ખભે બેસાડ્યા, પાલખી-ડોલીથી લઇને મર્સીડીઝમાં બાપ્પાને સુરતીઓની ભાવપૂર્ણ વિદાય
જયેશ બ્રહ્મભટ્ટ
ગણેશોત્સવ સુરતીઓ માટે હોટફેવરિટ ફેસ્ટિવલ છે અને આ ફેસ્ટિવલમાં મોજશોખની સાથે સુરતીઓ બાપ્પાની પણ એટલી જ ભક્તિ કરે છે. સુરતીઓની ભક્તિના રંગ આજે વિસર્જન દરમિયાન જોવા મળ્યા.
કોઇકે ખભે બેસાડીને બાપ્પાને વિદાય આપી તો કોઇકે હાથલારી શણગારી, કોઇકે ડોલી અને પાલખી શણગારી તો કોઇકે મર્સીડીઝ બેન્ઝમાં બાપ્પાને વિદાય આપી. રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પોથી લઇને 18 પૈડાના ટ્રેલર સુધીના વાહનો મૂષકવાહન ધરાવતા ગણપતિ બાપ્પાની વિદાય માટે સુરતીઓએ એટલા આકર્ષક ડેકોરેટ કર્યા કે ગણપતિ બાપ્પાએ પ્રશન્ન થવું પડે એવી ભક્તિ હતી સુરતીઓની.
મર્સિડિઝ બેન્ઝમાં બાપ્પાને વિદાય- આશાદીપ વિદ્યાલય, નાના વરાછા
હાથ લારી ડેકોરેટ કરીને બાપ્પાને ભાવપૂર્ણ વિદાય- વેસુ સ્થિત શુભ એન્કલેવ
બાપ્પાને ડોલીમાં બેસાડીને વિદાય અપાઇ
સુરતમાં હર્ષોલ્લાસભેર ગણેશ વિસર્જન, બાપ્પાને સુરતીઓની ભાવભીની વિદાય
સુરત શહેરમાં આજે સવારથી જ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરના ગણેશ સ્થાપકોએ ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવ અભિયાનના ભાગરૂપે પોતાની સોસાયટી એપાર્ટમેન્ટસમાં જ ગણપતિજીની પ્રતિમાના વિસર્જનની વિધીઓ વહેલી સવારથી હાથ ધરી દીધી હતી.
ઘરમાં જ બાપ્પાને વિસર્જિત કર્યા
મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન તાપી નદીમાં ન થાય તેની તકેદારી રાખતા સુરત શહેરના તમામ તંત્રોએ સંકલન સાધીને તાપી નદી પરના તમામ ઓવારાઓને સીલ કરી દીધા છે. કોઇને પણ આજે તાપી નદીના કિનારે જવા નહીં દેવાય.
સુરત શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. ચોકબજાર સ્થિત ડક્કા ઓવારે બનાવવામાં આવેલા કુત્રિમ તળાવમાં તાપી નદીના પાણી ફરી વળતા આજે તેને બંધ રાખવામાં આવ્યો છે. તેના વિકલ્પમાં ગાંધીબાગ ખાતે મૂર્તિઓનો સ્વીકાર કરવામાં આવશે. પાલિકાએ આ વખતે નાનાવરાછામાં રામજી મંદિર પાસેનું કૃત્રિમ તળાવ બનાવવાનું રદ્દ કર્યું છે.
તાપીનદીમાં પાણી વધુ હોય લોકો સીધા નદીમાં જ વિસર્જન કરવા જાય તેવી શક્યતાને પગલે પાલિકાએ આવા 35 ઓવારાઓને સીલ કરી દીધા છે. આ વખતે શહેરમાં 70હજાર ઉપરાંત મૂર્તિઓની સ્થાપના થઈ છે. તેમાંથી કૃત્રિમ તળાવોમાં થનારા વિસર્જનને બાદ કરતાં મોટાભાગની મોટી મૂર્તિઓ ડુમસ અને હજીરાના ઓવારાઓ ઉપર વિસર્જિત કરવામાં આવશે.
22 તળાવોને સ્થાને દોઢ કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવ સાકાર કરી દીધા છે. આ કૃત્રિમ તળાવમાંથી વિસર્જીત થયેલી પ્રતિમાઓને હજીરા એસ્સાર જેટી ખાતે દરિયામાં લઈ જઈ વિસર્જિત કરાશે. તમામ કૃત્રિમ તળાવોમાં જે અંદાજે 68 લાખ લિટર જેટલું પાણી વપરાશે તેને પણ શુદ્ધ કરીને ઉપયોગમાં લેવા માટેનો દાવો કરાયો છે.
આ ઓવારાઓ ઉપર કૃત્રિમ તળાવો પણ બનાવાયા છે
ચોકબજાર ડક્કાઓવારાના કૃત્રિમ તળાવ નદીના પાણીમાં ગરકાવ
તાપીનદીમાં પાણીનું લેવલ વધી જતાં ચોકબજારમાં ડક્કા ઓવારા પાસે મેરીટાઈમ બોર્ડ ઓફિસ બાજુમાં બનાવાયેલા બે કૃત્રિમ તળાવો તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. નાના વરાછામાં રામજી ઓવારા ઉપર પણ આવી સ્થિતિને લીધે આ વખતે તળાવ નથી બનાવાયા.
વિસર્જનને લીધે આ રસ્તાઓ ઉપર નહીં જઈ શકાશે
– દિલ્હીગેટથી ચોકબજાર સુધી બંને સાઈડ આવવા જવાનો રસ્તો વાહનો માટે બંધ
– વાય જંકશનથી ડુમસ તરફ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો બંધ રહેશે
– વેસુ ચારરસ્તાથી વાય જંકશન સુધીનો માર્ગ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો માટે બંધ
– ડુમસ લંગરથી મોટી બજાર ઓવારા જવાનો રસ્તો વાહનો માટે બંધ રહેશે
– હજીરા ONGC સર્કલ તરફથી સચીન જતા એરપોર્ટ જતા વાહનો સિવાયના વાહનો એસ.કે.નગર બ્રિજના બન્ને સાઇડના એપ્રોચ રોડથી જઈ શકશે નહીં
આ રસ્તાઓ વૈકલ્પિક રોડ તરીકે ઉપયોગ થઈ શકશે
– દિલ્હીગેટ ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેન્ડ, રિંગરોડ થઈ જઈ શકાશે.
– ચૌટાબજારમાંથી ચૌટાપુલની નીચે થઈને નાણાવટ-શાહપોર તરફ જઈ શકાશે
– સુરત-ડુમસરોડ ઉપર વીઆર મોલ નજીક વાય જંકશનથી ઉધના મગદલ્લા રોડ થઈ શહેરમાં જઈ શકશે.
– વેસુ વીઆઇપી રોડથી થઈને આભવા તરફ જઈ શકાશે
– ડુમસમાં વિસર્જન બાદ ખાલી વાહનોને ડુમસ લંગર થઈને સુરત ડુમસ રોડ ઉપર લઈ જઈ શકાશે.
– હજીરા ONGC તરફથી સચિન તરફ તથા સચિનથી ઓએનજીસી સર્કલ હજીરા તરફ જતા વાહનો અને સચિનથી ઓએનજીસી હજીરા તરફ જતા વાહનો એસ.કે.નગર બ્રિજ ઉપરથી જઈ શકશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now