ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી લેબમાં આ ટેસ્ટનો ચાર્જ હવેથી 400 રુપિયા રહેશે. હાલ RTPCR ટેસ્ટના ખાનગી લેબ દ્વારા 700 રુપિયા વસૂલવામાં આવે છે, જેમાં ગુજરાત સરકારે 300 રુપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.
જો દર્દી હોસ્પિટલમાં હોય કે દર્દીના ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવાનું હોય તો તેનો ચાર્જ 900 રુપિયાથી ઘટાડીને 550 રુપિયા નક્કી કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ નિશુલ્ક ઉપલબ્ધ છે.
એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ચાર્જ 2700 રૂપિયા
વિદેશથી આવતા કે જતા કોઈપણ પેસેન્જર જો એરપોર્ટ પર ટેસ્ટ કરાવવા માગતા હોય તો તેમને તેના માટે 2700 રુપિયા ચૂકવવાના રહેશે. કોરોનાના આરંભ વખતે આ ટેસ્ટના 4500 રુપિયા લેવામાં આવતા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનું નિદાન કરવા માટે સિટી સ્કેન પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારસુધી સિટી સ્કેન માટે 3,000 રુપિયા વસૂલવામાં આવતા હતા, જેમાં 500 રુપિયાનો ઘટાડો કરીને 2500 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. જે પણ સરકારી હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ છે, ત્યાં નિ:શુલ્ક સિટી સ્કેન કરી આપવામાં આવશે.
17 જિલ્લામાં નવા સિટીસ્કેન મશીનો ખરીદાશે
અલગ-અલગ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલો માટે નવા 17 સિટી સ્કેન મશીન વસાવવામાં આવશે તેમ પણ નીતિન પટેલે જણાવ્યું હતું. જેમાં આણંદ, બોટાદ, ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, ગોધરા, જામખંભાળિયા, લુણાવાડા, મહેસાણા, રાજપીપપળા, સુરેન્દ્રનગર, નવસારી, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા, પેટલાદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટની હોસ્પિટલ અને વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન વસાવાશે. જેના માટે 82.50 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોલા, ગાંધીનગર અને ગોત્રી મેડિકલ કોલેજમાં MRI મશીનની ખરીદી માટે પણ મંજૂરી અપાઈ છે.








