
નવેમ્બરથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે સરકારે નોંધણીનું કામકાજ શરું કર્યું હતુ. પરંતુ ખાટલે મોટી ખોટ હોય એમ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો હતો. કેટલાક સેન્ટરોમાં સર્વર સાવ ધીમા હતા. ક્યાંક પૂરતી જાણકારીના અભાવે ખેડૂતો હેરાન થયા હતા. જનરેટ થયેલા ઓટીપી ખેડૂતોના મોબાઇલમાં જતા હતા અને મોબાઇલ ખેડૂતો ઘેર મૂકી આવતા પણ પરેશાની થઇ હતી.
ગુજરાતભરમાં આશરે 19થી 20 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી.
રાજકોટના જૂના યાર્ડમાં રાતથી જ ખેડૂતો આવી પડયા હતા. સવારે 10 વાગ્યે નોંધણી માટે સર્વર ડાઉન થઇ જતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જોકે અર્ધી કલાકમાં પૂર્વવત થઇ જતા નોંધણી આરંભાઇ હતી. જિલ્લાના 11 યાર્ડોમાં 815 નોંઘણી થઇ હતી. ગ્રામસેવકોનો ઉમેરતા કુલ આંકડો 4000 નજીક પહોંચ્યો હતો.
પુરવઠા નિગમના અધિકારીએ કહ્યું કે, ખેડૂતો ઉમટી પડતા લોડ વધી ગયો હતો અને કામકાજ ખોરવાયું હતુ. જોકે એ પછી પૂર્વવત થયુ હતુ. બાદમાં ઓટીપીને લઇને સમસ્યા થઇ હતી. નોંધણીમા ઓટીપી બનતા હતા તે મોબાઇલમાં જતા હતા અને ઘણા ખેડૂતોના મોબાઇલ ઘેર હતા એટલે સર્વર ઠપ થઇ જતા હતા. જોકે જે ખેડૂતોની સમસ્યા થઇ તેમને ટોકન આપી દેવાયા હતા.
ગુજરાતમાં કુલ 124 જેટલા કેન્દ્રો પર થનારી ખરીદી માટે નોંધણી શરું થતા આરંભે નોંધણી શરું થઇ હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોએ સમસ્યા ભોગવી હતી. જૂનાગઢના કેન્દ્રમાં ખેડૂતોને અપૂરતી જાણકારી હોવાને લીધે હજારો ખેડૂતો એકત્ર થઇ ગયા હતા. જોકે યાર્ડના સત્તાવાળાઓએ દોડી જઇને ગ્રામ સેવકોને ત્યાં પણ નોંધણી થતી હોવાનું સમજાવતા મામલો થાળે પડયો હતો. સરકારે ગ્રામસેવકનો પ્રચાર ન કરતા અસંખ્ય ખેડૂતોને ધરમધક્કો થયો હતો.’ જામકંડોરણામાં શાંતિપૂર્વક નોંધણી શરું થઇ હતી.
જામનગરના હાપા માર્કાટિંગ યાર્ડમાં પણ 200 જેટલા ખેડૂતો પોતાની મગફળી વેચાય તે માટે રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા પરંતુ નોંધણી થઇ નહીં અને અંતે પુરવઠા અધિકારી અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ ગઇ હતી.
ખેડૂતોએ કહ્યું’ કે, નોંધણી વખતે દરેક કેન્દ્રો ઉપર પાંચ પાંચ ટીમ રાખવાની વાત થઇ હતી પણ કોઇ ટીમ દેખાતી ન હતી.એ કારણે નોંધણી વિના ખેડૂતોને પરત ફરવું પડયું હતુ.
ગ્રામપંચાયત ઉપરથી પણ રજીસ્ટ્રેશન વ્યવસ્થા કરવાની જાહેરાત તો થઇ હતી પરંતુ પહેલા દિવસે કશં’ થયું ન હતુ. હવે સરકારે વ્યવસ્થા સઘન બનાવવી પડશે.




















