ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર
2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે.
9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે.
10 જૂને ફોર્મની ચકાસણી કરાશે
11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
22 જૂને મતદાન યોજાશે.
25 જૂને મતગણતરી હાથ ધરાશે.
ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણી માટે અંતિમ મતદાન 78.30 ટકા હતું, જેમાં 1.81 કરોડ લાયક મતદારોમાંથી 1.42 કરોડથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 47,000 થી વધુ પંચાયત વોર્ડમાં સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો અને સભ્યો પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.
એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે ગુજરાતનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેના આંકડા આજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે.
આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી – 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.
આ અંગે રેવતુભા રાયજાદાએ મુંબઇ સમાચાર સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું 1990થી આ વસ્તી ગણતરીમાં જોડાઉ છું. વર્ષ 1995 સુધી ભક્ષ્ય આપીને વસ્તી ગણતરી બંધ થઈ અને ત્યારબાદ બીટ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. બીટ એટલે જંગલનો ચોક્કસ વિસ્તાર. બીટ સેન્સસને શરૂઆતમાં અસફળ ગણવામાં આવતી હતી પરંતુ બાદમાં ટેક્નોલોજીના ઉપયોગથી આ પદ્ધતિ ઘણી સફળ રહી. મોટા ભાગે વાસ્તવિક સંખ્યા જેટલો જ અંદાજ મળી આવી છે.
સિંહની વસ્તી ગણતરી દરમિયાન ગણતરીકારે ઘણા કામ કરવાના રહે છે. તેમને 2-3 જાતના ફોર્મ ભરવાના રહે છે. તે ઉપરાંત સિંહનાં શરીર પર નિશાનને જોવામાં આવે છે. જીપીએસ લોકેશન આપવામાં આવે છે, એક લોકેશન પરથી સિંહની હલન-ચલન ગતિની પણ માહિતી રાખવામાં આવે છે. સિંહની વસ્તીગણતરીમાં ફોટો પાડીને સરળતાથી સિંહની ઓળખ કરવામાં આવે છે. તે ઉપરાંત જંગલના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી સિંહના સમય, સ્થળ પર ધ્યાન રાખી શકાય છે. આ બધાના ઉપયોગથી સિંહને ડુપ્લિકેટ થતા હોય તો સિસ્ટમમાંથી કાઢી શકાય છે.
સિંહની વસ્તી ગણતરીમાં વન વિભાગના અધિકારી, ગણતરીકારો, સ્વયંમસેવકો હોય છે. આ બધા કાયરતા સ્થાનિક ગાર્ડ, ટ્રેકર વધુ અનુભવી હોય છે. સિંહ ઉદાર પ્રાણી છે અને તેનાથી અંતર રાખવાથી તે કો દિવસ ઇજાઓ પહોંચાડતો નથી. સિંહના વર્તનનો માલધારીઓ અને સ્થાનિક નિવાસીઓનો અભ્યાસ છે. મોટાભાગે સિંહને પજજવવામાં આવે તો જ હેરાન કરે છે.
સિંહની વસ્તીગણતરીમાં આવેલા આંકડાઓ અનુસાર અમેરેલી જિલ્લામાં વધુ સિંહો નોંધાયા છે. તે માટેના અવશ્ય પરિબળોમાં ખુલ્લી જમીન છે. તે ઉપરાંત અહી હરિયાળીને બદલે સૂકી જમીન છે, અહીનું ભૂપૃષ્ઠ સવાના પ્રકારનું છે. સૂકી જમીન અને પાણીના અભાવે અહી મોસમી ખેતી થાય છે. તે ઉપરાંત અહી મોટાભાગે ડુંગરાળ વિસ્તાર, કાંટાળા વન, વીડીઓ વધુ છે, જેને સિંહો પોતાની સલામતી માને છે. શેત્રુંજીની કોતર સિંહો માટે કોરિડોર બની ગયો છે. અહીથી જ સિંહો ભાવનગર સુધી ગયા છે. અમરેલી જિલ્લામાં જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે. અહી સિંહો માટે વધુ ખોરાક ઉપલબ્ધ છે.
સિંહની વસ્તી વધવાથી હવે સિંહ બહાર ગયા છે. સિંહોના રક્ષણ માટે સિંહની જમીન પર પેશકદમી ન થવી જોઇએ. ગીર અને તેની આજુબાજીના જમીનોમાં દબાણ કરવામાં આવે છે અને જમીન દબાણ બાદ તેનો હિત ધરાવતા લોકો બચાવ કરે છે. સિંહોના રક્ષણ માટે લોકોની ભાગીદારી ખૂબ જ છે. સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકોએ ઘણું સહન કર્યું છે અને તેનું લોકોને ગૌરવ પણ છે.
અમરેલી જિલ્લામાં સિંહો વધી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે અમરેલી જિલ્લામાં સિંહોના અસ્તિત્વ સામે અનેક સમસ્યાઓ પણ છે. ખાસ કરીને રેલવે ટ્રેકમાં અડફેટે આવવાથી સિંહોના મોત. સત્તાવાર આંકડાઓ અનુસાર 2013-14 અને 2023-24 વચ્ચે ટ્રેનની અડફેટે 21 સિંહ મૃત્યુ પામ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે નવી “સુરક્ષા મિકેનિઝમ્સ” મૂકવામાં આવી છે અને 32 સિંહોને ટ્રેનથી દૂર કરવામાં આવ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 8 મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
60-70 કિમીની ઝડપે પવન ફૂંકાશે આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ આ જિલ્લામાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આગાહીને પગલે સંબંધિત જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, કાચા મકાનોને નુકસાન તેમજ વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે રહેવા જણાવવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે ભારતે જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરુ કરી દીધી છે. પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે અનુસાર, ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે.
7/5/25 સાંજે 7:30થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ
સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ‘કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે આવતીકાલે યોજાનાર મોક ડ્રીલની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત સરકારે 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે. મોક ડ્રીલ અંતર્ગત 7 મેના રોજ એટલે કે આવતીકાલે સાંજે 7:30થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે. તમામ નાગરિકો યુદ્ધની સ્થિતિ સમજી શકે એ માટે કેન્દ્રનો આ પ્રયાસ કોઈએ ડરવાની બિલકુલ જરૂર નથી.
સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ, ઘરો અને ઑફિસની લાઇટો બંધ કરવાની રહેશે, બ્લેક આઉટના સમયે હરવા ફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ લોકો ન કરવો, બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઇટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ગાઇડલાઇન મુજબ આ મોક ડ્રીલમાં હૉસ્પિટલ સામેલ નહીં થાય પરંતુ જે ક્રોસ લાઇન કે જે તે બાબત હૉસ્પિટલને પણ કરવાનું થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આવા બ્લેક આઉટ વખતે શું કરવું અને શું ના કરવું તેની માહિતી મળે એ માટે સિવિલ ડિફેન્સ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે.
ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં આ સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વિચ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય એવું નથી થતું, પરંતુ ત્યાંથી પ્રકાશ બહાર ના જાય તેની તકેદારી રાખીને અંદર કામ ચાલુ રાખવાનું હોય છે.
ગુજરાતના આ શહેરોમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ!
ગુજરાતના 18 જિલ્લાના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, કચ્છ-ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારી સહિતના શહેરોમાં મોક ડ્રીલ યોજાશે. અંધારું થતાં જ ઔદ્યોગિક વિસ્તારો સહિત તમામ સ્થળે બ્લેક આઉટ કરાશે.
7/5/25 યોજાનાર મોકડ્રીલને લઈ 6/5/25 મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, DG સિવિલ ડિફેન્સ સહિતના અધિકારીઓ અને નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. 20 જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે મોક ડ્રીલ સંદર્ભે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી હતી.
1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે મોક ડ્રીલ
ગુજરાતમાં 7/5/25 યોજાનારી મોકડ્રીલમાં 13,000 નાગરિક સંરક્ષણ વોલન્ટિયર્સ અને 44,000 હોમગાર્ડ્સ ડ્રીલમાં ભાગ લેશે. આ પ્રકારની વિશાળ ડ્રીલ 1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે. મોકડ્રીલ દરમિયાન શાળાઓ અને કૉલેજોમાં વિદ્યાર્થીઓને બચાવ અને સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ કટોકટીના સમયમાં જરૂરીયાત મુજબ લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવા તે પણ બતાવવામા આવશે.
નાગરિકો માટે દિશાનિર્દેશ
મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વાગી શકે છે. એ સમજવું જરુરી છે કે, આ એક અભ્યાસ છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાયરન સાંભળતાં જ શાંત રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો. જ્યારે સાયરન વાગે ત્યારે તરત જ ખુલ્લા વિસ્તારમાંથી બહાર નીકળો અને સુરક્ષિત મકાન, ઘર અથવા બંકરમાં જતાં રહો. જો તમે બહાર હોવ તો નજીકના મકાનમાં પ્રવેશ કરો અને સાયરન વાગ્યાના 5 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવાનો અભ્યાસ કરો. જો તમારા વિસ્તારમાં બંકર ઉપલબ્ધ હોય તો ત્યાં જતા રહો. મોક ડ્રીલ દરમિયાન ‘ક્રેશ બ્લેકઆઉટ’નો અભ્યાસ કરવામાં આવશે, જેમાં બધી લાઇટો બંધ કરવામાં આવશે, જેથી દુશ્મનને નિશાન લગાવવામાં મુશ્કેલ પડે. તમારા ઘરની બારીઓ, સ્કાયલાઇટ્સ અને દરવાજા કાળા કપડા અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દો, જેથી પ્રકાશ બહાર ન જાય. રસ્તા પર વાહન ચલાવતી વખતે અધિકારીઓના નિર્દેશ મુજબ લાઇટ બંધ કરો અને વાહન રોકી દો. મોક ડ્રીલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. આમાં હુમલાની સ્થિતિમાં પોતાની જાતને બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે. તાલીમમાં હાજરી આપો અને કટોકટીમાં શું કરવું જોઈએ તેની માહિતી મેળવો. આમાં બંકરોમાં છુપાઈને અભ્યાસ, પ્રાથમિક સારવાર અને સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થશે. મોક ડ્રીલમાં સ્થળાંતર યોજનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને સ્થળાંતર દરમિયાન શાંત રહો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજનાની અગાઉથી ચર્ચા કરો અને તમારા નજીકના સ્થળાંતર માર્ગ અને સલામત સ્થળનની જાણકારી મેળવી રાખો. ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. મોક ડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ પ્રસાર કરવામાં આવશે. અફવાઓથી દૂર રહો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો. મોક ડ્રીલ દરમિયાન ઇમરજન્સી કીટની ઉપયોગિતા સમજાવવામાં આવશે. જેમાં પાણી, સૂકો ખોરાક, પ્રાથમિક સારવાર કીટ, ફ્લેશલાઇટ, બેટરી, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની કોપી, વધારાના કપડાં અને ધાબળાનો સમાવેશ થવો જોઈએ. ખાતરી કરો કે આ કીટ સરળતાથી ઉપલબ્ધ છે. સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અને પોલીસ સાથે સહયોગ કરો. જો તમે સિવિલ ડિફેન્સ અથવા હોમગાર્ડ સાથે જોડાયેલા છો, તો તમારી જવાબદારીઓ સમજો અને અન્ય લોકોને મદદ કરો. દરેકને સુરક્ષિત રાખવા માટે પડોશીઓ અને સમુદાય સાથે મળીને કામ કરો. બાળકોને આ મોક ડ્રીલ વિશે અગાઉથી સમજાવો. જેથી તેઓ ગભરાઈ ન જાય. તેમને સાયરન અને બ્લેકઆઉટ પ્રક્રિયા વિશે માહિતીગાર કરો. વૃદ્ધો અને ખાસ જરૂરિયાતો ધરાવતાં લોકોને મદદ કરો જેથી તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શકે. સોશિયલ મીડિયા કે અન્ય સ્ત્રોતોમાંથી આવતા અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી ચેનલો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
ગુજરાતના 104 તાલુકામાં તોફાની પવન સાથે માવઠું, પાંચના મોત; આજે પણ અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત રહ્યો છે. સોમવારે 104 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ-અલગ ઘટનામાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર – ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટી પડયા હતા. વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃદ્ધાનું મોત થયું છે.
ભાવનગરના સિહોરમાં ૧ કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટિલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક મકાનમાં વીજળી પડવાના કારણે મકાનના ખૂણાની દિવાલનો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું. ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડું જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ખેડાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે પવનની ગતિ તેજ હોવાના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે ખેડૂતોના આંબા પરથી કેરીઓ ખરી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. માવઠાને પગલે મગ, ચોળી, બાજરો, ઘાસચારો તેમજ બાગાયતી પાકમાં કેરી, પપૈયાને નુકસાન થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવવ ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થાની સંભાવના છે.
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.
પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળીકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘હોલિકા’ અને ‘હોળી’ કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વ આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સાથે ગુજરાત સિવાયના રાજ્યમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામ છે. તો આવો જાણીએ આ રસપ્રદ માહિતી વીશે.
હરિયાણામાં હોળીને ‘દુલંડી’ કહેવાય છે તો પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં હોળીનું નામ છે ‘ફાગ અને લઠમાર’, તો મહારાષ્ટ્રમાં હોળીને ‘ફાલ્ગુન પૂર્ણિમા’, અને દક્ષિણ ભારતમાં ‘કામદહન’ નામ ઓખળવામાં આવે છે.
હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એક્બીજા પર ફુલો ફેંકી હોળી મનાવે છે. તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે. જ્યારે કોઈ જગ્યાએ ચંદન-કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે
કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઈતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક ‘હોળી’ શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડૂંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. અનાજના ડૂંડાને સંસ્કૃતમાં ‘હોલક’ કહેવામાં આવે છે. એના પરથી ‘હોલિકા’ અને ‘હોલી’ શબ્દો આવ્યા. ગુજરાતીમાં ‘હોલી’ પરથી સમયાંતરે ‘હોળી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.
હોળીની પરંપરાગત કથા-
હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. કુંવર પ્રહલાદ પ્રભુ ભજે એ તેમને ન ગમે. પ્રહલાદને મારી નાંખવા હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતામાં બેઠી. ચિતા સળગાવવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો.
હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે, તેમાં શ્રીફ્ળ-નાળિયેર હોમે છે. અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવ દંપતિ પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે. તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજુર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સહપરિવાર બધા ભોજન કરે છે.
આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું છે. કેટલાક વિસ્તારમાં તો 30થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં પણ પવનનું જોર વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગયું હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
અચાનક જ ઠંડા પવનની ગતિ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન પણ ગગડ્યું છે અને ઠંડકનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી કે, 9થી 13 માર્ચ દરમિયાન કેટલાક ભાગોમાં હીટવેવની વકી છે અને તાપમાન 40 ડિગ્રી સુધી જઇ શકે છે.
આ દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન વધશે, રાજ્યમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 માર્ચથી ચાલુ થઈ શકે છે અને 13 માર્ચ સુધી ચાલુ રહે તેમ છે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.
આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી
નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.
નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.
નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.
બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
નાણા મંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.
ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.
1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.
ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારે ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.
આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી.
સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતાં ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. દિલ્હીમાં સફાયો થયા બાદ સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદૂ જોવા મળ્યો છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં 13 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને આકરી ટક્કર આઈ છે, જ્યારે 15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો ચોડ્યો છે. પરિણામો બાદ સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે. ભૂતકાળમાં સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ રાજ કર્યું છે. છેલ્લે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાં સત્તા હતી. સલાયાની પ્રજાએ સતત બીજીવાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આ પરિણામો પરથી ફલિત થાય છે કે સલાયાની પ્રજા કોંગ્રેસ અથવા અન્ય પક્ષને પસંદગી કરી શકે છે પરંતુ ભાજપ તો કોઇપણ ભોગે ન જોઇએ. ઉલ્લેખનીય છે કે સલાયામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 98 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.