લંડનમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2019 પ્રતિયોગિતામાં જમૈકાની ભારતીય મૂળની ટોની એન.િસંહનાં શિરે વિશ્વસુંદરીનો તાજ અલંકૃત થયો છે. વર્ષ 2018ની મિસ વર્લ્ડ વેનેસા પોન્સે તેનાં માથે તાજ પહેરાવ્યો હતો. આ વિશ્વ સુંદરી સ્પર્ધામાં દુનિયાભરની કુલ 120 સુંદરીઓએ ભાગ લીધો હતો. ટોની સિંહ જમૈકાની ચોથી મહિલા છે જેણે આ તાજ જીત્યો છે.
આ વર્ષે 2019માં મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બન્નેની વિજેતાઓ અશ્વેત રહી છે. આ પહેલા 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાની 26 વર્ષની જોઝિબિની ટુંઝી મિસ યુનિવર્સ બની હતી. આ વર્ષ સુંદરતા જગતમાં ભારતની સુમન રાવે પણ દેશનું નામ રોશન કર્યુ છે. તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી છે. બીજા ક્રમે મિસ ફ્રાન્સ ઓપેલી મેઝિનો આવી છે.’
ફિનલૅન્ડની સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટીએ વડા પ્રધાનપદ માટે ૩૪ વર્ષનાં ભૂતપૂર્વ પરિવહનપ્રધાન સના મરીનને પસંદ કર્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં તે સૌથી યુવા વડાં પ્રધાન બન્યાં છે. મરીને રવિવારે થયેલું મતદાન જીતીને નેતા ઍન્ટિ રિનેનું સ્થાન લીધું હતું. જેણે પોસ્ટ હડતાળને સમેટવા માટે સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધા બાદ મંગળવારે રાજીનામું આપી દીધું હતું.
મરીને પત્રકારોને કહ્યું કે ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહુ કામ કરવું પડશે. પોતાની ઉંમર સંબંધિત સવાલો પર તેમણે કહ્યું કે મેં ક્યારેય પણ પોતાની ઉંમર કે મહિલા હોવા અંગે વિચાર્યું નથી. હું અમુક કારણોને કારણે રાજનીતિમાં આવી છું અને એ વસ્તુઓને કારણે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. ૨૭ વર્ષની ઉંમરમાં જ મરીને રાજનીતિમાં પગ મૂક્યો હતો અને એ જ સમયથી તે લોકોમાં ખાસ્સી ફેમસ થઈ ગઈ હતી.
ફિનલૅન્ડના પ્રમુખ અખબાર અનુસાર મરીન દુનિયાની સૌથી ઓછી ઉંમરની વડા પ્રધાન બની ગઈ છે. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જૅકિંડા આર્ડેન ૩૯ વર્ષ, યુક્રેનના પીએમ ઓલેક્સી હોન્ચારુક ૩૫ વર્ષ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૩૫ વર્ષના છે.
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે રશિયા આવતા ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના આંતરરષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ શકશે નહીં. રશિયા પરના પ્રતિબંધને લીધે તે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક અને કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ-2022માંથી પણ બહાર થઇ ગયું છે.
વાડાએ રશિયા પર આકરો પ્રતિબંધ ડોપિંગ વિરોધી પ્રયોગશાળાના ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. વાડાના પ્રવકતાએ કહયું છે કે આ ફેંસલો સર્વસમંતિથી લેવામાં આવ્યો છે. રશિયા પર ભલે પ્રતિબંધ મુકાયો, પણ તેના ખેલાડીઓને ડોપિંગ મામલે વાડા તરફથી કલીન ચિટ મળશે તો તેઓ તટસ્થ ધ્વજ હેઠળ ઓલિમ્પિક સહિતના વૈશ્વિ રમતોત્સવમાં ભાગ લઇ શકશે. વાડાની સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં રશિયા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.
વાડાના આ પ્રતિબંધ પર રશિયા 21 દિવસની અંદર અપીલ કરી શકે છે. જો તે આવું કરશે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)ને મોકલવામાં આવશે. વાડાના’ ઉપાધ્યક્ષ લિંડા હેલેલેડએ કહયું છે કે રશિયા પર આ પ્રતિબંધ પર્યાપ્ત નથી. પ્રતિબંધને લીધે રશિયા ઓલિમ્પિક-2032ના યજમાનપદ માટે દાવો પણ નોંધાવી શકશે નહીં.
ન્યૂ ઝીલૅન્ડનો ટચૂકડો ટાપુ કે જ્યાં વર્ષ દરમિયાન પર્યટકોની અવરજવર ચાલુ જ રહેતી હોય છે એમાં સોમવારે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને ઠેકઠેકાણેથી ધુમાડો નીકળતો તેમ જ ઊંચે આકાશમાં રાખના ગોટેગોટા ઉડતાં જોવા મળ્યા હતા. આ ગોઝારી ઘટનામાં પાંચ જણના મૃત્યુ થયા હતા અને અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચી હતી અથવા દાઝી ગયા હતા તેમ જ અમુક ગુમ પણ થઈ ગયા હતા. કહેવાય છે કે લગભગ ૨૪ લોકો ગુમ થઈ ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે લાવા બહાર આવી ગયાને કલાકો થઈ ગયા પછી પણ ટાપુ પર સ્થિતિ એટલી બધી જલદ છે કે ગુમ થઈ ગયેલા લોકોને શોધવા માટેનું કાર્ય થઈ નથી શક્તું.આ ઘટના વ્હાઇટ આઇલૅન્ડ પર બની હતી. આ ટાપુ ન્યૂ ઝીલૅન્ડથી અંદાજે ૫૦ કિલોમીટર દૂર છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ ટાપુ પર જ્વાળામુખીને લગતી કોઈક ગતિવિધિ ચાલુ હોવાનો સંકેત આપ્યો હતો એમ છતાં શા માટે ત્યાં પર્યટકોને જવા દેવામાં આવ્યા હતા એવો સવાલ થઈ રહ્યો છે.
એક અહેવાલ મુજબ જ્વાળામુખી એટલો બધો પ્રચંડ હતો કે એના ધુમાડા અને રાખથી સર્જાયેલો એક વ્યાપક ગોટો આકાશમાં આશરે ૧૨,૦૦૦ ફૂટ ઊંચે ગયેલો દેખાયો હતો.
વડા પ્રધાન જૅસિન્ડા આર્ડને કહ્યું હતું કે બાર જેટલા પર્યટકો બપોરે જ્વાળામુખીની ઘટના વખતે વ્હાઇટ આઇલૅન્ડ પર અથવા એની નજીકમાં હતા અને આ બહુ જ મોટી ઘટના હતી. ‘જેઓને પણ આ લાવાની ઘટનાની અસર થઈ છે તેમના પ્રત્યે અમારી પૂરી સહાનુભૂતિ છે અને અમારા તરફથી તેમને પૂરો ટેકો મળશે,’ એમ તેમણે જણાવ્યું હતું.
એક અહેવાલ મુજબ આ ટાપુ પર લગભગ ૨૦ લોકો હતા અને તેઓ ઈજા પામતાં તેમને તબીબી સારવારની જરૂર પડી હતી.
માઇકલ સ્કેડ નામના શખસે ટ્વિટર લખ્યું હતું કે ‘ઓહ માય ગૉડ, આ શું થઈ ગયું! હું અને મારી ફૅમિલી જ્વાળામુખીની ઘટનાની ૨૦ મિનિટ પહેલાં આ ટાપુ પરથી રવાના થયા હતા અને અમારી બોટની રાહ જોતા ઊભા હતા ત્યારે અમે જ્વાળામુખી ફાટતો જોયો હતો.’
અમેરિકામાં રહેતા ૨,૨૭,૦૦૦ ભારતીયો ગ્રીનકાર્ડ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ૧૫ લાખ મેક્સિકન સહિત કુલ ચાલીસ લાખ લોકોએ ગ્રીનકાર્ડ મેળવવા અરજી કરી છે તેવું અધિકૃત માહિતીમાંથી જાણવા મળ્યું છે. ચીનના લગભગ ૧,૮૦,૦૦૦ લોકો ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું તેવા વિદેશી મૂળના નાગરિકોના ભાઈ-બહેનની સંખ્યા વધુ છે. અમેરિકાના નાગરિકો તેમના પરિવારના સભ્યોને અથવા ભાઈ-બહેનોને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કરી શકે છે તેવી જોગવાઈ હાલના કાયદામાં છે. અમેરિકાના પ્રમુખ આવી વ્યવસ્થાનો વિરોધ કરે છે અને આવી છૂટછાટ બંધ કરવા માગે છે. વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી પરિવારજનોને સ્પોન્સર કરવાની હાલની ઈમિગ્રેશન સિસ્ટમ ચાલુ રાખવા માગે છે.
પરિવાર આધારિત સ્પોન્સરશિપ ૨,૨૭,૦૦૦ ધરાવતા ચાલીસ લાખ અરજદારો ઉપરાંત લગભગ ૮,૨૭,૦૦૦ લોકો નોકરી આધારિત ગ્રીનકાર્ડ મેળવવા પ્રતીક્ષા કરી રહ્યા છે જેમાં મોટા ભાગના લોકો ભારતના છે. ભારતીય આઇટી પ્રોફેશનલને ગ્રીનકાર્ડ મેળવવા દસ વર્ષથી વધુ સમય રાહ જોવી પડે છે.
પરિવાર આધારિત સ્પોન્સરશિપના ભારતીય અરજદારો ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી ૧,૮૧,૦૦૦ જેટલા યુએસ સિટિઝનના ભાઈ અથવા બહેન છે. ૪૨૦૦૦ જેટલા યુએસ સિટિઝન્સના પરિણીત બાળકો છે અને ૨૫૦૦ જેટલા અરજદારોમાં ગ્રીનકાર્ડ ધરાવતા લોકોના જીવનસાથી અથવા સગીર બાળકોનો સમાવેશ થાય છે.
શ્રીલંકાએ ફિક્સિંગથી જોડાયેલા મામલાઓને અપરાધની શ્રેણીમાં લાવવાવાળો પહેલો દક્ષિણ એશિયાઇ દેશ બની ગયો છે. શ્રીલંકાની સંસદે’ ‘ખેલ સંબંધિત અપરાધોનો અટકાવ’થી જોડાયેલા એક ખરડાને પાસ કરી દીધો છે. આ ખરડો પાસ થયા બાદ શ્રીલંકામાં મેચ ફિકસીંગને અપરાધ માનવામાં આવશે.
મેચ ફિકસીંગ અને ભ્રષ્ટાચારથી જોડાયેલો આ નવો કાયદો દરેક રમત પર લાગુ થશે. એવું માનવામાં આવે છે કે, હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની એન્ટિકરપ્શન યુનિટ (એસીયુ) દ્વારા શ્રીલંકામાં મેચ ફિકસીંગથી જોડાયેલા મામલાની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસનાં કારણે જ આ ખરડાનો મુસદો તૈયાર કરવામાં આવ્યો હતો. એક ક્રિકેટ વેબસાઇટનાં હેવાલ મુજબ આ કાયદા અંતર્ગત જોઇ કોઇ વ્યક્તિ રમતમાં ભ્રષ્ટાચારનો દોષી ગણવામાં આવે છે તો તેને દસ વર્ષ સુધીની સજા થઇ શકે છે.
બોઈંગના લગભગ ૫૦ જેટલાં ૭૩૭ એનજી વિમાનોમાં ક્રેક મળી આવતા તેમને ભૂમિગત કરવામાં આવ્યાં છે, તેવું બોઈંગે ગુરુવાર તા.31મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર નિવેદન કર્યું હતું. ઑસ્ટ્રેલિયાની ઍરલાઈન ક્વાન્ટાસે એક વિમાન ભૂમિગત કર્યું હતું અને અન્ય ૩૨ વિમાનમાં તપાસ કરશે, તેવું કહ્યું હતું. પ્રવાસીઓએ કોઈ ભય રાખવાની જરૂર નથી, તેવું તેમણે કહ્યું હતું. આ અગાઉ ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં સાઉથ કોરિયામાં નવ વિમાન ભૂમિગત કરાયાં હતાં જેમાંથી પાંચ વિમાન કોરિયન ઍરના હતા.
ક્વાન્ટસ ઍરલાઈનના નિવેદન પછી ગુરુવાર તા.31મી ઓક્ટોબર 2019ના રોજ બોઈંગના એક પ્રવકતાએ સિડનીમાં કહ્યું હતું કે કુલ ૧૦૦૦ વિમાનમાંથી પાંચ ટકા જેટલા વિમાનમાં તિરાડ મળી આવી છે અને રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રવકતાએ આંકડો જણાવ્યો ન હતો પણ પાંચ ટકા એટલે ૫૦ વિમાન છે, એમ કહી શકાય છે.
ઑસ્ટ્રેલિયાના એવિયેશન રેગ્યુલેટરના એક પ્રવકતાએ કહ્યું કે સેફટી પ્રોબ્લેમનો શરૂઆતી તબક્કામાં જ નિકાલ લાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઑસ્ટ્રેલિયાની વર્જિન ઍરવેઝના ૧૭ બોઈંગ ૭૩૭એનજી વિમાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું પણ કોઈ ખામી મળી ન હતી.
ક્વાન્ટસના એન્જિનિયરિંગ વિમાગના વડા ક્રિસ સ્નૂકે કહ્યું કે ‘વિમાન સંપૂર્ણ રીતે સલામત ન હોય ત્યાં સુધી અમે કોઈ પણ વિમાનને ઉડ્ડયન કરવા દેતા નથી.’
સ્નૂકે કહ્યું કે ‘ક્રેક હોવા છતાં વિમાનની સુરક્ષા તાત્કાલિક જોખમાતી નથી.’ ઑસ્ટ્રેલિયાની સ્વાઈન બર્ન યુનિવર્સિટી ઑફ ટૅક્નોલૉજીના એક એવિયેશન એક્સપર્ટે કહ્યું કે પાર્ટ્સની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે થોડી ક્ષતિ અથવા ખરાબી હોય તો માળખું સહન કરી શકે છે.
બોઈંગના પ્રવકતાએ કહ્યું કે પ્રશ્ર્નનો ઉકેલ લાવવા કંપની સતત પ્રયત્નશીલ છે. અમારા ગ્રાહકો સાથે અમે સંપર્કમાં છીએ અને જરૂરી પાર્ટ્સ, ટૅક્નિકલ ગાઈડન્સ પણ આપતા રહીશું.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તા.31મી ઓક્ટોબર 2019ને ગુરુવારે સવારે ચાલતી ટ્રેનમાં આગ લાગવાની બનેલી હોનારતમાં 46 મુસાફરો જીવતા ભડથું થઇ જવાની ગમખ્વાર ઘટનાએ સમગ્ર વિશ્વભરમાં અરેરાટી મચાવી છે.
પાકીસ્તાનની તેજગામ એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગી હોવાનું ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. એવી પણ જાણકારી બહાર આવી રહી છે કે એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. તેજગામ એક્સપ્રેસ ટ્રેન કરાચીથી રાવલપિંડી તરફ જઈ રહી હતી. આ બર્નિંગ ટ્રેનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં એક પ્રત્યક્ષદર્શી એમ જણાવી રહ્યો છે કે તબલીગી જમાતના લોકો ટ્રેનમાં સવાર હતા. સિલિન્ડર ફાટવાના કારણે ટ્રેનમાં આગ લાગી ગઈ.
રહીમ યાર ખાન જિલ્લાના લિયાકતપુર શહેરમાં કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં તા.31મી ઓક્ટોબર 2019ની સવારે સવારે ભીષણ આગ લાગી હતી.
જ્યારે આગ લાગી ત્યારે ટ્રેન મુસાફરોથી ખીચોખીચ ભરાયેલી હતી, યાત્રીઓ બચવાનો પ્રયાસ કરે એ પહેલા અનેક મુસાફરો આગમાં જીવતા ભડથું થઈ ગયા. સેંકડો મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના રિપોર્ટ છે. સતત મૃતકોનો આંકડો વધે તેવી શંકા સેવાય રહી છે.
વિશ્ર્વના ટોચના ત્રાસવાદી અબુ બકર અલ બગદાદીના માથા માટે જાહેર કરાયેલું ૨૫ મિલિયન ડૉલરનું ઇનામ આંશિક રીતે અથવા પૂર્ણ રીતે બાતમીદારને મળશે તેવું અત્રેના એક અગ્રણી અખબારે જણાવ્યું હતું. ઇસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસના ત્રાસવાદીએ સિરિયામાં બગદાદીની હિલચાલની માહિતી આપી હતી જેના આધારે બગદાદીના સેફ હાઉસ પર યુએસ સ્પેશિયલ ફોર્સીસના કમાન્ડો ૨૬ ઑક્ટોબરના શનિવારે ત્રાટક્યા હતા.
બાતમીદારે સેફ હાઉસના બાંધકામના કામકાજ પર પણ ધ્યાન આપ્યું હતું, તેથી તેની પાસે સંપૂર્ણ લેઆઉટ તૈયાર હતો જે તેણે જણાવ્યો હતો. સેફ હાઉસ પર હુમલાના દિવસે બાતમીદાર પણ ત્યાં જ હતો અને તેને બે દિવસ પછી તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે બહાર લઇ જવામાં આવ્યો હતો. કુર્દ લડવૈયાઓએ બાતમીદારની સાથે સક્રિય સંપર્ક રાખ્યા હતા અને સિરિયન ડેમોક્રેટિક ફોર્સીસ નામના તેમના દળે તેને અમેરિકાના જાસૂસી અધિકારીઓને સોંપી દીધો હતો. બગદાદી હંમેશા સ્યુસાઇડ બેલ્ટ ધારણ કરતો હતો એ માહિતી પણ તેણે અમેરિકન અધિકારીઓને આપી હતી. અખબારે જણાવ્યું તે પ્રમાણે તેને ઇનામની સંપૂર્ણ અથવા આંશિક રકમ આપવામાં આવશે.
અમેરીકાના ચુનદા સૈનિકોની બનેલી એ ટીમે જે રીતે અલ કાએદાના બિન લાદનને હણ્યો હતો એવ રીતે શનિવારે ભારતીય સમય મુજબ રાત્રીના સમયે ખાસ ઓપરેશન હાથ ધરીને ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આકા અબુ બકર અલ-બગદાદીનો ખાત્મો બોલાવ્યો હોવાના અહેવાલો સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
યુએસના લશ્કરે ઈદલિબમાં એક અત્યંત ગુપ્ત રેડ દરમિયાન અલ-બગદાદીને ઠાર કર્યો હોવાની વાતોએ સમગ્ર વિશ્વમાં સોશ્યલ મિડીયા પર વાઇરલ થઇ છે. યુએસના ત્રણ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઈદલિબના ઉત્તર પ્રાંતમાં અમેરિકાના લશ્કરે રેડ પાડી હતી જેમાં અબુ બકર અલ-બગદાદીને ઠાર મારવામાં આવ્યો હતો. એમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે કશું મોટું થયું છે. બસ આ ટ્વીટ પછી એ અલ બગદાદી હણાયાના સમાચારો વાયુવેગે વિશ્વરભરમાં પ્રસરી ગયા છે.
આતંકવાદી સંગઠન આઈએસનો સર્વેસર્વા ગણાતા અબુ બકર અલ-બગદાદી ઉપર 170 કરોડ (25 મિલિયન યુએસ ડોલર)નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગેની કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે) અમેરીકાની રવિવારે સવારે મહત્વની માહિતી આપવાના છે તેવું વ્હાઈટ હાઉસે ટ્વીટ કર્યું હતું.
યુએસએ 2003માં ઈરાક પર કબ્જો મેળવ્યા બાદથી અલ-અબગદાદી યુએસ લશ્કર વિરુદ્ધ સક્રિય હતો. આંતરાષ્ટ્રીય માધ્યમોમાં પણ અલ-બગદાદીને ઠાર મરાયો હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.