અને એક્સપોર્ટર્સના ૧૦ લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં ઠલવાઇ ચૂક્યા છે, પણ રિફંડ અંગે સરકાર મગનું નામ મરી પાડતી નથી. એકલા ગુજરાતની વાત કરીએ તો સરકારી તિજોરીમાં GST પેટે ગુજરાતના વેપારીઓના જ રૂ. ૨૦ હજાર કરોડનું રિફંડ બાકી છે.
GSTના અમલ ટાણે સતત ત્રણ મહિના સુધી તો વેપાર ધંધા જાણે કે ઠપ થઇ ગયા હતા. સરકાર જ્યારે GSTનો અમલ કરવા માગતી હતી તેના એક મહિના પહેલા સુધી તો કાયદા અને ધારાધોરણો પણ તૈયાર નહોતા. હવે GSTની જટિલ આંટીઘૂંટીમાં નાના વેપારીઓ અને જોબવર્ક કરવાવાળા અટવાઇ ગયા છે. GSTને લઇને એક વર્ષમાં ઘણા વેપાર-ધંધા બંધ થયા છે, બેરોજગારી વધી છે અને અર્થિક વિકાસ રૂંધાયો છે.
વ્યાપારીઓની સ્થિતિ
GSTના અમલના પગલે માર્કેટમાં લિક્વીડિટીની મહાસમસ્યા સર્જાવા પામી છે. બજારમાંથી રોકડ જ અદ્રશ્ય થઇ ગઇ હોય તેવી સ્થિતિ થતાં તેની આડઅસર વેપાર ધંધા ઉપર પડી રહી છે. વેપારીઓને દર મહિને GSTના જુદા જુદા રિટર્ન ભરવા માટે કલાકો સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેવું પડે છે છતાં રિટર્ન ફાઇલ થઇ શકતું નથી. GSTમાં વેપારીઓ પોતાની ઓફિસમાં જ રિટર્ન ફાઇલ કરી શકે તેવી સુવિધા ઉભી કરવા પ્રયાસ થયા હોવાની વાતો થઇ રહી છે પરંતુ વાતો અને વાસ્તવિકતા જુદી જ છે.
પરિસ્થિતિ વધુ બગડી
સ્ટેટ GST દ્વારા ગુજરાતમાં ૬૦ સ્થળે દિવેલના વેપારીઓ, બ્રોકરો, દલાલો અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ GSTની ટીમે અમદાવાદ, ડીસા, ઉંઝા, પાલનપુર, ગગલાસણ, ગોંડલ, છત્રાલ, રાજકોટ, કડી, કપડવંજ, ગાંધીધામ તથા કડીમાં આ દરોડા પાડતાં દિવેલના વેપારીઓ દોડતા થઇ ગયા છે. આ વેપારીઓ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હોવાથી તેમની ઓફિસોમાંથી જરૂરી દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
