સોનીબજારમાં પેઢી ધરાવતા વેપારીને ત્યાં 13 દિવસ પહેલા જ નોકરીએ રહેલા બંગાળના બે પરપ્રાંતીય કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(Symbolic photo)
ભક્તિનગર સર્કલ પાસે મયુરપાર્કમાં ધર્મધ્વજ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનીબજારમાં પીપળા શેરીમાં શાંતિ કોમ્પલેકસમાં દુકાન ધરાવતા અને સોની કામ કરતા મનદીપ મનસુખભાઈ રાધનપુરા નામના સોની વેપારીની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળના હુગલીના કલ્યાનશ્રી બાલાસર ગામના અને હાલમાં રાજકોટમાં રહેતા પાર્થ ઉર્ફે પ્રસન્નજીત ચક્રવર્તી અને બીશ્વજીત ચક્રવર્તી નામના બન્ને કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
વેપારી મનદીપ રાધનપુરાની દુકાનમાં બન્ને બંગાળી કારીગરો તેમજ બાલકૃષ્ણ વાગડિયા કામ કરે છે અને ગત તા.13ના બાલકૃષ્ણભાઈ જમવા ગયા હતા અને છ વાગ્યે પરત આવતા બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. સવારે જ બે વેપારી જયદીપ રાણપરા અને સંદીપ રાણપરાના દાગીના બનાવવાના કામ માટે સોનુ આપ્યું હતું. બપોરે જમીને આવતા દુકાનનું શટર અડધુ ખુલ્લુ હતુ અને બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. બન્ને કારીગરો દુકાનની સામે અંસારીભાઈના મકાનમાં રહેતા હોય પૂછતાછ કરતા બન્ને કારીગરો બપોરના જમીને નીકળી ગયાનું ખુલ્યું હતુ અને દુકાનમાં તપાસ કરતા રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ ચોરીને નાસી છૂટયાનું ખુલ્યું હતું. બન્ને કારીગરો 13 દિવસ પહેલા જ રાજકોટના અલમ શેખ નામના શખસની ઓળખાણથી કામે રહ્યા હતા.
















