જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિશ્વમાં પરોપકારી વૃતિ એટલી બધી વધી ગઇ છે કે કોઇએ પોતાનો ધંધો-રોજગાર કરવો નથી અને બીજાનું જ ભલું કરવું છે. અને હાલમાં ભારત અને હવે તો વિશ્વમાં ભારતના ધો.12 સાયન્સના વિદ્યાર્થિઓ પર ઉપકાર કરવાની વૃતિ સાથે એક અભિયાન છેડાયું છે કે NEET/JEE જેવી પરીક્ષાઓ કોવીડ-19 અને અતિવૃષ્ટી, પૂરજનક સ્થિતિમાં મુલતવી રાખી દેવી જોઇએ.
ભારતમાં કહેવાતા બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોશ્યલ મિડીયામાં પલિતો ચાંપ્યો હતો કે NEET/JEEને વર્તમાન સંજોગોમાં મુલતવી રાખવા જોઇએ. એ પછી દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ( મોટા ભાગના મોદી વિરોધી નેતાઓ)એ NEET/JEE મુલતવી રાખવા માટે સોશ્યલ મિડીયામાં પોસ્ટ મૂકી દીધી છે. આ બધા નેતાઓને ભારતના ધો.12ના વિદ્યાર્થીઓની એટલી ફિકર છે કે કોઇપણ સંજોગોમાં NEET/JEE મુલતવી રાખવા માટે હવે તેઓ છેલ્લી લડાઇ લડી લેવા તૈયાર થયા છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ માટે બ્રિટનની સ્કુલોમાં હડતાળ પડાવી ચૂકેલી ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સુધી NEET/JEEનો મુદ્દો પહોંચાડીને તેમના ટ્વીટર હેન્ડલ પરથી ભારતના વિદ્યાર્થીઓ પર પરોપકાર કરવાની વૃતિએ પોસ્ટ પણ મૂકવામાં આવી છે.
ગ્રેટા થનબર્ગનું ટ્વીટ
ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરતા કહ્યું છે કે ભારતના વિદ્યાર્થીઓ સાથે ઘેરો અન્યાય થઇ રહ્યો છે, તેમને કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિ અને એક્સ્ટ્રીમ ફ્લડની સ્થિતિમાં રાષ્ટ્રીય પરીક્ષાઓમાં બેસવાનું કહેવામાં આવી રહ્યું છે. હું NEET/JEE મુલતવી રખાવવાના તેમના અભિયાનમાં સાથે ઉભી છું.
ગ્રેટા થનબર્ગ કોણ છે

ગ્રેટા થનબર્ગ (જન્મ: ૩ જાન્યુઆરી ૨૦૦૩)
ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર છે. ઓગસ્ટ ૨૦૧૮માં, ૧૫ વર્ષની ઉંમરે ગ્રેટા થનબર્ગે સ્કૂલમાંથી સમય કાઢી હાથમાં સ્ટ્રોંગર ક્લાઇમેટ એક્શન લખેલા કાર્ડ બોર્ડ વડે સ્વીડનના સંસદની બહાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ ૨૦૧૮ પછી 15 વર્ષની ગ્રેટા થનબર્ગ અંગે દુનિયાને જાણ થઈ. એ સમયે તેમણે #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.
પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું. જે બાદ ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસથી તેમણે નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવા માટે તેઓ દર શુક્રવારે હડતાળ કરશે.
જ્યારે તેમણે સ્વીડનની સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની માગ હતી કે સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે. પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
















