બીજા પૅસેન્જરે સીટ ક્લેઇમ કરી ત્યારે ભૂલ જાણવા મળી, નહીં તો મુંબઇની જગ્યાએ કોલકાત્તા પહોંચી ગયા હોત મુસાફર
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની જાણીતી કંપનીમાં કામ કરતા ૫૩ વર્ષના ભરત દવે ગાંધીનગર યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ કવર કરવા માટે ત્રણ દિવસ માટે મુંબઇથી અમદાવાદ ગયા હતા. રવિવારે વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન બાદ તેઓ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મુંબઇ જવા રવાના થયા હતા.
ભરત દવે મુંબઈમાં હતા તેમને પગમાં ઈજા થઈ હતી આમ છતાં, તેઓ વાઇબ્રન્ટ ઇવેન્ટ માટે ત્રણ દિવસ ગાંધીનગર આવ્યા હતા. એ દરમિયાન તેમને પગમાં ભારે દુખાવો શરૂ થયો હતો. દરમિયાન તા.20મીએ વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ પૂરી થયા બાદ રવિવારે સાંજે 6.40 વાગ્યાની અમદાવાદથી મુંબઈ માટે ઇન્ડિગોની ફ્લાઇટની ટિકિટ બુક હોઇ ભરત દવે ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.
ભરત દવેને પગ ઇજા અને દુખાવો જોઈને ફ્લાઇટ સ્ટાફે વ્હીલચૅર પર ફ્લાઇટ સુધી લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી. ભરત દવેના બોર્ડિંગ પાસની ત્રણથી વધુ વખત તપાસ કરવામાં આવી હતી. અને અમદાવાદ એરપોર્ટ પર ૬ નંબરના ગેટ સુધી લઈ જવામાં આવ્યા. ત્યાર બાદ અન્ય ફ્લાઇટ સ્ટાફે તેમને ત્યાંથી ફ્લાઇટ સુધી લઇ ગયા. ફ્લાઇટમાં લઇ જઇને તેમને સીટ ૨D પર બેસાડી ફ્લાઇટ સ્ટાફ રવાના થઇ ગયો હતો. બાદમાં ધીરે-ધીરે પૅસેન્જરો ફ્લાઇટમાં પોતાની સીટ્સ પર બેસવા માંડ્યા ત્યારે એક પ્રવાસીએ ૨D સીટ પોતાની હોવાનો દાવો કરી બોર્ડિંગ પાસ બતાવ્યો ત્યારે ક્રૂ-મેમ્બરને અને ભરત દવેને ખબર પડી કે આ મુંબઈની નહીં પણ કલકત્તાની ફ્લાઇટ છે.
અમદાવાદથી મુંબઈ આવી રહેલા ઈજાગ્રસ્ત ગુજરાતી મુંબઈગરાને પ્લેનના સ્ટાફે કલકત્તાની ફ્લાઇટમાં બેસાડી દીધાની ગંભીર ભૂલ થઇ ગયા પછી ફ્લાઇટના સ્ટાફે માફી માગીને તેમને અમદાવાદથી મુંબઈની ફ્લાઇટમાં શિફ્ટ કર્યા હતા. જોકે ફ્લાઇટ સંબંધિત કંપનીએ આ વિશે તપાસ શરૂ કરી હતી.
ભરત દવેને ખોટી ફ્લાઇટમાં બેસાડવાના પગલે તા.20મી જાન્યુઆરી 2019ને રવિવાર સાંજની અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી કલકત્તાની એમ બન્ને ફ્લાઇટ્સ લેટ પણ પડી હતી.
પોતાના વતનથી હજ્જારો કિલોમીટર દૂર રહીને ગુજ્જુ ગર્લ ઉર્જા હજારો યુવાન-યુવતીઓના ભવિષ્યને દિશા બતાવી રહી છે. તો સંખ્યાબંધ મહિલાઓ માટે પણ ઉર્જા ગાંધી માર્ગદર્શક બની છે. આજે જુદી જુદી કંપનીઓમાં ઉંચી ઉંચી પોસ્ટ પર એવા ઘણા બધા લોકો છે, જેમની કરિયર ઉર્જાએ બનાવી છે. પોતાના વતનથી દૂર ઉર્જા એક અન્ય ઉર્જાથી કામ કરીને ગૌરવવંતી ગુજરાતી સાબિત થઈ રહી છે.
વાત છે અમેરિકાના સિએટલમાં રહેતી ગુજરાતી યુવતી ઊર્જા ગાંધીની. આ અમદાવાદી યુવતી સિએટલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. મોટી ટેક્નોલોજી મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે ટેક મહિન્દ્રા, માઇક્રોસોફ્ટ અને એક્પિડિયામાં તેને કામ કરવાનો 10 વર્ષનો અનુભવ છે. તેણે શાળાકીય શિક્ષણ ગાંધીનગરથી લીધું છે અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઊર્જાને આ વર્ષે સિએટલમાં યોજાયેલા ‘રેવિશિંગ વિમેન ફેસ્ટિવલ 2018’માં ‘લીડરશીપ વિમેન ઇન ટેક્નોલોજી’નો એવોર્ડ મળ્યો છે. રેવિશિંગ વિમેન એ સ્ત્રીઓના પ્રયત્નો અને તેમની સિદ્ધિઓને બિરદાવવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે.
અહીંથી શરૂ થઇ હતી ઉર્જાની સફર
એક ઇન્ટરર્નના મોંઢામાંથી આ વાત સાંભળી કે ‘કાશ મને કોલેજ સમયમાં તમારા જેવું કોઈ મેન્ટોર મળ્યું હોત!’ ને ગુજ્જુ ગર્લ ઉર્જાને વિચાર આવ્યો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત કરિયર માટે ગાઇડન્સ આપીને તેમને કોર્પોરેટ વર્લ્ડ માટે તૈયાર કરવામાં આવે તો કેમ! બસ આ વિચારથી અમેરીકામાં ગુજ્જુ ગર્લની સફર શરૂ થઇ હતી.
ઉર્જા ગાંધીઃ રેવિશિંગ વુમન-2018
ગુજ્જુ ગર્લ ઊર્જાએ જ્યારે યુનિવર્સિટી અને ટેક્નોલોજી વર્ક ઇન્ડસ્ટ્રી વચ્ચે આ ગેપ જોયો તો તેણે તેમાં વિદ્યાર્થીઓ માટે પરિવર્તન લાવવાનું વિચાર્યું. જાન્યુઆરી 2018માં તેણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ‘હસ્કી ટેક ઇન્ડસ્ટ્રી મેન્ટોરશિપ પ્રોગ્રામ’ શરૂ કર્યો ,જેથી વિદ્યાર્થીઓને તેમના ટેક્નોલોજી કરિયરમાં મદદ મળી શકે.
આ માટે તે UW Husky Tech કંપનીના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટને મળી અને તેમની સાથે કેટલાંક આઇડિયા પર ચર્ચા કરી. બાદમાં તેમણે આ પ્રોગ્રામ માટે સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ માઇક્રોસોફ્ટ, એક્સપિડિયા, ગૂગલ, એમેઝોન અને નાના બિઝનેસ સ્ટાર્ટઅપ્સના 25 કરતાં વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને તૈયાર કર્યા અને 100 કરતાં પણ વધુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને તેમના એસ્પાયરિંગ કરિયર માટે તૈયાર કર્યાં. હવે તેમનું આગામી લક્ષ્ય 60 કરતા વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને આ પ્રોગ્રામ સાથે જોડીને 200 જેટલા વિદ્યાર્થીઓને તેમની કરિયરમાં સફળ બનાવવાનું છે.
ઊર્જા હવે UW Husky Techની ઇન્ડસ્ટ્રી એડવાઈઝર અને મેન્ટોર છે. તે કંપનીને સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરાવી આપવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને તેમના કરિયરમાં સફળ બનવા માટે પોતાની સલાહ અને માર્ગદર્શન આપે છે. તેણે 50 જેટલી હાઈસ્કૂલ અને કોલેજની યુવાન છોકરીઓને વિવિધ પ્રોગ્રામ્સ દ્વારા સફળતા અપાવી છે. ઊર્જા કહે છે, મારે દરેક વિદ્યાર્થીને“I wish” (મારી ઇચ્છા છે)નું વાક્ય બદલીને “I’m glad” (હું ખૂબ ખુશ છું) સુધીની સ્થિતિમાં પહોંચાડવા છે.
એક સેમિનાર દરમિયાન ઉર્જા ગાંધી
આ ઉપરાંત, ઊર્જા એ સ્ત્રીઓની પણ મદદ કરે છે જેઓ કરિયર બ્રેક લીધા પછી ફરીથી કામ શરૂ કરવા માંગતી હોય પણ ફરી શરૂઆત કરવામાં મુશ્કેલી આવતી હોય. આ માટે જુલાઈ 2018માં સિએટલમાં ઊર્જાએ ‘દિશા – ધ મલ્ટિફેસેટેડ શી’ની એમ્બેસેડર તરીકે ‘દિશા’ નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તે હેઠળ તેણે પહેલી ઇવેન્ટ USAમાં લોન્ચ કરી, જેને નામ આપ્યું, ‘She inspires me’ (તેણી મને પ્રેરણા આપે છે). આ પ્રોજેક્ટે રેવિશિંગ વિમેન ઇન્કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં રેવિશિંગ વિમેનના ફાઉન્ડર મેનકા સોનીને આમંત્રિત કરવામાં આવ્યા.
આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોમાં, ઓર્ગેનાઇઝેશન્સમાં અને સમાજના વિવિધ સ્તરે કામ કરતી સ્ત્રીઓ એક જ પ્લેટફોર્મ પર એકઠી થઈ હતી અને તેમણે પોતાની પ્રેરણાદાયી વાતો શેર કરી હતી. આ ઇવેન્ટમાં ઊર્જાને દિશા, સિએટલ USAની એમ્બેસેડર જાહેર કરવામાં આવી. આ ઇવેન્ટનું નેતૃત્વ પણ ઊર્જાએ જ કર્યું હતું. પ્રોજેક્ટ ‘દિશા’ને ઇન્ટ્રોડ્યુસ કરતાં ઊર્જાએ સમાજમાં જેન્ડર ડાયવર્સિટીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટમાં ઊર્જાના સૌથી મોટાં પ્રેરણાસ્ત્રોત એવાં તેના માતા-પિતા પણ હાજર હતાં. તેનો પતિ મૌક્તિક ગાંધી, જે પોતે પણ એક સોફ્ટવેર પ્રોફેશનલ છે, તે પણ ઊર્જાને તેના કામ માટે સતત સપોર્ટ કરે છે અને તેને મોટિવેટ કરે છે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલા ઉર્જા ગાંધી
આ ઇવેન્ટમાં ‘દિશા- ધ મલ્ટિફેસેટેડ શી’ ઉપર એક નાની ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી. ઇવેન્ટમાં આવેલ દરેક મહેમાન પોતાની સાથે એક પ્રેરણા લઈને ગયા. આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ ઊર્જાનો હેતુ હતો કે સ્ત્રીઓ પોતાની આંતરિક શક્તિઓને સમજે અને પોતાની અટકી ગયેલી કરિયરમાં આગળ વધે.
નેપાળની સેન્ટ્રલ બૅંકે રૂ. 100થી ઊપરની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ભારતીય ચલણી નૉટ પર પ્રતિબંધ લાદ્યો હતો અને નેપાળમાં ભારતીય ચલણનો છૂટથી ઊપયોગ થતો હોવાથી ત્યાં પ્રવાસે જનાર ભારતીય સહેલાણીઓ પર એની વ્યાપક અસર થવાની શક્યતા છે.
નેપાળ રાષ્ટ્ર બૅંકે રવિવાર, તા.20મી જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરેલા શ્વેતપત્રમાં કરેલી જાહેરાત પ્રમાણે નેપાળી પ્રવાસીઓ, બૅંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 100થી વધુ કિંમતની ભારતીય ચલણી નૉટ રાખવા, વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
આદેશમાં જણાવાયું છે કે ભારતની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ચલણી નૉટ વાપરી કે એનો વેપારમાં ઊપયોગ થઇ નહીં શકે.
નવા નિયમ પ્રમાણે નેપાળી નાગરિકો ભારત સિવાય આ કિમતની ચલણી નૉટો અન્ય કોઇ દેશમાં લઇ જઇ નહીં શકે. એ જ રીતે, નેપાળીઓને અન્ય દેશોમાંથી આ કિંમતની નૉટો લાવવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, રૂ. 100 કે એથી ઓછી કિંમતની નૉટો વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.
કેબિનેટે 13મી ડિસેમ્બર 2019ના રોજ આ શ્ર્વેતપત્ર નેપાળ ગેઝેટમાં જાહેર કરવાનું નક્કી કર્યું હતું, પણ વેપારીઓ અને પર્યટન ક્ષેત્ર તરફથી આની ખૂબ ટીકા કરવામાં આવી હતી અને સરકારને એવું જણાવાયું હતું કે એક તરફ એમણે નેપાળ આવો અભિયાન શરૂ કરીને 2020 સુધીમાં 20 લાખ સહેલાણીઓને નેપાળ આકર્ષવાની યોજના જાહેર કરી છે ત્યારે આ પ્રતિબંધની ઘણી માઠી અસર થશે કારણ કે નેપાળ આવનાર મોટાભાગના ભારતના લોકો સડક માર્ગે આવતા હોય છે અને એમને માટે પોતાના ચલણને ડૉલર કે યુરોમાં કનવર્ટ કરવું ઘણું મુશ્કેલ થઇ પડશે.
એક સર્વેક્ષણ પ્રમાણે 12 લાખ સડક માર્ગે અને હવાઇ માર્ગે 1,60,132 ભારતીય પ્રવાસીઓ નેપાળમાં આવ્યાં હતાં. સડકમાર્ગે આવનાર ભારતીય સહેલાણીઓ સરેરાશ 5.8 દિવસ રોકાયા હતા અને એમણે રૂ. 11,310નો ખર્ચ કર્યો હતો.
મૂળ કોંગ્રેસી અને અનેક પરાક્રમોને કારણે બદનામ ઉમેશ મહેતાએ આજે મૌસમી ચૈટરજીની પ્રત્રકાર પરીષદ યોજીને ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા અને ભાજપાના સ્થાનિક આગેવાન પીવીએસ શર્માની મુશ્કેલી વધારી મૂકી છે. મૌસમી ચૈટરજીએ પત્રકારો સાથે વાદવિવાદ કર્યા એ મુદ્દો વિવાદીત બન્યો છે પણ મોડી રાત્રે કોંગ્રેસી ઉમેશ મહેતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મૌસમી ચૈટરજી તેમના અંગત આમંત્રણને માન આપીને સુરત આવ્યા હતા. પત્રકાર પરિષદ ઉમેશ મહેતાએ યોજી હતી, તેમાં ભાજપાનું કોઇ આયોજન ન હતું.
ઉમેશ મહેતાનો ખુલાસો આ મુજબનો છે
જમીનના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂકેલા ઉમેશ મહેતાએ કરેલા ઉપરોક્ત ખુલાસાએ ભાજપમાં મોટું ઘમસાણ ઉભું કરી દીધું છે. ખુદ ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા તેમજ પીવીએસ શર્મા હવે ફિક્સમાં મૂકાઇ ગયા છે, કેમકે ભાજપામાં જોડાયેલા મૌસમી ચૈટરજીનો કાર્યક્રમ કે પ્રેસકોન્ફરન્સ જો કોંગ્રેસી ઉમેશ મહેતાએ કરી હતી એવી સ્પષ્ટતા બાદ ભાજપમાં હવે ભજીયાવાલા વિરોધી જૂથે આ સમગ્ર મુદ્દાને ભાજપની પ્રતિષ્ઠા સાથે જોડી દીધો છે અને આ મુજબના સવાલો સોશ્યલ મિડીયામાં પૂછાઇ રહ્યા છે.
ઉમેશ મહેતા કોંગ્રેસી છે તેમાં ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા, મદનસિંહ અટોદરીયા અને પીવીએસ શર્મા કોના આમંત્રણથી ત્યાં ગયા ?
આયોજન કોંગ્રેસી ઉમેશ મહેતાનું હતું તો મંચ પર 20 ફૂટનું બેનર ભાજપ સુરત મહાનગરનું નામ, મોદી-અમિતશાહ અને નીતિન ભજીયાવાળાના ફોટા સાથે કોણે છપાવ્યું , છપાવનારાની સામે શું પગલાં લીધા?
મૌસમી ચૈટરજીને મળવા માટે અન્ય કોઇ સ્થળ મળી શક્યું હોત પણ પ્રેસ કોન્ફરન્સમાં કેવી રીતે ઉપસ્થિત રહ્યા ?
ભાજપાનું નામ વટાવવાની કોશીસ કરનાર ઉમેશ મહેતા સામે ભાજપા સુરત મહાનગર શું પગલાં ભરશે ?
પ્રેસ કોન્ફરન્સની વાત છેલ્લા 3 દિવસથી ચાલી રહી હતી આમ છતાં ભાજપાએ કેમ તેને રોકવાની કોશીસ ન કરી ?
ભાજપાના સાંસદો કે અન્ય નેતાઓને મૌસમી ચૈટરજીના કાર્યક્રમ અંગે કેમ વિશ્વાસમાં ન લેવાયા
મૂળ બંગાળના અને બોલીવુડની પીઢ એક્ટ્રેસ મૌસમી ચૈટરજીને આજે સુરતમાં પ્રેસકોન્ફરન્સ યોજીને આ પ્રેસકોન્ફરન્સના આયોજક અને એક બદનામ કોંગ્રેસી ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો ગોઠવાયો હોવાની પણ ચર્ચાઓ ભાજપા અને કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને કોંગ્રેસીઓ એવી મજા લઇ રહ્યા છે કે જેને કોંગ્રેસ હવે પોતાનો નેતા ગણતી નથી એ ઉમેશ મહેતા કે જમીનોના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂક્યા છે તેમને ભાજપા પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે આમંત્રી રહી છે. જોકે, આજે મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સમાં થયેલા ભવાડા બાદ ભાજપે પ્રેસકોન્ફરન્સના આયોજન પોતાનું ન હોવાનું જણાવી દઇને ઉમેશ મહેતાના ભાજપામાં પ્રવેશની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઓફિસમાં બેઠાબેઠા રાજ્યવ્યાપી પરીક્ષાઓના સમયપત્રક વગર વિચાર્યે જાહેર કરી દે છે અને પછી તેની તારીખો બદલવાની ફરજ પડે છે.
ગુજકેટની પરીક્ષા અગાઉ તા.30મી માર્ચે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી તારીખ બદલીને 4 એપ્રિલ 2019 કરવામાં આવી. હવે ફરીથી બોર્ડને એવી માહિતી મળી કે સીબીએસઇ તેમજ અન્ય રાજ્યની પરીક્ષાઓ 4 તારીખે યોજાતી હોઇ, ગુજરાત બોર્ડના અધિકારીઓએ હવે ફરીથી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. હવે નવી તારીખ મુજબ 23મી એપ્રિલ 2019ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
આજે શહેરના તાજ ગેટવે ખાતે પીઢ ફિલ્મ અભિનેત્રી મૂળ બંગાળની વતની મૌસમી ચૈટરજી સુરત આવ્યા હતા. મૌસમી ચૈટરજી આમ તો કોંગ્રેસની ટિકીટ પરથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે, થોડા સમયથી ભાજપામાં જોડાયા છે અને પોતાને નરેન્દ્ર મોદીના ફેન ગણાવે છે. મૌસમી ચૈટરજીની એક પ્રેસ કોન્ફરન્સ તાજ ગેટવે હોટેલ ખાતે રાખવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા, મદનસિંહ અટોદરીયા અને પીવીએસ શર્મા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ, તેમને ખબર ન હતી કે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું હતું. તેઓ ફક્ત મૌસમી ચૈટરજી નેશનલ બીજેપી લિડર હોઇ, પ્રોટોકોલ સંભાળવા માટે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા.
આ પ્રેસ કોન્ફરન્સનો મંચ ભાજપાનો હોય તેવું દર્શાવવા માટે 20 ફૂટનું તોતિંગ હોર્ડિંગ લગાડવામાં આવ્યું હતું જેમાં મોદી, અમિત શાહ તેમજ સુરત બીજેપી પ્રમુખ નીતિન ભજીયાવાળાના ફોટા છપાવાયા હતા. પત્રકારોને પહેલા તો એમ લાગ્યું કે મૌસમી ચૈટરજીની પ્રેસકોન્ફરન્સનું આયોજન સુરત બીજેપી એ કર્યું છે. પરંતુ, બાદમાં શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળાએ સાફ ઇન્કાર કરી દેતા એ વાતને સમર્થન મળ્યું કે કોંગ્રેસી નેતા ઉમેશ મહેતાએ આ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
મૌસમી ચૈટરજીએ બફાટની હદ વટાવી દીધી
ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી મૌસમી ચૈટરજી પ્રેસ કોન્ફરન્સના નિર્ધારિત સમયથી ખૂબ લેટ આવ્યા. આવ્યા ને તરત જ તેમણે ટીશર્ટ અને પેન્ટ એટલે કે વેસ્ટર્ન ડ્રેસ પરિધાન કરીને એન્કરિંગ કરી રહેલી એક યુવતિને મંચ પર માઇકમાં બોલીને કહી દીધું કે હવે પછી જ્યારે પબ્લિક ફંકશનમાં આવો ત્યારે ઇન્ડિયન ડ્રેસ પરિધાન કરીને આવો. ઇન્ડિયન ડ્રેસમાં શું શું આવે એની પણ વણજોઇતી સલાહ મૌસમી ચૈટરજીએ એન્કર યુવતિને આપી દીધી હતી. એક ફિલ્મ સ્ટાર આટલી સંકુચિત માનસિક્તા ધરાવતા હોય છે એ જાણીને હોલમાં ઉપસ્થિત તમામને આશ્ચર્ય થયું હતું.
એન્કરિંગ યુવતિના વેસ્ટર્ન ડ્રેસ સામે મૌસમી ચૈટરજીને વાંધો પડ્યો
મૌસમી ચૈટરજીને ફક્ત એટલી જ માહિતી હતી કે તેઓ મોદીના ફેન છે એટલે કે મોદી ભક્ત છે એ સિવાય છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ કયા પાંચ કામ સારા કર્યા એ ગણાવવાનું કહેવામાં આવતા તેઓ પૂરા પાંચ કામ ગણાવી શક્યા ન હતા અને તેમણે મંચ પરના નેતાઓ પાસેથી જાણવાની કોશિસ કરી હતી. પશ્ચિમ બંગાળના હોવા છતાં પશ્ચિમ બંગાળની રાજનિતીથી તેઓ વાકેફ ન હતા. તેમણે મંચ પર એ વાત કહેવામાં ખાસ્સો સમય લીધો કે એક વખત તેઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘરે ગયા હતા અને તેમને તાત્કાલિક મળવાની એપોઇન્ટમેન્ટ મળી ગઇ હતી. હકીકતમાં મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા મૌસમી ચૈટરજીને એ વાતની ખબર જ ન હતી કે તેઓ શું બોલી રહ્યા છે. વડાપ્રધાન મોદી માટે અલંકારિક ભાષામાં વાત કરી રહેલા મૌસમી ચૈટરજીને એવો સવાલ કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદીની બહું વાત કરી રહ્યા છો તે તેમનું મૂળ વતન અને જન્મ સ્થળ કયું છે તેની ખબર છે ત્યારે તેઓ પાસે કોઇ જવાબ ન હોવાથી ભાજપાની ફજેતી થઇ રહ્યાનું જણાતા ભાજપાના નેતા પીવીએસ શર્માએ દરમિયાનગીરી કરીને પ્રેસકોન્ફરન્સને પૂર્ણ થયેલી જાહેર કરી દેવી પડી હતી.
કોંગ્રેસી ઉમેશ મહેતાએ દેવ એડવર્ટાઇઝિંગને પીસીનું કામ સોંપ્યુ હતુ
કોંગ્રેસી નેતા ઉમેશ મહેતા આમ તો બીજા અનેક કારણોસર સુરતમાં બદનામ છે પણ અહીં તેમણે આજે ભાજપાનું નામ વટાવીને ભાજપાની કહેવાતી નેશનલ લિડર ફિલ્મ અભિનેત્રી મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સ યોજી દીધી હતી. ઉમેશ મહેતાએ અડાજણની એક સંસ્થાને તાજ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કામ સોંપ્યું હતું. જેમાં 20 ફૂટનું તોતિંગ બેનર પ્રિન્ટ કરાવાયું હતું. આ બેનરમાં ભાજપાનો લોગો, ભાજપાના નેતાઓના ફોટાનો ઉપયોગ કરીને જાણે પ્રેસ કોન્ફરન્સ ભાજપાની જ હોય એ રીતે તામઝામ કરવામાં આવ્યા હતા. જોકે, ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાળાએ સાફ કહ્યું હતું કે તેઓ ફક્ત મૌસમી ચૈટરજી ભાજપાના નેતા હોઇ, પ્રોટોકોલ જળવાય તે માટે આવ્યા હતા.
દેશભરમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોને પહેલા વર્ષમાં પ્રવેશ માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નાટા (નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019 માં પાછલા વર્ષોની સરખામણીમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.
પહેલો ફેરફારઃ નાટા 2019 બે વખત લેવાશે
છેલ્લા બે વર્ષથી વર્ષમાં એક જ વખત લેવાયેલી નાટા પરીક્ષા 2019માં બે વખત પહેલી વખત તા.14મી એપ્રિલ 2019ના રોજ અને દ્વિતિય પરીક્ષા તા.7મી જુલાઇ 2019 (મોટા ભાગની કોલેજોમાં પ્રવેશ અપાઈ ચૂક્યા હશે ત્યારે) લેવામાં આવશે. નાટાની બીજી પરીક્ષા એટલા માટે લેવામાં આવી રહી છે કે પહેલી પરીક્ષામાં મેળવાયેલા માર્કસથી અસંતુષ્ઠ ઉમેદવારો બીજી પરીક્ષામાં તેમનું પરફોર્મન્સ સુધારી શકે. નાટા 2019નું સમયપત્રક નીચે મુજબ છે.
Information Brochure
બીજો ફેરફાર ઃ નાટા પરીક્ષામાં ક્વોલિફાઇંગ લેવલ ઘટાડીને 40 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવાયું
નેશનલ એપ્ટિટ્યુટ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર 2019 પરીક્ષામાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના વહીવટકર્તાઓએ ક્વોલિફાઇંગ લેવલ એટલે કે નાટામાં પાસ થવાનો લઘુત્તમ સ્કોર 40 ટકા હતો જેમાં પહેલી વખત ઘટાડો કરીને આ પ્રમાણ 25 ટકા કરી દેવામાં આવ્યું છે. 2018 સુધી નાટામાં પાસ થવા (બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક થવા) માટે 200માંથી 80 માર્કસ અનિવાર્ય હતા. પરંતુ, હવે નાટાના બન્ને પાર્ટમાં 25 ટકા માર્કસ લાવીને કુલ 200માંથી 50 માર્કસ આવશે એટલે ઉમેદવારને બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.
અત્યાર સુધી આર્કિટેક્ચર કોલેજોમાં 200માંથી 80 માર્કસનું લાયકાત ધોરણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ આ લેવલ પાસ કરી શકતા ન હતા અને તેને પરીણામે કોલેજોમાં બેઠકો ખાલી પડી રહેતી હતી. ગુજરાતમાં આ વખતે 600 જેટલી બેઠકો પહેલા રાઉન્ડમાં ખાલી પડી રહી હતી.
નાટામાં પરીણામ કેવી રીતે ગણનામાં લેવામાં આવશે એ અંગેની સઘળી વિગતો નીચે મુજબ છે.
Information Brochure
કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધી
ચાલુ શૈક્ષણિક વર્ષથી નાટા પરીક્ષાનું રજિસ્ટ્રેશન ફક્ત એવા વિદ્યાર્થીઓ કરી શકશે જેઓ માર્કશીટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટીક્સ વિષય ધરાવતા હશે. આ વર્ષથી આ નિયમ અમલી બનાવાયો છે. જોકે, આ સૂચના બે વર્ષ અગાઉથી જાહેર કરી દેવામાં આવી હતી.
કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં
21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના
શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516
પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548
મિનરલ સેક્ટરમાં 977
એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197
પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા
નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કુલ 28,360 સમજૂતિપત્રો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે 21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જોકે તેમણે આ એમઓયુ દ્વારા રાજ્યમાં કેટલું રોકાણ આવશે તેનો કોઈ આંકડો આપ્યો ન હતો.
કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા. શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516, પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548, મિનરલ સેક્ટરમાં 977, એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197, પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા હતા.
સમિટમાં કુલ 135 દેશોના 42,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કુલ 1,05,000 રજિસ્ટ્રેશન થયા હતા. સમિટમાં 30 દેશોના રાજદૂતો, સાત વડાપ્રધાનોએ ભાગ લીધો હતો. આ વખતે 15 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા હતા. 1,140 બીટુજી અને 2,458 બીટુબી મિટિંગ થઈ હતી. ટ્રેડ શોમાં કુલ 1,200 સ્ટોલ હતા અને તેમાં ₹15,000 કરોડના એમઓયુ થયા હતા.
ત્રણ દિવસની સમિટના સમાપન સત્રમાં બોલતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હોવાથી આ ઇવેન્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થયું છે. ગુજરાત વિશ્વ માટે પ્રવેશદ્વાર બન્યું છે અને દરેક માટે આદર્શ પ્લેટફોર્મ સાબિત થયું છે. આ સમિટ માત્ર બિઝનેસ અને ટ્રેડ પૂરતી મર્યાદિત ન રહેતાં સામાજિક ઉદ્ધાર માટેનું મંચ બની છે.”
2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનો નિર્ણય લીધા પછી ગુજરાત રોકાણ માટેનું પસંદગીનું ડેસ્ટિનેશન બન્યું છે. 2003ની પ્રથમ સમિટમાં બહુ બિઝનેસ હાઉસે ભાગ નહોતો લીધો. 9મી સમિટમાં વડાપ્રધાનનું વિઝન સંપૂર્ણપણે સાકાર થયું છે.
આ ઇવેન્ટ નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટે પણ આદર્શ પ્લેટફોર્મ બની ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે આ સમિટે એમએસએમઇ પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે મંચ પૂરો પાડ્યો છે.
સમિટની સમાપ્તિ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા.
જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે
(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)
સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.
ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ
રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો. ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.
આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.
ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.
જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.
ચાલુ જાન્યુઆરી 2019 માસમાં જ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પહેલી વખત લેવામાં આવેલી દેશની સત્તાવાર ઇજનેરી પ્રવેશ પરીક્ષા JEE Main પેપર-1 પરીક્ષાનું પરીણામ આજે આશ્ચર્યજનક રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ચૌતરફા રીતે મળી રહેલા પરીણામોના અહેવાલો મુજબ ગુજરાતી વિદ્યાર્થીઓનું પરીણામ અત્યંત નીચું અને કંગાળ રહ્યું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ એવી ફરીયાદો કરી હતી કે પહેલી વખત ઓનલાઇન પરીક્ષા આપવામાં જવાબનો વિકલ્પ પસંદ કરવામાં ગોથું ખાતા જવાબો ખોટા પડ્યા હતા અને તેને કારણે કમાયેલા માર્કમાંથી કપાત થતાં માર્કસ ઓછા આવ્યા છે.
100 સ્કોર લાવનારા દેશના 15 વિદ્યાર્થીઓમાં એકેય ગુજરાતી નહીં
ગુજરાત ટોપર રાઘવ સોમાણીના 99.99 પર્સન્ટાઇલ
જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019નું પરીણામ આ મુજબની વેબસાઇટ પરથી જાણી શકાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.