જવલ્લે જ બનતી અત્યંત કરુણ ઘટનામાં મુંબઇના એક ગુજરાતી યુવાનનું હેલિકોપ્ટરના પાછળના ભાગે આવતા ટેઇલ રૉટરમાં કપાઇ જવાથી મૃત્યું થયું હતું. 42 વર્ષિય કાર્તિક મહેતા કૈલાશ માનસરોવરની યાત્રાના ભાગરૂપે હેલિકોપ્ટરથી નેપાળના હિલ્સા પહોંચ્યા હતા. જ્યાં હેલિકોપ્ટરમાંથી ઉતાર્યા બાદ તેઓ હેલિકોપ્ટરના પાછળના ભાગે અજાણતામાં પહોંચી ગયા હતા જ્યાં આ ઘટના બની હતી.

ભારતીય એમ્બેસીના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા નાગરિક ૪૨ વર્ષના નાગેન્દ્ર કાર્તિક મહેતા છે અને તેઓ મુંબઈના રહેવાસી છે. તેઓ હેલિકૉપ્ટરમાંથી ઊતર્યા પછી અજાણતાં ચૉપરના પાછળના ભાગ તરફ જતા રહ્યા હતા ત્યારે તેમને ઝડપથી ફરતું ટેઇલ-રૉટર વાગ્યું હતું અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

આ એક દુખદ ઘટના છે એમ જણાવતાં આ અધિકારીએ કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ ટૂર-ઑપરેટરો સાથે સમન્વય કરી રહ્યું છે તેમ જ શક્ય એટલી મદદ કરી રહ્યું છે.
મનાંગ ઍર કંપનીના હેલિકૉપ્ટરમાં છ ભારતીય પ્રવાસીઓ હતા અને તેઓ બપોરે ૩.૧૮ વાગ્યે હિલ્સામાં પહોંચ્યા હતા. હેલિકૉપ્ટરમાંથી ઊતરતી વખતે અચાનક પાછળનો પંખો વાગવાથી નાગેન્દ્ર મહેતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે સિમિકોટ લઈ જવામાં આવી હતી. નેપાલના સિમિકોટ અને હિલ્સા દુનિયાના ઍર-રૂટથી જ જોડાયેલા છે.

આ બનાવ વિશે ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ‘નાગેન્દ્ર મહેતા ઘણા ઊંચા હતા. તેમણે ઊતરતી વખતે કદાચ સાવચેતી નહીં રાખી હોય જેને કારણે આ અકસ્માત બન્યો હોઈ શકે.’



























