
આર્થિક ભીંસમાં સપડાયેલી જૅટ ઍરવેઝની ઇન્ટરનેશનલ ફલાઇટ્સની સર્વિસ અચાનક બંધ થયા બાદ લોકોની વેકેશનની યોજના પડી ભાંગી છે. છેલ્લી ઘડીએ એડવાન્સમાં બુક કરાવેલી ફલાઇટની ટિકિટો રદ થતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ખાનગી કંપનીઓએ તેના ભાવમાં એકાએક વધારો કરતા અનેક પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં વેકેશનની સિઝન ચાલુ હોવાથી ફલાઇટની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ જ અન્ય ઍરલાઇન્સના ભાડા પણ તુલનામાં વધુ છે, તેને કારણે ટ્રાવેલ્સ કંપનીઓએ તેના ટૂરના પૅકેજના ભાવ વધારી દીધા છે. પરિણામે લોકોને તેના ખિસ્સામાંથી વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા હોવાથી તેમનું આર્થિક બજેટ પણ ખોરવાયું છે.
એપ્રિલથી જૂન મહિનો એ વેકેશનનો સમયગાળો હોય છે. શાળા-કૉલેજમાં રજા હોવાથી મોટા ભાગના લોકો સહપરિવાર બહારગામ અથવા દેશ-વિદેશમાં પોતાની મેળે અથવા ટૂર્સ એન્ડ ટ્રાવેવ્સ મારફત ફરવા માટે જતા હોય છે. આ સમયગાળામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને ફલાઇટની ટિકિટો પણ પ્રમાણમાં મોંઘી થાય છે. તેને કારણે અનેક લોકો અગાઉથી જ ફલાઇટની ટિકિટ બુક કરાવીને રાખતા હોય છે, જેથી કરીને તેમને વધુ પૈસા ન ચૂકવવા પડે. જોકે, જૅટ ઍરવેઝે છેલ્લી ઘડીએ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ રદ કરતા અનેક પ્રવાસીઓની વેકેશનની યોજના અટવાઇ પડી છે. અનેક લોકો પર બહારગામ પહોંચ્યા પછી પાછા ફરવા માટે મોંઘી ટિકિટ ખર્ચવાની નોબત આવી છે.
આ અંગે એક પર્યટન કંપનીના જણાવ્યા અનુસાર પર્યટન કંપનીઓ એકસાથે અનેક પર્યટકોની વિમાનની ટિકિટ આરક્ષિત કરતી હોય છે. એવામાં છેલ્લી ઘડીએ ફલાઇટ રદ થતા નવેસરથી ટિકિટ કાઢવાનું ખર્ચાળ પડે છે. ટૂરના ખર્ચમાં વધારો થતા અમારે પણ પર્યટકો પાસેથી પૈસા વસૂલવા પડે છે. જો એમ ન કરીએ તો અમારે નુકસાન વેઠવાનો વારો આવે. જૅટની પરિસ્થિતિનો ફટકો આગામી એકાદ બે વર્ષ સુધી પર્યટન વ્યવસાય પર પડવાની શકયતા છે.
દરમિયાન એક પ્રવાસીએ તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે સિંગાપુર જવા માટે જૅટની ટિકિટ 27 હજાર રૂપિયામાં મળે છે. જોકે, આવી પરિસ્થિતિમાં ઍર ઇન્ડિયા અને સિંગાપુર ઍરલાઇન્સની ટિકિટ છેલ્લી ઘડીએ 72 હજાર રૂપિયા પર ગઇ. તેને કારણે બીજી કંપનીના વિમાન મારફત ચેન્નઇ દ્વારા પ્રવાસ કરવો પડ્યો. સવા પાંચ કલાક માટે 12 કલાક પ્રવાસ કરીને હાલાકી ભોગવવી પડી હોવાથી પ્રશાસન સામે આક્રોશ વ્યકત કર્યો હતો.



















