રાજ્ય સરકારે વી.સી. ગુપ્તા સામેની ગંભીર ફરીયાદો પર ધ્યાન ન આપ્યું ને બે ડઝનથી વધુ કેસો હાઇકોર્ટમાં થઇ ગયા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે બિરાજ્યા બાદ ડો.શિવેન્દ્ર ગુપ્તા કોણ જાણે કોની દુશ્મનાવટોનો બદલો લઇ રહ્યા હોય, અનેક શિક્ષણશાસ્ત્રીઓની કારકિર્દી રંગદોળવાનો સિલસિલો તેમણે એક પછી એક હાથ ધર્યો છે. ગઇ તા.23મી ઓગસ્ટ 2019ના રોજ વીર નર્મદ યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય તરીકેની માન્યતાને ગેરકાનૂની ગણાવીને તેને રદ કરી તેના આધારે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનું યુનિ.ના તમામ અધિકારમંડળોમાંથી વજુદ મિટાવી દેવા સબબનું જાહેરનામું જારી કરનાર વીર નર્મદ યુનિવર્સિટીને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી લપડાક મળી છે.
34 દિવસમાં ન્યાય મળી ગયો

સુરતના ડુમસ રોડ પર બિગબાઝાર પાછળ આવેલી ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.શિવેન્દ્ર ગુપ્તા એન્ડ કંપનીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે શું વાંકુ પડ્યું ભગવાન જાણે પણ તેમણે યુનિવર્સિટીમાંથી ડો. ચૌહાણનો કાંટો કાઢી નાંખવાની નેમ લીધી હોય એ રીતે તેમની પાછળ પડી ગયા હતા અને મનસ્વી રીતે, સરકારે વખતોવખત કરેલા હુકમોની ઐસીતૈસી કરીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને ભારતીમૈયા કોલેજના આચાર્ય પદેથી તેમની માન્યતા રદ કરીને તેમને દૂર કરવાનું રીતસર જાહેરનામું બહાર પાડ્યું હતું.
ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ સામે યુનિવર્સિટીએ ખોટી રીતે શિક્ષાત્મક પગલાં ભરીને આ જાહેરનામુ ચગાવી તેમની ભારોભાર બદનામી કરવાનો પ્રયાસ કર્યો હતો

ઉપરોક્ત જાહેરનામુ ચગાવીને ડો.મહેન્દ્રસિંહ ચૌહાણને તમામ અધિકાર મંડળોમાંથી પણ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાના સમાચારો વહેતા કરાવવામાં આવ્યા હતા. ટૂંકમાં વીર નર્મદ યુનિ.માં હોનહાર કામગીરી કરી રહેલા ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનો કાંટો કાઢી નાંખવા સબબની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી હતી.
ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ એકલા દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ તબીબ છે. તેમની સામે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહી અંગે મિડીયામાં સામે ચાલીને માહિતીઓ આપીને તેમની બદનામી કરાવવામાં ડો.શિવેન્દ્ર ગુપ્તા એ કશું બાકી રાખ્યું ન હતું.
ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે પોતાની સામે થયેલી કાર્યવાહીને મનસ્વી રીતે, નીતિ નિયમોથી પર થઇને કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન કરી હતી.
દેર હોય પણ અંધેર ન હોય
મળતી માહિતી મુજબ આજે ગુજરાત હાઇકોર્ટે આ અંગે કરેલા આ દેશમાં જણાવ્યું હતું કે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કામકાજ કરી શકશે. યુનિવર્સિટીએ તેમની સામે કરેલી કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.
યોગાનુંયોગ આ હિયરીંગ આજરોજ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ હાથ ધરાયું અને આદેશ પણ આજે જ હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવ્યો છે. કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તા આજે તેમની જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસે તેમણે હાથે કરેલા હૈયે વાગ્યા જેવી પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું છે.
18 મહિનામાં ડો.શિવેન્દ્ર ગુપ્તાના નિર્ણયો સામે ગુજરાત હાઇકોર્ટમાં 27 પીટીશનો થઇ ગઇ, હવે સરકાર જાગશે
જે દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ એ દિવસથી જ તેમની સામે, તેમની લાયકાત સામે, તેમની વર્તણૂંકો સામે ફરીયાદો ઉઠી હતી. રાજ્ય સરકારને વખતોવખત ફરીયાદો કરવામાં આવી પણ રાજ્ય સરકારે ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે એકેય હરફ ન ઉચ્ચાર્યો પરીણામે જેમની સાથે અન્યાય થયો તેમણે ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં જવું પડ્યું. ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે કુલ 27 કેસો હાઇકોર્ટમાં થઇ ગયા.





















