
આંધ્ર પ્રદેશ રાજ્યમાં વિવિધ કેસોમાં તપાસ તથા દરોડા હાથ ધરવા સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને છૂટ આપતી ‘સામાન્ય મંજૂરી’ પાછી ખેંચી લેતો જે આદેશ ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટીની સરકારે 8મી નવેમ્બર, 2018ના દિવસે ગવર્મેન્ટ ઑર્ડર (જીઓ)ના રૂપમાં બહાર પાડ્યો હતો એને વાય. એસ. જગન મોહન રેડ્ડીની નવી સરકારે ગુરુવારે રદ કરી નાખ્યો હતો.
દેશની સર્વોચ્ચ તપાસ-સંસ્થા સીબીઆઇ પોતાની કાર્યવાહી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ કરે છે.
આ ધારાની કલમ 6 હેઠળ રાજ્ય સરકાર સીબીઆઇને રાજ્યમાં પોતાની સત્તાના ઉપયોગ માટેની રાબેતામુજબ મંજૂરી આપતી હોય છે અને આંધ્ર પ્રદેશ સરકારે પણ સમયાંતરે આવી મંજૂરીઓ આપી હતી. જોકે, નાયડુએ ગયા વર્ષે માર્ચમાં જ્યારથી નરેન્દ્ર મોદી સરકારની આગેવાની હેઠળની એનડીએ સરકાર સાથેના સંબંધો કાપી નાખ્યા હતા ત્યારથી આક્ષેપો કર્યા હતા કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને લક્ષ્યાંક બનાવવા સીબીઆઇ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે.
રાજ્યમાં એ સમયની શાસક તેલુગુ દેસમ પાર્ટીની નજીકની માલિકીના કેટલાક ધંધાકીય સંસ્થાનો પર આવકવેરા સત્તાધીશોએ પાડેલા દરોડાને પગલે નાયડુ રાતા-પીળા થઈ ગયા હતા. એને પગલે તેમણે જાહેરાત કરી હતી કે તેમની રાજ્ય સરકાર આ દરોડા પાડવા માટે આવકવેરા અધિકારીઓને સલામતીનું કવચ પૂરું નહીં પાડે.















