ટોક્યો પેરાલિમ્પિકસમાં ભારતની ગુજરાતી ભાવિના પટેલે ટેબલ ટેનિસના વર્ગ-૪ ની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વની નંબર વન ચીની ખેલાડી ઝોઉં યિંગ સામે હતો તેની સામે તે 11-7, 11-5, 11-6થી હારી જતા ભાવિનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.
શિક્ષણમંત્રીએ આજે તા.25મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી છે કે આગામી ગુરુવાર તા.2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.
આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.
સ્કૂલે જવું ફરજિયાત નહીં, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત
સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂત કાંતિભાઇ અને તેમની વીસ વર્ષિય દિકરી મૈત્રીએ. કાંતિભાઇ પટેલની અદમ્ય ઇચ્છા હતી કે તેમની દિકરી મૈત્રી વિમાનની પાઇલોટ બને, તેમણે આ ઇચ્છાને પૂરી સિદ્દતથી સેવી અને દિકરી મૈત્રીનું મનોબળ બચપનથી જ એટલું મક્કમ બનાવ્યું કે આજે 19 વર્ષ અને 11 મહિનાની ઉંમરે મૈત્રીએ અમેરિકા દેશમાંથી કમર્શિયલ ટ્રેનિંગ પાઇલોટનું લાઇસન્સ મેળવી લઇને પોતાના પિતાના સપનાને પાંખા આપવાનું કામ કર્યું છે. આજે અમેરિકાથી સુરત પરત ફરેલી મૈત્રી પટેલને સત્કારવા માટે સુરત એરપોર્ટ પર તેના પરિવારજનો ઉમટી પડ્યા હતા અને મૈત્રીની સિદ્ધીને જોઇને તમામ ભાવવિભોર બની ગયા હતા.
ઓલપાડના શેરડી ગામના ખેડૂત કાંતિભાઇ પટેલે વાતચીત કરતા કહ્યું હતું કે તેમણે તેમની દિકરી જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી ત્યારથી જ તેના મનમાં વિમાનના પાઇલોટ બનવાનું સપનું સેવ્યું હતું અને તેની સતત ટકોર પણ કર્યે રાખતા હતા. પિતાની અદમ્ય ઇચ્છા જોઇને મૈત્રીએ ધો.10 પછી વિમાની પાઇલોટ બનવા માટે જરૂરી ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કર્યો. સુરતની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કુલમાં ફાઇવ ડે વીક ભણતી મૈત્રીને ધો.11-12ના બે વર્ષ દરમિયાન દર શનિવારે વહેલી સવારે 3 વાગ્યે કાંતિભાઇ મુંબઇ લઇ જતા અને મુંબઇમાં સ્કાયલાઇન એરોનોટિકલ ઇન્સ્ટીટ્યુટમાં ગ્રાઉન્ડ થિયરીનો કોર્સ કમ્પ્લીટ કરાવ્યો. આમ, ધો.11-12 સાયન્સમાં અભ્યાસની સાથે જ મૈત્રી પટેલે વિમાની પાઇલોટ બનવા માટેની થીયરીનો કોર્સ ઇન્ડીયામાં પૂરો કરી દીધો હતો.
જેવો ધો.12નો અભ્યાસ પૂરો થયો એટલે મૈત્રીનું અમેરિકાના કેર્લિફોનિયામાં આવેલા ઇન્સ્ટીટ્યુટમાં એડમિશન લઇને એર પાઇલોટની ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી. મૈત્રીએ 250 કલાક જેટલું વિમાન ઉડાડીને અમેરીકાનું કમર્શિયલ પાઇલોટ લાઇસન્સ મેળવવા માટેની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર કરી દીધી. આશ્ચર્યની વાત તો એ છે કે મૈત્રી પટેલે 18 મહિનાની ટ્રેનિંગ ને એક વર્ષમાં જ પૂરી કરી દઇને કમર્શિયલ પાયલોટનું અમેરીકાનું લાઇસન્સ મેળવી લીધું.
અમેરિકાની સ્કાય ક્રિએશન ઈન્સ્ટિટ્યુમાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ ફક્ત 19 વર્ષ અને 11 મહિનાની ઉંમરે મેળવનાર કદાચ પહેલી ભારતીય બની છે સુરતની મૈત્રી પટેલ.
સુરતના ઓલપાડના શેરડી ગામની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ હોવાનો દાવો તેના પિતા કાંતિલાલ પટેલ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે ભારતમાં કાશ્મીરની 25 વર્ષીય યુવતી સૌથી નાની વયે પાયલોટ બની હતી. સાથે જ અગાઉ ત્રણેક મહિલાઓ સુરત પંથકમાંથી અગાઉ પાયલોટ બની છે.
2021માં કોરોના પેન્ડેમિકના કારણે સમગ્ર દેશમાં તમામ બોર્ડસની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ફોર્મ્યુલાઓ ઘડીને ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા છે. આ જોઇને ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના ગુજરાત બોર્ડના રિપીટર્સ વિદ્યાર્થીઓએ (2020ની પરીક્ષામાં નાપાસ થયેલા) પણ માગણી કરી હતી કે તેમને પણ ધો.12માં માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવે.
ગુજરાત સરકાર અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપીને પાસ જાહેર કરવાની માગણી નહીં સ્વીકારવામાં આવતા આ વિદ્યાર્થીઓ પોતાને માસ પ્રમોશન મળે એ માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે પરીક્ષાના પાંચ દિવસ અગાઉ સૂચના આપી હતી કે રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે તેમણે પરીક્ષા આપીને પાસ થવું પડશે.
2020માં નાપાસ થયેલા ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓની જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે પરીક્ષા લીધી હતી
1,14,193 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાંથી પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા. ટકાવારી પરીણામ 27.85 છે.
એ પછી જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી, જેનું આજે જાહેર થયેલું પરીણામ ફક્ત 27 ટકા જેટલું જ આવ્યું છે.
આ રહ્યું ધો.12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ
સુપ્રીમ કોર્ટે આજરોજ તા.18મી ઓગસ્ટે આપેલા એક મહત્વના ચુકાદામાં મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. આ આદેશ ૫ સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષાથી જ લાગુ થશે.
આ મામલે સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે, એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવી પોલિસી નિર્ણય છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ પોલિસી નિર્ણય છે તો તે ભેદભાવપૂર્ણ છે. જો કે, ૫ સપ્ટેમ્બરે પરીક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.
અગાઉ, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે મહિલાઓને એનડીએની પરીક્ષામાં સામેલ કરવામાં આવે. સાથે અરજીમાં એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે, લિંગના આધાર પર મહિલાઓને એનડીએમાં સામેલ કરવામાં આવતી નથી, જેથી તે સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહી શકાય.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૨ પાસ કરનારી મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે NDA અને નૌસેની એકેડમી પરીક્ષા આપવાના અવસરથી વંચિત કરી દેવામાં આવે છે. જેના લીધે યોગ્ય પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારોને પ્રવેશ મેળવવાનો કોઈ માર્ગ નથી. જ્યારે સમાન શિક્ષણ પ્રાપ્ત કરનાર પુરુષ ઉમેદવારોને પરીક્ષા આપવાનો અવસર મળે છે.
આ વર્ષે કોરોના પેન્ડેમિકને કારણે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બબ્બે વખત લંબાવ્યા પછી પણ કોઇ જ ધસારો જોવા મળ્યો નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.
ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદ્ત ત્રીજીવાર લંબાવીને તા.23 ઓગસ્ટ કરવામાં આવી
ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.
આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી. આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જો સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજોએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજોની માંગ પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.
મહિલાઓનું સૅલ્ફ-હૅલ્પ ગ્રુપ ગામડાંઓને સમૃદ્ધિ સાથે જોડી શકે તે માટેનું વાતાવરણ સરકાર સતત ઊભું કરી રહી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.12 ઓગસ્ટ 2021ને ગુરુવારે કહ્યું હતું. મહિલાઓનાં આવાં ચાર લાખ કરતાં પણ વધુ સૅલ્ફ-હૅલ્પ ગ્રુપને આર્થિક ટેકો આપવા વડા પ્રધાને રૂ. ૧૬૨૫ કરોડ ફાળવ્યા હતા.
‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ શીર્ષક હેઠળ મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે બદલાતા ભારતમાં મહિલાઓ માટે આગળ આવવાની તક વધી રહી છે.
છેલ્લાં છ-સાત વર્ષમાં મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપની ગતિવિધિઓ વધી છે અને આ ગ્રૂપની ૭૦ લાખ કરતા પણ વધુ મહિલાઓ દેશભરમાં કામ કરી રહી છે. આ આંકડો અગાઉ કરતા ત્રણગણો હોવાનું તેમણે કહ્યું હતું.
આ ગ્રૂપ સાથે દેશની આઠ કરોડ કરતા પણ વધુ મહિલાઓ સંકળાયેલી છે, એમ તેમણે કહ્યું હતું. મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝની પ્રાઈમ મિનિસ્ટર ફૉર્માલાઈઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઍન્ટરપ્રાઈસિસ (પીએમએફએમઈ) યોજના હેઠળ એસએચજીના ૭૫૦૦ સભ્ય માટે રોકાણ માટે મોદીએ પચીસ કરોડ અને ૭૫ એફપીઓ (ફાર્મર પ્રોડ્યૂસર ઑર્ગેનાઈઝેશન) માટે ૪.૧૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહૂડ મિશન હેઠળ એસએચજી ગ્રૂપને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
એવું જોવાયું છે, અનુભવાયું છે, વર્તાયું છે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય, પ્રવેશ પરીક્ષા આપે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે ત્યારે તેમનું પરફોર્મન્સ નબળું પડતું જતું, કારણ એક જ હતું કે અંગ્રેજી. પ્રાથમિક શાળાના સ્તરથી જ અંગ્રેજીના બેઝિક શબ્દો કે જે આપણે વ્યવહારુ ભાષામાં પણ ઉપયોગ કરીએ છીએ એવા જ શબ્દો અભ્યાસક્રમમાં પણ હોય છે અને તેને બેઝિક ટર્મિનોલોજી કહેવાય છે. જેમકે ટેબલને આપણે ગુજરાતીમાં પણ ટેબલ કહીએ છીએ ભલે એ અંગ્રેજી વર્ડ હોય એવી જ રીતે મેડીકલ અને એન્જિનિયરિંગ સહિત તમામ ક્ષેત્રે બેઝિક વર્ડનું ગુજરાતી થતું નથી અને એ શબ્દો પારખવામાં, ઓળખવામાં ગુજરાતી વિદ્યાર્થીઓ થાપ ખાતા જોવા મળતા પરંતુ, સુરતની સાત શાળાઓએ શરૂ કરેલું દ્વિભાષી માધ્યમ હવે સમગ્ર ગુજરાતની સ્કુલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પરવાનગી આપી છે કે દ્વિભાષી માધ્યમ એટલે કે અંગ્રેજી અને વિજ્ઞાન બે વિષયોને ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ધો.12 સુધી અભ્યાસ કરાવવાનો જેથી કરીને વિદ્યાર્થીઓ ધો.12 પછી કોઇપણ ક્ષેત્રમાં બેઝિક ટર્મિનોલોજીને કારણે પછડાય નહીં.
આજરોજ સુરતમાં દ્વિભાષી માધ્યમ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આ સમગ્ર કન્સેપ્ટ લાગૂ કરનાર સુરતની ભૂલકાવિહાર શાળા, ભૂલકાભવન સ્કુલ, સંસ્કારભારતી વિદ્યાલય સમેતની સ્કુલોના સંચાલકો અને ડો. રઇશ મણિયારે નીચે મુજબની માહિતી દ્વિભાષી માધ્યમ અંગે આપી હતી.
ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાઓએ ગ્લોબલ મિડિયમના નામથી એક નવા માધ્યમની મંજૂરી લઈ છ વરસ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો.
2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી) સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.
શું છે આ દ્વિભાષી માધ્યમ?
દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઈ આ મુજબ છે.
1. ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા.
2. અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી. લિસનિંગ સ્પીકીંગ રીડીંગ રાઈટીંગ એ ક્રમમાં, એ પદ્ધતિથી અંગ્રેજી વિષય શીખવવો.
3. અન્ય અભ્યાસ (ગુજરાતી સમાજવિદ્યા અન્ય ભાષા વગેરે વિષયો)પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણેજ કરાવવાનો રહે છે.
બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ આઠ નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.
આમ દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.
પ્રવર્તમાન માધ્યમો ચાલુ જ રહેશે
જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે.
દ્વિભાષી માધ્યમનો ફાયદો શું?
શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એજરૂરી છે. સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલીજ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણનીગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એક ને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી. દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એકવાક્યમાં કહી શકાય કે જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એદ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજીજ હોઈ શકે.
ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના સાંપ્રતપ્રવાહો અને સંશોધનો વૈશ્વિકકક્ષાના હોય છે. એની સાથે તાલમિલાવવા અંગ્રેજી પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીનેજ ભણવાના હોવાથી, શાળાકક્ષાએ બાળક આ બન્ને વિષયો દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિકકક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજીભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાન સમુદ્રનો, સંદર્ભ સાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.
સરકારે કયા મુદ્દાઓને આધારે મંજૂરી આપી?
સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો. ડો.વિનોદ જી પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટના તારણો પોઝીટીવ હતા.
સરકાર આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ ડો. રાજેંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી. જેમા અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મીટીંગ કરીને ડો. રઈશ મનીઆરની રજૂઆતોને આધારે હકારાતમક રિપોર્ટ આપ્યો હતો તેમજ સુરતના પૂર્વ ડી.ઈ.ઓ. શ્રી. યુ. એન. રાઠોડ વગરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગિતા સમજાઈ. માનનીય શિક્ષણ મંત્રી શ્રી. ભુપેંદ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી બેન દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાંણી તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ તથા જી.સી.ઈ.આર.ટી.ના વડાશ્રી. ટી. એસ. જોશી તેમજ એમ.આઈ. જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત D.E.O સાહેબશ્રી એચ. એચ. રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ સાહેબશ્રી ડી.આર. દરજી સાહેબના માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું. સરકારની સ્કૂલ ઓફ એક્સેલંસ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ: દાખલ કરાશે.
ખાનગીશાળાઓદ્વિભાષીમાધ્યમકઈરીતેશરૂકરીશકે?
ગુજરાતની કોઈ પણ સજ્જ અને તત્પર ખાનગી શાળાઓ નીચેની શરતો પર દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે છે.
ગેરશિસ્ત મુદ્દે ફોગાટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી. તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ ગેમ્સમાં ત્યાં સુધી રમી નહીં શકે જ્યાં સુધી નોટિસનો જવાબ નહીં આપે
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ગેરશિસ્ત આચરવા સામે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દીધી છે. ફેડરેશનને ફોગાટની સાથી પહેલવાન સોનમ મલિકને પણ નોટિસ ફટકારી છે. વિનેશ ફોગાટે ફેડરેશનની કાર્યવાહી હેઠળ 16 ઓગસ્ટ સુધી પોતાની ગેરવર્તૂંણક કરવા પાછળની સ્પષ્ટતા આપવાની રહેશે. એમાં પણ વિનેશના જવાબ આપ્યા પછી છેલ્લો નિર્ણય ફેડરેશનનો રહેશે.
વિનેશે ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ત્યાં રહીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે તાલીમ લેવાથી ઇનકાર કરી દીધો હતો. માહિતી મુજબ વિનેશ ફોગાટે ભારતીય પહેલવાન સાથે તાલીમ લેવાથી ઇનકાર કર્યો હતો. એના વર્તન પરથી લાગતું હતું કે તે ભારતીય દળ સાથે નહીં પરંતુ હંગરી ટીમ સાથે આવી હતી. આ સિવાય તેણે સ્પોન્સરની ટી-શર્ટ પહેરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. મેચ દરમિયાન તે Nikeની ટી-શર્ટ પહેરની મેદાનમાં ઉતરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાજર અધિકારીઓ મુજબ ફોગાટે એ સમયે પણ હંગામો કર્યો હતો જ્યારે તેને ભારતીયો સાથે એક રુમની ફાલવણી કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે સાથે રહેવાથી તેની પર કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ વિનેશને ગેરશિસ્ત મુદ્દે અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની કુશ્તી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ ફેડરેશનની નોટિસનો જવાબ નહીં આપે ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.
રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્ર્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પૂરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે.
રૂપાણીએ આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે. જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે.
નારીશક્તિનું મહિમામંડન કરતા રૂપાણીએ કહ્યું હતું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.