સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. તેમજ ફટકાર લગાવી હતી કે, ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે ઈવીએમ સાથે ચેડાં થઈ જાય છે. અને જીતો તો કોઈ ફરિયાદ કરતાં નથી.’
ખ્રિસ્તી ધર્મના પ્રચારક તથા પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતાં કે.એ પોલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકતંત્રની રક્ષા માટે ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી. અરજદારે કહ્યું કે, ‘આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો હતો કે, ઈવીએમને હેક કરી શકાય છે. ઈલોન મસ્કે પણ ઈવીએમ હેક થતુ હોવાનો દાવો કર્યો હતો.’
સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, ‘જ્યારે ચંદ્રબાબુ નાયડૂ કે રેડ્ડી હારી જાય છે, તો તેઓ ઈવીએમ સાથે ચેડાં થયા હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે જીતે છે, ત્યારે કઈ કહેતા નથી. અમે આવુ બેવડું વલણ કેવી રીતે ચલાવી લઈએ? આ અરજીને અમે રદ કરીએ છીએ.’ જસ્ટિસ નાથે જણાવ્યું કે, ‘આ એ સ્થળ નથી કે, જ્યાં તમે વિવાદ કરી શકો.’
અરજીમાં બેલેટ પેપરથી મતદાન કરવા ઉપરાંત અનેક દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ કરાઈ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ કે અન્ય ભૌતિક સાધનોની લાંચ આપતો ઝડપાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે.
અરજદાર કે.એ. પોલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, ‘આ એક PIL છે. હું એવા સંગઠનનો અધ્યક્ષ છું કે, જે 3 લાખથી વધુ અનાથો અને 40 લાખ વિધવાઓની મદદ કરે છે. બેન્ચે આ મુદ્દે ફટકાર લગાવ્યો કે, ‘તો તમે રાજકારણમાં કેમ ઉતર્યા છો? તમારૂ કાર્યક્ષેત્ર તદ્દન અલગ છે.’
પોલ દ્વારા બીજી દલીલ કરવામાં આવી કે, ‘તે 150થી વધુ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે, જ્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. ભારતે પણ તેનું અનુસરણ કરવુ જોઈએ. દેશના 32 ટકા શિક્ષિત લોકો મતદાન કરતાં નથી, તે આપણા દેશની વિડંબના દર્શાવે છે.’તો બેન્ચે સામો સવાલ કર્યો કે, કેમ તમે વિશ્વ કરતાં અલગ દેખાવા માગતા નથી.
મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી બંને Maharashtra & Jharkhand રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે.
મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે.
ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ભાઉસાહેબ સ્કૂલમાં મતદાન કર્યું. તેમણે લોકોને મતદાનની અપીલ કરતાં કહ્યું હતું, કે ‘લોકતંત્રમાં મતદાન દરેક નાગરિકની ફરજ છે. હું ઉત્તરાખંડમાં હતો, કાર્યક્રમ ટૂંકાવીને મતદાન કરવા આવ્યો છું.
PM મોદીએ લોકોને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક એક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો.
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર ચૂંટણી
મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે. બંને પવાર અને શિંદે-ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની 38 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 528 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.
કોના કેટલા ઉમેદવારો મેદાનમાં?
ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 50થી વધુ સીટો પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે છે, જ્યારે 37 સીટો પર બંને પવારે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
કાકા અને ભત્રીજા વચ્ચે રસપ્રદ લડાઈ
પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજાની લડાઈ રસપ્રદ છે, એક સમૃદ્ધ વિસ્તાર છે જ્યાં પવાર કુળના મૂળ છે. રાજ્યના ચાર વખત પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે ‘દેશદ્રોહીઓને હરાવવા’ અપીલ કરી છે. તે સ્પષ્ટ છે કે તેઓ તેમના ભત્રીજા અજિત પવાર અને તેમના ઉમેદવારો તરફ ઈશારો કરી રહ્યા છે. તેના બદલામાં ભત્રીજા અજિત પવારે તેમની વિરુદ્ધ તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ NCPની એક બેઠક સામે આઠ બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના (UBT) નવ બેઠકો પર જીતી હતી જ્યારે શિવસેના સાત પર જીતી હતી.
શરદ પવાર લોકસભાના પ્રદર્શનની જેમ વિધાનસભામાં આશા રાખીને બેઠા
શરદ પવાર આવતા મહિને 84 વર્ષના થશે. તેમણે લોકસભા ચૂંટણીમાં પોતાના ભત્રીજાને જોરદાર ફટકો આપ્યો હતો. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ આનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અજિત પવાર પુનરાગમન માટે આશાવાદી છે. શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વિપક્ષી મહા વિકાસ અઘાડીનો ભાગ છે, જેમાં કોંગ્રેસ ત્રીજો મહત્વનો ખેલાડી છે. એનસીપી અને શિવસેના ભાજપની આગેવાની હેઠળની સત્તાધારી મહાયુતિ સાથે ગઠબંધનમાં છે.
ઝારખંડમાં 500થી વધુ ઉમેદવારો મેદાનમાં છે
ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જેમાં 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ 31 બૂથ પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. જણાવી દઈએ કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન, એનડીએએ બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી અને જામીન પર બહાર છે તેવા મુખ્યમંત્રી સહિતના નેતાઓના ભ્રષ્ટાચારને લઈને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસનાં પુત્રવધૂ, મધુ કોડાનાં પત્ની ગીતા કોડા સહિત કુલ 683 ઉમેદવારો મેદાનમાં
ઝારખંડની 43 માંથી 17 બેઠકો સામાન્ય જ્યારે 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત ઝારખંડમાં આજે તા.13 નવેમ્બર 2024ના રોજ પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન સવારે 7ના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ 683 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે. બીજીબાજુ વાયનાડ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર આજે બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.
ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રક્રિયામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે. પહેલા તબક્કામાં 73મહિલા સહિત 683 ઉમેદવારો મેદાનમાં છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 43 બેઠકોમાંથી 30 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા, ૨૫ બેઠકો પર ભાજપ અને 16 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.
ઝારખંડમાં બુધવારે કેટલીક મહત્વપૂર્મ બેઠકોમાં સરાઈકેલા કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ બેઠક પર 2005થી ઝામૂમોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા હતા. આ વખતે તેઓ પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે લડશે. આ સિવાય જમશેદપુર પૂર્વમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનાં પુત્રવધૂ પુર્ણિમા દાસ સાહુ કોંગ્રેસના અજય કુમાર સામે મેદાનમાં છે. જગન્નાથપુરમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનાં પત્ની ગીતા કોડા ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના નેતા સોના રામ સિંકુ સામે લડશે.
દરમિયાન દેશમાં પેટા ચૂંટણીના ભાગરૂપે વાયનાડ લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીના રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. આ પેટા ચૂંટણીમાં મતદાનથી કોઈપણ જગ્યાએ સરકારો પર કોઈ મોટી અસર થવાની નથી, પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન હરિયાણામાં નિષ્ફળ ગયા હોવાથી આ પેટા ચૂંટણીઓને કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધન માટે મોટા પડકાર સમાન માનવામાં આવે છે. આ મોટાભાગની બેઠકો વર્તમાન ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડીને જીત્યા હોવાથી ખાલી પડી છે. વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજસ્થાનમાં સાત, પશ્ચિમ બંગાળમાં છ, આસામમાં પાંચ, બિહારમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં બે અને છત્તિસગઢ, ગુજરાત, કેરળ તથા મેઘાલયમાં એક-એક બેઠકો પર મતદાન થશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે એનડીએની બેઠક બોલાવી છે. બિહારમાં ચાર બેઠકો પર પેટા ચૂંટણી વચ્ચે નીતિશ કુમાર આ બેઠક બોલાવીને ભાજપને પોતાની નારાજગીના સ્પષ્ટ સંકેતો આપવા જઇ રહ્યા છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા એનડીએની બેઠકો બોલાવાઇ હતી જેમાં નીતિશ ગેરહાજર રહ્યા હતા. હવે ખુદ નીતિશે જ બેઠક બોલાવીને આશ્ચર્ય સર્જ્યું છે. એવા અહેવાલો છે કે નીતિશ કુમાર ભાજપને ભીંસમાં લઇ શકે છે.
અરરિયાના ભાજપના સાંસદ પ્રદીપસિંહ દ્વારા અપાયેલા નિવેદનથી નીતિશ કુમાર નારાજ છે. જ્યારે ભાજપના નેતા ગિરિરાજસિંહે હિન્દુ સ્વાભિમાન યાત્રાની જાહેરાત કરી છે જેનાથી પણ નીતિશ કુમાર અને તેમનો પક્ષ ખુશ નથી જણાતા કેમ કે જદ(યુ)ને ડર છે કે ભાજપના નેતાઓના ભડકાઉ નિવેદનોથી પક્ષને નુકસાન થઇ શકે છે.
આ ઉપરાંત ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જદ(યુ)ને ભાજપે માત્ર બે જ બેઠકો આપી છે. જ્યારે નીતિશને 11 બેઠકોની આશા હતી. બેઠકોની જાહેરાત સમયે યોજાયેલી પ્રેસ કોન્ફરંસમાં જદ(યુ)ના ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ ગેરહાજર રહ્યા હતા. આવા અનેક મુદ્દે નીતિશ કુમાર ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે.
28મીએ નીતિશ કુમારે એનડીએની બેઠક બોલાવી છે જે બાદ અલગ રૂમમાં જદ(યુ)ના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવશે. નીતિશ કુમાર આ બેઠકમાં ભાજપના નેતાઓને વિવાદિત નિવેદનો આપતા અટકાવવાનો પ્રયાસ કરશે સાથે જ આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. નીતિશ કુમારે જ્યારે પણ બેઠક બોલાવી છે ત્યારે કોઇ મોટી જાહેરાત થતી જોવા મળી છે. આ બેઠકમાં પણ કઇક નવા જુની થવાની શક્યતાઓ છે. નીતિશ કુમાર એનડીએમાં પોતાનુ કદ મોટુ હોવાનો અહેસાસ પણ ભાજપના નેતાઓને કરાવી શકે છે.
દેશની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના 100મા સ્થાપના દિને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ઓટીટી(ઓવર ધ ટોપ મીડિયા સર્વિસ) પ્લેટફોર્મ પર નિશાન સાધ્યું હતું અને તેને લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ગણાવ્યું હતું.
નાગપુરના રેશિમબાગ ખાતે દશેરાની પારંપારિક રીતે યોજાતી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ઓટીટી પ્લેટફોર્મ છે અને તેના પર કાયદાકીય અંકુશો લાદવા જરૂરી છે. ઓટીટી પર દેખાડવામાં આવતી વસ્તુઓ એટલી ઘૃણાસ્પદ હોય છે કે તેના વિશે વાત કરવું પણ અસભ્ય ગણાશે, એટલે હું કહું છું કે તેના પર કાયકાદીય અંકુશો લાદવા જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંઘ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની સ્થાપનાના દિવસે આજે નાગપુરમાં યોજવામાં આવેલા કાર્યક્રમ નિમિત્તે મોહન ભાગવત બોલી રહ્યા હતા અને એ દરિમયાન તેમણે ઓટીટી પર પીરસવામાં આવતી હિંસક તેમ જ અશ્લીલ સામગ્રી સામે આંગળી ચીંધી હતી. આ સામગ્રીના કારણે યુવાનો, બાળકો, કુમળી વયના જનમાનસ પર અવળી અસર પડતી હોવાનું મોહન ભાગવતે જણાવ્યું હતું.
આ વર્ષે આરએસએસ 100મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેના કારણે આ વખતના સ્થાપના દિવસનું મહત્ત્વ હોઇ બધાની નજર મોહન ભાગવત શું કહે છે તેના પર હતી. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ એક પોડકાસ્ટમાં આરએસએસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા.
હરિયાણાની 90 બેઠકો પર આજે મતદાન, 1031 ઉમેદવારે ચૂંટણી મેદાને, ભાજપની નજર હેટ્રિક પર હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1031 ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની 90 બેઠકોની ચૂંટણી માટે પાંચમી ઓક્ટોબરે મતદાન છે.
હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપની નજર હેટ્રિક પર છે, જ્યારે કોંગ્રેસને દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા છે. મતગણતરી 8મી ઓક્ટોબરના રોજ થશે.
હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 2,03,54,350 મતદાતા છે. તેમા 8821 મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.
90 વિધાનસભા બેઠકો પર કુલ 1031 ઉમેદવારો ઊભા છે અને તેમાથી 101 મહિલા છે તો 464 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ 20632 બૂથ રાખવામાં આવ્યા છે.
હરિયાણાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, આઇએનએલડી-બીએસપી અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.
સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના અમલ માટે કેન્દ્ર સરકાર ત્રણ બિલ લાવશે, જેમાંથી બે બિલ બંધારણમાં સુધારા માટેના હશે. બંધારણમાં સુધારાના બે સૂચિત બિલોમાંથી એક માટે કેન્દ્ર સરકારને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડશે. આ બિલ લોકસભા અને વિધાનસભા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સંદર્ભનું છે.
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ યોજનામાં આગળ વધતા કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે બનાવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો અહેવાલ સ્વીકારી લીધો હતો. સમગ્ર દેશમાં વસતી ગણતરીની કાર્યવાહી પૂરી થયા પછી સરકાર તેની યોજનામાં આગળ વધશે.
સૂચિત પહેલા બંધારણીય સુધારા બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે જોગવાઈઓ કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને ટાંકીને સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂચિત બિલમાં ‘નિશ્ચિત તારીખ’ સંબંધિત પેટા કલમ (૧)ના ઉમેરા મારફત આર્ટિકલ ૮૨-એમાં સુધારો કરાશે. સરકાર લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે આર્ટિકલ ૮૨-એમાં પેટા-નિયમ (૨) ઉમેરવાનો પણ પ્રયાસ કરશે.
આ સાથે કેન્દ્ર સરકાર આર્ટિકલ ૮૩(૨)માં સુધારાની દરખાસ્ત કરશે અને તેમાં પેટા કલમ (૩) અને (૪) સંબંધિત કલમનો ઉમેરો કરાવશે, જે લોકસભાના સમયગાળા અને વિસર્જન સંબંધિત છે. તેમાં વિધાનસભાઓના વિસર્જન અંગે પણ જોગવાઈ છે અને આર્ટિકલ ૩૨૭માં સુધારો કરીને ‘એકસાથે ચૂંટણી’ ટર્મ ઉમેરવામાં આવશે. આ બિલમાં સુધારાને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડતી નથી તેમ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોમાં જણાવાયું છે.
બંધારણીય સુધારાના બીજા સુચિત બિલને ૫૦ ટકા રાજ્ય વિધાનસભાની મંજૂરીની જરૂર પડશે, કારણ કે તે રાજ્ય સંબંધિત મામલાનો ઉકેલ લાવશે. તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચની ભલામણથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવા સંબંધિત બંધારણીય જોગવાઈઓમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રાખશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણી (One Nation-One Election)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદીના નેતૃત્વ હેઠળની બેઠકમાં આજે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉ કેન્દ્ર સરકારને વન નેશન-વન ઈલેક્શનની સંભાવના અંગે માર્ચ મહિનામાં રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જે કોઈ મંતવ્યો આપ્યા હતા, તેમાં ખાસ કરીને લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની ભલામણ કરવામાં આવી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિની ભલામણનું સમર્થન આપ્યું સરકારે
આ બંનેની ચૂંટણી યોજ્યાના 100 દિવસમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી યોજવાની પણ ભલામણ કરી હતી. હાલના તબક્કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ યોજવામાં આવે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વન નેશન-વન ઈલેક્શનની પણ ભલામણને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓને વન નેશન વન ઈલેક્શન યોજવા માટે અનુરોધ કરું છું, જે અત્યારના સમયની જરુરિયાત છે.
32 રાજકીય પક્ષોનું મળ્યું સમર્થન
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેના જવાબ આપનારા 47 પક્ષમાંથી 32 પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જ્યારે પંદર પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.
ચૂંટણી પરના ખર્ચમાં બચત થઈ શકે
કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશે, જ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોક્સ કરી શકાશે, જ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.
દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન આતિશી( Atishi Marlena) બનશે. અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ, કેજરીવાલે રવિવારે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. AAP ના વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન પદના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરવા માટે બેઠકો યોજી હતી.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે 4:30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને તેમનું રાજીનામું સોંપે તેવી શક્યતા છે.
અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય દળની બેઠકમાં અતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિધાનસભ્યો સંમત થયા હતા.
અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ની પોલીટીકલ અફેર્સ કમિટી (PAC)ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. ગઈકાલે સોમવારે PACની બેઠક યોજાઈ હતી.
રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતાં સત્તારૂઢ એનડીએ ગૃહમાં બહુમતીના આંકડા સુધી પહોંચી ગયું હતું. નવ સભ્યોના ઉમેરા સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 96 પર પહોંચી ગયું છે જ્યારે એનડીએનું સંખ્યાબળ 112 પર પહોંચી ગયું છે. અન્ય બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં એનડીએના ઘટકપક્ષો એનસીપી (અજિત પવાર જૂથ)ના નીતિન પાટીલ અને રાષ્ટ્રીય લોક મંચના ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધનને છ નોમિનેટેડ સભ્યો અને એક અપક્ષ સભ્યનું સમર્થન પણ છે.
આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના એક સભ્ય પણ બિનવિરોધ ચૂંટાયા છે, જેના કારણે રાજ્યસભામાં વિપક્ષની સંખ્યા વધીને 85 થઈ ગઈ છે.
રાજ્યસભામાં 245 બેઠકો છે, જોકે હાલમાં આઠ બેઠકો જમ્મુ-કાશ્મીરમાંથી ચાર અને ચાર નોમિનેટેડ બેઠક ખાલી છે. ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા 237 છે, બહુમતીનો આંકડો 119 છે.
બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં
આસામના મિશન રંજન દાસ અને
રામેશ્વર તેલી,
બિહારથી મનન કુમાર મિશ્રા,
હરિયાણાથી કિરણ ચૌધરી,
મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન,
મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ,
ઓડિશાના મમતા મોહંતા,
ત્રિપુરાના રાજીવ ભટ્ટાચારજી અને
રાજસ્થાનના રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.
તેલંગણામાંથી કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એનસીપીના અજિત પવાર જૂથના નીતિન પાટીલ મહારાષ્ટ્રમાંથી ચૂંટાયા છે અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા બિહારથી ઉપલા ગૃહમાં પહોંચ્યા છે.
રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખૂલ્યું, રવનીત સિંહ બિટ્ટુ, ઉપેન્દ્ર કુશવાહા અને મનન મિશ્રા બિનહરીફ ચૂંટાયા
એનડીએ છેલ્લા એક દાયકાથી રાજ્યસભામાં બહુમતનો આંકડો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી તેના માટે બિલ પાસ કરાવવામાં સરળતા રહેશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વિપક્ષે વારંવાર સરકારી બિલોને ઉપલા ગૃહમાં રોકી પાડ્યા હતા. બહુમતીના આંકને સ્પર્શ્યા પછી ભાજપે મહત્વના બિલો પસાર કરવા માટે હવે બીજેડી, વાયએસઆર, બીઆરએસ, એઆઈએડીએમકે જેવા પક્ષો પર આધાર રાખવો પડશે નહીં.
બીજી તરફ કોંગ્રેસની રાજ્યસભામાં વિપક્ષના નેતાની ખુરશી પણ સુરક્ષિત રહેશે. રાજ્યસભામાં કોંગ્રેસના સંખ્યાબળમાં એકનો વધારો થતાં આ સંખ્યા બળ હવે 27 થયું છે, જે વિપક્ષના નેતા પદ માટે જરૂરી 25 બેઠકો કરતાં બે વધુ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.