CIA ALERT

Slider Archives - Page 37 of 475 - CIA Live

August 27, 2024
gujarat-map-raining.png
4min327

ગુજરાતમાં ચાર દિવસથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે. વરસાદના પગલે આજે સ્કુલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરિયાળ ગામડાઓમાં જતી એસટી બસ કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને હલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં કેટલા હાઈવે-રસ્તા બંધ

ગુજરાતમાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 636 જેટલા હાઈવે-રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આણંદ ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે. ખડોધી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં માતા-પિતા તેમજ બાળકનો સમાવેશ થાય છે.

રાજ્યમાં એસટી બસ સેવાને પર અસર

રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે. જેની એસટી બસ સેવાને પર અસર પહોચી છે. રાજ્યના સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે 14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રિપ પૈકી 583 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં

  • દાહોદના 15 રૂટ અને 242 ટ્રિપ રદ્દ,
  • મહીસાગરમા બસના 10 રૂટ અને 112 ટ્રિપ રદ્દ,
  • પંચમહાલમાં બસના 5 રૂટ, 63 ટ્રિપ રદ્દ,
  • આણંદમા બસના 6 રૂટ, 12 ટ્રિપ રદ્દ,
  • ખેડામા બસના 7 રૂટ, 18 ટ્રિપ રદ્દ,
  • સુરતમા બસના 5 રૂટ, 14 ટ્રિપ રદ્દ,
  • નવસારીમા બસના 3 રૂટ, 43 ટ્રિપ રદ્દ,
  • વલસાડમાં બસના 8 રૂટ, 27 ટ્રિપ રદ્દ કરવામાં આવી છે.
  • વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા ત્યાર બાદ બંધ રૂટ, ટ્રિપ પૂર્વવત્ કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટએ એડવાઈઝરી જાહેર કરી

અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદ શહેરની વરસાદની આગાહીને પગલે ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલાં જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે તેમ જણાવવામાં આવ્યું છે. શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ સાંજ સુધી અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ હતી. જેની સૌથી વધુ અસર અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી ફ્લાઇટ અને એરપોર્ટ સાથે ફ્લાઈટને અસર થઈ હતી. અમદાવાદથી ટેકઓફ થતી કુલ 71 ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે અન્ય સેક્ટરમાંથી અમદાવાદ આવતી 42 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.

ભારે વરસાદથી રેલવેને અસર

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર પહોચી છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

ટ્રેનો સંપૂર્ણપણે રદ

  • 27મી ઓગસ્ટની ટ્રેન નંબર 12971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 27મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ

શૉર્ટ ટર્મિનેટેડ ટ્રેનો

26 ઓગસ્ટ 2024 ના રોજ, ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન વલસાડ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
26 ઓગસ્ટ 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

શૉર્ટ ઓરિજિનેટેડ ટ્રેન

27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ વલસાડ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રાજકોટથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન ભાવનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદથી ટૂંકી ઉપડશે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વચ્ચે આંશિક કેન્સલેશન રહેશે.

ટ્રેનો ડાયવર્ટ કરી

  • ૧. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ ગોધરા-ડાકોર-આણંદ-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  • ૨. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.
  • ૩. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.
  • ૪. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12215 દિલ્હી સરાય રોહિલા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • ૫. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • ૬. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
August 27, 2024
monsoon.png
1min216

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ગત વર્ષે એટલે કે 27 ઓગસ્ટ, 2023ની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 81.80 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાત સર્વત્ર મેઘમહેર થઈ છે. બીજી તરફ રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે.

કચ્છમાં સિઝનમાં સીઝનનો સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં 27મી ઓગસ્ટ 2024ના સવારે 11 વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સરેરાશ 101.58 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો કુલ 116.79 ટકા વરસાદ પડી ચુક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો કુલ 79.99 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાત સિઝનમાં સરેરાશ 98.74 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનનો 101.52 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 108.20 ટકા વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ 170 ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં સિઝનનો 136 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં જળાશયો છલકાયા

27મી ઓગસ્ટ, 2024ની સવારે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 86.97 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 ડેમમાં પાણીનો 72.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 76 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે 46 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 50થી 70 ટકા ભરાયેલા હોય તેવા ડેમોની સંખ્યા 23 છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા ભરાયેલા છે. રાજ્યના 31 ડેમ એવા છે જેમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે. સાત ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી ખાલી એવો રાજકોટનો આજી ડેમ પણ ઑવરફ્લો થયો છે. અગાઉ પડેલા વરસાદમાં પણ સૌરાષ્ટ્રના ડેમમાં સારી એવી પાણીની આવક થઈ હતી.

August 27, 2024
gujarat-meeting-.jpg
2min227
Amid the forecast of heavy rain across the state, the administration's 'security cycle' with the Chief Minister

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત છે. મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

આ ઉપરાંત વરસાદથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ તેમજ પ્રભારી સચિવઓ પણ જિલ્લા મથકે બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ રાહત-બચાવ કામગીરી માટે આર્મીની ૬ કોલમ ક્રમશ: દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી રાહત-બચાવ કામગીરી

  • બોટાદના ખાંબડા ડેમામાંથી પાણી છોડવામાં આવે તો નીચાણવાળા ભાગોમાં રહેતા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા બરવાળા તાલુકાના ખાંબડા ગામના 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
  • મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે માળિયા તાલુકાના મોટા દહીંસરા 132 કે.વી. સબ સ્ટેશનમાં ફસાયેલા 6 કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
  • દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ફતેપુરા તાલુકાના હિંડોલીયા ખાતે એક જર્જરિત મકાન મકાન ધરાશાયી થતા અબોલ પશુ ઇજાગ્રસ્ત થયા હતા. પશુપાલન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ પર જઈને સારવાર કરી ઘાયલ પશુઓને સલામત સ્થળે ખસેડ્યા હતા.
  • ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનથી તાલાલા-જામવાળા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગની ટીમે ધરાશાયી વૃક્ષોને દૂર કરીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો છે.
  • ભારે વરસાદથી જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા, ફાયર વિભાગની 10 ટીમ ઉપરાંત એન.ડી.આર.એફના જવાનોએ ૭૦ જેટલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસુતિની સંભાવના ધરાવતી 30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.
  • પંચમહાલ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે ૪,૦૦૦ જેટલા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે 20 જેટલા રસ્તાઓના કોઝ-વે પણ બંધ કરાયા છે.
  • વડોદરા શહેરમાં એક જ દિવસમાં 108 એમ્બ્યુલન્સને 285 કોલ મળ્યા હોવા છતાં, એમ્બ્યુલન્સ સેવા અટકી નહોતી. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી ૪૯ દર્દીઓને એમ્બ્યુલન્સના માધ્યમથી સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંજુસર રોડ પર એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.
  • મોરબી જિલ્લામાં મચ્છુ નદીનું જળ સ્તર વધતા સાવચેતીના ભાગરૂપે સામખીયાળીથી માળીયા સુધીના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી 10 ખાસ ટીમો દ્વારા નાગરીકોનું રહેવા, જમવા જેવી સુવિધા ધરાવતા ૩૦ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
  • જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદથી વાડી વિસ્તારમાં ફસાયેલા 11 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું હતું. લાલપુર તાલુકાના નવાગામમાં વાડી વિસ્તારમાં નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હતા, જેની ગંભીરતા સમજી એરફોર્સના હેલિકોપ્ટરથી તેઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
  • વડોદરા જિલ્લામાં નીચાણવાળા અને નદીની આસપાસ વસતા કુલ 8361 નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ નાગરીકો માટે ભોજન, નાસ્તો સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તેમનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.

MGVCLના 1700થી વધુ વીજ કર્મીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત

અનરાધાર વરસાદથી પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે કુલ ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં તાત્કાલિક ધોરણે વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા MGVCLની ૫૩૬ ટીમોના ૧૭૦૦થી વધુ વીજ કર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.

વડોદરા આરોગ્ય તંત્રનો માનવીય અભિગમ

વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં કોઇપણ સગર્ભા મહિલાને તકલીફ ન પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી આશરે 45 જેટલી સગર્ભા મહિલાઓને તંત્ર દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. આ કેન્દ્રો ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

એટલું જ નહિ, વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રય સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.

August 27, 2024
rain3.jpg
3min195

રવિવાર 25/08/24 સાંજથી ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો, જે સોમવારે પણ ચાલુ રહેવા પામ્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાં પામ્યાં હતાં, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. જેના કારણે શહેરની ઉપર ફરી એક વખત પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.

સુરત અને નવસારીમાં પણ અતિભારે વરસાદના અહેવાલ છે.

રાજકોટમાં ભારે વરસાદને કારણે જિલ્લા તંત્ર દ્વારા ‘ધરોહર લોકમેળા’માં ભરાઈ ગયેલા પાણીને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તેની ઉપર પાણી ફરી વળ્યું હતું.

જામનગરમાં વરસાદના તાજેતરના રાઉન્ડથી શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર સહિત 15 ડૅમ ઑવરફ્લૉ થયા છે.

ભાવનગરના જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ નાગરિકોને કૉઝ-વે તથા પાણીનું ઑવરટૉપિંગ થતું હોય તેવા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરી છે. જિલ્લા તંત્ર દ્વારા વરસાદને પગલે ઍલર્ટ આપવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરના મૂળી તથા ચોટિલા તાલુકામાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટુકડી સુરેન્દ્રનગર પહોંચી છે. જેને સ્ટૅન્ડ-બાયનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાયલા તથા આસપાસના વિસ્તારોને પાણી પૂરું પાડતો થોરિયાળી ડૅમ ભરાવાની અણિ પર છે. વઢવાણને પાણી પૂરું પાડતો ધોળીધજા ડૅમ પણ છલકાવવા પર છે.

મહીસાગર જિલ્લામાં કડાણા ડૅમ છલકાયો છે, જેના કારણે ડૅમના દરવાજા ખોલવાની જરૂર હોય, નીચાણવાળા 40 ગામોને સાવચેતી રાખવા તાકિદ કરવામાં આવી છે.

અમરેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સાવચેતી જાળવવા અપીલ કરી છે. આ સિવાય એનડીઆરએફની એક ટીમ અહીં પહોંચી છે. જાફરાબાદ, શિયાળ બેટ, ધારાબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તથા ભારે પવનની સંભાવનાને જોતાં દરિયામાં ગયેલા માછીમારોને પણ પરત ફરવા માટે તાકિદ કરવામાં આવી છે.

બોટાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અરવલ્લીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં 1,653 લોકોનું રૅસ્ક્યૂ

ગુજરાતમાં અત્યારસુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,653 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ કાર્યરત્ છે.

સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મિલી એટલે કે છ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના માહિતીખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સરેરાશ 91.88 ટકા વરસાદ પડી ગયો છે. રાજ્યનાં 206 જળાશયોમાંથી 59 જળાશયો ભરાઈ ગયાં છે. 72 જળાશયો હાઇ ઍલર્ટ પર અને 22 જળાશયો ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

સમગ્ર રાજ્યમાં 7,009 ગામોનો વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો તે પૈકી 6,977 ગામોમાં વીજપૂરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

તો કેટલાક વિસ્તારોમાં અલગઅલગ જગ્યાએ છુટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો કેટલાંક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં.

શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડિયા અને નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

દક્ષિણ ગુજરાતનાં વલસાડ, સુરત અને નવસારીમાં રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો.

બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદે જનમાષ્ટમીના મેળાની મજા બગાડી હતી.

રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જીલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટે પ્રબંધન અંગે સૂચના આપી હતી.

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. અમિત શાહે મુખ્ય મંત્રીને રાજ્યને મદદ બાબતે આશ્વાસન આપ્યું હતું.

અહેવાલ પ્રમાણે, શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વાતચીત દરમિયાન રાજ્યને તમામ મદદ આપવાનો વાયદો પણ કર્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.

સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં આવેલા ઘવાણા ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં અને એક ટ્રેકટરની ટ્રૉલી પલટી જતાં 17 લોકો ફસાયા હતા.

મોરબીના ઘવાણા ગામ નજીક એક ટ્રેક્ટરની ટ્રૉલી પલટી જતાં 17 લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે સર્ચ અને રૅસક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે.”

આ વિશે મીડિયા સાથેની વાતચીતમાં મોરબીના કલેકટર કેબી ઝવેરીએ માહિતી આપતા કહ્યું, “અતિભારે વરસાદને કારણે કૉઝવે પરથી ભારે પ્રમાણામાં પાણી વહી રહ્યું હતું. આ સમયે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને પાણીના ભારે વહેણને કારણે ટ્રેક્ટરની ટ્રૉલી પલટી હતી. આ ટ્રૉલીમાં લગભગ 17 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અમે સ્ટેટ ડિઝાસ્ટર રીલિફ ફોર્સને મદદ માટે બોલાવી છે. અમે અત્યાર સુધી 10 લોકોનો જીવ બચાવ્યો છે. અમે બાકીના લોકોને પણ બચાવવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ.”

કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાત વેધરની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, રાજ્યના લગભગ 140 તાલુકામાં રવિવારે એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકામાં રવિવારે સૌથી વધારે લગભગ 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના જ કપરડા અને પારડી તાલુકામાં 12-12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ઉકાઇ ડેમનાં ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ડેમના 15 દરવાજાને લગભગ 10 ફૂટ ખોલવામાં આવ્યાં છે.

સુરતના ઉમરપાડા તાલુકામાં પણ લગભગ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં લગભગ 11 ઇંચ, વલસાડના ધરમપુર તાલુકામાં નવ ઇંચ અને મહેસાણાના વિજાપુર તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ગીર-સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, રાજકોટ, દાહોદ, મહેસાણા, નર્મદા, પોરબંદર અને પંચમહાલ જીલ્લાનાં કેટલાક તાલુકાઓમાં બેથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે સિસ્ટમ અરબી સમુદ્રમાં દૂર ના જતી રહે ત્યાં સુધી વરસાદ પડવાની સંભાવના છે.

હાલ પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદ પડી રહ્યો છે, જે સિસ્ટમ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર તેનું જોર વધશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલની સ્થિતિ પ્રમાણે ચાર દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં પણ આજથી વરસાદનું પ્રમાણ વધશે.

27થી 29 ઑગસ્ટ સુધી સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.

August 26, 2024
heavy-rain-in-saurashtra.png
1min467

તહેવારોના દિવસોમાં ખાસ કરીને તા.26મી ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમીને પર્વએ મેઘરાજાએ દક્ષિણથી લઇને ઉત્તર, સૌરાષ્ટ્રથી લઇને કચ્છ, મધ્યગુજરાત સમેત સમગ્ર ગુજરાતની ધમરોળી નાખ્યું છે ત્યારે ભારે વરસાદને કારણે સમગ્ર પ્રશાસન હરકતમાં આવી ગયું છે. કચ્છથી લઈને કાઠિયાવાડ તેમ જ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેન્દ્ર સરકારે અસરગ્રસ્તોને ઈમરજન્સીની પરિસ્થિતમાં પહોંચી વળવા માટે તાકીદ કરી છે.

સરકારના ઉપલબ્ધ આંકડા અનુસાર રાજ્યમાં 237 તાલુકામાં આજે ભારે વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ બરોડા, પાદરા, બોરસદમાં નોંધાયો છે. પાદરામાં અગિયાર ઈંચ, બોરસદ અને વડોદરામાં દસ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 96 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના મોટા ભાગના શહેરો અને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેથી શહેર આખું જળબંબાકાર બન્યું છે. 

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.

મધ્ય ગુજરાતમાં મેઘરાજા આક્રમક, અનેક સ્થળે ભૂવા, વૃક્ષો ધરાશાયી; વડોદરા, ભરૂચ અને નર્મદામાં ઍલર્ટ

મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં મધ્ય ગુજરાતમાં આજે (26 ઑગસ્ટ) ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. છોટા ઉદેપુરમાં પણ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ આણંદના બોરસદમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારેથી અતિભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી.

વડોદરામાં અનેક જિલ્લા જળબંબાકાર, ગરનાળું પણ બંધ કરાયું

વડોદરા શહેરમાં ગત રોજ વરસેલા છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે. 

આજે સવારે 10 વાગ્યા સુધીમાં ડેસરમાં 3.3 ઇંચ, પાદરામાં 2.7 ઇંચ, સાવલીમાં 2.3, વડોદરામાં 2, વાઘોડિયામાં 1.2, કરજણમાં 1.2, ડભોઈમાં 1.2 ઇંચ અને સિનોરમાં 3 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કરજણમાં 6.2 ઇંચ, સિનોરમાં 4.4, વડોદરામાં 3.7, પાદરામાં 1.5, ડભોઈમાં 1.5, સાવલીમાં 14 મિ.મી., વાઘોડિયા અને ડેસરમાં 8-8 મિ.મી. વરસાદ પડ્યો હતો.

August 26, 2024
school-closed-1280x823.webp
1min343
Jalashtami in Gujarat: Heavy rains in more than 230 talukas, schools closed tomorrow

સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં તા.27મી ઓગસ્ટ 2024ને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તા.27મી ઓગસ્ટને મંગળવારે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.

ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.

ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.

August 26, 2024
jharkhand.png
1min314

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યનાં રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. રાંચીમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ની રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મારમારીની કથિત ઘટનામાં સામેલ ઓળખી કઢાયેલી 51 લોકો સહિત 12000 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક નેતા સામે FIR

ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડી (Babulal Marandi), વિધાનસભામાં વિપક્ષના નેતા અમર કુમાર બાઉરી (Amar Kumar Bauri), કેન્દ્રીય મંત્રી સંજય સેઠ (Sanjay Seth) અને પૂર્વ કેન્દ્ર મંત્રી અર્જુન મુંડા (Arjun Munda) સહિત ભાજપ (BJP)ના ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ભાજપના નેતાઓ ભડક્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) સામે ગંભીર આક્ષેપ કર્યો છે.

વિનાશ કારે વિપરીત બુદ્ધિ : બાબુલાલ મરાંડી

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ‘વિનાશ કારે વિપરીત બુદ્ધિ ! અમને માહિતી મળી છે કે, મોરાબાદી મેદાનમાં યુવા આક્રોશ રેલી યોજાઈ હતી, જેની સફળતા જોઈ મુખ્યમંત્રી હેમંત સોરેન ગભરાઈ ગયા છે અને મારા તેમજ ઝારખંડ ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓ સહિત હજારો યુવા સાથીઓ પર કેસ નોંધાવ્યો છે.’

ઘટના અંગે રાંચી પોલીસે શું કહ્યું?

રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિંહે મીડિયાને કહ્યું કે, ‘મેજિસ્ટ્રેટ નિવેદન બાદ રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ લોકો વિરુદ્ધ ટુંક સમયમાં કાર્યવાહી કરાશે.’ આ રેલી હેમંત સોરેન સરકારે કરેલા અન્યાય અને ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળતા વિરુદ્ધ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ભાજપ યુવા વિંગના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બેરિકેડ્સ પણ તોડવામાં આવ્યા હતા.

August 24, 2024
ups.png
1min253

મોદી સરકારે સરકારી કર્મચારીઓને મહત્વની ભેટ આપી છે. શનિવારે મોદી કેબિનેટે ‘યુનિફાઇડ પેન્શન સ્કીમ’ને (Unified Pension Scheme) મંજૂરી આપી દીધી છે. ડૉ. સોમનાથન સમિતિએ નવી પેન્શન યોજના (NPS)માં ફેરફારની માંગ કરી હતી. સરકારે કર્મચારીઓની માંગોને ધ્યાનમાં રાખીને NPSમાં ફેરફાર કર્યા છે. આ માટે ડો.સોમનાથન કમિટીની રચના કરવામાં આવી હતી. મેટીએ તેના રિપોર્ટમાં એનપીએસમાં ફેરફાર સૂચવ્યા હતા. આ સૂચનોના આધાર પર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે.

યુનિફાઇડ પેન્શન સ્કીમની મંજૂરીથી સરકારી કર્મચારીઓને ઘણો ફાયદો મળશે. આ સ્કીમ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે અને 23 લાખ સરકારી કર્મચારીઓને તેનો લાભ મળશે. જેઓએ 25 વર્ષથી નોકરી કરનારા કર્મચારીઓને આનો પૂરો લાભ મળશે. બેઝિક પેન્શનના 25 ટકા રોજગારના છેલ્લા 12 મહિનામાં આપવામાં આવશે. 10 વર્ષ સુધી કામ કરનારને 10,000 રૂપિયાનો ફાયદો થશે.

આ લાભ પણ મળશે:

આ સ્કીમમાં 60 ટકા ફેમિલી પેન્શન આપવામાં આવશે એટલે કે જો કોઈ સરકારી કર્મચારીનું મૃત્યુ થાય છે, તો તેના આશ્રિતને અંતિમ પેન્શનના 60 ટકા મળશે. NPS અને UPS બંને વિકલ્પમાં હશે અને કોઇ એકની પસંદગી કરવાની રહેશે. અગાઉ જેમણે NPS પસંદ કરી છે તે લોકોને પણ આનો લાભ મળશે. રાજ્ય સરકાર પણ આ મોડલનો અમલ કરી શકશે. જો કે આ માટે કર્મચારીઓએ અલગ ફાળો આપવો પડશે નહીં. તેનો 18% હિસ્સો કેન્દ્ર સરકાર ભોગવશે. એનપીએસની જેમ કર્મચારીનું યોગદાન દસ ટકા રહેશે.

August 24, 2024
shikhar.jpg
1min317

શિખર ધવને(Shikhar Dhawan) ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી છે. તેમણે આ ક્રિકેટ સફરમાં સાથ આપવા બદલ ચાહકોનો પણ આભાર માન્યો હતો. ‘ગબ્બર’ તરીકે પ્રખ્યાત ધવને તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચ રમી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 10,000 થી વધુ રન બનાવ્યા.

શિખર ધવને એક વીડિયો શેર કર્યો છે. જેમાં કહ્યું કે “મારા માટે જીવનનો એક ઉદ્દેશ હતો કે ભારત માટે રમવું. મને આ ઉદ્દેશ પરિપૂર્ણ કરવામાં સફળતા મળી. જેની માટે હું અનેક લોકોનો આભારી છું. ધવને સૌ પ્રથમ પોતાના પરિવાર, પછી બાળપણના કોચ જેમનું નિધન થઇ ચૂક્યું છે તે તારક સિંહાનો પણ આભાર માન્યો. તેમણે મદન શર્મા પાસેથી ક્રિકેટની ટેકનિક શીખવા બદલ તેમનો પણ આભાર માન્યો. “

હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું…

શિખર ધવને કહ્યું, “કે જીવનની વાર્તામાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી છે, હવે હું પણ તે જ કરવા જઈ રહ્યો છું. મેં પણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મને મારા દેશ માટે આટલી બધી મેચ રમવાનું સૌભાગ્ય મળ્યું તે માટે હું BCCI અને પ્રશંસકોનો પણ આભાર માનું છું.

ધવને વધુમાં કહ્યું હતું કે તેને જરાય દુઃખ નથી કે તે હવે પોતાના દેશ માટે નહિ રમી શકે. તેના બદલે હું ખુશી અને ગર્વ અનુભવું છું કે તેને આટલા લાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.

શિખર ધવને છેલ્લે વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે વનડે મેચ રમીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કમનસીબે, ધવન તેની છેલ્લી ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો કારણ કે તેણે 8 બોલમાં માત્ર 3 રન બનાવ્યા હતા. આ એ જ મેચ હતી જેમાં ઇશાન કિશને 131 બોલમાં 210 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. ભારતે તે મેચ 227 રનથી જીતી લીધી હતી.

August 17, 2024
madhabi-booch.png
1min275

સેબીના ચીફ માધબી પુરી બુચ ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. હાલમાં જ હિંડનબર્ગના અહેવાલ બાદથી માધબી પુરી બુચ પર અતિગંભીર આરોપ લાગી રહ્યા છે. તેમના પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ છે. વિપક્ષ દ્વારા સેબી ચીફના રાજીનામાંની માંગ કરવામાં આવી છે ત્યાં વધુ એક રિપોર્ટમાં નવા ધડાકાના કારણે માધબી પુરી બુચની મુશ્કેલીઓ વધી છે.

માધબી પુરી બુચ પર આરોપ છે કે સેબીમાં જોડાયા બાદ પણ તેઓ પોતાની કન્સલ્ટન્સી ફર્મથી નફાની કમાણી કરી રહ્યા હતા. રોયટર્સના અહેવાલમાં આ ગંભીર ખુલાસો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2017માં માધબી સેબીમાં જોડાયા હતા અને 2022માં તેમને સેબીના ચીફ બનાવવામાં આવ્યા હતા.

અગોરા એડવાઇઝરી દ્વારા કરી કમાણી

રૉયટર્સના રિપોર્ટ અનુસાર કંપની રજીસ્ટ્રાર પ્રમાણે અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડે છેલ્લા સાત વર્ષમાં 4,42,025 ડોલરની કમાણી કરી છે. આ એ જ કંપની છે જેમાં 99 ટકા ભાગીદારી માધબી પુરી બુચની છે. આમ માધબી જ્યારે સેબીમાં હતા ત્યારે પણ તેઓ પોતાની ફર્મથી કમાણી કરી રહ્યા હતા જે નિયમોનું ઉલ્લંઘન છે.

શું કહે છે સેબીનો નિયમ

સેબીના 2008ના નિયમો અનુસાર કોઈ પણ અધિકારી એવી પોસ્ટ હોલ્ડ ન કરી શકે જેનાથી તેમને નફો તહતો હોય, અથવા સેલેરી મળતી હોય. હિંડનબર્ગે જ્યારે માધબીની કંપની તથા અદાણી વચ્ચે લિન્કનો દાવો કર્યો ત્યારે માધબીએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે અમે કન્સલ્ટન્સી ફર્મની જાણકારી સેબીને આપી જ હતી તથા 2019થી તેમના પતિ આ બિઝનેસ સંભાળી રહ્યા છે.

હિંડનબર્ગના રિપોર્ટમાં બે કન્સલ્ટન્સી ફર્મની વાત કરવામાં આવી હતી. સિંગાપોરની આગોરા પાર્ટનર્સ તથા ભારતની અગોરા એડવાઇઝરીનું સંચાલન માધબી પુરી બુચ અને તેમના પતિ કરી રહ્યા હતા. માધબીએ અગોરા પાર્ટનર્સમાંથી પોતાની ભાગીદારી પતિને 2022માં ટ્રાન્સફર કરી હતી.