CIA ALERT

Slider Archives - Page 380 of 487 - CIA Live

March 26, 2019
home_appliances-1-1280x489.jpg
1min13590

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ નીચું વેચાણ ધરાવતી પ્રોડક્ટ્સના ભાવમાં ચાલુ મહિને લગભગ 20 ટકાનો ઘટાડો કર્યો છે. કન્ઝ્યુમર માંગ નબળી છે ત્યારે માલનો ભરાવો થયો હોવાથી તેના નિકાલ માટે અમુક પ્રોડક્ટના ભાવ ઘટાડવા પડ્યા છે તેમ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું.

દિવાળી પછી માંગ લગભગ સપાટ છે. આ વખતે ઉનાળો પણ મોડો આવ્યો હોવાના કારણે રેફ્રિજરેટર અને એર કંડિશનરના વેચાણમાં મંદી છે. ડીબીએસ-એમ્કેના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર એલજી, સેમસંગ, પેનાસોનિક, વ્હર્લપૂલ, ગોદરેજ, ડાઇકિન, હિટાચી, વોલ્ટાસ અને કેરિયર જેવી કંપનીઓએ જુલાઈ-ઓક્ટોબરના ભાવની તુલનામાં આ વખતે ભાવમાં લગભગ 20 ટકા સુધી ઘટાડો કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે કેટલીક બ્રાન્ડે ફેબ્રુઆરીમાં ભાવ વધાર્યા હતા પરંતુ માર્ચમાં તેમાં ઘટાડો કર્યો છે. ઉદાહરણ તરીકે કેરિયરે 1.5 ટનના થ્રી સ્ટાર એસીના ભાવમાં પાંચ ટકાનો કાપ મૂક્યો છે જ્યારે વ્હર્લપૂલે આવા જ મોડલનો ભાવ ત્રણ ટકા ઘટાડ્યો છે. રેફ્રિજરેટરમાં એલજીએ માર્ચમાં બે મોડલના ભાવ 5-9 ટકા ઘટાડ્યા છે. આઇએફબીએ અમુક વોશિંગ મશીનના મોડલના ભાવ ઘટાડ્યા છે.

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીએ કહ્યું કે બ્રાન્ડ્સ વચ્ચે નબળી માંગના કારણે ભાવમાં ફેરફાર કરાયો છે. શિયાળો લાંબો ચાલ્યો હોવાથી માર્ચમાં વેચાણ વધારવા ભારે પ્રેશર છે અને બ્રાન્ડ્સ વેચાણ વધારવા માંગે છે. અત્યારે બજારમાં પુષ્કળ ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ ઓફર્સ ચાલુ છે.

મુંબઈમાં 26 સ્ટોર ધરાવતી રિટેલર કોહિનૂર ઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર વિશાલ મેવાણીએ કહ્યું કે દિવાળી પછી ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે. શિયાળો હજુ સુધી ચાલતો હતો તેથી માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ઉનાળામાં એપ્લાયન્સનું વેચાણ વધવાની આશા છે. ૫૫ ઇંચના ટીવીમાં બ્રાન્ડ્સે ભાવમાં ₹5,000થી ₹8,000નો ઘટાડો કર્યો છે.

ડીબીએસ-એમ્કેના રિપોર્ટ મુજબ પેનાસોનિક, હિટાચી, કેરિયર, લોઇડ અને વ્હર્લપૂલે એસીના ભાવમાં માર્ચમાં 4-20 ટકા ઘટાડો કર્યો છે. રેફ્રિજરેટરમાં ગોદરેજ, સેમસંગ, એલજી અને વ્હર્લપૂલે ઓક્ટોબરની સરખામણીમાં 5-17 ટકાનો ઘટાડો કર્યો છે. વોશિંગ મશીન્સમાં પણ આવી જ રીતે ભાવ ઘટ્યા છે જેમાં આઇએફબી, સેમસંગ, વ્હર્લપૂલ, એલજી, પેનાસોનિક સામેલ છે.

પેનાસોનિક ઇન્ડિયાના સીઇઓ મનીષ શર્માએ કહ્યું કે સામાન્ય રીતે બ્રાન્ડ્સ એપ્રિલમાં ટીવી અને વોશિંગ મશીનનાં નવાં મોડલ લોન્ચ કરે છે. તેથી ઇન્વેન્ટરીને આધારે જે મોડલ બંધ થવાના હશે તેના પર ડિસ્કાઉન્ટ મળશે. હવે આનાથી વધારે ભાવ ઘટવાની શક્યતા નથી.

એલજી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ (હોમ એપ્લાયન્સિસ) વિજય બાબુએ કહ્યું કે સાઉથ અને વેસ્ટમાં ઉનાળામાં સમર એપ્લાયન્સિસની સારી માંગ જોવા મળે છે. તેમણે દાવો કર્યો હતો કે કોઈ પ્રોડક્ટના ભાવ ઘટ્યા નથી.

વૈશ્વિક બજારમાં ઓઇલના ઊંચા ભાવ અને ડોલર એક્સ્ચેન્જ રેટને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરમાં કંપનીઓએ ભાવમાં વધારો અટકાવ્યો હતો કારણ કે બજારમાં માંગ નબળી હતી. ત્યાર બાદ દિવાળી વખતે પણ વેચાણ જોઈએ તેવું સારું રહ્યું ન હતું.

March 26, 2019
ketan_patel_daman.jpg
1min7610

લોકસભાની ચૂંટણી માટે ધીમેધીમે ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ રહી છે. કોંગ્રેસે સોમવારે વધુ 26 ઉમેદવારો જાહેર કર્યાં હતાં. કોંગ્રેસે સોમવારે જાહેર કરેલી યાદીમાં છત્તીસગઢ, ગોવા અને દમણ-દીવ, બંગાળના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતાં. આ યાદીમાં દમણ-દીવની લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના નામ પર મહોર મારવામા આવી હતી. આ જાહેરાતની સાથએ જ કેતન પટેલના પ્રશંસકોમા ઉત્સાહ છવાઈ ગયો હતો.

એક તરફ ભાજપે દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુ પટેલને પોતાના ઉમેદવાર તરીકે ફરી એક વાર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે કેતન પટેલને ઉમેદવાર જાહેર કર્યાં છે. જોકે, આ વખતે બંને પક્ષો માટે અપક્ષ તરીકે ઝંપલાવી રહેલા દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલનો પડકાર ઉભો છે. તદુપરાંત બન્ને પાર્ટીના નારાજ આગેવાનો પણ અપક્ષ તરીકે ઝંપલાવવા માટે થનગની રહ્યા છે. આ જોતા આ વખતની ચૂંટણી બન્ને રાજકીય પક્ષો માટે આકરી સાબિત થાય તેવું કહેવાય છે.

March 26, 2019
shivraj-Patel-Rajkot.jpg
1min9640
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કેંગ્રેસમાંથી રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડશે તેવી પાંચેક દિવસથી ચર્ચા ચાલતી હતી અને હવે આ વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પરિવારજનોના નિર્ણય અનુસાર શિવરાજ પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત આજે નરેશભાઈ પટેલે કરી દીધી છે. હવે કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ યક્ષપ્રશ્ન બની ગયો છે.
સૌરાષ્ટ્રમાં બ્રાસનો ઉદ્યોગ લાવનારા અને આ ઉદ્યોગનો પાયો મજબૂત કરનારા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ સ્વ.રવજીભાઈ પટેલ રાજકારણથી દૂર રહેવામાં માનતા હતા અને તેમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર રમેશભાઈ પટેલ આ પરિવારના મોભી હોવાના નાતે તેમનો નિર્ણય આખરી માનવામાં આવે છે. છેલ્લા પાંચેક દિવસથી ચાલી રહેલી ચર્ચાના અંતે આજે એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, શિવરાજ પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. પારિવારિક અને સામાજિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અલબત્ત, નરેશભાઈની શાખના કારણે અનેક લોકોની, સમાજની લાગણી શિવરાજ પટેલ સાથે જોડાયેલી હતી કે, તેમણે ચૂંટણી લડવી જોઈએ. થોડા દિવસ પહેલાં ધોરાજીના એક કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં કહેલું કે, સમાજના યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. એ બાદ નરેશભાઈ પોતે ચૂંટણી લડે અથવા તેમના પુત્ર શિવરાજ ચૂંટણી લડે તેવી વાતો વહેતી થઈ હતી અને રવિવારે તો રાજકોટના કેટલાક મુખ્ય વિસ્તારમાં શિવરાજ પટેલને આવકારતા બેનર લાગી ગયા હતા. આ બધી ચર્ચા અને અટકળો વચ્ચે આજે આ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
બીજી તરફ હવે રાજકોટ બેઠક ઉપર કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. મોહનભાઈ કુંડારિયાની સામે લલિત કગથરાનું નામ ગાજ્યું હતું. જો કે, હવે કેંગ્રેસ પણ આ મામલે અવઢવમાં છે. રાજકોટમાં લોકસભાની બેઠક લડી શકે તેવું કોઈ ‘મોટું માથું’ કેંગ્રેસ પાસે રહ્યું નથી.
March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5380
દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને ગોવા પર આતંકવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલકાયદાની નજર હોવાથી ગુપ્તચર એજન્સીઓ તરફથી બાતમી બાદ આ ત્રણેય શહેરની પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ ગોળીબારનો બદલો લેવા માટે આઈએસ અને અલકાયદા આતંકવાદી હુમલા કરી શકે છે.
આ અંગે મળેલી બે બાતમી મુજબ, ભારતમાં સ્થિત વિવિધ યહૂદી સ્થળોને નિશાન બનાવવાનો કારસો ઘડાઈ રહ્યો છે. આતંકવાદીઓ હુમલા કરતી વખતે કાર અને છરી જેવી સામગ્રીઓનો ઉપયોગ કરી શકે છે તેવું ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું.
આ એજન્સીઓએ તેમના અહેવાલમાં મુંબઈ સ્થિત ઈઝરાયલી દૂતાવાસ, કોન્સ્યુલેટ જનરલ તેમજ છાબડ હાઉસની સુરક્ષા વધારી દેવાની સલાહ આપી છે.
ચાર દિવસના ગાળામાં ગુપ્તચર એજન્સીઓએ બેવાર એલર્ટ આપ્યાં હતાં. પહેલાં 20મી માર્ચના અને પછી 23મી માર્ચના બાતમી સાથે એલર્ટ જારી કરી દેવાયાં હતાં.
પટણામાંથી બે સંદિગ્ધ આતંકી ઝડપાયા: પુલવામા હુમલા સાથે સંબંધની શંકા
બિહાર પોલીસની સ્પેશિયલ ટાસ્કફોર્સે ગુપ્તચર બાતમીઓનાં આધારે પટણામાંથી બે સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. આ બન્ને શંકાસ્પદ આતંકવાદીને બંગલાદેશી આતંકી જૂથ જમીયત ઉલ મુજાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટ બંગલાદેશ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. આટલું જ નહીં, બન્ને પાસેથી પુલવામા આતંકવાદી હુમલા સાથે સંલગ્ન કેટલાંક કાગળિયા પણ હાથ લાગ્યા છે. જેને પગલે આ હુમલા સાથે બન્નેને કોઈ સંબંધ હોવાની આશંકા ઉભી થઈ છે. આ બન્ને બંગલાદેશનાં માર્ગેથી જ ભારતમાં ઘૂસ્યા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. બન્ને બનાવટી દસ્તાવેજોનાં આધારે બિહારમાં રહેતા હતાં.
March 25, 2019
cho3-1280x960.jpg
1min1725

સુરતમાં એવો ટ્રેન્ડ શરૂ થયો છે  કે સોસાયટીના ઝાંપે લાગેલા બોર્ડ પર સોસાયટીના નામના બોર્ડ પર ચોકીદાર ચોર નથી, ચોકીદાર 56ની છાતીનો છે વગેરે દર્શાવતા મોટા બેનર, પોસ્ટર લાગવા માંડ્યા છે. ચારેક દિવસ પહેલા કતારગામની ફક્ત 1 સોસાયટીમાં ચોકીદાર ચોર નથી એવું બોર્ડ લાગ્યું હતું હવે કતારગામમાં 5-6 સોસાયટીઓ અને તેના પરથી પ્રેરણા લઇને હવે ભાજપાના નેતાઓ પોતાના વિસ્તારમાં સોસાયટીવાસીઓને ચોકીદાર ચોર નથી તેવા બેનર લગાડવા માટે પ્રેરી રહ્યા છે.

(કતારગામના ભૂલાભાઇ દેસાઇ પાર્કના ઝાંપે આ પ્રકારનું બેનર લગાડવામાં આવી રહ્યું છે)

ભાજપા માટે આ એક માસ્ટર સ્ટ્રોક છે પ્રચારનો. ચોકીદારનું નામ લઇને સીધો જ મોદીનો પ્રચાર થાય છે અને આમ છતાં કોંગ્રેસની દશા એવી છે કે આચારસંહિતા ભંગની ફરીયાદ કરે તો કેવી રીતે કરે. મૈં ભી ચૌકીદારનું સૂત્ર આપીને નરેન્દ્ર મોદીએ ચોકીદાર એટલે ભાજપ એવી બ્રાન્ડ બનાવી દીધી છે.

(કતારગામ ભૂલાભાઇ દેસાઇ પાર્કના રહેવાસીઓ હોર્ડિંગ સાથે)

કતારગામ ભાજપાના કોર્પોરેટર રમેશભાઇ ઉકાણીના ફેસબુક વોલ પર આ મુજબની પોસ્ટ છે

મોદી (ભાજપા) નો બેરોકટોક પ્રચાર થઇ રહ્યો છે અને કોંગ્રેસ આચાર સંહિંતા ભંગની ફરીયાદ પણ કરી શકે તેમ નથી અને કરે તો કોની સામે કરે. સોસાયટીવાસીઓ પોતાની રીતે ચૌકીદારનું નામ લઇને ભાજપાનો પ્રચાર કરી રહ્યા છે અને ભાજપા પ્રત્યેની તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.

જાણકારો કહે છે કે ભાજપાના સમર્થકોએ શરૂ કરેલો આ ટ્રેન્ડ આગામી દિવસોમાં બન્ને તરફે એટલે કે ચૌકીદારની ફેવરમાં અને ચૌકીદારની વિરુધ્ધમાં પણ જોવા મળે તો નવાઇ નહીં. સોશ્યલ મિડીયા પર હાલ તો ચૌકીદાર ચોર નથી અને ચૌકીદારની તરફદારી કરતા પોસ્ટર લાગ્યા છે તે જોઇને ભાજપ વિરોધી તેમજ પાસના વિસ્તારોમાં ચૌકીદાર ચોર જેવા બેનરો લાગે તો નવાઇ નહીં.

 

March 25, 2019
water.jpeg
1min5850

ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા પડેલા અપૂરતા વરસાદને લઈને નર્મદા ડેમ સહિતના ૧૦ જળાશયોમાં અપર્યાપ્ત જળસંગ્રહથી ઉનાળામાં ગુજરાતમાં ઘેરા જળસંકટનો પ્રજાએ સામનો કરવા પડશે. રાજ્યમાં હાલ મોટાં ૧૦ જળાશયોમાં ગત વર્ષ જાન્યુઆરી કરતા પણ હાલમાં ૧૭ ટકા ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. રાજ્યમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા, ખેડૂતો સહિત ઉદ્યોગો મીઠા જળ માટે છેલ્લાં ૬ વર્ષથી વલખાં મારી રહ્યા છે. દરિયાના પાણી નર્મદમાં ૫૦ કિલોમીટર સુધી અંદર આવી જતા સમસ્યા વધુ ઘેરી બનશે.

બે વર્ષ પહેલાં નર્મદા ડેમ પર ૩૦ દરવાજા મૂકી તેની ૧૩૮.૬૮ મીટર મહત્તમ ઊંચાઈનું કામ પૂર્ણ કરાયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહિ સર્જાય તેવો આશાવાદ વ્યકત કરાયો હતો. જાન્યુઆરી મહિનામાં જ નર્મદા ડેમ સહિત રાજ્યના મોટા ૧૦ ડેમોની સ્થિતિ ગત વર્ષના જાન્યુઆરી મહિના કરતા પણ ચિંતાજનક હોઈ આગામી ઉનાળામાં જળસંકટની સ્થિતિ ઉપજાવે તેવી શકયતા છે.

જાન્યુઆરીમાં જ નર્મદા ડેમ સહિત ઉકાઇ, ધરોઈ, કડાણા ભાદર, દાંતીવાડા, કરજણ, પાનમ, દમણગંગા શેત્રુજી સહિતનાં જળાશયોમાં જળસ્તર આ વખતે અત્યારથી જ ઊણાં ઊતર્યાં છે. ગત વર્ષે આ ૧૦ ડેમોમાં કુલ પાણીનો જથ્થો ૭૦૨૮ મિલિયન ક્યુબીક મીટર હતો જે આ વખતે ૬૦૦૭ એમસીએમ હોઈ જે જોતા રાજ્યમાં મોટા ૧૦ ડેમો ૧૭ ટકા ગત જાન્યુઆરીની તુલનામાં ઓછો સંગ્રહ ધરાવે છે.

રાજ્યની જીવાદોરી સમા નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ સરેરાશ આવક ૧૭,૨૩૪ ક્યુસેક થઈ રહી છે. ઉપરવાસમાં કાર્યરત જળવિદ્યુત મથકને લઈને આ પાણીની આવક સરદાર સરરોવરમાં આવી રહી છે. આવક સામે બાષ્પીભવનમાં જ ૩૦૦થી ૪૦૦ ક્યુસેક પાણી ઊડી જાય છે. જ્યારે ગોડબોલે ગેટમાંથી નિયમ મુજબ માત્ર ૬૧૭ ક્યુસેક નિચાણવાસમાં નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાં પણ પાણીનો પૂરતો જથ્થો ન રહેતા આગામી ઉનાળો ગુજરાત માટે જળસંકટ ઘેરુ બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

March 25, 2019
farmers.jpg
1min8080

ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે. વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન સવાલના જવાબની માહિતી આપવામાં આવી હતી કે ખેડૂતોની સખ્યામાં ૪,૩૪,૧૬૫નો વધારો થયો છે. જોકે, એક તરફ સીમાંત, નાના અને અર્ધ અધ્યમ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ મધ્યમ અને મોટા ખેડૂતોની સખ્યામાં ઘટાડો થયો છે.

એગ્રી સેન્સસ ૨૦૧૫-૧૬ના ભારત સરકારના પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ ગુજરાતમાં જમીન ધરાવતા ખેડૂતોની કુલ સખ્યાં ૫૩,૧૯,૭૭૫ છે. ૨૦૧૦-૧૧ના સેન્સસ સમયે ૪૮,૮૫,૬૧૦ ખેડૂત નોંધાયા હતાં. તે જોતા ૪,૩૪.૧૬૫ ખેડૂતોનો વધારો થયો હતો. બન્ને સેન્સસ મુજબ સીમાંત ખેડૂતોની સંખ્યાં ૨,૦૨,૧૭૯નો, નાના ખેડૂતોમાં ૧,૮૬,૮૪૨નો અને અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યામાં ૭૦.૭૮૧નો વધારો થયો હતો. તેની સામે મધ્યમ કક્ષાના ખેડૂતોમાં ૧૬,૭૫૯ અને મોટા ખેડૂતોમાં ૮૮૭૮નો ઘટાડો નોંધાયો હતો.

March 25, 2019
jj.jpg
1min9850

મુંબઇની જાણીતી જે. જે. મેડિકલ કૉલેજની વિદ્યાર્થિનીઓને કાર્યક્રમ દરમિયાન ટૂંકા વસ્ત્ર પહેરવાની તેમ જ પુરુષ મિત્રો સાથે બેસવાની મનાઇ ફરમાવવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓ સંપૂર્ણ શરીર ઢંકાઇ તેવા કપડાં અને મોઢા પર દુપટ્ટો બાંધીને કૉલેજ પ્રશાસનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

૨૧મી માર્ચના રોજ કૉલેજના કૅમ્પસમાં આયોજિત થયેલા હોળીના કાર્યક્રમમાં અમુક યુવાઓ દ્વારા ધમાલ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૉલેજ પ્રશાસને ફેસબુક અને વૉટ્સઍપ ગ્રુપ પર પોસ્ટ મૂકી છે. જેમાં શાળાના ડીન દ્વારા અમુક સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કૉલેજમાં આયોજિત થનાર ‘અસ્તિત્વ’ યુવા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં, તેમ જ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ અલગ અલગ બેસવાનું રહેશે.

આ અંગે વિરોધપ્રદર્શનમાં જોડાનાર એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે કયાં પરિધાન પહેરવા તે નક્કી કરવાનો અમને હક છે. કૉલેજ પ્રશાસન તેમાં દખલ કરી શકે નહીં. અમુક બેશિસ્ત વિદ્યાર્થીઓએ કરેલી ભૂલ માટે બધાને દંડ શા માટે આપવો જોઇએ.

દરમિયાન કૉલેજના ડીન ડૉ. અજય ચંદનવાલેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓએ યોગ્ય કપડાં પહેરીને આવવા, એવો મેસેજ મેં આપ્યો હતો. હોળીના કાર્યક્રમમાં કૉલેજમાં ધમાલ થયા બાદ અમે કડક નિયમો કર્યા છે. આ નિયમ માત્ર કાર્યક્રમ પૂરતા સીમિત છે. તેમ છતાં આ અંગે વિદ્યાર્થિનીઓની ફરિયાદને સાંભળવામાં આવશે અને નિયમો અંગે ફરી એકવાર વિચાર કરવામાં આવશે.

March 24, 2019
priyanka.jpg
1min7250

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે તા.24મી માર્ચ 2019ના રોજ ઉત્તર પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોના રૂ.10 હજાર કરોડના લેણાં કેટલાક મહિનાઓથી નહીં ચૂકવતી ઉત્તર પ્રદેશની સરકારનો હવાલો આપીને નરેન્દ્ર મોદીના મૈ ભી ચૌકીદાર અભિયાન પર મોટો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચોકીદારો હંમેશા અમીરો માટે કામ કરે છે, ઉત્તર પ્રદેશની સરકાર પણ આવી જ ચોકીદારી કરતા ખેડૂતોને તેમની મહેનના રૂપિયા આપવામાં અખાડા કરી રહી છે.

પ્રિયંકા ગાંધી-વાડ્રા એકલા હાથે નરેન્દ્ર મોદી અને તેમની વિશાળ સેનાના મૈ ભી ચૌકીદાર અભિયાનના ફુગ્ગાની હવા કાઢી રહી છે. પ્રિયંકા ગાંધીએ સામાન્ય લોકોની મુલાકાતો, ગ્રુપ મિટીંગો કરીને મૈ ભી ચૌકીદાર અભિયાનની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારોની નબળાઇઓ મૂકીને તેમની પોલ ખોલી રહી છે. ચોકીદાર પરની પ્રિયંકા ગાંધીની આ મુજબની ટ્વીટએ સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.

March 24, 2019
sugar.jpg
1min36370
જયેશ બ્રહ્મભટ્ટ
આગામી તા.31મી માર્ચ 2019ના રોજ સુગર મિલો દ્વારા શેરડીના ભાવો જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. સામી ચૂંટણીએ શેરડીના ભાવોને લઇને ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ શેરડી પાકે છે અને જ્યાં રાજ્યની 95 ટકા સુગર ફેક્ટરીઓ આવેલી છે એ વિસ્તારના ખેડૂતોમાં શેરડીના ભાવ બાબતે ખેડૂતો ભારે નારાજ થાય તેમ છે. એક તરફ રાજ્ય સરકારે ખાંડનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ.31 જાહેર કર્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને રૂ.3100 પ્રતિટન શેરડીનો ભાવ જોઇએ છે, ખેડૂતોની માગ તો આનાથી પણ વધારે છે જ્યારે ત્રીજા પક્ષે સુગર મિલો રૂ.3000 પણ આપી શકે તેમ નથી. આમ, સરકાર, ખેડૂત અને સુગરમિલો ત્રણેયના ભાવોમાં તફાવત પડે તેમ છે. અને ફરીથી એક વખત જગતના તાતના હિસ્સે જ અન્યાય સહન કરવાનું આવે તેમ છે. ખેડૂતોને શેરડીના અપેક્ષિત ભાવ તો દૂરની વાત પરંતુ, પોષણક્ષમ (કોસ્ટિંગ) જેટલા પણ ભાવ ન મળે તેવી શક્યતાઓ જોવાય રહી છે.
  • ખેડૂતોની મુશ્કેલી એ છે કે મહેનત અને પડતરના નાણાં પણ છૂટતા નથી
  • સુગર મિલોની કઠિણાઇ એ છે કે એટલું વિપુલ ઉત્પાદન છે કે શેરડીનો સંગ્રહ ક્યાં કરવો અને પીલાણ કેવી રીતે કરવું
  • સરકારે તૈયાર ખાંડના રૂ.31 ભાવ નિર્ધારિત કર્યો છે, એ જોતા ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ.3100 મળવા જોઇએ
ખેડૂતોની મોટી કમનસીબી એ છે કે એક તરફ શેરડીનું ઉત્પાદન વધી રહ્યું છે અને આ વર્ષે બમ્પર ઉત્પાદન છે અને એ કારણે સપ્લાય વધે તેમ હોઇ સ્વાભાવિક છે કે તેના ભાવ નીચે જાય તેમ છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં લેવાય છે. આગામી તા.31મી માર્ચે જ્યારે સુગર મિલો શેરડીનો ભાવ જાહેર કરશે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ થાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. રાજ્યમાં હાલ વર્કિંગ મોડમાં હોય તેવી કુલ 19 સુગર મિલો પૈકીની 17 સુગરમિલો દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર મેટ્રીક ટન જેટલી શેરડીનું પીલાણ કરવામાં આવે છે.

સામી ચૂંટણીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ નારાજ થાય તેવા સંજોગો

બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને જેમ-તેમ ચાલતી ખાંડ ફેક્ટરીઓની માંદી હાલત જોતાં દક્ષિણ ગુજરાતની એકપણ સુગર ફેક્ટરી રૂા. 3 હજારથી વધુ ભાવ આપી શકે તેમ નથી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક અને આ વર્ષના બમ્પર ઉત્પાદને ખાંડનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
હવે જ્યારે સરકારે તૈયાર ખાંડનો ભાવ જ રૂ. 31નો નિર્ધારિત કર્યો છે ત્યારે સુગર ફેક્ટરીઓના પિલાણ સહિતના ખર્ચા અને બૅન્કોના ઓવરડ્રાફ્ટની વિગતો બાદ કરતાં એવી ગણતરી બેસે છે કે ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ. 3100ની આસપાસ ભાવ મળવો જોઈએ. ખેડૂત આગેવાનો કહે છે કે સુગર ફેક્ટરીઓએ બમ્પર પાકનો હવાલો આપી વાતાવરણ ઊભું કર્યું છે તે જોતાં આખરમાં શું ભાવ મળશે તે અંગે અનેક સવાલો ખેડૂતોનાં મનમાં ઊભા થયા છે.