ગુજરાતમાં કોરોનાના સંક્રમણે પગરવ માંડ્યાને છ મહિનામાં ચેપગ્રસ્તોની સંખ્યા ૮૦૦૦૦ને પાર થવાની તૈયારીમાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૦૩૩ નવા કેસ સાથે કુલ આંક ૭૯,૮૧૬ સુધી પહોંચ્યો છે એની સાથે વધુ ૧૫ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૨૮૦૦ને પાર થઇ ૨૮૦૨ થયો છે. જ્યારે વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૬૨૫૭૯ સુધી પહોંચ્યો છે જે ૭૮.૪૦ ટકા થયો છે.
હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૪૩૫ છે એમાંથી ૬૯ વેન્ટીલેટર ઉપર તેમજ ૧૪૩૬૬ સ્ટેબલ છે. બીજી તરફ ત્રીસ દિવસ પછી પહેલી વખત સુરતમાં મૃત્યુ આંક ઘટીને ૩ થયો છે. ૭ જુલાઇના રોજ સુરતમાં કોવિડથી સંક્રમિત ૩ દર્દીના મૃત્યુ નોંધાયા પછી સતત આંક વધતો રહ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કર્યા પછી ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખી કાઢવા માટે થતાં ટેસ્ટ વધારવામાં આવ્યા હતા. ૧૨ ઓગસ્ટે પહેલી વખત ૫૦ હજારનો આંક પાર કર્યા પછી પાંચ જ દિવસમાં આ આંક ફરીથી ઘટી ૪૫,૫૪૦ થઇ ગયો છે. આ ટેસ્ટથી નવા ૧૦૩૩ કેસ મળ્યા છે અને ૧૫ દર્દીના મૃત્યુ થયા છે એમાં અમદાવાદમાંથી કુલ ૧૫૮ કેસ અને શહેરના ૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે જ્યારે સુરતમાં કુલ ૨૪૪ કેસ સાથે ૩ દર્દીના મૃત્યુ થયા છે.
સુરતમાં ત્રીસ દિવસ પછી કોરોનાના સંક્રમણની સ્થિતિ ક્રમશ: નિયંત્રણમાં આવી રહી હોય એમ સમજાય છે. જોકે, મૃત્યુના કિસ્સામાં ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ જ કોવિડ-૧૯ સંક્રમિત દર્દીના મૃત્યુ આંક જાહેર થતાં હોવાથી રાજ્યમાં જૂન મધ્ય પછી મૃત્યુ આંકમાં રીતસર ઘટાડો થઇ રહ્યો છે જોકે, આજેય રાજ્યનો મૃત્યુ આંક ૪ ટકાની નીચે છે, પરંતુ એ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઊંચો છે.
વડોદરા શહેરમાં નવા ૯૪ કેસ અને ગ્રામ્યમાંથી ૧૫ મળી કુલ ૧૦૯ કેસ ઉમેરાયા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૫ કેસ તથા ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી ૩૨ કેસ નવા નોંધાયા છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગર સહિતના જિલ્લામાં રાજકોટમાં સતત ૯૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાજકોટ શહેરમાંથી ૬૦ અને જિલ્લાના ૩૨ મળી ૯૨ કેસ ઉમેરાયા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાંથી વધુ ૪૧ મળી કુલ ૪૪ કેસ નવા નોંધાયા છે જ્યારે ભાવનગર શહેરમાંથી ૨૦ અને ગ્રામ્યના ૯ મળી ૨૯ કેસ નોંધાયા છે એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢમાંથી કુલ ૨૧ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસ નોંધાયા છે.
સતત ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લામાંથી નવા કેસ મળી રહ્યા છે. ગોધરા, કાલોલ, હાલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૨૯ કેસ ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાંથી ૨૮ કેસ નવા નોંધાયા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, અબડાસા, ભૂજ, રાપરમાંથી ૨૪ કેસ આવ્યા છે. મોરબામંથી ૨૨, પાટણમાંથી ૨૧ કેસ, ગીર સોમનાથના ૧૯, મહેસાણામાં ૧૭, ભરૂચમાં ૧૬ કેસ નવા નોંધાયા છે.
દાહોદ, નવસારી અને સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ, ખેડામાં ૧૧, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નર્મદામાંથી ૯-૯ કેસ, મહીસાગર, પોરબંદરમાંથી ૮-૮, સાબરકાંઠા, તાપી, વલસાડમાંથી ૫-૫, અરવલ્લી અને બોટાદમાંથી ૪-૪, છોટાઉદેપુરમાંથી ૩ અને અન્ય રાજ્યના ચાર નવા કેસ નોંધાયા છે.








