સૌરાષ્ટ્ર Archives - Page 3 of 57 - CIA Live

November 4, 2024
jalarambapa.jpg
1min156

રાજકોટમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આગામી આઠમી નવેમ્બરે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને શણગારવાની તડામાર તૈયારીઓ શરુ કરી છે, ત્યારે ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે.

જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ વીરપુર ખાતે દેશવિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો આવશે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે વીરપુર સુધી પદયાત્રા કરે છે, આ સાથે અન્ય રાજ્યામાંથી પણ સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું છે. બાપાની જન્મજયંતિની ઉજવણીની વ્યવસ્થામાં 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે.

આ પ્રસંગે વીરપુર ગામની શોભા વધારવા માટે વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી આઠમી નવેમ્બરના કારકત સુદ સાતમના દિવસે જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીની આખરી ઓપ આપવામાં આવી.

સ્થાનિકોએ કહ્યું કે, આજથી 225 વર્ષ પહેલા ચાર નવેમ્બર, 1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ સાતમના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં બાપાનો જન્મ થયો હતો. લાખો લોકોના હૈયે વસતા પૂ.જલારામ બાપાની જન્મજયંતિ આગામી આઠમી નવેમ્બર, કારતક સુદ સાતમના દિવસે સૌરાષ્ટ્રભરમાં ધામધૂમથી ઉજવાશે.

October 3, 2024
amba-1280x1700.jpg
1min211

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજ (ત્રીજી ઓક્ટોબર)થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે. જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. આ વખતે આસો સુદ ત્રીજ બે દિવસ છે, જ્યારે 12મી ઓક્ટોબરે નોમ અને દશેરા એક જ દિવસે મનાવાશે. અલબત્ત, અનેક સ્થળોએ 11મી ઓક્ટોબર સુધી જ ગરબાનું આયોજન કરાયું છે.

જે ચેતના, જે ઊર્જા, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, જેના દ્વારા સઘળી સૃષ્ટિની રચના છે એ શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ વ્યક્ત કરવાનો અવસર એટલે નવરાત્રિ. આજથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે.

ઉપાસના શરૂ કરવા તેમજ ઘટ સ્થાપન કરવા સવારે 6:31થી વિવિધ મુહૂર્ત છે. સવારે 6:31થી 8:01 શુભ, સવારે 11:01થી બપોરે 12:31 ચલ, બપોરે 12:31થી 2:01 લાભ, બપોરે 2:01થી ૩:30 અમૃત, સાંજે 5થી 6:30 શુભ, સાંજે 6:30થી 8 અમૃત જ્યારે રાત્રે 8થી 9:31 વાગ્યે ચલ મુહૂર્ત છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. પૃથ્વી પર જેટલા વ્રતો છે તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

નવરાત્રિ પૂજનથી ધન-ધાન્ય-સંતતિ, સુખ-સમૃદ્ધિ, આયુષ્ય-આરોગ્ય રક્ષણ, સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા, સુખ-સંપત્તિ -સૌભાગ્ય વગેરે લાભ થાય છે. શાસ્ત્રવિદોના મતે નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપ દૈવી શક્તિના વિજયનો ઉત્સવ. રામાયણના યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિના વ્રત કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આમ, પોતાનું શુભ ઈચ્છનારે નવરાત્રિ દરમિયાન વ્રત કરવા જોઇએ. નવરાત્રિમાં ભક્તિ કરવાથી પૂર્વજન્મના દોષ, અપરાધ તેમજ આ જન્મમાં કોઇ દ્વિધા-સંતાપ હોય તે દૂર થાય છે.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે સાંજે 8 થી 6 દરમિયાન હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રિમાં બાકીના નોરતાં દરમિયાન વરસાદની કોઇ જ સંભાવના નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ધુમી શકશે.

નવરાત્રિમાં માતાજીના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમય

શક્તિપીઠ અંબાજી : આરતી સવારે 7:30થી 8, દર્શન સવારે 8થી 11:30, રાજભોગ બપોરે 12, દર્શન બપોરે 13:30થી 4:15, આરતી સાંજે 6:30થી 7, દર્શન સાંજે 7થી 9 વાગ્યા સુધી.

ચોટીલા ચામુંડા માતાજી: પગથીયાના દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારે 5 વાગ્યે આરતી. સાંજની આરતી સૂર્યાસ્તના સમયે.

પાવાગઢ મંદિર : પ્રથમ-આઠમા નોરતે અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલાશે અને રાત્રિના 8 વાગ્યે બંધ થશે. આ સિવાયના નોરતામાં સવારે 5 વાગ્યે દ્વાર ખોલાશે અને રાત્રે 8 વાગ્યે બંધ થશે.

ભદ્રકાળી મંદિર અમદાવાદ: સવારે 6થી રાત્રિના 12 સુધી દર્શન થઈ શકશે. રોજ રાત્રિના 9થી 12 મંદિરના ચોકમાં ગરબાનું પણ થશે.

September 27, 2024
guj-birth-certi.png
1min328

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવાર 25મી સપ્ટેમ્બર 2024ના રોજ નવો પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે. જેના માટે બે નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાઈ છે.

આરોગ્ય કમિશનર અને મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ)ની સહીથી બુધવારે પ્રસિધ્ધ પરિપત્રમાં તમામ રજિસ્ટ્રારોને 12મી ઓગસ્ટ 2009 અને 18મી ફેબ્રુઆરી 2016 એમ બંને પરિપત્રો રદ કરવા કહેવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર નામ, તારીખ કે અન્ય કોઈ પણ સુધારણા માટે અરજદારોની અરજીને ધ્યાને લેવા સ્પષ્ટ આદેશ થયો છે. આથી, રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વેળા કારકૂની ભૂલ થઇ હોય તે તેને પણ સુધારવી પડશે.

Dated 25/09/2024 કરાયેલા નવા પરિપત્રમાં મુખ્ય રજિસ્ટારે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે અરજદારની ઓળખની વિગતો, પિતાનું નામ, છેલ્લું નામ કે અટક અને જન્મતારીખ અથવા કોઈ એક અથવા તેમની કેટલીક બદલાવની માંગ કરી છે કે કેમ? તે બાબતો ધ્યાને લેવાની રહેશે. તેના માટે સર્મથનમાં અપાયેલા ફોટાવાળા ઓળખપત્રો કે ઓળખના અન્ય દસ્તાવેજો ધ્યાનમાં લેવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એક વ્યક્તિના બે નામો હોય કે અન્ય કોઈ સુધારાને તબક્કે તલાટીથી લઈને જિલ્લા રજિસ્ટ્રારના તંત્રમાં નોંધ નામંજૂર કરીને ઉપલાસ્તરે અપીલના આદેશો થતા હતા. હવે આ સુધારાથી અરજદારોને અપીલ અને તેની પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકશે.

ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 36 અનુસાર, જન્મ અને મરણના રજીસ્ટરમાં કરાવેલી નોંધ અનેક કામગીરીઓ માટે મહત્ત્વનો પૂરાવો છે. જેમાં જન્મ કે મરણ સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે 30 જૂન 2015માં જાહેરનામું બહાર પાડ્યું હતું, ત્યારબાદ બુધવારે (25 સપ્ટેમ્બર) ગુજરાત આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું રજૂ કરાયું છે. જે મુજબ નોંધણી રજીસ્ટ્રાર નામમાં ફેરફાર બાબતે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકાશે. 

રાજ્ય સરકારે જન્મ-મરણ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરીને માન્ય રાખી હતી, પરંતુ તેમાં ઘણાં પેટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેનો ઉમેરો કરીને નાગરિકોની મુશ્કેલીને હળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં બંને નામ લખવાના રહેશે, પરંતુ  બે નામનો સ્વીકાર ન હોય તો રજીસ્ટ્રાર પાસે પૂરાવા સાથે અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રારે સુધારાની સત્યતા ચકાસીને બંન્ને નામો નોંધમાં લેવાના રહેશે.

September 23, 2024
fake-note.jpg
1min168
Fake currency

સુરત એસઓજીએ સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરની ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઈડ કરી ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી લીધું હતું. એસઓજીએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો સાથે ચારને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, એક અસલી નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતા હતા. 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકાતા હતા.અન્ય બે યુવાન ડુપ્લીકેટ નોટ લેવા ત્યાં આવ્યા હતા.

બાતમીના આધારે એઓસજીની ટીમે શનિવારે (21મી સપ્ટેમ્બર) સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરના ચોથા માળે આવેલી ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઇડ કરી હતી. એસઓજીને ત્યાં ડુપ્લીકેટ નોટ બનાવતા ભાવેશ અને ત્યાં ડુપ્લીકેટ નોટ લેવા આવેલા રાહુલ અને પવનને ઝડપી પાડી દુકાનમાં તપાસ કરી હતી. ત્યાંથી 100 રૂપિયાના દરની 1 લાખની ડુપ્લીકેટ નોટ મળી હતી. એસઓજીએ દુકાનમાંથી કોમ્પ્યુટર, સ્કેનર, કલર પ્રિન્ટર કબજે કર્યા છે.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશ અસલ નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતો હતો અને 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકતા હતા. ભાવેશે છેલ્લા એક મહિનાથી ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને તે એક અસલી નોટની સામે ત્રણ ડુપ્લીકેટ નોટ આપતો હતો. માસ્ટર માઈન્ડ સાગરની સાથે રાહુલ, ભાવેશ અને પવનની ધરપકડ કરાઈ છે. ચાર આરોપીઓ માંથી એક મહારાષ્ટ્ર, એક એમપી અને અન્ય બે અમરેલી જિલ્લાના વતની છે.

September 19, 2024
navratri.png
1min137

લેબર વર્ક તેમજ રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચતા ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો મોંઘાદાટ બન્યા

યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખાસ અલાયદા અને સૌ કોઈને ઉડીને આંખે વળગી જાય તેવા મનોહર અલાયદા ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરના વિવિધ બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહેવા પામેલ છે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ જાતના અને જોતાવેત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે એકાદ માસ અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. યુવાનો સૌથી પ્રથમ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના તાલીમ વર્ગ જોઈન કરી દેતા હોય છે બાદ ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ સુધી જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની ખરીદી માટે સુરતના લગભગ દરેક વિસ્તારોમાં શરૂ કરાયેલા નવરાત્રીના સ્ટોલ્સ પરથી સુરતીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.

નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળી કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે. પ્રતિ વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે.

ખાસ કિસ્સામાં શહેરમાં શ્રમિક બહેનો દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, હોટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ખાલી હોલમાં સેલના સ્ટોલ્સ શૂ કર્યા છે. કોલેજીયન ભાઈઓ તથા બહેનો ઉપરાંત નવવિવાહિતોનો સારો એવો ખરીદીનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સેલમાં ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે.

મહિલાઓ માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ખરીદી માટે ખેલૈયાઓનો સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના વિવિધ આવશ્યક રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય વસ્ત્રો અને આભૂષણો માટેના રો મટીરીયલ્સના ભાવ પણ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે. આ વર્ષે પણ નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.

જુની સાડી અને સેલામાંથી ડ્રેસ તૈયાર કરાવવાનો ક્રેઝ યથાવત

કાળઝાળ મોંઘવારી સહિતના કારણે યુવાન સંતાનો માટે દર વર્ષે નવી નવી ડિઝાઈનના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને ચણીયાચોળી વગેરેની ખરીદી કરવી મધ્યમવર્ગીય પરિવારોને પોષાય તેમ ન હોય અનેક પરિવારોની ગૃહિણીઓ દ્વારા તેમની જુની સાડી, સેલા તેમજ ડિઝાઈનર ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે.

September 7, 2024
ambaji_temple-1280x720.jpg
1min161

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ સંચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળા યોજાશે.

પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મેળાના સુચારુ આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓને મેળા સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહે માટે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન ક્યુઆર કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વિગતો અને માહિતી રજૂ કરાઇ હતી. પ્રવાસન અને યાત્રાધામ સચિવ સચિવ રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ‘વહીવટીતંત્ર દ્વારા કરાયેલી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે જરૂરી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા ભાવિક ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરાશે. દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.’

ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી, પ્રચાર-પ્રસાર સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

August 27, 2024
gujarat-map-raining.png
4min219

ગુજરાતમાં ચાર દિવસથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે. વરસાદના પગલે આજે સ્કુલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરિયાળ ગામડાઓમાં જતી એસટી બસ કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને હલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં કેટલા હાઈવે-રસ્તા બંધ

ગુજરાતમાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 636 જેટલા હાઈવે-રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આણંદ ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે. ખડોધી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં માતા-પિતા તેમજ બાળકનો સમાવેશ થાય છે.

રાજ્યમાં એસટી બસ સેવાને પર અસર

રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે. જેની એસટી બસ સેવાને પર અસર પહોચી છે. રાજ્યના સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે 14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રિપ પૈકી 583 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં

  • દાહોદના 15 રૂટ અને 242 ટ્રિપ રદ્દ,
  • મહીસાગરમા બસના 10 રૂટ અને 112 ટ્રિપ રદ્દ,
  • પંચમહાલમાં બસના 5 રૂટ, 63 ટ્રિપ રદ્દ,
  • આણંદમા બસના 6 રૂટ, 12 ટ્રિપ રદ્દ,
  • ખેડામા બસના 7 રૂટ, 18 ટ્રિપ રદ્દ,
  • સુરતમા બસના 5 રૂટ, 14 ટ્રિપ રદ્દ,
  • નવસારીમા બસના 3 રૂટ, 43 ટ્રિપ રદ્દ,
  • વલસાડમાં બસના 8 રૂટ, 27 ટ્રિપ રદ્દ કરવામાં આવી છે.
  • વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા ત્યાર બાદ બંધ રૂટ, ટ્રિપ પૂર્વવત્ કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટએ એડવાઈઝરી જાહેર કરી

અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદ શહેરની વરસાદની આગાહીને પગલે ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલાં જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે તેમ જણાવવામાં આવ્યું છે. શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ સાંજ સુધી અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ હતી. જેની સૌથી વધુ અસર અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી ફ્લાઇટ અને એરપોર્ટ સાથે ફ્લાઈટને અસર થઈ હતી. અમદાવાદથી ટેકઓફ થતી કુલ 71 ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે અન્ય સેક્ટરમાંથી અમદાવાદ આવતી 42 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.

ભારે વરસાદથી રેલવેને અસર

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર પહોચી છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

ટ્રેનો સંપૂર્ણપણે રદ

  • 27મી ઓગસ્ટની ટ્રેન નંબર 12971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 27મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ

શૉર્ટ ટર્મિનેટેડ ટ્રેનો

26 ઓગસ્ટ 2024 ના રોજ, ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન વલસાડ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
26 ઓગસ્ટ 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

શૉર્ટ ઓરિજિનેટેડ ટ્રેન

27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ વલસાડ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રાજકોટથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન ભાવનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદથી ટૂંકી ઉપડશે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વચ્ચે આંશિક કેન્સલેશન રહેશે.

ટ્રેનો ડાયવર્ટ કરી

  • ૧. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ ગોધરા-ડાકોર-આણંદ-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  • ૨. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.
  • ૩. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.
  • ૪. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12215 દિલ્હી સરાય રોહિલા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • ૫. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • ૬. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
August 27, 2024
monsoon.png
1min130

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ગત વર્ષે એટલે કે 27 ઓગસ્ટ, 2023ની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 81.80 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાત સર્વત્ર મેઘમહેર થઈ છે. બીજી તરફ રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે.

કચ્છમાં સિઝનમાં સીઝનનો સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં 27મી ઓગસ્ટ 2024ના સવારે 11 વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સરેરાશ 101.58 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો કુલ 116.79 ટકા વરસાદ પડી ચુક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો કુલ 79.99 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાત સિઝનમાં સરેરાશ 98.74 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનનો 101.52 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 108.20 ટકા વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ 170 ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં સિઝનનો 136 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં જળાશયો છલકાયા

27મી ઓગસ્ટ, 2024ની સવારે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 86.97 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 ડેમમાં પાણીનો 72.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 76 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે 46 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 50થી 70 ટકા ભરાયેલા હોય તેવા ડેમોની સંખ્યા 23 છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા ભરાયેલા છે. રાજ્યના 31 ડેમ એવા છે જેમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે. સાત ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી ખાલી એવો રાજકોટનો આજી ડેમ પણ ઑવરફ્લો થયો છે. અગાઉ પડેલા વરસાદમાં પણ સૌરાષ્ટ્રના ડેમમાં સારી એવી પાણીની આવક થઈ હતી.

August 27, 2024
gujarat-meeting-.jpg
2min153
Amid the forecast of heavy rain across the state, the administration's 'security cycle' with the Chief Minister

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત છે. મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

આ ઉપરાંત વરસાદથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ તેમજ પ્રભારી સચિવઓ પણ જિલ્લા મથકે બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ રાહત-બચાવ કામગીરી માટે આર્મીની ૬ કોલમ ક્રમશ: દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી રાહત-બચાવ કામગીરી

  • બોટાદના ખાંબડા ડેમામાંથી પાણી છોડવામાં આવે તો નીચાણવાળા ભાગોમાં રહેતા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા બરવાળા તાલુકાના ખાંબડા ગામના 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
  • મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે માળિયા તાલુકાના મોટા દહીંસરા 132 કે.વી. સબ સ્ટેશનમાં ફસાયેલા 6 કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
  • દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ફતેપુરા તાલુકાના હિંડોલીયા ખાતે એક જર્જરિત મકાન મકાન ધરાશાયી થતા અબોલ પશુ ઇજાગ્રસ્ત થયા હતા. પશુપાલન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ પર જઈને સારવાર કરી ઘાયલ પશુઓને સલામત સ્થળે ખસેડ્યા હતા.
  • ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનથી તાલાલા-જામવાળા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગની ટીમે ધરાશાયી વૃક્ષોને દૂર કરીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો છે.
  • ભારે વરસાદથી જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા, ફાયર વિભાગની 10 ટીમ ઉપરાંત એન.ડી.આર.એફના જવાનોએ ૭૦ જેટલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસુતિની સંભાવના ધરાવતી 30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.
  • પંચમહાલ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે ૪,૦૦૦ જેટલા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે 20 જેટલા રસ્તાઓના કોઝ-વે પણ બંધ કરાયા છે.
  • વડોદરા શહેરમાં એક જ દિવસમાં 108 એમ્બ્યુલન્સને 285 કોલ મળ્યા હોવા છતાં, એમ્બ્યુલન્સ સેવા અટકી નહોતી. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી ૪૯ દર્દીઓને એમ્બ્યુલન્સના માધ્યમથી સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંજુસર રોડ પર એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.
  • મોરબી જિલ્લામાં મચ્છુ નદીનું જળ સ્તર વધતા સાવચેતીના ભાગરૂપે સામખીયાળીથી માળીયા સુધીના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી 10 ખાસ ટીમો દ્વારા નાગરીકોનું રહેવા, જમવા જેવી સુવિધા ધરાવતા ૩૦ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
  • જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદથી વાડી વિસ્તારમાં ફસાયેલા 11 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું હતું. લાલપુર તાલુકાના નવાગામમાં વાડી વિસ્તારમાં નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હતા, જેની ગંભીરતા સમજી એરફોર્સના હેલિકોપ્ટરથી તેઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
  • વડોદરા જિલ્લામાં નીચાણવાળા અને નદીની આસપાસ વસતા કુલ 8361 નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ નાગરીકો માટે ભોજન, નાસ્તો સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તેમનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.

MGVCLના 1700થી વધુ વીજ કર્મીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત

અનરાધાર વરસાદથી પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે કુલ ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં તાત્કાલિક ધોરણે વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા MGVCLની ૫૩૬ ટીમોના ૧૭૦૦થી વધુ વીજ કર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.

વડોદરા આરોગ્ય તંત્રનો માનવીય અભિગમ

વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં કોઇપણ સગર્ભા મહિલાને તકલીફ ન પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી આશરે 45 જેટલી સગર્ભા મહિલાઓને તંત્ર દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. આ કેન્દ્રો ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

એટલું જ નહિ, વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રય સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.

August 26, 2024
heavy-rain-in-saurashtra.png
1min294

તહેવારોના દિવસોમાં ખાસ કરીને તા.26મી ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમીને પર્વએ મેઘરાજાએ દક્ષિણથી લઇને ઉત્તર, સૌરાષ્ટ્રથી લઇને કચ્છ, મધ્યગુજરાત સમેત સમગ્ર ગુજરાતની ધમરોળી નાખ્યું છે ત્યારે ભારે વરસાદને કારણે સમગ્ર પ્રશાસન હરકતમાં આવી ગયું છે. કચ્છથી લઈને કાઠિયાવાડ તેમ જ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેન્દ્ર સરકારે અસરગ્રસ્તોને ઈમરજન્સીની પરિસ્થિતમાં પહોંચી વળવા માટે તાકીદ કરી છે.

સરકારના ઉપલબ્ધ આંકડા અનુસાર રાજ્યમાં 237 તાલુકામાં આજે ભારે વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ બરોડા, પાદરા, બોરસદમાં નોંધાયો છે. પાદરામાં અગિયાર ઈંચ, બોરસદ અને વડોદરામાં દસ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 96 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના મોટા ભાગના શહેરો અને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેથી શહેર આખું જળબંબાકાર બન્યું છે. 

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.

મધ્ય ગુજરાતમાં મેઘરાજા આક્રમક, અનેક સ્થળે ભૂવા, વૃક્ષો ધરાશાયી; વડોદરા, ભરૂચ અને નર્મદામાં ઍલર્ટ

મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં મધ્ય ગુજરાતમાં આજે (26 ઑગસ્ટ) ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. છોટા ઉદેપુરમાં પણ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ આણંદના બોરસદમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારેથી અતિભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી.

વડોદરામાં અનેક જિલ્લા જળબંબાકાર, ગરનાળું પણ બંધ કરાયું

વડોદરા શહેરમાં ગત રોજ વરસેલા છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે. 

આજે સવારે 10 વાગ્યા સુધીમાં ડેસરમાં 3.3 ઇંચ, પાદરામાં 2.7 ઇંચ, સાવલીમાં 2.3, વડોદરામાં 2, વાઘોડિયામાં 1.2, કરજણમાં 1.2, ડભોઈમાં 1.2 ઇંચ અને સિનોરમાં 3 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કરજણમાં 6.2 ઇંચ, સિનોરમાં 4.4, વડોદરામાં 3.7, પાદરામાં 1.5, ડભોઈમાં 1.5, સાવલીમાં 14 મિ.મી., વાઘોડિયા અને ડેસરમાં 8-8 મિ.મી. વરસાદ પડ્યો હતો.