શિક્ષણ વિભાગે કબૂલાત કરી હતી કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધા બાદ ૭૩,૫૪૭ જેટલા બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. ભણવાનું છોડી દીધેલા આ બાળકો શું કરે છે તેની કોઈ જાણકારી ન હોવાની પણ કબૂલાત કરી હતી.
ગુજરાતની ભાજપ સરકાર સર્વ શિક્ષણ અભિયાન હેઠળ રાજ્યમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા દર વર્ષે મોટી મોટી જાહેરાતો કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી પ્રવેશના મોટા આંકડા બતાવવાની વાતો કરતી ભાજપ સરકાર પ્રવેશ લીધેલ બાળકની શિક્ષણની કોઈ જ ખબર રાખતી ન હોવાનું સામે આવ્યું હતું. વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રવેશ લીધા બાદ જે બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. તેવા બાળકોએ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવી લીધો હોય અને સ્કૂલો દ્વારા તેની કોઈ વિગતો રાખવામાં આવી ના હોય તો પણ આ બાળકો મિસિંગ હોઈ શકે છે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળામાં અને ત્યાર બાદ ધોરણ.૮ પછી તેમ જ ધોરણ.૧૦ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે. ધોરણ.૮ કે ધોરણ.૧૦ પછી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવે તો તેની જાણકારી પણ સ્કૂલોએ મેળવી ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે, આ સિવાય કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે તો તેના કારણો જાણી ભણવાનું શરૂ થાય તેના પ્રયાસો કરવાની પણ સૂચના અપાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હવે જે બાળકો પ્રવેશ મેળવે છે તેમનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા ઉપરાંત દર વર્ષે વર્ષના અંતે તે બાળકોનો ડેટા ફરીથી રિ-કોલ કરાવામાં આવે છે. જ્યારે હવે નવા વર્ષથી ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ થશે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે, અંદાજે ૩૦ ટકા જેટલા બાળકો નાપાસ થશે.
વર્ષ-૨૦૨૦માં ધોરણ.૫માં અને ધોરણ.૮માં નાપાસ થનાર ૩૦ ટકા બાળકોની સંખ્યા વધશે જ્યારે ધોરણ.૬ અને ધોરણ.૯માં ૩૦ ટકા બાળકોની સંખ્યા ઘટશે. જેના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આ વર્ગોમાં મહેકમ તેમ જ વહીવટી બાબતોમાં પણ ફેરફાર થશે. રાજ્ય સરકાર ચાલુ વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦૦ ટકા પ્રવેશ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે બાળકોની સંખ્યાનો આંકડો જન્મના આંકડા પ્રમાણે ૧૨,૦૯,૦૦૦ જેટલા બાળકોને આ વખતે પ્રવેશ આપવાનો ટાર્ગેટ નક્કી રહ્યો છે.





















