Slider Archives - Page 429 of 488 - CIA Live

October 27, 2018
tarik.jpg
1min5330

લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે છેડો ફાડ્યા બાદ આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ને શનિવારે સવારે  રાજકીય નેતા તારિક અનવર સત્તાવાર રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અનવર તેમના સમર્થકો સાથે તુઘલક લેન ખાને રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શરદ પવારના રાફેલ મુદ્દે મોદી તરફી નિવેદન બાદ 28 સપ્ટેમ્બર અનવરે એનસીપીમાંથી છેડો ફાડ્યો હતો

 

 

October 27, 2018
rbi_modi.jpg
1min10770

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે સરકારની દરમિયાનગીરી મુશ્કેલીજનક હોવાનો સાફ મત વ્યક્ત કર્યો

સીબીઆઇ બાદ હવે આરબીઆઇમાં કેન્દ્ર સરકારની દરમિયાનગીરી સામે વાંધો ઉઠ્યો છે અને વાંધો અન્ય કોઇએ નહીં પણ રિઝર્વ બેંકના ઉચ્ચ અધિકારીએ ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર સરકારની ડખલગીરીને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકાર માટે સારા દિવસો નહીં હોવાની સ્થિતિ હવે સાર્વત્રિક રીતે જોવા મળી રહી છે.

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ તા.26મી ઓક્ટોબર 2018ના રોજ મધ્યસ્થ બેન્કની સ્વતંત્રતા અને ઓછો અધિકારોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. આચાર્યએ જણાવ્યું કે સરકાર ચૂંટણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને T-20 મેચ જેવા વિચારો સાથે નિર્ણયો લે છે, જ્યારે આરબીઆઈ ટેસ્ટ મેચ રમે છે. તેમનો ઈરાદો હંમેશા જીત મેળવવાનો રહે છે, પરંતુ ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવા પડે છે.

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર આચાર્યએ કહ્યું હતું કે જે સરકાર મધ્યસ્થ બેન્કની સ્વાયત્તાનું સન્માન નથી કરતી, તેને આર્થિક મોરચે નુકસાની સહન કરવી પડે છે. આવુ કરવું કોઈપણ સરકાર માટે સેલ્ફ ગોલ કરવા જેવું પુરવાર થાય છે.

આચાર્યએ જણાવ્યું હતું કે આરબીઆઈ ટૂંકા ગાળાના લાભની અવગણના કરે છે કારણ કે લાંબા ગાળામાં સારા પરિણામો મેળવી શકાય અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈના ડેપ્યુટી ગર્વનરે વધુમાં ઉમેર્યું હતું કે સરકારના ચંચૂપાતથી આરબીઆઈનું કામ પ્રભાવિત થાય છે. તેમણે કેન્દ્રીય બેન્કથી અલગ પેમેન્ટ રેગ્યુલેટર નિયુક્ત કરવાના સરકારના પ્રયારો પર પણ નિશાન સાધ્યું હતું.

October 27, 2018
The-Institute-of-Cost-Accountants-of-India.jpg
1min12270
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)નું પ્લેસમેન્ટ તાજેતરમાં મુંબઈમાં થયું હતું. જેમાં મૂળ રાજકોટના જસ્મીન કુબાવતને ઓએનજીસીમાં રૂ. ૧૮ લાખનું પેકેજ મળ્યું હતું. ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને સરેરાશ રૂ. ૬થી ૮.૫૦ લાખના પેકેજ મળ્યા હતા. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. જેમાં જૂન-૨૦૧૮માં પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને જોબ ઓફર આપવા માટે ૬ કંપનીઓ આવી છે.

CMA પ્લેસમેન્ટમાં ઓએનજીસી દ્વારા આંશિક રીતે દિવ્યાંગ એવા જસ્મિન કુબાવતને 18 લાખના પેકેજની ઓફર

મુંબઈમાં થયેલા પ્લેસમેન્ટમાં ૧૮ લાખનું પેકેજ મેળવનારા જસ્મીન તુલશીભાઈ કુબાવતે જણાવ્યું હતુ કે, મારું CMA ક્વોલિફીકેશન જૂન-૧૮માં પૂર્ણ થયું છે અને મારું સિલેક્શન ONGCમાં વાર્ષિક રૂ. ૧૮ લાખના પેકેજથી થયું છે. CMAના આ અભ્યાસક્રમ દરમિયાન મને અમદાવાદ ચેપ્ટરે ખૂબ જ મદદ કરી છે. અમદાવાદ ચેપ્ટર દ્વારા મોક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જે મને ખૂબ જ મદદરૂપ થયા હતા.
CMA કોણ કરી શકે કેવી રીતે કરી શકાય
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ અકાઉન્ટસ કોર્સ ધો.12 પાસ કોઇપણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કરી શકે. સી.એ., સી.એસ. ની જેમ સીએમએ ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ આધારિત કોર્સ છે. સી.એમ.એ. સાથે અન્ય રેગ્યુલર ડિગ્રીનો અભ્યાસ પણ કરી શકાય છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સર્ફ કરવી.
October 27, 2018
mahuva.jpg
1min6840
  • ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યા બાદ મામલો બિચક્યો
  • આગજની, તોડફોડના બનાવો
  • તોફાનીઓને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા
  • મહુવામાં પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ
  • મોરારી બાપુની તલગાજરડા કથા પૂર્વે પૂર્વવત સ્થિતિ સ્થાપવા પોલીસના પ્રયાસો

ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યાનો મામલે તા.26મીની રાતથી આગજની, તોડફોડના બનાવ બન્યા હતાં. તેના પગલે તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં.રાત દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવા અંગે 45 શખસની અટકાયત કરાઇ હતી. તા.26મી ઓક્ટોબર 2018ના રોજ આખો દિવસ મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું કલેકટર દ્વારા પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં હુકમ થયો છે.

ત્રણ દિવસ પહેલા મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ચાર શખસે હત્યા કરી હતી. આ ખૂનના બનાવના પગલે મહુવામાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન 26મીએ રાત્રે લોકોનું ટોળુ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને’ હોસ્પિટલ રોડ પર સાજન સજની નામની દુકાનમાં આગ લગાડી હતી. નેસવડ ચોકડી પાસે તોડફોડ કરી હતી. આ ઉપરાંત એક વાહન સળગાવવામાં આવ્યું હતું અને રેંકડી, લારીઓ અને કેબીન, દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસના કહેવાતા ચાંપતા બંદોબસ્તની પરવા કર્યા વગર ટોળાએ શરૂ કરેલી તોડફોડ અને આગજનીના પગલે પોલીસે તોફાની ટોળા પર કાબુ લેવા માટે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં. એ પછી તોફાન કાબુમાં આવ્યા હતાં.

રાતના દસ વાગ્યાથી શરૂ થયેલા તોફાન સવારે ચાર વાગ્યાની આસપાસ કાબુમાં આવ્યા હતાં. આ છ કલાક દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. જેમાં મોબાઇલ ફોન, કપડા, કરિયાણા વગેરેની દુકાનોનો સમાવેશ થાય છે. આ તોફાનના પગલે આજે શુક્રવારે મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું.’ હાલમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ છે. એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તોફાનના પગલે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડીને મહુવામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરાવી છે.

શાંતિ માટે અપીલ: મહુવામાં ફરી ફેલાયેલી તંગદિલીના પગલે જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યો અને રાજકીય આગેવાનોએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આવતીકાલથી તલગાજરડામાં મોરારીબાપુની કથા શરૂ થઇ રહી છે ત્યારે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી લોકમાગણી ઉઠી છે.

October 26, 2018
textile.jpg
1min8570

જીએસટી ક્રેડિટ લેપ્સના મુદ્દા પર થાકી જવાય એટલી રજૂઆતો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કરી ચૂકેલા ફોગવાએ હવે 2012 અને 2015ની ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે સ્થાનિક વિવર્સને મળવાપાત્ર ઇન્ટ્રેસ્ટ સબસિડી અને કેપિટલ સબસિડીના જે પડતર કેસો છે તેને તાત્કાલિક અસરથી રિલીઝ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને રજૂઆતો કરી છે.

ફોગવાના પ્રેસિડેન્ટ અશોક જીરાવાળાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે ગઇ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ ફોગવાનું પ્રતિનિધિ મંડળ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને મળ્યું હતું ત્યારે ભૂતકાળની પોલીસી અન્વયે પડતર કેસો અંગેના મુદ્દા પર પણ વાટાઘાટો થઇ હતી. નવી ટેક્સટાઇલ પોલિસીનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ફોગવાએ કેટલાક મુદ્દાઓ સમાવિષ્ટ કરવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો કરી છે.

ઇન્ડસ્ટ્રીલય પોલિસી 2015, ટેક્સટાઇલ પોલિસી 2012 અને નાના અને મધ્યમકદના ઉદ્યોગ માટેની ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમ 2009 ઓફલાઇન અન્વયે અંદાજે રૂ.650 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી રહે છે. જો આ ચૂકવણી થાય તો સેંકડો કારખાનેદારોને અટકી ગયેલો લાભ ફરીથી મળી શકે તેમ છે.

ધ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2015 અન્વયે એપ્રિલ 2017 બાદ સુરત ડિસ્ટ્રીક ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરમાં લાગુ થયેલા નવા કેસોને પણ મંજૂરી આપવાની બાબત પેન્ડીંગ છે, જો આ કામ હાથ પર લેવામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝમાં સોફ્ટવેર અપડેશનની કાર્યવાહીને વેગ મળી શકે તેમ છે.

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે 2009માં લાગૂ કરવામાં આવેલી ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમના કેસીસમાં હજુ સુધી સેંકશન થયેલી ફાઇલ્સ માટે ફંડ એલોકેશન કરવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી આ લાભાર્થીઓને યોજનાના લાભથી વંચિત રહેવું પડી રહ્યું છે. આ મુદ્દાને પણ તાત્કાલિક રીતે ઉકેલવાના પ્રયાસો થવા જોઇએ.

તા.13મી જુલાઇ 2016ના રોજ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમક્ષ કરાયેલી રજૂઆતો કે જેમાં સબસિડી આપવાની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી મળી ગઇ હતી, પરંતુ, ડીઆઇસીમાં ફાઇલ્સ ગેરવલ્લે થવાને કારણે લાભાર્થીઓ સુધી લાભ પહોંચી શક્યા નથી. આ મામલામાં પણ દરમિયાનગીરી કરવા માટે ફોગવા દ્વારા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે.

 

 

October 26, 2018
rahul.jpg
1min5050

સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો.

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સમેત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા અને અંદાજે 50 મિનિટ જેટલા સમય માટે અટકાયતમાં રાખીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

New Delhi: Congress President Rahul Gandhi holds a cutout of a fighter aircraft during a protest demanding the reinstatement of CBI Director Alok Verma outside the CBI headquarters, in New Delhi, Friday, Oct 26, 2018. (PTI Photo/Arun Sharma) (PTI10_26_2018_000032B)
October 26, 2018
su1.jpg
1min14260

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

  • સુમુલ ડેરીએ એકલા હાથે 80 ટન ઉપરાંત ઘારી વેચી
  • ક્વોન્ટિટી ઉપરાંત સુમુલ ડેરીની ઘારી સ્વાદ રસીયા સુરતીઓએ મોંફાટ વખાણી
  • ભારતના અન્ય શહેરો અને વિદેશોમાં સપ્લાય થયેલી મોટા ભાગની ઘારી સુમુલ ડેરીની

દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી રહેલી અને સુરતની ઓળખ બની ચૂકેલી સુમુલ ડેરીએ આ વખતે ફક્ત સુરતીઓના પોતિકા તહેવાર, ચંદી પડવાના પર્વને અનુલક્ષીને સુરતીઓમાં ખવાતી ઘારીનું બમ્પર વેચાણ કર્યું છે. સ્વાદના શોખીન સુરતીઓમાં ઘારી વેચાણમાં સુમુલ ડેરીની ઘારી સૌથી વધુ વેચાઇ એટલું જ નહીં ચંદી પડવાની પૂર્ણાહૂતિ બાદ મળેલા રિવ્યુમાં ગ્રાહકોએ સુમુલ ડેરીની ઘારીની ક્વોલિટી વખાણી પણ છે. સોશ્યલ મિડીયા પર અનેક ગ્રાહકોએ સુમુલ ડેરીની ઘારીની ક્વોલિટીને વખાણી છે.

ચંદી પડવા ના દિવસે ઘારી અને ભૂસું ખાવાનો રિવાજ આખા ભારત કે ગુજરાતમાં ફક્ત સુરતમાં છે. સુરતમાં દાયકાઓથી ચંદી પડવાએ ઘારી ખાવાનો રિવાજ છે. અત્યાર સુધી સુરતમાં ઘારીઓનું વેચાણ જુદી જુદી બ્રાન્ડથી થતું હતું. જેમકે કોટ વિસ્તારમાં આવેલી મીઠાઇની શોપ્સથી શરૂ કરીને સામાજિક સ્તરે સોસાયટીઓ, સમાજ, મંડળ, પેઢી દ્વારા ઘારી બનાવીને વેચાતી હતી. આમ, સુરતીઓની ઘારીની માગને સંતોષવા માટે અનેક ઘારી પ્રોડ્યુસર્સ અત્યાર સુધી આ સિઝનલ બિઝનેસ કરી જાણતા હતા.

પરંતુ, 2018ના ચંદી પડવાએ ઘારી વેચાણના પેરામીટર્સ બદલી નાંખ્યા છે. તા.25મી ઓક્ટોબર 2018ની રાત્રે ચંદી પડવાનો તહેવાર પૂરો થયા પછી જે માર્કેટ રિવ્યુ મળ્યા છે એમાં સુમુલ ડેરીની ઘારી વધુ તો વેચાઇ પણ સાથોસાથ સુમુલની ઘારીની ક્વોલિટી પણ સ્વાદ રસીયા સુરતીઓએ વખાણી છે. એક અંદાજ મુજબ સુમુલ ડેરીએ 80 ટનથી વધુ ઘારી ચંદી પડવાના તહેવાર પૂર્વે માર્કેટમાં વેચી કાઢી છે. સુરતના અન્ય ઘારી પ્રોડ્યુસર્સના વેચાણના આંકડાઓની સરખામણી કરાતાં એવું તારણ સપાટી પર આવ્યું કે આ વખતે સુમુલ ડેરીએ ઘારી વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ઘારી વેચાણમાં સુમુલ ડેરીએ તેનું એક હથ્થુ શાસન જમાવી દીધું છે.

ક્વોલિટી પ્રોડેક્ટસે સુમુલની વિશ્વસનીયતાને મજબૂત બનાવી છે : માર્કેટિંગ હેડ ડો. મનીષ

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ ડો.મનીષભાઇએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુમુલ ડેરી ક્વોલિટી પ્રોડકશન સાથે કોઇ જ કોમ્પ્રોમાઇસ કરતી નથી. સુમુલ ડેરની ઘારીની બનાવટમાં ક્યાંય મેનમેઇડ એલિમેન્ટ હોતું નથી. સુમુલ ડેરી દ્વારા સંપૂર્ણ પણે મશીન મેડથી ઘારીને શેપ અપાય એટલું જ નહીં ઘારીમાં જેટલા પણ પ્રકારના ઇન્ગ્રિડીયન્ટસ વપરાયા એની ક્વોલિટી અવ્વલ દરજ્જાની હોય, સુરત સમેત બહારગામના ગ્રાહકો સુમુલની તમામ પ્રોડક્ટસને આંખ મીંચીને અપનાવે છે. ઘારી વેચાણમાં પણ એમ જ જોવા મળ્યું હતું. સ્વાદના શોખીન સુરતીઓ ઉપરાંત સુરતના અન્ય શહેરો તેમજ વિદેશોમાં પણ લોકોએ પોતાના સગાવહાલાઓને સુમુલ ડેરીની ઘારી મોકલવાનું જ મુનાસિબ માન્યું છે. ક્વોલિટી પ્રોડક્ટસને કારણે ગ્રાહકોમાં સુમુલ ડેરીની વિશ્વસનીયતા સજ્જડ બની છે.

October 26, 2018
IITRAM.jpeg
1min7080
રેગીંગ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન કે અન્ય અધિકાર મંડળો ગમે તેટલા નીતિ નિયમો તૈયાર કરે, પણ તેની અસર નહીંવત જોવા મળી રહી છે. એવું નથી કે કોલેજોમાં રેગિંગ નથી થતાં, છાશવારે ઘટનાઓ બને છે. તાજેતરમાં સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં હજુ તપાસ પૂરી થઇ નથી ત્યાં તો અમદાવાદની પ્રતિષ્ઠિત ઇજનેરી કોલેજ, આઇ.આઇ.ટી. રેમ ખાતે રેગિંગની ઘટના પ્રકાશમાં આવી અને આવતાવેંત જ કોલેજ મેનેજમેન્ટએ સેકન્ડ ઇયરના 26 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવા પડ્યા છે.
સિવિલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના કોર્સ માટે ગુજરાત સરકારે શરૂ કરાવેલી અને અમદાવાદના મણિનગરના ખોખરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત આઇઆઇટી-રેમમાં ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સેકન્ડ ઇયરમાં ભણતા સિનિયર વિદ્યાર્થીઓેએ રેગિંગ કર્યું હોવાની ઘટના બહાર આવી છે.
ઇન્સ્ટિટ્યૂટે રેગિંગ કરનારા ૨૬ વિદ્યાર્થીને ત્રણ સપ્તાહથી લઇને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરી દીધા છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પહેલા વર્ષના (જૂનિયર)વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના ફોર્મ ભરાવવાથી લઇને દંડ-બેઠક કરાવવા ઉપરાંત વિદ્યાર્થિનીઓને કેટ વોક કરવા બળજબરીથી ફરજ પાડી હતી. આ પ્રકારના રેગિંગ અંગે વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદની તપાસ કરવા કમિટી રચાઇ હતી. કમિટીએ સીસીટીવી ફૂટેજ જોયા હતા, તે સહિત તમામ બાબતો ચકાસી રજૂ કરેલા અહેવાલ બાદ કસૂરવાર ૨૬ વિદ્યાર્થીઓને સજા કરવાનો આ પ્રકારનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.
October 26, 2018
rajni.jpg
1min6540

આમ આદમી પાર્ટીના દહેરાદૂનના મેયર તરીકેના ઉમેદવાર રજની રાઉતની કહાની ફિલ્મી સ્ટાઇલથી કમ નથી

રાજ્યમાં મતદાન માટે કિન્નરોને થર્ડ જેન્ડરનું આઇ-કાર્ડ આપવામાં આવે છે, પરંતુ ઉમેદવારના આવેદનમાં માત્ર મહિલા કે પુરુષ બે જ કૉલમ છે અને ચૂંટણી-અધિકારીના આગ્રહ મુજબ આ વખતે રજની રાવતે પુરુષ બનીને ચૂંટણી લડવી પડશે.

ઉત્તરાખંડના રાજકારણમાં પ્રવેશવા માગતી આમ આદમી પાર્ટીએ આ વખતે કિન્નર રજની રાવતને દેહરાદૂનના મેયરપદની ટિકિટ આપી છે. રજની રાવત પહેલાં બે વાર દેહરાદૂનના મેયરની ચૂંટણી લડી ચૂકી છે, પરંતુ બે વાર મહિલા તરીકે ઉમેદવારી નોંધાવનારાં રજની રાવતને હવે પુરુષ તરીકે ઉમેદવારી નોંધાવવી પડી છે. ઉત્તરાખંડની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે.

૨૦૦૮ અને ૨૦૧૩માં થયેલી ચૂંટણીમાં પણ મેયરના પદ માટે કિન્નર રજની રાવતે ઉમેદવારી નોંધાવી હતી. બન્ને વખતે તેમણે મહિલા તરીકે ચૂંટણી લડી હતી. જોકે આ વખતે તેમના આવેદનપત્રમાં તેમણે પુરુષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. રજની રાવત પણ એનાથી પરેશાન છે. તેમનું કહેવું છે કે બધા જ દસ્તાવેજોમાં તેમની જાતિ સ્ત્રી તરીકે જ નોંધાઈ છે. તેઓ મહિલાઓના વેશમાં જ રહે છે અને સમાજ પણ તેમને આ જ સ્વરૂપે સ્વીકારે છે. એમ છતાં ચૂંટણી-અધિકારીના કહેવા પર તેમણે ઉમેદવારીમાં પોતાની જાતિ પુરુષ સિલેક્ટ કરવી પડી છે.

October 26, 2018
sci_fic1.jpg
1min8180

પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના પોસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનો હાથ દર્શાવાયો છે. આ હાથના કાંડા પર ઘડિયાળ બાંધેલી છે. અને ઘડિયાળની અંદર સમયની સાથે સાથે ફરી એનો એ જ હાથ દેખાયા કરે છે. પોસ્ટર જોયા બાદ ફિલ્મ ટાઈમ ટ્રાવેલ પર હોય તેવું લાગી રહ્યું છે. તો એક શક્યતા ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની ગુજરાતી રિમેક હોવાની પણ છે.

આ ફિલ્મમાં RJ ધ્વનિત લીડ રોલમાં છે. તો ધ્વનિતની સાથે કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા છે. તો ઉત્કર્ષ મઝુમદાર, રાગી જાની અને અર્ચન ત્રિવેદી જેવા દમદાર એક્ટર્સની હાજરી પણ છે. ફિલ્મને ફૈઝલ હાશ્મી, ભાર્ગવની સાથે મોહસીને લખી છે. ફૈઝલ હાશ્મીએ જ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ટ્વાઈલાઈટ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

જો કે ફિલ્મના ડિરેક્ટર ફૈઝલ હાશ્મીના કહેવા પ્રમાણે,’શોર્ટ સર્કિટ’ કોઈ ફિલ્મની રિમેક કે કૉપી નથી. આ એક ઓરિજિનલ સ્ટોરી છે. ફિલ્મ એક કમ્પ્યુટર એન્જિનિયરની સ્ટોરી છે. ફિલ્મનો હીરો કોઈ ટ્રેપમાં ફસાય છે પછી તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે, પોતાની સમસ્યાઓ સામે લડતા સામાન્ય વ્યક્તિની આ સ્ટોરી છે. ફિલ્મ આ સંઘર્ષની વાત કરે છે.’ જો કે આ બધામાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરે છે, ફિલ્મમાં શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જ જોવી પડશે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીમેધીમે પીક પકડી રહી છે. મસાલા અને કોમેડી ફિલ્મ્સની સાથે સાથે હવે ઈન્ડસ્ટ્રીમાં નવા એક્સપેરિમેન્ટ પણ થઈ રહ્યા છે. ‘ઢ’ અને ‘રેવા’ જેવી ડિફરન્ટ ટાઈપ્સની ફિલ્મો પણ દર્શકોને પસંદ પડી છે. ત્યારે હવે ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર આવશે પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ.