CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 3 of 58 - CIA Live

June 19, 2025
kadi-visavadar.png
1min178

19 જૂન આજે ગુરૂવારે વહેલી સવારથી રાજ્યની બે વિધાનસભા બેઠકો માટે યોજાઇ રહેલી પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આરંભના પ્રથમ કલાકમાં વરસાદી માહોલને કારણે મતદાન શુષ્ક રહ્યું હતું.

કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થતાં જ ત્રણેય રાજકીય પાર્ટીઓના કાર્યકરોમાં ઉત્તેજના જોવા મળી હતી તેટલી ઉતેજના મતદારોમાં જોવા મળી નથી.

વિસાવદરની પેટાચૂંટણી માટે એક તરફ આમ આદમી પાર્ટી (AAP) એ બે મહિના અગાઉ જ ઉમેદવાર જાહેર કરીને પ્રચાર શરૂ કરી દીધો હતો. જ્યારે ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કર્યા હતા. આ પેટાચૂંટણીમાં મુખ્યત્વે જંગ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું મનાઇ રહ્યું છે, પરંતુ કોંગ્રેસની ભૂમિકા પણ અતિમહત્ત્વની છે.

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખુબ જ ચર્ચામાં છે. જ્યાં ત્રણેય પાર્ટીઓના પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિકોણિય જંગ છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણી માટે રાજનૈતિક પાર્ટીઓના ઉમેદવારોએ નામાંકન દાખલ કરી દીધુ છે. ગાંધીનગર પાસે આવેલી કડી વિધાનસભા સીટ પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડા ચૂંટણી મેદાનમાં છે. એસસી રિઝર્વ સીટ પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં વર્તમાન ધારાસભ્ય કરસનભાઈ પૂંજાભાઈ સોલંકીના નિધનથી કડી બેઠક ખાલી થઈ, જ્યારે ભૂપેન્દ્રભાઈના રાજીનામા બાદ વિસાવદર બેઠક ખાલી થઈ હતી. ચૂંટણી આયોગે આ બંને સીટો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી 2 જૂનના રોજ કરી હતી.

23 જૂને મતગણતરી થશે

19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.

June 2, 2025
bjplogo.png
1min165

ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કડી વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પાટીદાર મતોનું પ્રભુત્વ હોઈ રાજકીય પાર્ટીઓ આ બેઠક પર પાટીદાર કાર્ડ ખેલવા જઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી સાથે પત્તુ ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ભુપત ભાયાણીને ટિકિટ આપવામાં ન આવતા રાજકીય અટકળોનું બજાર તેજ બન્યું છે. ભુપત ભાયાણી, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓનું પત્તુ કપાયું છે.વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામ પર સસ્પેન્સ યથાવત રહ્યું છે.

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે ભાજપે પસંદગીનો કળશ રાજેન્દ્ર ચાવડા પર ઢોળ્યો છે.

May 29, 2025
Vande_Bharat_Express_around_Mumbai.jpg
1min127

સોમનાથની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના લોકોને નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે, જે સાબરમતી (અમદાવાદ) થી વેરાવળ (સોમનાથ મંદિર) સુધી દોડશે. આ ટ્રેન કુલ 438 કિમીનું અંતર ફક્ત 7 કલાકમાં કાપશે, જેના કારણે હવે ભક્તો અને પ્રવાસીઓ લાંબા થાક વિના સરળતાથી સોમનાથ મંદિર પહોંચી શકશે.

આ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચલાવવામાં આવશે અને આ ટ્રેન ગુરુવારે દોડશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તે સાબરમતીથી સવારે 5:25 વાગ્યે ઉપડશે અને બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન વેરાવળથી બપોરે 2:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:35 વાગ્યે ફરીથી સાબરમતી સ્ટેશન પહોંચશે.

મુસાફરી દરમિયાન ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સહિત પાંચ મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. આ હોલ્ટ ફક્ત સ્થાનિક મુસાફરો માટે જ ફાયદાકારક રહેશે નહીં પરંતુ ગિરનાર પર્વત અને અન્ય ધાર્મિક સ્થળોની યાત્રાને પણ સરળ બનાવશે.

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારના વિકલ્પો છે, જેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, જીપીએસ આધારિત મુસાફરોની માહિતી પ્રણાલી, ઓટોમેટિક દરવાજા અને વધુ સારી સલામતી સુવિધાઓ છે.

આ ટ્રેનના લોન્ચિંગ સાથે વડા પ્રધાન મોદીએ દાહોદમાં બનેલા ભારતના પ્રથમ 9000 હોર્સપાવર ડી-90 ઇલેક્ટ્રિક એન્જિનનું પણ ઉદ્ઘાટન કર્યું, જે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવ્યું છે. આ ટ્રેન દ્વારા ફક્ત ધાર્મિક પ્રવાસનને જ નહીં પરંતુ ગુજરાતના રેલ્વે માળખાને પણ એક નવું પરિમાણ મળશે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના સંચાલન સાથે સોમનાથ જેવા પવિત્ર સ્થળોની મુસાફરી હવે પહેલા કરતાં વધુ સરળ અને આરામદાયક બનશે.

May 29, 2025
election_voting.jpg
1min145

ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર

  • 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે.
  • 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે.
  • 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે
  • 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
  • 22 જૂને મતદાન યોજાશે.
  • 25 જૂને મતગણતરી હાથ ધરાશે.

ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણી માટે અંતિમ મતદાન 78.30 ટકા હતું, જેમાં 1.81 કરોડ લાયક મતદારોમાંથી 1.42 કરોડથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 47,000 થી વધુ પંચાયત વોર્ડમાં સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો અને સભ્યો પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.

May 22, 2025
lions-1280x853.jpg
1min114

એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે ગુજરાતનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેના આંકડા આજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે.

આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી – 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.

આ અંગે રેવતુભા રાયજાદાએ મુંબઇ સમાચાર સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું 1990થી આ વસ્તી ગણતરીમાં જોડાઉ છું. વર્ષ 1995 સુધી ભક્ષ્ય આપીને વસ્તી ગણતરી બંધ થઈ અને ત્યારબાદ બીટ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. બીટ એટલે જંગલનો ચોક્કસ વિસ્તાર. બીટ સેન્સસને શરૂઆતમાં અસફળ ગણવામાં આવતી હતી પરંતુ બાદમાં ટેક્નોલોજીના ઉપયોગથી આ પદ્ધતિ ઘણી સફળ રહી. મોટા ભાગે વાસ્તવિક સંખ્યા જેટલો જ અંદાજ મળી આવી છે.

સિંહની વસ્તી ગણતરી દરમિયાન ગણતરીકારે ઘણા કામ કરવાના રહે છે. તેમને 2-3 જાતના ફોર્મ ભરવાના રહે છે. તે ઉપરાંત સિંહનાં શરીર પર નિશાનને જોવામાં આવે છે. જીપીએસ લોકેશન આપવામાં આવે છે, એક લોકેશન પરથી સિંહની હલન-ચલન ગતિની પણ માહિતી રાખવામાં આવે છે. સિંહની વસ્તીગણતરીમાં ફોટો પાડીને સરળતાથી સિંહની ઓળખ કરવામાં આવે છે. તે ઉપરાંત જંગલના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી સિંહના સમય, સ્થળ પર ધ્યાન રાખી શકાય છે. આ બધાના ઉપયોગથી સિંહને ડુપ્લિકેટ થતા હોય તો સિસ્ટમમાંથી કાઢી શકાય છે.

સિંહની વસ્તી ગણતરીમાં વન વિભાગના અધિકારી, ગણતરીકારો, સ્વયંમસેવકો હોય છે. આ બધા કાયરતા સ્થાનિક ગાર્ડ, ટ્રેકર વધુ અનુભવી હોય છે. સિંહ ઉદાર પ્રાણી છે અને તેનાથી અંતર રાખવાથી તે કો દિવસ ઇજાઓ પહોંચાડતો નથી. સિંહના વર્તનનો માલધારીઓ અને સ્થાનિક નિવાસીઓનો અભ્યાસ છે. મોટાભાગે સિંહને પજજવવામાં આવે તો જ હેરાન કરે છે.

સિંહની વસ્તીગણતરીમાં આવેલા આંકડાઓ અનુસાર અમેરેલી જિલ્લામાં વધુ સિંહો નોંધાયા છે. તે માટેના અવશ્ય પરિબળોમાં ખુલ્લી જમીન છે. તે ઉપરાંત અહી હરિયાળીને બદલે સૂકી જમીન છે, અહીનું ભૂપૃષ્ઠ સવાના પ્રકારનું છે. સૂકી જમીન અને પાણીના અભાવે અહી મોસમી ખેતી થાય છે. તે ઉપરાંત અહી મોટાભાગે ડુંગરાળ વિસ્તાર, કાંટાળા વન, વીડીઓ વધુ છે, જેને સિંહો પોતાની સલામતી માને છે. શેત્રુંજીની કોતર સિંહો માટે કોરિડોર બની ગયો છે. અહીથી જ સિંહો ભાવનગર સુધી ગયા છે. અમરેલી જિલ્લામાં જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે. અહી સિંહો માટે વધુ ખોરાક ઉપલબ્ધ છે.

સિંહની વસ્તી વધવાથી હવે સિંહ બહાર ગયા છે. સિંહોના રક્ષણ માટે સિંહની જમીન પર પેશકદમી ન થવી જોઇએ. ગીર અને તેની આજુબાજીના જમીનોમાં દબાણ કરવામાં આવે છે અને જમીન દબાણ બાદ તેનો હિત ધરાવતા લોકો બચાવ કરે છે. સિંહોના રક્ષણ માટે લોકોની ભાગીદારી ખૂબ જ છે. સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકોએ ઘણું સહન કર્યું છે અને તેનું લોકોને ગૌરવ પણ છે.

અમરેલી જિલ્લામાં સિંહો વધી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે અમરેલી જિલ્લામાં સિંહોના અસ્તિત્વ સામે અનેક સમસ્યાઓ પણ છે. ખાસ કરીને રેલવે ટ્રેકમાં અડફેટે આવવાથી સિંહોના મોત. સત્તાવાર આંકડાઓ અનુસાર 2013-14 અને 2023-24 વચ્ચે ટ્રેનની અડફેટે 21 સિંહ મૃત્યુ પામ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે નવી “સુરક્ષા મિકેનિઝમ્સ” મૂકવામાં આવી છે અને 32 સિંહોને ટ્રેનથી દૂર કરવામાં આવ્યા હતા.

May 8, 2025
rain.png
1min197

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 8 મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

60-70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ આ જિલ્લામાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના
આગાહીને પગલે સંબંધિત જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, કાચા મકાનોને નુકસાન તેમજ વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે રહેવા જણાવવામાં આવ્યું છે.

May 6, 2025
image.png
1min206

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે ભારતે જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરુ કરી દીધી છે. પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે અનુસાર, ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે.

7/5/25 સાંજે 7:30થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ

સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ‘કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે આવતીકાલે યોજાનાર મોક ડ્રીલની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત સરકારે 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે. મોક ડ્રીલ અંતર્ગત 7 મેના રોજ એટલે કે આવતીકાલે સાંજે 7:30થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે. તમામ નાગરિકો યુદ્ધની સ્થિતિ સમજી શકે એ માટે કેન્દ્રનો આ પ્રયાસ કોઈએ ડરવાની બિલકુલ જરૂર નથી.

સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ, ઘરો અને ઑફિસની લાઇટો બંધ કરવાની રહેશે, બ્લેક આઉટના સમયે હરવા ફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ લોકો ન કરવો, બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઇટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ગાઇડલાઇન મુજબ આ મોક ડ્રીલમાં હૉસ્પિટલ સામેલ નહીં થાય પરંતુ જે ક્રોસ લાઇન કે જે તે બાબત હૉસ્પિટલને પણ કરવાનું થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આવા બ્લેક આઉટ વખતે શું કરવું અને શું ના કરવું તેની માહિતી મળે એ માટે સિવિલ ડિફેન્સ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે.

ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં આ સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વિચ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય એવું નથી થતું, પરંતુ ત્યાંથી પ્રકાશ બહાર ના જાય તેની તકેદારી રાખીને અંદર કામ ચાલુ રાખવાનું હોય છે.

ગુજરાતના આ શહેરોમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ!

ગુજરાતના 18 જિલ્લાના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, કચ્છ-ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારી સહિતના શહેરોમાં મોક ડ્રીલ યોજાશે. અંધારું થતાં જ ઔદ્યોગિક વિસ્તારો સહિત તમામ સ્થળે બ્લેક આઉટ કરાશે.

7/5/25 યોજાનાર મોકડ્રીલને લઈ 6/5/25 મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, DG સિવિલ ડિફેન્સ સહિતના અધિકારીઓ અને નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. 20 જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે મોક ડ્રીલ સંદર્ભે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી હતી.

1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે મોક ડ્રીલ

ગુજરાતમાં 7/5/25 યોજાનારી મોકડ્રીલમાં 13,000 નાગરિક સંરક્ષણ વોલન્ટિયર્સ અને 44,000 હોમગાર્ડ્સ ડ્રીલમાં ભાગ લેશે. આ પ્રકારની વિશાળ ડ્રીલ 1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે. મોકડ્રીલ દરમિયાન શાળાઓ અને કૉલેજોમાં વિદ્યાર્થીઓને બચાવ અને સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ કટોકટીના સમયમાં જરૂરીયાત મુજબ લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવા તે પણ બતાવવામા આવશે.

નાગરિકો માટે દિશાનિર્દેશ

મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વાગી શકે છે. એ સમજવું જરુરી છે કે, આ એક અભ્યાસ છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાયરન સાંભળતાં જ શાંત રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
જ્યારે સાયરન વાગે ત્યારે તરત જ ખુલ્લા વિસ્તારમાંથી બહાર નીકળો અને સુરક્ષિત મકાન, ઘર અથવા બંકરમાં જતાં રહો. જો તમે બહાર હોવ તો નજીકના મકાનમાં પ્રવેશ કરો અને સાયરન વાગ્યાના 5 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવાનો અભ્યાસ કરો. જો તમારા વિસ્તારમાં બંકર ઉપલબ્ધ હોય તો ત્યાં જતા રહો.
મોક ડ્રીલ દરમિયાન ‘ક્રેશ બ્લેકઆઉટ’નો અભ્યાસ કરવામાં આવશે, જેમાં બધી લાઇટો બંધ કરવામાં આવશે, જેથી દુશ્મનને નિશાન લગાવવામાં મુશ્કેલ પડે. તમારા ઘરની બારીઓ, સ્કાયલાઇટ્સ અને દરવાજા કાળા કપડા અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દો, જેથી પ્રકાશ બહાર ન જાય. રસ્તા પર વાહન ચલાવતી વખતે અધિકારીઓના નિર્દેશ મુજબ લાઇટ બંધ કરો અને વાહન રોકી દો.
મોક ડ્રીલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. આમાં હુમલાની સ્થિતિમાં પોતાની જાતને બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે. તાલીમમાં હાજરી આપો અને કટોકટીમાં શું કરવું જોઈએ તેની માહિતી મેળવો. આમાં બંકરોમાં છુપાઈને અભ્યાસ, પ્રાથમિક સારવાર અને સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થશે.
મોક ડ્રીલમાં સ્થળાંતર યોજનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને સ્થળાંતર દરમિયાન શાંત રહો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજનાની અગાઉથી ચર્ચા કરો અને તમારા નજીકના સ્થળાંતર માર્ગ અને સલામત સ્થળનની જાણકારી મેળવી રાખો.
ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. મોક ડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ પ્રસાર કરવામાં આવશે. અફવાઓથી દૂર રહો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો.
મોક ડ્રીલ દરમિયાન ઇમરજન્સી કીટની ઉપયોગિતા સમજાવવામાં આવશે. જેમાં પાણી, સૂકો ખોરાક, પ્રાથમિક સારવાર કીટ, ફ્લેશલાઇટ, બેટરી, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની કોપી, વધારાના કપડાં અને ધાબળાનો સમાવેશ થવો જોઈએ. ખાતરી કરો કે આ કીટ સરળતાથી ઉપલબ્ધ છે.
સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અને પોલીસ સાથે સહયોગ કરો. જો તમે સિવિલ ડિફેન્સ અથવા હોમગાર્ડ સાથે જોડાયેલા છો, તો તમારી જવાબદારીઓ સમજો અને અન્ય લોકોને મદદ કરો. દરેકને સુરક્ષિત રાખવા માટે પડોશીઓ અને સમુદાય સાથે મળીને કામ કરો.
બાળકોને આ મોક ડ્રીલ વિશે અગાઉથી સમજાવો. જેથી તેઓ ગભરાઈ ન જાય. તેમને સાયરન અને બ્લેકઆઉટ પ્રક્રિયા વિશે માહિતીગાર કરો. વૃદ્ધો અને ખાસ જરૂરિયાતો ધરાવતાં લોકોને મદદ કરો જેથી તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શકે.
સોશિયલ મીડિયા કે અન્ય સ્ત્રોતોમાંથી આવતા અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી ચેનલો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.

May 6, 2025
weather-forecast.jpg
1min223

ગુજરાતના 104 તાલુકામાં તોફાની પવન સાથે માવઠું, પાંચના મોત; આજે પણ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત રહ્યો છે. સોમવારે 104 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ-અલગ ઘટનામાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર – ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટી પડયા હતા. વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃદ્ધાનું મોત થયું છે.

ભાવનગરના સિહોરમાં ૧ કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટિલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે.

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક મકાનમાં વીજળી પડવાના કારણે મકાનના ખૂણાની દિવાલનો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું. ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડું જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ખેડાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે પવનની ગતિ તેજ હોવાના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે ખેડૂતોના આંબા પરથી કેરીઓ ખરી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. માવઠાને પગલે મગ, ચોળી, બાજરો, ઘાસચારો તેમજ બાગાયતી પાકમાં કેરી, પપૈયાને નુકસાન થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવવ ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થાની સંભાવના છે.

આગામી 3 દિવસ માટે ક્યાં છે ઓરેન્જ એલર્ટ?

6 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
7 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
8 મેઃ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ

તાલુકામાં વધારે વરસાદ?

તાલુકો જિલ્લો વરસાદ (ઈંચ)
સિહોરા ભાવનગર 1.50
ભાવનગર ભાવનગર 1.00
માણસા ગાંધીનગર 1.00
નડિયાદ ખેડા 0.87
વડોદરા વડોદરા 0.80

April 6, 2025
anant-ambani.png
1min268

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.

પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

March 13, 2025
holika-dahan.jpg
1min329

દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળીકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘હોલિકા’ અને ‘હોળી’ કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વ આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સાથે ગુજરાત સિવાયના રાજ્યમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામ છે. તો આવો જાણીએ આ રસપ્રદ માહિતી વીશે.

હરિયાણામાં હોળીને ‘દુલંડી’ કહેવાય છે તો પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં હોળીનું નામ છે ‘ફાગ અને લઠમાર’, તો મહારાષ્ટ્રમાં હોળીને ‘ફાલ્ગુન પૂર્ણિમા’, અને દક્ષિણ ભારતમાં ‘કામદહન’ નામ ઓખળવામાં આવે છે.

હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એક્બીજા પર ફુલો ફેંકી હોળી મનાવે છે. તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે. જ્યારે કોઈ જગ્યાએ ચંદન-કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે

કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઈતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક ‘હોળી’ શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડૂંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. અનાજના ડૂંડાને સંસ્કૃતમાં ‘હોલક’ કહેવામાં આવે છે. એના પરથી ‘હોલિકા’ અને ‘હોલી’ શબ્દો આવ્યા. ગુજરાતીમાં ‘હોલી’ પરથી સમયાંતરે ‘હોળી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.

હોળીની પરંપરાગત કથા-

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. કુંવર પ્રહલાદ પ્રભુ ભજે એ તેમને ન ગમે. પ્રહલાદને મારી નાંખવા હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતામાં બેઠી. ચિતા સળગાવવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો.

હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે, તેમાં શ્રીફ્ળ-નાળિયેર હોમે છે. અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવ દંપતિ પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે. તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજુર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સહપરિવાર બધા ભોજન કરે છે.

આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.