જયેશ બ્રહ્મભટ્ટ
ગઇ તા.21મી જુન 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત કેન્દ્ર સરકારના બધા મંત્રીઓ, સમગ્ર ભાજપાના નેતાઓ યોગ દિવસના જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત હતા ત્યારે સુરત મજૂરાના ભાજપના ધારાસભ્ય ફાયર બ્રાન્ડ ગણાતા હર્ષ સંઘવી એકાએક નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમને ત્યાં તંત્રવાહકોની કામગીરીથી સંતોષ ન થતા જાહેરમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીને ધમકી આપી હતી કે ટાંટીયા તોડાવી નાંખીશ.
આ રહ્યો વિડીયો જેમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલમાં ટાંટીયા તોડાવી નાંખવાની ધમકી આપી હતી
મધ્યપ્રદેશના આકાશ કૈલાશ વિજય વર્ગીય પ્રકરણ બાદ મહારાષ્ટ્રમાં નીતિશ નારાયણ રાણે પ્રકરણ અને હર્ષ સંઘવીની ધમકી વચ્ચે રહેલું સામ્ય અને આવી ઘટનાઓ પરત્વે ખુદ નરેન્દ્ર મોદીની નારાજગીને જોતા હર્ષ સંઘવીને કેટલાક હિતુચ્છુઓએ સમગ્ર ઘટના અંગેની માહિતી દિલ્હી સ્થિત બીજેપી હાઇકમાન્ડના નેતાઓ સુધી પહોંચાડીને આ મામલામાં શિસ્તભંગના પગલાં ભરવા માટે રજૂઆતો કરી છે.
જોવાનું એ રહે છે કે નરેન્દ્ર મોદીના ખાસ મનાતા હર્ષ સંઘવી સામે ભાજપા આગામી દિવસોમાં કેવું વલણ અપનાવે છે.
હર્ષ સંઘવી પોતાના આવા આક્રમક વલણ માટે જાણીતા છે, અગાઉ તાપી નદીના શુદ્ધીકરણના મુદ્દે તેમણે સ્થાનિક અધિકારીઓને આ જ પ્રકારે લબડધક્કે ચઢાવી ચૂક્યા છે.

(With Thanks From the Facebook wall of Parul Mahadik, courtesy TV-9 Gujarati.)
આ ધમકી 15 દિવસે નવી દિલ્હી સ્થિત ભાજપા હાઇકમાન્ડ સુધી પહોંચી છે અથવા પહોંચાડવામાં આવી છે.
બન્યું એવું કે થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશ ભાજપાના કૈલાશ વિજય વર્ગીયના દિકરા આકાશએ ત્યાના લોકલ અધિકારીને કોઇક મુદ્દા પર બેટ વડા ફટકાર્યા હતા એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ખુદ નરેન્દ્ર મોદીએ આવી ઘટનાઓ ભાજપાની છબી બગાડતી હોવાની ટકોર કરીને આવા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાની હાકલ કરી હતી.

ભાજપાના મધ્યપ્રદેશ એકમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોરને પગલે આકાશ વિજય વર્ગીયને નોટિસ ફટકારી છે અને આ ઘટના પછી લાઇમલાઇટમાં રહેતા મધ્યપ્રદેશના નેતા વિજય વર્ગીય હાલ કોર્નર કરી દેવાયા છે.
એ પછી મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ નારાયણ રાણે કે જે પોતે પણ ધારાસભ્ય છે એણે બિસ્માર માર્ગના મુદ્દે સ્થાનિક અધિકારીને કાદવથી નવડાવીને જાહેરમાં અપમાનિત કર્યા. આ ઘટના બાદ નીતિશ રાણેએ જેલવાસ ભોગવવાનો વખત આવ્યો હતો.
