હીરા ઉદ્યોગને કારણે સૌરાષ્ટ્રથી સૂરત આવીને વસેલા મૂળ સૌરાષ્ટ્રવાસીઓને હાલ કોવીડ-19 લૉકડાઉનમાં સૂરત રહીને કંટાળ્યા છે અને હવે તેમને માદરે વતન જવું છે. સૂરતના વરાછાના ધારાસભ્ય અને સરકારના મંત્રી કુમાર કાનાણીએ આ અંગે સરકારમાં વાતચીત કરતા હવે સૂરતથી સૌરાષ્ટ્ર તેમજ અન્ય જિલ્લાઓમાં જવા માટેની એક પ્રોસીજર નક્કી કરવામાં આવી છે.
જેમકે સુરતથી સૌરાષ્ટ્ર કે અન્ય જિલ્લામાં જવા માગતા લોકોએ ઓનલાઇન નોંધણી કરાવવાનું રહેશે. આ અંગેની વેબસાઈટ તા.5મીએ સાંજે અથવા 6એ સવારે લોંચ કરી દેવામાં આવશે. એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કર્યા બાદ જેમને પરવાનગી મળશે તેમનું મેડિકલ સ્ક્રિનિંગ કરાશે.
ચેકપોસ્ટ પર સહી-સિક્કા કરી બસ કે ખાનગી વાહનમાં જે-તે વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી, માસ્ક પહેરીને સુરતથી સૌરાષ્ટ્ર જવા રવાના થઈ શકશે. આ અંગેની તૈયારીઓ કરવા માટે સીએમ દ્વારા એક કમિટિ બનાવાઈ છે, જેના અધ્યક્ષ સ્થાને કિશોર કાનાણીની નિમણૂંક કરાઈ છે. સુરતથી સૌરાષ્ટ્ર જવામાં એક જ શરત રખાઈ છે કે કોઈપણ વ્યક્તિને એક કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી બીજા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જવાની પરવાનગી નહીં અપાય.
સુરતથી ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે સૌરાષ્ટ્ર જઈ શકાશે. આવતીકાલથી તેના માટે રજિસ્ટ્રેશન શરુ કરાશે અને ત્યારબાદ મંજૂરી આપવાનું શરુ કરાશે. જે લોકોને શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના હોય તે લોકોને જ પરમિશન અપાશે. સૌરાષ્ટ્ર પહોંચ્યા બાદ જે-તે જિલ્લાના તંત્ર દ્વારા પણ આ લોકોની ચકાસણી કરાશે.
જે લોકોમાં કોરોનાના કોઈપણ લક્ષણ દેખાશે તેને નજીકની હોસ્પિટલમાં મોકલાશે. જે લોકોમાં લક્ષણ નથી તેઓ હોમ ક્વોરન્ટાઈન કે તંત્ર દ્વારા ઉભી કરાયેલી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રહેવું પડશે. 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પૂરો થયા બાદ 30 દિવસ સુધી તેમને ત્યાં જ રહેવું પડશે. મતલબ કે, તેઓ 45 દિવસ સુધી સુરત પરત નહીં આવી શકે.




















