ભારતીય પર્યટકોની સંખ્યા વધવાના અંદાજને પગલે ઘણા દેશોએ છેલ્લા 8-10 મહિનામાં વિઝા અને પ્રવેશ પ્રક્રિયાના નિયમ હળવા કર્યા છે.

UAE ભારતીયોને ફ્રી ટ્રાન્ઝિટ વિઝા આપે છે
તાજેતરમાં UAEએ ભારતીયોને ફ્રી ટ્રાન્ઝિટ વિઝા આપવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે UAE થઈને અન્ય દેશોમાં જતા ભારતીયો UAEમાં બે દિવસ ગાળી શકશે. વિઝાની મુદત 50 દિરહામ ચૂકવી વધુ 96 કલાક માટે વધારી શકાશે.
ઇઝરાયલે ભારતીયો માટે વિઝા ફી મે મહિનાના ₹1,700થી ઘટાડી ₹1,100 કરી
ઇઝરાયલે ભારતીય મુસાફરો માટેની વિઝા ફી મે મહિનાના ₹1,700થી ઘટાડી ₹1,100 કરી છે. જૂન 2018થી ઇઝરાયેલ સરકારે ભારતીયો માટે એક્સપ્રેસ વિઝાની પણ શરૂઆત કરી છે, જે બે વર્કિંગ ડેમાં ઉપલબ્ધ બનશે. ઉપરાંત, પર્યટન માટે ઇઝરાયલની મુલાકાત લેનારા ભારતીયોની B2 વિઝા કેટેગરીની એપ્લિકેશન ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ઇઝરાયલ જેવા દેશમાં ગયા વર્ષે સૌથી વધુ 60,000 ભારતીય પર્યટકો આવ્યા હતા. ઇઝરાયલના ટૂરિઝમ મંત્રાલયના ડિરેક્ટર હસન મદાહે જણાવ્યું હતું કે, “જાન્યુઆરીથી એપ્રિલના ગાળામાં ભારતીય પર્યટકોના આગમનમાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 27 ટકા વધારો (લગભગ 19,000 મુસાફરો) નોંધાયો છે, જે 2018 સુધીમાં અમારા 1 લાખ પર્યટકોના લક્ષ્યાંકની નજીક પહોંચવામાં મદદ કરશે.”
જાપાને ભારતીય નાગરિકો માટે વિઝાના નિયમ હળવા કર્યા છે. જેમાં પહેલી જાન્યુઆરીથી ટૂંકા ગાળાના પ્રવાસ માટે મલ્ટિપલ એન્ટ્રી વિઝાની જોગવાઈ છે.
ચાલુ મહિને ઓમાને ભારતીય પર્યટકોને આકર્ષવા ‘વિઝા ઓન અરાઇવલ’નો પ્રારંભ કર્યો છે.
એન્ટ્રી વિઝા ધરાવતા અથવા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જાપાન અને શેન્જેન દેશોમાં રહેતા લોકોને ઓમાનમાં પ્રવેશવા આ સુવિધા મળશે. આ છ દેશોનો વિઝા ધરાવતી વ્યક્તિના જીવનસાથી અથવા બાળકો તેમની સાથે હશે તો તેમને પણ ‘વિઝા ઓન અરાઇવલ’ની સુવિધા મળશે.
UN વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે 2020 સુધીમાં વિદેશી પર્યટકોમાં ભારતીયોની સંખ્યા 5 કરોડ હશે, જે 2017માં 2 કરોડ હતી. 17 એપ્રિલથી 31 ડિસેમ્બર 2018 સુધીમાં ભારતના નાગરિકોને ખાસ સુવિધા આપવામાં આવી છે. જેમ કે, એર અસ્તાના અથવા કઝાખસ્તાનની કોઈ પણ એરલાઇનમાં મુસાફરી કરનારા તેમજ અસ્તાના અને/અથવા અલ્માતીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ દ્વારા અન્ય દેશની મુલાકાત લેતા અથવા અન્ય દેશમાંથી વાયા અસ્તાના અને/અથવા અલ્માતી પરત ફરતા ભારતીય નાગરિકોને 72 કલાકનો ટ્રાન્ઝિટ-ફ્રી વિઝા મળી રહ્યો છે. 72 કલાકનો આ ટ્રાન્ઝિટ વિઝા વ્યક્તિગત પેસેન્જર્સ અને ટૂર ગ્રૂપ્સને લાગુ પડશે.
ઘણા દેશો ઇ-વિઝા જેવી સરળ પ્રક્રિયા દ્વારા ભારતીય મુસાફરોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને ભારતના ટ્રાવેલ માર્કેટમાં વૃદ્ધિની વિપુલ સંભાવના જણાય છે. ભારતીયો વિદેશ પર્યટનના ખર્ચમાં અવ્વલ છે, જે તેમને આકર્ષવા માટેનું સૌથી મોટું કારણ છે.