ઈન્ફોર્મેશન ટેકનોલોજી કાયદાની કલમ-66(એ) વર્ષ 2015માં શ્રેયા સિંઘલનાં કેસમાં રદ કરી નાખવામાં આવી હોવા છતાં હજી પણ આખા દેશની પોલીસ આ કાયદાની આ જોગવાઈ હેઠળ કેસ નોંધી રહી હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટ તા.5મી જુલાઇ 2021ના રોજ હાથ ધરાયેલી સુનવણી દરમિયાન અચરજ વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રદ થઇ ચૂકેલા આઇ.ટી. કાયદા હેઠળ હજુ પણ કેસો દર્જ કરવાની બાબત ચોંકાવનારી, પરેશાન કરનારી, ભયાનક અને આશ્ચર્યજનક છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ પણ માગવામાં આવ્યો છે. અરજદારે કહ્યું હતું કે, વર્ષ 2015માં જે કાનૂની જોગવાઈ રદ થઈ ગઈ છે તેનાં હેઠળ જ દેશભરમાં હજારોની સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે અને પેન્ડિંગ છે.
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માગણી કરવામાં આવી હતી કે દેશનાં તમામ પોલીસ સ્ટેશનોમાં કલમ 66-એ હેઠળ કેસ નહીં નોંધવાની સૂચના આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે.
તા.5મી જુલાઇ 2021ના રોજ આ કેસની સુનાવણીમાં જસ્ટિસ રોહિંટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલો જાણીને કહ્યું હતું કે, આશ્ચર્યની વાત છે કે 2015માં શ્રેયા સિંઘલ સંબંધિત વિવાદમાં સર્વોચ્ચ અદાલતે કલમને નાબૂદ કરી નાખી હોવા છતાં હજી પણ તેનાં હેઠળ કેસ નોંધાઈ રહ્યા છે. આ તો ભયંકર સ્થિતિ છે.
સુનાવણીમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સરકાર અને પોલીસનાં બચાવમાં એવું કહ્યું હતું કે, આ જોગવાઈ રદ કરવામાં આવી છે પણ બેયર એક્ટમાં હજી પણ કલમ 66-એનો ઉલ્લેખ છે અને તેમાં નીચે લખવામાં આવેલું છે કે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી છે. જેને પગલે ગુસ્સે થયેલી અદાલતે કહ્યું હતું કે, શું પોલીસ તેમાં નીચે જોઈ નથી શકતી? આ મામલે કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં જ પોતાની જવાબ દાખલ કરે. કારણ કે આ તો સ્તબ્ધકારી છે.
ઉલ્લેખનીય છે કે આઈટી એક્ટની કલમ 66-એનો ઉપયોગ નાગરિકો ખિલાફ વાંધાજનક ઓનલાઈન પોસ્ટ માટે કરવામાં આવતો હતો. જેને શ્રેયા સિંઘલનાં કેસમાં ગેરબંધારણીય કાનૂની જોગવાઈ ઠરાવીને રદ કરી નાખવામાં આવી હતી. તેમ છતાં 11 રાજ્યોની જિલ્લા અદાલતો સમક્ષ આ કાયદા હેઠળ હજી પણ એક હજારથી વધુ કેસ પેન્ડિંગ કે ચાલી રહ્યાં છે. આ કાયદામાં વાંધાજનક પોસ્ટ માટે સોશિયલ મીડિયા યુઝરની ધરપકડ કરવાની સત્તા પોલીસને મળેલી હતી. સુપ્રીમ કોર્ટે તેને અભિવ્યક્તિની આઝાદીનો ભંગ કરતી કાનૂની વ્યવસ્થા ગણાવીને ખારિજ કરી હતી.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર હટશે એ સાથે જ ફરી તાલિબાન ચડી બેસશે એવો અંદેશો સાચો પડવા માંડ્યો છે. અમેરિકાના નવાસવા પ્રમુખ જો બાઈડને ગાદી સંભાળ્યાના ત્રણ મહિનામાં જ તાલિબાન સાથે સમજૂતી કરીને અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું ખેંચવાનું એલાન કરી દીધેલું ને એપ્રિલ મહિનાથી અમેરિકાના લશ્કરે બિસ્તરાં-પોટલાં બાંધીને ઉચાળા ભરવાનું શરૂ પણ કરી દીધેલું. ત્રણ મહિનાથી આ કાર્યક્રમ ચાલે છે ને હવે અમેરિકાના લશ્કરની વાપસીનો કાર્યક્રમ અંતિમ તબક્કામાં છે ત્યારે જ તાલિબાને માથું ઉંચક્યું છે. તાલિબાને એક પછી એક વિસ્તારો કબજે કરવા માંડ્યા છે ને રવિવારે સમાચાર આવ્યા કે કંદહાર પાસેનો પંજવાઈ જિલ્લો પણ હવે તાલિબાનોના કબજામાં છે.
અમેરિકાનું લશ્કર હટવા માંડ્યું ત્યારે જ ધીરે ધીરે તાલિબાન આગળ વધવા માંડેલા પણ રાજધાની કાબુલથી દૂર હતા. કાબુલ પાસે આવેલા બગરામ એરબેઝ પર અમેરિકાનાં ફાઈટર જેટ અને એરફોર્સના સૈનિકો હાજર હતા તેથી તેમને સળી કરવાથી તાલિબાન દૂર રહ્યા હતા. બે દિવસ પહેલાં અમેરિકાના એરફોર્સે બગરામ એરબેઝ ખાલી કર્યો એ સાથે જ તાલિબાને રાજધાની કાબુલ તરફ કૂચ શરૂ કરી ને પંજવાઈ પર કબજો કરી લીધો છે. પંજવાઈ અને કાબુલ વચ્ચે ઝાઝું અંતર નથી ને તાલિબાનો આવી રહ્યા છે એ સાંભળીને અફઘાનિસ્તાનનું લશ્કર પોબારા ગણી ગયું છે એ જોતાં કાબુલ પડીને પાધર થાય એ દિવસો દૂર નથી. અફઘાનિસ્તાનના ૪૨૧ જિલ્લા છે ને તેમાંથી ૧૦૦ જિલ્લા પર હવે તાલિબાનનો કબજો છે એ જોતાં અફઘાનિસ્તાન પર ફરી તાલિબાનનું રાજ હશે એ શક્યતા હવે બહુ જલદી વાસ્તવિકતામાં પલટાઈ જશે. ભારત માટે તાલિબાનનો વધતો પ્રભાવ ખતરાની ઘંટડી નહીં પણ ઘંટ છે એ કહેવાની જરૂર નથી. અમેરિકાએ પોતાના સ્વાર્થને માટે અફઘાન પ્રજાને પાછી સાતમી સદીની માનસિકતા ધરાવતા જંગલી તાલિબાનને હવાલે કરી દીધા તેની કિંમત અફઘાન પ્રજા તો સૌથી વધારે ચૂકવવાની જ છે.
તાલિબાન પાછા એ જ જૂના કાયદા લાવીને મહિલાઓને દબાવવા ને તેમના પર અત્યાચાર કરવાના ખેલ શરૂ થઈ કરી દેશે તેના કારણે અફઘાન પ્રજાનું તો આવી જ બનશે. અફઘાન પ્રજાએ છેલ્લાં કેટલાંક વરસોમાં ભોગવેલી આઝાદી છિનવાઈ જશે ને ફરી ગુલામીના દિવસો શરૂ થશે. એ રીતે અફઘાન પ્રજા તો બહુ આકરી કિંમત ચૂકવશે પણ દુનિયાના બીજા દેશો પણ વત્તેઓછે અંશે કિંમત ચૂકવશે જ ને તેમાં આપણે પણ આવી ગયા. બલ્કે આપણી હાલત વધારે બગડશે કેમ કે અત્યારે અફઘાનિસ્તાન સાથે ભારતનાં વ્યાપક હિતો સંકળાયેલાં છે. તાલિબાન મજબૂત થતાં જ ભારતમાં આર્થિક હિતો સામે જોખમ ઉભું થઈ જ જવાનું છે.
ભારત અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં સામેલ છે અને જંગી રોકાણ કરીને બેસી ગયું છે. અફઘાનિસ્તાનની સંસદને પણ ભારતના સહયોગથી બનાવાઈ છે ને બીજા ઘણા પ્રોજેક્ટ ભારતે હાથ ધર્યા છે. તાલિબાન ફરી સત્તામાં આવે તો એ બધું ખોરવાઈ જશે તેમાં શંકા નથી. તાલિબાનનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધારે છે તેથી પાકિસ્તાનના ઈશારે ભારત-અફઘાનિસ્તાનના વ્યાપારને રોકી દે એવું બને. ભારતનાં આર્થિક હિતોને એ રીતે મોટો ફટકો પડે. તાલિબાન અત્યારે ડાહી ડાહી વાતો કરીને બધાં સાથે સારા સંબધોની રેકર્ડ વગાડે છે પણ માંહ્યલા ગુણ એમ થોડા જાય? તાલિબાનની માનસિકતા ભારત વિરોધી છે એ જોતાં ભારત તરફી બની જ ના શકે. તાલિબાન પહેલેથી ભારત વિરોધી છે ને તેના કારણે તેમની દુકાન ચાલે છે તેથી ભારત વિરોધી જ રહેવાના છે.
ભારત માટે બીજો મોટો ખતરો અલ કાયદા અને કાશ્મીરી આતંકવાદી સંગઠનોનો છે. તાલિબાન પાછા સત્તામાં આવે ને તાકતવર બને તેના કારણે અલ કાયદા પણ મજબૂત બનશે કેમ કે અલ કાયદા અને તાલિબાન એક સિક્કાની બે બાજુ છે. આપણે ત્યાં બહુ ઓછા લોકોને યાદ છે પણ હજુ ગયા વરસે વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)એ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે જ. અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ આ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી.
જો કે એ વખતે અલ કાયદાની હાકલને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી કેમ કે અલ કાયદાનો ત્યારે એવો પ્રભાવ નહોતો. અલ કાયદા એક સમયે વિશ્ર્વમાં સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાતું હતું. ઓસામા બિન લાદેન તેનો કર્તાહર્તા હતો ત્યારે અલ કાયદાના નામથી આખી દુનિયા થરથરતી હતી. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને લાદેને આખી દુનિયામાં જે ખૌફ ઊભો કર્યો એવો ખૌફ બીજા કોઈ આતંકવાદીએ કર્યો નથી. લાદેન જેવો આતંકવાદી ભવિષ્યમાં કોઈ આવશે કે નહીં એ ખબર નથી પણ અત્યાર લગી તો આવ્યો નથી. જો કે લાદેને અમેરિકાને છંછેડવાની ભૂલ કરીને પોતાની કબર ખોદી નાંખી. ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને કાળો કેર વર્તાવ્યો પછી અમેરિકાએ તેનો બદલો લેવા અફઘાનિસ્તાન પર હુમલો કરીને કાળો કેર વર્તાવેલો. ઓસામા માટે અફઘાનિસ્તાનના તાલિબાન સૌથી મોટા આશ્રયદાતા હતા પણ અમેરિકાએ તેમની એવી બજાવી કે, મુલ્લા ઉમરની આગેવાની હેઠળના તાલિબાને ભાગવું પડ્યું. લાદેન પણ સંતાતો ફરતો થઈ ગયેલો પણ અમેરિકાએ તેને પાકિસ્તાનના અબોટાબાદમાંથી શોધી કાઢીને પતાવી દીધો.
લાદેન પત્યો પછી તેનાં વાઉચરોએ અમેરિકા સામે લડવાનું ચાલુ રાખ્યું પણ અમેરિકાએ એક પછી એક ફટકા મારી મારીને તેને એવું અધમૂઉં કરી નાંખ્યું કે, અલ કાયદા સાવ પતી ગયું. લાદેનના વખતમાં અલ કાયદા એક જ હતું પણ લાદેન ગયો પછી તેનાં કેટલાંય ફાડિયાં થઈ ગયાં. એક્યુએપી તેમાંથી એક છે ને અલ કાયદામાંથી અલગ અલગ થયેલા સંગઠનોમાં સૌથી મોટું ગણાય છે પણ તેનો કોઈ પ્રભાવ કે ડર એ વખતે નહોતો. યમન અને સાઉદી અરેબિયામાં આ સંગઠન સક્રિય છે પણ તેના નામે એવું કશું બોલતું નથી કે જેના કારણે લોકોમાં ખૌફ પેદા થાય.
હવે તાલિબાન પાછા મજબૂત થશે તેથી અલ કાયદા પણ મજબૂત થશે. અમેરિકા અને પશ્ર્ચિમના દેશોએ તાલિબાનની બે દાયકા લગી બરાબર બજાવી છે તેથી હમણાં એ અમેરિકા સામે બાખડી ના બાંધે તેથી પોતાનો ડર પેદા કરવા ભારતમાં હુમલા કરાવે એ ખતરો છે. પાકિસ્તાન અને તાલિબાન પણ એક જ છે તેથી તાલિબાન મજબૂત થાય તેના કારણે કાશ્મીરમાં પણ તકલીફ વધશે.
પાકિસ્તાન અફઘાન આતંકીઓનો ઉપયોગ કાશ્મીરમાં કરી શકે છે. તાલિબન અંતે તો પાકિસ્તાને પોષેલું જ પાપ છે તેથી એ પાકિસ્તાનના ઈશારે જ નાચશે. અમેરિકા સામે લડવાનું રહ્યું નહીં એટલે તાલિબાનને પાકિસ્તાન કાશ્મીરમાં આપણી મેથી મારવા માંડે એ ખતરો છે. અલ કાયદાનો અત્યાર લગી ભારતમાં પ્રભાવ નથી થયો પણ તાલિબાન મજબૂત થાય તો એ પણ થાય. અલ કાયદાનો કટ્ટરવાદી મુસ્લિમો પર ભારે પ્રભાવ છે. આ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. એક અહેવાલ પ્રમાણે ભારત સરકારની એજન્સીઓએ ગયા વરસે લગભગ ૨૮૦૦ જેટલાં એવાં ટ્વિટર એકાઉન્ટ શોધી કાઢ્યાં હતાં કે જે ભારતના મુસ્લિમોને ભડકાવીને જિહાદ માટે ઉશ્કેરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યાં છે. આ બધાં એકાઉન્ટ અત્યારે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે તેથી આપણી એજન્સીઓની નજરે ચડી ગયાં પણ અલ કાયદાનો પ્રભાવ વિશ્ર્વના ઘણા દેશોમાં છે. તેના કારણે આપણી સામે બીજાં દેશોમાંથી ઝેરીલો પ્રચાર શરૂ થાય એ પણ ખતરો છે. તેને રોકવા આપણે તાકાત તો લગાવવી જ પડે. અલ કાયદા પાસે તાલીમબદ્ધ આતંકવાદીઓ છે ને તેમને ભારતમાં ઘૂસાડીને પણ પાકિસ્તાન આપણને નુકસાન તો કરી જ શકે. આતંકવાદનો એ સીધો ખતરો પણ તાલિબાન મજબૂત થતાં વધી જશે. ભારત આતંકવાદના ખતરાને પહોંચી વળવા સક્ષમ છે તેમાં શંકા નથી પણ આપણે આપણી તાકાત વિકાસ કરવામાં લગાવવાના બદલે આતંકવાદ સામે લડવામાં લગાવવી પડે એ નુકસાન તો છે જ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે, તમામ ભારતીયોનો ડીએનએ એક છે. તેમણે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું કે, તમામ ભારતીયોનો ડીએનએ એક છે. પછી ભલે તેઓ કોઈપણ ધર્મના હોય. તેમણે એમ પણ કહ્યું હતું કે, લિન્ચિંગ કરનારા લોકો હિન્દુત્વના વિરોધી છે.
સંઘ પ્રમુખ ભાગવતે કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે, હિન્દુ મુસ્લિમ એકતા ભ્રામક છે. કારણ કે તેઓ અલગ નહી પણ એક છે. પૂજા કરવાની રીતના કારણે લોકો વચ્ચે અંતર ગણી શકાય નહી. અમુક કામ એવા છે જે રાજનીતિ નથી કરી શકતી. રાજનીતિ લોકોને એક કરી શકતી નથી. રાજનીતિ લોકોને એક કરવાનું હથિયાર બની શકતી નથી.
કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, એ સિદ્ધ થઈ ચુક્યું છે કે છેલ્લા 40,000 વર્ષથી એક જ પુર્વજોના વંશજ છીએ. ભારતના લોકોના ડીએનએ એક જેવા છે. હિન્દુ અને મુસલમાન બે સમૂહ નહી. એકજુથ થવા માટે કંઈ નથી. બન્ને પહેલાથી જ એક છે. કાર્યક્રમ માટે ભાગવત ગાઝિયાબાદમાં આયોજીત રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ડો. ખ્વાઝા ઈફ્તિખાર અહેમદ દ્વારા લખવામાં આવેલા પુસ્તકના વિમોચન માટે ગયા હતા.’ તેઓએ સમન્વય-એક પહેલ નામથી પુસ્તક લખ્યું છે.
Educational Testing Service ETS એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એવી મહત્વની અને ઉપયોગી જાહેરાત કરી છે કે વિદેશ જવા માટે જરૂરી ટૉફ્લ અને જીઆરઇ જેવી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે પાસપોર્ટ નહીં હોય તો પણ આધાર આઇન્ડેન્ટીટીની મદદથી તેઓ પરીક્ષા માટે નોંધણી કરાવીને પરીક્ષા આપી શકશે. તા.1લી જુલાઇ 2021થી હંગામી ધોરણે, બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી ફક્ત ભારતમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સુધારો લાગૂ કરવામાં આવશે.
ભારતમાં હાલ કોરોનાના કારણે વિદેશ જવા ઇચ્છતા અનેક વિદ્યાર્થીઓ પોતાનો પાસપોર્ટ કઢાવી શકતા નથી કે રિન્યુ કરાવી શક્તા નથી. વિદેશ જવા માટે જરૂરી ઇંગ્લીશ ટેસ્ટ ટૉફ્લ તથા જીઆરઇ વગેરેના રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ હોવો ફરજિયાત છે. પરંતુ, હાલની ભારતીય વિદ્યાર્થીઓની પરિસ્થિતિને જોતા ઇટીએસ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે સુધારો કર્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ આધાર આઇ.ડી.ની મદદથી ટૉફ્લ જીઆરઇ જેવી પરીક્ષાઓ આપી શકશે.
પાસપોર્ટ નહીં હોય તો આધાર આઇ.ડી.થી નીચે જણાવેલી પરીક્ષા આપી શકાશે
TOEFL iBT test,
TOEFL iBT Home Edition,
TOEFL Essentials test (beginning Aug. 2021),
GRE General Test, GRE General Test at home and
GRE Subject Tests (beginning Oct. 2021)
ETS has announced that beginning July 1, 2021, the Aadhaar Card will be temporarily considered as an acceptable form of identification for applicants taking TOEFL and GRE tests in India until further notice.
The exception is applicable to the TOEFL iBT test, TOEFL iBT Home Edition, TOEFL Essentials test (beginning Aug. 2021), GRE General Test, GRE General Test at home and GRE Subject Tests (beginning Oct. 2021).
Indian students will be required to furnish an original full version of their Aadhaar Card as received in the mail, which can be used for TOEFL and GRE tests either taken in-person from a third-party test centre, or at home.
દેશમાંની ઔષધને લગતી નિયામક સંસ્થા – ડ્રગ્સ ક્ધટ્રૉલર જનરલ ઑફ ઇન્ડિયાએ મુંબઈની સિપ્લાને દેશમાં ‘ઇમરજન્સી (તાકીદના) સીમિત વપરાશ’ માટે મૉડર્નાની કોવિડ-૧૯ સામેની રસીની આયાત માટે પરવાનગી આપી હતી.
ભારતમાં હાલમાં ત્રણ રસી – કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક રસી મળે છે તેમ જ ચોથી રસી તરીકે મૉડર્ના વાપરી શકાશે. રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (‘નિતિ’ આયોગ)ના આરોગ્ય વિભાગના સભ્ય ડૉ. વી. કે. પોલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મૉડર્ના રસીના સીમિત અને તાકીદના (ઇમરજન્સી) વપરાશ માટે પરવાનગી અપાઇ છે અને તેથી તેની ટૂંક સમયમાં આયાત શરૂ થવાની આશા છે.તેમણે જણાવ્યું હતું કે અમે ફાઇઝર અને જૉન્સન ઍન્ડ જૉન્સનની રસીને ભારતમાં લાવવાના અને દેશમાં તૈયાર થતી રસીનું ઉત્પાદન અનેક ગણું વધારવાની કોશિશ કરી રહ્યા છીએ.
કોરોનાની બીજી લહેરની ખતરનાક અસરો અને ભયાવહ સ્થિતિમાંથી હજુ તો માંડ બહાર નીકળ્યાનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે કોરોના વાઇરસનો જ ડેલ્ટા પ્લસ મ્યુટેન્ટ વાઇરસ અંગે વિશ્વભરમાંથી મળી રહેલી ખબરો અને તેમાં ભારતની સ્થિતિ અંગેના મળી રહેલા અહેવાલો પરથી જણાય આવે છે કે ફરી આપણે હતા ત્યાંને ત્યાં તો નથી જઇ રહ્યા ને.
કોરોનાનો જ વાઇરસ વધુ ખતરનાક બનીનો ઉભરી રહ્યો છે, જાણો ડેલ્ટા પ્લસ વેરીએન્ટ વિશે
ડેલ્ટા વેરિયન્ટ અથવા તો or B.1.617.2 ભારતમાં સૌથી પહેલાં 2020ના અંતમાં જોવા મળ્યો હતો. અને હવે તે વિશ્વના 70 દેશોમાં જોવા મળ્યો છે અને યુકેમાં અત્યારે સૌથી મોટો વેરિયન્ટ છે. તે આલ્ફા વેરિયન્ટ કરતા 40 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે, એટલે કે આલ્ફા વેરિયન્ટથી 40 ટકા વધુ ઝડપથી તે પ્રસરે છે. આ થવાનું કારણ એ હોઇ શકે કે જેને તેનો ચેપ લાગે તેમાં ACE2નું ગઠન વધુ હોય છે. હૉસ્પિટલાઇઝેશનના વધતો દર તેના પ્રસારમાં જે કરતો હોય તેમ બની શકે છે.
VoC વાઇરસ ઓફ કન્સર્ન, ચિંતાનો વાઇરસ
INSACOGના જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટ મુજબ, ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટ – ‘ચિંતાનો વેરિયન્ટ’ (VoC) તરીકે દર્શાવાયો છે. આ વેરિયન્ટમાં સંક્રમણતામાં વધારો થયો છે, ફેફસાની કોશિકાઓના રીસેપ્ટર્સ સાથે મજબૂત જોડાઈ શકવાની ક્ષમતા, અને એન્ટિબોડીને ચકમો આપીને તેના પ્રભાવને ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે નવા ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટને લીધે સંક્રમણ ક્ષમતા, રોગની તીવ્રતા, ફરીથી ચેપ અને રસીઓની અસરકારકતા, દવાઓ અને ઉપલબ્ધ નિદાન પરીક્ષણો પર નજર રાખવા માટે વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.
ફેફસા પર સખત રીતે ચોંટી જાય છે ડેલ્ટા વાઇરસ
કહેવાય છે કે તે જલ્દી ફેલાય છે પણ તેના કેસિઝ ઓછા છે એટલે અત્યારે કંઇ પણ કહેવું શક્ય નથી. ડેલ્ટા વેરિયન્ટ ACE2 રિસેપ્ટરમાં મજબુતાઇથી બંધાય છે અને રિસેપ્ટરમાંવધુ ભળે છે. આ કારણે જ એમ મનાય છે કે તેનો ચેપ ઝડપી હોય છે અને તે ચેપગ્રસ્ત વ્યક્તિના નેસોફેરિંજલ અને શ્વાસ નળીના નીચેના ભાગમાં હોય છે.
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે ડેલ્ટા વેરિયન્ટનું એક સબ લિનિયેજ છે તે દેશના 174 જિલ્લાઓમાં આ વાઇરસ ઉપલબ્ધ હોવાનું તા.25મી જૂન 2021ના રોજની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે જણાવ્યું હતું. આ વાઇરસ ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હોવાની જાહેરાત કરી. મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે.
કોરોનાવાઇરસની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે અને ત્રીજી લહેરની વકી પણ માથે તોળાઇ રહી છે ત્યાં તો ડેલ્ટા વેરિયન્ટ જે કોવિડ-19નનો ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઇન છે તે ટ્રેન્ડ થવા માંડ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 85 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો પછી તેને ‘ડોમિનન્ટ લિનિયેજ’ તે થઇ શકે છેની ચેતવણી પણ આપી છે અને શક્યતા છે કે તે અન્ય રાષ્ટ્રોમાં પણ જોવા મળે. WHOએ આ વાત કોવિડ-19 વિકલી એપિડેમિઓલોજિકલ અપડેટ માટે 22મી જૂને રિલીઝ કરેલ માહિતીમાં કરી હતી.
ડબલ માસ્કિંગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ એક જ વિકલ્પ હાલ તુરત તો
ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા વેરિયન્ટ સામે અત્યારે જે વેક્સિન અપાય છે તેની એફિકસી વિશે આપણને જાણ નથી અને માટે જે પગલાં અત્યારે લઇએ છીએ તે જ લેવા જરૂરી છે. ઘરમાં પણ ડબલ માસ્કિંગ કરવું, સેનિટાઇઝ કરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવું – આ બાબતો પર જોર મૂકવું અનિવાર્ય છે. સરકારે અનલૉક પહેલાં બહુ જ તકેદારી રાખવાની જરૂર છે ને લોકોની આવન જાવન પર નિયંત્રણ પણ રાખવું જોઇએ વળી ઇન્ડોર્સ પણ ભીડ ન થાય તે અનિવાર્ય છે.
બધા જ સાત ઇલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા બધા પક્ષોને આપવામાં આવેલા દાનની રકમમાંથી ભાજપને રૂ. ૨૭૬.૪૫ કરોડ અથવા ૭૬.૧૭ ટકાનું અને કૉંગ્રેસને રૂ. ૫૮ કરોડ અથવા ૧૫.૯૮ ટકાનું દાન મળ્યું હોવાની માહિતી ઍસોશિયેસન ફોર ડૅમોક્રેટિક રિફોર્મ્સ) એડીઆર જૂથે જાહેર કરી હતી.
રિપોર્ટમાં જણાવાયું હતું કે અન્ય ૧૨ પક્ષ – આપ, એસએચએસ, સપ, યુવા જનજાગૃતિ પક્ષ, જનનાયક પક્ષ, જેડીયુ, જેએમએમ, એલજેપી, એસએડી, આઇએનએલડી, જેકેએનસી અને આરએલડીને સંયુક્ત રીતે કુલ રૂ. ૨૫.૪૬૫૨ કરોડ મળ્યા હતા.ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલી કુલ રકમ અને એમણે રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતનો વાર્ષિક અહેવાલ જાહેર કરવાનો આદેશ ચૂંટણીપંચે પોતાની માર્ગદર્શિકા દ્વારા પારદર્શિતા જાળવવા માટે સર્ક્યુલૅટ કર્યો હતો.
લોરેન હબર્ડ 185 કિલોગ્રામ વજન ઊંચકીને ટોકયો ઓલિમ્પિકમાં મહિલા સુપર હેવી વેઇટ વર્ગ માટે ટિકીટ પાકી કરી લેતાં ઓલિમ્પિક માટે કવોલિફાઇ થનાર પ્રથમ ટ્રાંસજેંડર ખેલાડી બની ગઇ છે. આઠ વરસ પહેલાં પુરૂષમાંથી મહિલા બનેલી હર્બડ એ ખેલાડીઓમાં સામેલ છે, જેમની સોમવારે ન્યૂઝિલેન્ડની ટોકયો જનારી ટીમમાં પસંદગી કરાઇ છે.
ખાસ ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય લોરેલ વેઇટલિફટીંગમાં સૌથી મોટી વયની રમતવીર હશે. સમોઆમાં 2019માં પ્રશાંત ક્ષેત્રિય રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર હબર્ડે કહ્યું હતું કે, ન્યૂઝિલેન્ડના લોકો તરફથી મળેલાં સમમર્થન બદલ હું સૌની આભારી છું.
બાબા બર્ફાનીના દર્શનની ઈચ્છા રાખી અમરનાથ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુને હવે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. કોરોના વાયરસને ધ્યાને લઈને જમ્મુ કાશ્મીર પ્રશાસને ચાલુ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ એલાન ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કરી દીધું છે. આ સાથે બાબા બર્ફાનીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરાજ્યપાલ (એલજી) મનોજ સિન્હાએ કહ્યું હતું કે, કોરોનાને ધ્યાને લઈને ચાલુ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમરનાથ યાત્રા ચાલુ વર્ષે પ્રતિકાત્મક રહેશે. તમામ પારંપરિક વિધિ પહેલાની જેમ જ પૂરી કરવામાં આવશે. ઉપરાજ્યપાલે કહ્યું હતું કે, લોકોનું જીવન બચાવવું પણ જરૂરી છે.
વધુમાં કહેવામાં આવ્યું હતું કે, અમરનાથ શ્રાઇન બોર્ડ કરોડો શ્રદ્ધાળુઓની ભાવના સમજે છે અને તેનું ધ્યાન રાખીને સવારે અને સાંજે આરતીના લાઇવ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરરોજ બન્ને આરતીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.
આ મામલે શ્રાઇન બોર્ડના સીઈઓ નીતિશ્વર કુમારે કહ્યું હતું કે, છડી મુબારક 22 ઓગસ્ટના રોજ પવિત્ર ગુફામાં પહોંચશે. આ સાથે જ રક્ષાબંધનના દિવસે અમરનાથ યાત્રાનું સમાપન થશે.
કોરોના મહામારીની બીજી લહેરના પરિણામે ભારતમાં રોજગારીની સ્થિતિ અત્યંત દયનિય બની ગઇ છે એવું જણાવતા સેન્ટ્રર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઇઆઇ) એ જણાવ્યુ કે, ભારતમાં લેબર માર્કેટની સ્થિતિ એપ્રિલ-મે દરમિયાન ગત વર્ષની તુલનાએ પણ અત્યંત ખરાબ છે જ્યારે પાછલા વર્ષે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન હતુ.
સીએમઇઆઇ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે, દેશમાં મે ૨૦૨૧માં બેરોજગારીનો દર વધીને ૧૧.૯ ટકા થયો છે, જે જૂનમાં પણ વધી રહ્યો છે. ૬ જૂન, ૨૦૨૧ સુધીના ૩૦ દિવસનો સરેરાશ બેરોજગારીનો દર હાલ ૧૩ ટકાના સ્તરે પહોંચી ગયો છે. તો બીજી બાજુ શ્રમિકોની ભાગીદારી ૪૦ ટકાથી નીચે ઉતરી ગઇ અને તે હાલ ૩૯.૭ ટકા થઇ ગઇ છે. તો શ્રમ બજારના સૌથી મોટો માપદંડ ગણાતો રોજગારી દર મે મહિનામાં ઘટીને ૩૫.૩ ટકા અને ૬ જૂન, ૨૦૨૧ સુધીમાં વધુ ઘટીને ૩૪.૬ ટકા ટકા થયો છે.
સીએમઇઆઇના સીઇઓ મહેશ વ્યાસે જણાવ્યુ હતુ કે, એપ્રિલ અને મે ૨૦૨૦ના દેશવ્યાપી લોકડાઉન બાદ જ ભારતના લેબર માર્કેટની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન લેબર માર્કેટની સ્થિતિ ઝડપથી બગડી છે.
જો કે તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકડાઉનના કારણે અસંગઠિત ક્ષેત્રોમાં ગુમાવેલી અનૌપચારિક નોકરીઓમાં ઝડપી રિકવરીની અપેક્ષા છે, પરંતુ લોકડાઉનથી સ્વતંત્ર રોજગારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧ બાદથી કૃષિ સિવાયના ક્ષેત્રોમાં કુલ ૩.૬૮ કરોડ લોકોએ ગુમાવી છે. તેમાં દૈનિક વેતન મેળવતા મજૂરોની સંખ્યા ૨.૩૧ કરોડ છે. તો પગારદાર લોકોની સંખ્યા ૮૫ લાખ અને બાકીના સ્વરોજગાર મેળવનાર છે. રોજગારી મોરચે પરિસ્થિતિ સુધારવા કે વર્ષ ૨૦૧૯-૨૦ના સ્તરે પરત લઇ જવા માટે ભારતીય અર્થવ્યવસ્થામાં મક્કમ રિકવરીની આવશ્યકતા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.