ગુજરાતમાં તા.23મી ઓગસ્ટને રવિવારે સાંજે 8 વાગ્યા સુધીમાં કુલ કુલ ૧૭,૫૬,૧૩૩ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા હતા. આ ટેસ્ટની સંખ્યામાંથી ગુજરાતમાં કોરોનાના કુલ ૮૬,૭૭૯ પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પૈકી અત્યાર સુધીમાં ૬૯,૨૨૯ દર્દી સાજા થયા છે. અલબત્ત, ૨૮૯૭ દર્દીના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં ૧૪૬૫૩ એક્ટિવ કેસ છે એમાં ૭૯ દર્દીને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રાખવા પડયા છે જ્યારે ૧૪૫૭૪ દર્દી સ્ટેબલ છે.
તા.23મીએ ગુજરાતમાં કોરોનાનું સ્ટેટસ
કોરોનાના સંક્રમિત દર્દીઓને શોધવા માટે રાજ્યભરમાં થતાં વિવિધ ટેસ્ટના આંકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓચિંતો ઘટાડો થતાં બે દિવસની વિક્રમી ૧૨૦૦ કેસની સપાટી તોડી ફરી ૧૧૦૦ની સપાટીએ કેસ પહોંચ્યા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ૬૦૮૦૮ ટેસ્ટમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે. બીજી તરફ સારવાર હેઠળ રહેલા વધુ ૧૪ દર્દીના મૃત્યુ થયા છે જ્યારે આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ વધુ ૯૭૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ અને સુરતમાં ૫-૫, જૂનાગઢમાં ૨ તેમજ રાજકોટ અને વડોદરામાં ૧-૧ દર્દીના કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થયા છે.
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે જામનગર શહેરમાંથી ૭૬ કેસ નવા નોંધાયા છે ગ્રામ્યમાંથી ૯ કેસ ઉમેરાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૩ અને ગ્રામ્યમાંથી ૩૬ મળી કુલ ૯૯ કેસ નવા નોંધાયા છે. ભાવનગરમાં ૪૧ કેસમાં શહેરના ૨૫ કેસનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢમાં કુલ ૨૭ કેસમાં ગ્રામ્યના ૧૫ કેસનો સમાવેશ થાય છે.






