28/01/2026મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે.
બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે.
અજિત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
UGCના નિયમોને લઈને સવર્ણોમાં આક્રોશ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે દિલ્હીથી લઈને યુપી સુધી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓ વિરોધ માટે એકત્રિત થયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ ઠેર ઠેર દેખાવોનું આયોજન કરાયું છે.
દેશભરની યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે સરકારે નવા નિયમ બનાવ્યા હતા. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. સવર્ણ સમાજનું કહેવું છે કે આ નિયમો એકતરફી અને અસ્પષ્ટ છે જેના કારણે તેનો દુરુપયોગ થવાની આશંકા છે.
UGCએ આદેશ આપ્યા છે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રોકવા માટે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે 24/7 હેલ્પલાઈન નંબર, ઈક્વિટી સેન્ટર બનાવવામાં આવશે.
ભેદભાવની વ્યાખ્યા:
નવા નિયમ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવમાં માત્ર SC, ST અને OBC વર્ગના સભ્યો સામેલ થયેલા ભેદભાવ જ ગણવામાં આવશે. જનરલ કેટેગરી સાથે કોઈ ભેદભાવ થાય તો કોઈ કાયદાકીય રક્ષણ નહીં મળે.
જો કોઈ જાણીજોઇને ખોટી ફરિયાદ કરે તેના સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. એવામાં અંગત અદાવત કાઢવા નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાનો બનાવાશે.
કોલેજોમાં સમાનતા સમિતિ બનાવવામાં આવશે. તેમાં SC, ST, OBC, મહિલા અનિવાર્ય છે પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ નથી.
સમગ્ર મામલે ભાજપમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર સંજય સિંહે કહ્યું છે કે, સંતુલિત પ્રતિનિધિત્વ ન હોય તેવી સમિતિઓ કેવી રીતે ન્યાય કરી શકે? આવી સમિતિઓથી સમસ્યાનું સમાધાન ન થાય. દરેક નાગરિકના સન્માન અને સુરક્ષાની રક્ષા થવી જોઈએ. તમામ વર્ગની ભાગીદારી જરૂરી છે.
ભાજપ નેતા બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે કહ્યું છે કે, આ બેવડા વલણની ગહન સમીક્ષા થવી જોઈએ. ભારતીય સમાજના એક વર્ગને ઐતિહાસિક ગુનેગાર બતાવી બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવે છે.
ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે કહ્યું છે કે, આ કાયદાથી ભારતમાં જ્ઞાતિગત તણાવ અને વિવાદ વધશે. સરકાર જ ઈચ્છે છે કે દેશ જ્ઞાતિવાદ, ધર્મવાદમાં ફસાયેલો રહે. સમાજમાં અંદરોઅંદર દુશ્મનાવટ વધે. આવા નિણર્ય દેશ માટે સારા નથી.
બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.
કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે.
અનેક કાર્યો પ્રભાવિત થશે
જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.
શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.
બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.
બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી
બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.
9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.
આર્થિક ક્ષેત્રે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારત વર્ષ 2025ના અંતમા વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત જાપાનને પછાડીને આગળ વધ્યું છે. ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારનો દાવો છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમજ વર્ષ 2030 સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
વર્ષ 2025માં દેશના સુધારા અંગેના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્થાને પહોંચશે.
વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરીએ તો (1)અમેરિકા, (2)ચીન (3)જર્મની(4) ભારત અને જાપાન પાંચમા સ્થાને છે. તેમજ જણાવવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ વૈશ્વિક વેપારમાં સતત અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.
સરકારે જણાવ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. વર્ષ 2047 સુધીમાં તેની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકનો દરજ્જો પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્યો છે.
ભારતીય (India) મહિલા ટીમે Dated 30/1222 મંગળવારે અહીં અંતિમ ટી-20 15 રનથી જીતીને શ્રીલંકા (Sri Lanka)નો 5-0થી વાઇટવૉશ કર્યો હતો. ટી-20માં ભારતની 5-0ના વાઇટવૉશ સાથેની આ ત્રીજી જીત છે. શ્રીલંકાની બૅર્ટ્સને ભારતીય બોલર્સે સતતપણે અંકુશમાં રાખી હતી. શ્રીલંકા 176 રનના લક્ષ્યાંક સામે સાત વિકેટે 160 રન બનાવી શકી હતી. દીપ્તિ શર્મા ટી-20માં સૌથી વધુ (152) વિકેટ લેનાર બોલર બની છે.
પેસ બોલર અમનજોત કૌરે 12મી ઓવરમાં હૅસિની (65 રન) અને દુલાની વચ્ચેની 79 રનની ભાગીદારી તોડી હતી. કવર્સમાં શેફાલીએ દુલાની (50 રન)નો કૅચ ઝીલ્યો હતો. ભારતની તમામ છ બોલર (દીપ્તિ, અરુંધતી, સ્નેહ રાણા, વૈષ્ણવી, શ્રી ચરની, અમનજોત)ને એક-એક વિકેટ મળી હતી. એક બૅટર રનઆઉટ થઈ હતી.
એ પહેલાં,
ભારતે બૅટિંગ મળ્યા બાદ નબળી શરૂઆત કર્યા પછી ધમાકેદાર અંત જોયો હતો. 11મી ઓવરમાં ભારતનો સ્કોર પાંચ વિકેટે માત્ર 77 રન હતો, પરંતુ કૅપ્ટન હરમનપ્રીત કૌર (68 રન, 43 બૉલ, એક સિક્સર, નવ ફોર) તેમ જ અમનજોત કૌર (21 રન) અને અરુંધતી રેડ્ડી (27 અણનમ)એ ટીમના સ્કોરને પોણાબસો સુધી (7/175) પહોંચાડ્યો હતો.
હરમનપ્રીત (Harmanpreet) અને અમનજોત વચ્ચે 38 બૉલમાં 61 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી સ્નેહ રાણા (આઠ રન) અને રેડ્ડી વચ્ચે 14 બૉલમાં અણનમ 33 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ બે ભાગીદારી શ્રીલંકાને સૌથી ભારે પડી હતી.
સ્મૃતિ મંધાના મંગળવારની મૅચમાં તો નહોતી, પણ તેણે સતત બીજું વર્ષ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન સાથે પૂરું કર્યું. 2025માં તે 1,703 રન સાથે મોખરે હતી. 2024માં તેના 1,659 રન તમામ મહિલા બૅટર્સમાં હાઇએસ્ટ હતા.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક મહત્વ ધરાવતી એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ રહી હતી જેનું પરીણામ બે જ દિવસમાં આવી ગયું હતું., જેને બોક્સિંગ ડે ટેસ્ટ તરીકે ઓળખવામાં આવી રહી છે. મેચના પહેલા દિવસે ટોસ હારીને પ્રથામ બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ થઇ ગઈ, બીજી તરફ ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખુબ જ ખરાબ રહી, ઇંગ્લેન્ડનો પહેલો દાવ માત્ર 110 રનમાં સમેટાય ગયો હતો. 52 રનની લીડ સાથે બીજી ઇનિંગમાં દાવ પર ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 132 રનમાં ખખડી ગઇ હતી અને ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 175 રનનો પડકાર મળ્યો હતો. જે સરળતાથી સર કરીને બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને કારમી પછડાટ આપીને 5-0થી એશિઝ જીતવાના બણગાં પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
એ પૂર્વે
એશિઝ 2025-26ની ચોથી ટેસ્ટમાં ટોસ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જીત્યો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાન ટીમના બેટર્સે ખુબ જ સાધારણ બેટિંગ કરી, કોઈ પણ ખેલાડી ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યો નહીં, ટીમ 45 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી ત્રણ વિકેટો તો સ્કોરબોર્ડ પર કોઈ રન ઉમેર્યા વગર જ પડી ગઈ.
ઓસ્ટ્રેલિયન ટીમમાં સૌથી વધુ રન માઈકલ નેસરે(35) બનાવ્યા, જ્યારે ઉસ્માન ખ્વાજાએ 29 અને એલેક્સ કેરીએ 20 રન બનાવ્યા, પાંચ ઓસ્ટ્રેલિયન બેટર્સ બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા
ઇંગ્લેન્ડના જોશ ટોંગ તરફથી આક્રમક બોલિંગ જોવા મળી, તેણે 45 રન આપીને પાંચ વિકેટ લીધી. ગસ એટકિન્સને બે વિકેટ મળી, જ્યારે બ્રાયડન કાર્સ અને કેપ્ટન બેન સ્ટોક્સે એક-એક વિકેટ ખેરવી.
ઇંગ્લેન્ડનો ધબડકો: ઓસ્ટેલિયનની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઇ જતાં ઇંગ્લેન્ડના ચાહકો ખુશ હતાં, પરતું તેમની ખુશી લાંબી ના ટકી શકી. બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ગાડી શરૂઆતમાં જ પાટેથી ઉતરી ગઈ, ટીમે 8 ઓવરમાં માત્ર 16 રન પર 4 મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી. બેન ડકેટ-2, જેકબ બેથેલ-1, જેક ક્રોલી-5 અને જો રૂટ-0 રન પર આઉટ થયો. ઓસ્ટ્રેલિયા મિશેલ સ્ટાર્ક અને માઈકલ નેસરે બે-બે વિકેટ લીધી છે.
ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ અનુસાર VT-ALS વિમાન સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે રવાના થયું હતું અને લગભગ 6:52 વાગ્યે પાછું ફર્યું હતું.
22/12/2025 સોમવારે સવારે ટેકઓફ કર્યા પછી તરત જ જમણી બાજુનું એન્જિન ફેઇલ થયું હોવા છતાં એર ઇન્ડિયાનું બોઇંગ 777 વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ અનુસાર VT-ALS વિમાન સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે રવાના થયું હતું અને લગભગ 6:52 વાગ્યે પાછું ફર્યું હતું.
ટ્વીન-એન્જિન વિમાન એક એન્જિન પર સુરક્ષિત રીતે ઉતરી શકે છે, તેથી વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર “22 ડિસેમ્બરના રોજ, દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI 887 ના ક્રૂએ માનક સંચાલન પ્રક્રિયા મુજબ, ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પાછા ફરવાનું નક્કી કર્યું.
વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું અને મુસાફરો અને ક્રૂ નીચે ઉતરી ગયા છે. આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ એર ઇન્ડિયાને ખૂબ જ દુઃખ છે. વિમાનની જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.”
એર ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે “દિલ્હીમાં અમારી ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડી રહી છે અને તેમને ઝડપથી તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયામાં, અમારા મુસાફરો અને કર્મચારીઓની સલામતી અને સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે.”
એર ઇન્ડિયા મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરે છે એન્જિન નિષ્ફળતાની તપાસ કરવા ઉપરાંત, DGCA એ ફ્લાઇટના મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની પણ વ્યવસ્થા કરી હતી. એર ઇન્ડિયાએ તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે બીજા B777 (VT-ALP) વિમાનની વ્યવસ્થા કરી હતી. બોર્ડિંગ ગેટ પર નાસ્તો આપવામાં આવ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે “મુસાફરોનું બોર્ડિંગ સવારે 9:06 વાગ્યે શરૂ થયું હતું અને વૈકલ્પિક ફ્લાઇટ સવારે 10 વાગ્યે રવાના થવાની ધારણા છે,”
Assam Accident: આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) સવારે એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જ્યાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ આઠ હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા.
મહત્ત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન પહોંચ્યું નથી. અકસ્માતને કારણે ઉપલા આસામ અને ઉત્તરપૂર્વમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રેલવેએ બચાવ કામગીરી શરૂ કરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોની આગળની મુસાફરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયામાં છે.
ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.
3,81,470+40 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.
તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદી છે કે નહીં?
ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ જોવા માટે http://ceo.gujarat.gov.in,વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જોઈ શકાશે.
અહીં તમામ ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આમાં વિગતો બધી પીડીએફ દ્વારા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી તમારૂ નામ શોધવામાં સમલ લાગી શકે છે.
નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું રહેશે
જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.
આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક મેગા સિટી જેટલા એટલે 73,73,110 મતદારોને રદ્દ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં નવેમ્બર મહિનાથી એસઆઈઆરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોટિસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તારીખ 17/02/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં જાહેર કરવામાં આવશે.
કિંજલ દવે સામાજિક બહિષ્કાર મુદ્દે ; કહ્યું, ‘સાટા પ્રથાની હું પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે, ’
Kinjal Dave Video On Social Boycott : કિંજલ દવે ધ્રુવિન શાહ સાથે સગાઇ કરતા તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની અટકળો સામે આવી છે. આ મુદ્દે કિંજલ દવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમા તેણે દિકરીના અધિકાર, સાટા પ્રથા, બાળ લગ્ન અને સામાજીક કુરિવાજો વિશે વાત કરી છે.
કિંજલ દવે સગાઇ બાદ હવે સામાજિક બહિષ્કાર મુદ્દે ચર્ચામાં છે. અન્ય જ્ઞાતિમાં સગાઇ કરવાના મામલે કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થવાના સમાચાર વહેતા થયા છે. આ દરમિયાન ગુજરાતી સિંગર કિંજલ દવે એ પહેલીવાર મૌન તોડ્યું છે. કિંજલ દવે એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયામાં કિંજલ દવે દીકરી માટે જીવનસાથી નક્કી કરવાના અધિકારી, બાળ લગ્ન વિશે વાત કરી છે. ઉપરાંત વીડિયોમાં સામાજીક બહિષ્કારનો મુદ્દો અને અસામાજીક તત્વોને દૂર કરવા બ્રહ્મસમાજને વિનંતી કરી છે.
કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર !
કિંજલ દવે એ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઇ કર્યા બાદ તેના પરિવારના સામાજીક બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં બ્રહ્મ સમાજ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક યોજાઇ હતી. જેમા કિંજલ દવેના પરિવારનો સામાજીક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત સામાજીક બહિષ્કૃત વ્યક્તિને પોતાને ત્યાં આવકારનાર લોકો સામે પણ કડક પગલાં લેવાશે.
સામાજીક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ મૌન તોડ્યું
બ્રહ્મસમાજ દ્વારા પરિવારના સામાજીક બહિષ્કારા મુદ્દે કિંજલ દવે મૌન તોડતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કિંજલ દવે કહે છે, મારા સગપણને લઈને અનેક ચર્ચાઓ અને તર્કવિતર્કો ચાલતા હતાં જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી. કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી. હવે આ વાત મારા પરિવાર સુધી આવી ગઈ છે જેથી મારે બોલવું પડશે. બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે જેને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટેના નિયમો નક્કી કરશે.
મારા પરિવાર સામે કોમેન્ટ કરશો તો કાયદેસરના પગલાં લઈશ
વીડિયોમાં કિંજલ દવેએ કહ્યું છે કે, દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે તેને કાપવાની વાતો છે. આજે દીકરીઓ રણમેદાનમાં છે. આર્મીમાં છે ત્યારે દીકરીઓને આજે તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી? કહેવાતા મોડર્લ સમાજમાં અમુક લોકો દિકરીઓની મર્યાદા નક્કી કરશે. સમાજમાં બે ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ કરે છે તેને દૂર કરો નહીં તો આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હવે જે પણ લોકો મારા પરિવાર સામે કોમેટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ. ઓપરેશન સિંદૂરમાં બે દિકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે.
હું સાટા પ્રથાની પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે : કિંજલ દવે હું એવા પરિવારમાં જઇ રહી છું, જે ભક્તિમય છે, તેના પરિવારના લોકો અને પાર્ટનરે હું જેવી છું તેવી જ મને આદર સત્કારથી સ્વીકારે છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર અને નવકાર મંત્રના જાપ થાય છે ત્યાં હું જઇ રહી છું. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ જેઓ શિક્ષિત અને વિન્રમ છે તેમને વિનંતી કરું છે કે, કે આવા બે ચાર અસામાજીક તત્ત્વો છે જે દિકરીની પાંખો કાપવાની વાતો કરે છે, આપણો સમાજ ક્યાંયનો નહીં કરે. જો તમે દિકરાનું સારુ ઇચ્છતા હોવ તો તેમના શિક્ષણ વિશે વાત કરો, નાની દિકરીઓ પર બળાત્કાર થાય છે, તેમના વિશે વાત કરો, દિકરીની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો, હજી જુના 18મી 17મી સદીના જુના રિવાજો આપણા સમાજમાં ચાલે છે, હજી કેટલા બાળ લગ્ન થાય છે, જેની આપણે બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે, જેની પીડિત હું પણ છું, જેની તમને બધાને ખબર છે. દિકરીના પૈસા લેવામાં આવે છે, દિકરીને ઘુંઘટામાં રાખો છો.
પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત છે : કિંજલ દવે
કિંજલ દવે વીડિયોમાં કહે છે કે, જ્યારે મારા પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું, એ દીકરી છું. બરાબર છે, આપ સૌને નમ્ર વિનંતી છે, જેવી રીતે દરેક દીકરી નવા જીવનની શરૂઆત કરે છે, તેમ મેં પણ શરૂઆત કરી છે, આને કોઇ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. એવા અસામાજીક તત્વો જેઓ સમાજ માંથી નાતબહાર કરવાની વાત છે તેમને કોઇ 5000 ની નોકરીયે પણ રાખવા કોઇ તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા. તમામ બ્રહ્મશક્તિઓ અને સમજણ વ્યક્તિઓ છે તેમને મારી નમ્ર વિનંતી છે કે, આવા અસામાજીક તત્વોને સમાજ માંથી દૂર કરો. જેથી દિકરીઓ ડરે નહીં, તેમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, જય મહાદેવે.
કિંજલ દેવનો મંગેતર ધ્રુવિન શાહ કોણ છે?
કિંજલ દવે એ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી છે. ગુજરાતી સિંગરે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરી સગાઇની જાણકારી આપી હતી. ધ્રુવિન શાહ બિઝનેસમેન અને એક્ટર છે. ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને નજીકના પ્રિયજનોની હાજરીમાં સગાઇ કરી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.