CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 2 of 51 - CIA Live

December 23, 2025
image-22.png
1min72

ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ (Electoral Bond Scheme) ને અસંવૈધાનિક ગણાવીને રદ કરી દીધી હતી. ઘણાને એમ હતું કે આ નિર્ણયથી રાજકીય પક્ષોના ફંડિંગમાં ઘટાડો થશે, પરંતુ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કિસ્સામાં ચિત્ર તદ્દન ઉલટું જોવા મળ્યું છે. ચૂંટણી પંચના તાજેતરના અહેવાલ મુજબ, બોન્ડ સ્કીમ બંધ થયા પછી પણ ભાજપના ડોનેશનમાં ધરખમ વધારો થયો છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ભાજપના ‘કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ 2024-25’ મુજબ, લોકસભા ચૂંટણીના આ વર્ષમાં પાર્ટીને કુલ ₹6,088 કરોડનું દાન મળ્યું છે. આ આંકડો વર્ષ 2023-24 માં મળેલા ₹3,967 કરોડ કરતા 53 ટકા વધુ છે. નોંધનીય છે કે છેલ્લા 6 વર્ષમાં ભાજપને મળેલું આ સૌથી વધુ વાર્ષિક ફંડ છે.

કોંગ્રેસ કરતા 12 ગણું વધુ ફંડ
વિપક્ષી પાર્ટીઓની સરખામણીએ ભાજપનો ખજાનો ઘણો મોટો છે. આંકડાઓની સરખામણી કરીએ તો:

ભાજપ: ₹6,088 કરોડ
કોંગ્રેસ: ₹522.13 કરોડ

વિપક્ષી એકતા: કોંગ્રેસ સહિત દેશની મુખ્ય 12 વિપક્ષી પાર્ટીઓનું કુલ દાન માત્ર ₹1,343 કરોડ થાય છે. એટલે કે ભાજપને આ 12 પાર્ટીઓના કુલ ફંડ કરતા 4.5 ગણું વધુ દાન મળ્યું છે.

રિપોર્ટની વિગતો તપાસતા જાણવા મળે છે કે ભાજપને મળેલા કુલ ફંડમાંથી:

ઈલેક્ટોરલ ટ્રસ્ટ (Electoral Trusts): ₹3,744 કરોડ (કુલ ફંડના 61%) ટ્રસ્ટ મારફતે મળ્યા છે.
કોર્પોરેટ્સ અને વ્યક્તિગત દાન: બાકીના ₹2,344 કરોડ કંપનીઓ અને વ્યક્તિગત દાતાઓ પાસેથી મળ્યા છે.

ટોપ ડોનર્સ: કોણે કેટલી તિજોરી ખોલી?

ભાજપને મોટું દાન આપનારી કંપનીઓની યાદીમાં દેશના મોટા કોર્પોરેટ જૂથો સામેલ છે:

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII): ₹100 કરોડ
રુંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ: ₹95 કરોડ
વેદાંતા લિમિટેડ: ₹67 કરોડ
મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ): ₹65 કરોડ
આઈટીસી (ITC Limited): ₹39 કરોડ
મેનકાઇન્ડ ફાર્મા: ₹30 કરોડ

કેન્દ્ર સરકારે 2017-18 માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી, જેનો હેતુ રાજકીય પક્ષોને અજ્ઞાત રીતે દાન આપવાનો હતો. ફેબ્રુઆરી 2024 માં સુપ્રીમ કોર્ટે આ સ્કીમને પારદર્શિતાના અભાવે અસંવૈધાનિક જાહેર કરી હતી.

જોકે, નવા આંકડા સૂચવે છે કે કોર્પોરેટ જગત હવે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે બેંક ટ્રાન્સફર જેવા અન્ય કાયદેસરના માધ્યમો દ્વારા ભાજપને રેકોર્ડબ્રેક દાન આપી રહ્યું છે.

December 22, 2025
maharashtra-leaders.jpg
1min45

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીઓમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને ક્લીન સ્વીપ કર્યું છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, આ ચૂંટણી પરિણામોમાં સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નું રહ્યું છે, જેનું ખાતું પણ ખુલી શક્યું નથી.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 21 ડિસેમ્બરે જાહેર કરાયેલા પરિણામો મુજબ, ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને કુલ 207 નગર અધ્યક્ષ પદો પર ભવ્ય જીત મેળવી છે. આમાં, ભાજપ 117 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે એકનાથ શિંદે જૂથની શિવસેનાને 53 અને અજિત પવાર જૂથની NCPને 37 પદ મળ્યા છે. બીજી તરફ, વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) માત્ર 44 નગર અધ્યક્ષ પદો પર જ સમેટાઈ ગયું હતું. MVAમાં કોંગ્રેસે 28, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ 9 અને શરદ પવાર જૂથની NCPએ 7 પદ જીત્યા છે.

આ ચૂંટણીઓમાં રાજ ઠાકરેની MNSનું શરમજનક પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે. પાર્ટીનું ખાતું પણ ન ખુલતા તેની જમીની પકડ પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ પહેલીવાર નથી જ્યારે MNSને આવી હારનો સામનો કરવો પડ્યો હોય. ઓગસ્ટ 2025માં મુંબઈ BEST કર્મચારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં પણ MNS અને શિવસેના (UBT)ની સંયુક્ત પેનલ એક પણ સીટ જીતી શકી ન હતી. આ પહેલા, નવેમ્બર 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ MNS 135 બેઠકો પર લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી.

સતત હાર બાદ હવે સૌની નજર 15 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનારી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત 29 નગર નિગમોની ચૂંટણીઓ પર છે. આ ચૂંટણીના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે. આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન કરશે કે કેમ, તે હજુ સુધી સ્પષ્ટ નથી.

December 19, 2025
SIR.png
1min70

ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.

3,81,470+40 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.

તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદી છે કે નહીં?

ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ જોવા માટે http://ceo.gujarat.gov.in,વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જોઈ શકાશે.

અહીં તમામ ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આમાં વિગતો બધી પીડીએફ દ્વારા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી તમારૂ નામ શોધવામાં સમલ લાગી શકે છે.

નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું રહેશે

જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.

આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક મેગા સિટી જેટલા એટલે 73,73,110 મતદારોને રદ્દ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં નવેમ્બર મહિનાથી એસઆઈઆરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોટિસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તારીખ 17/02/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં જાહેર કરવામાં આવશે.

December 15, 2025
image-9.png
1min62
  • નીતિન નબિન ૧૨મું ભણેલા છે, તેમની સામે પાંચ કેસ છે અને તેમના નામે સંપત્તિ નથી
  • લોકસભામાં કેન્દ્રીય મંત્રી અને સાત વખત સાંસદ બનનારા પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશમાં ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક

ભાજપ સંસદીય બોર્ડે રવિવારે Dt 14/12/2025 બિહાર સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન નબિનની રવિવારે પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે પસંદગી કરીને વધુ એક વખત બધાને ચોંકાવી દીધા છે. નીતિન નબિન જેપી નડ્ડાનું સ્થાન લે તેવી શક્યતા છે. બીજીબાજુ કેન્દ્ર સરકારમાં મંત્રી અને લોકસભા સાંસદ પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. કુર્મી નેતા પંકજ ચૌધરીની પસંદગી કરીને ભાજપે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં કુર્મી મતબેન્ક પર નજર હોવાના સંકેત આપ્યા છે.

ભાજપમાં લાંબા સમયથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના સ્થાને સંગઠનમાં નવા પ્રમુખની નિમણૂક વિલંબમાં મુકાતી રહી છે. જોકે, આખરે રવિવારે ભાજપે નવા પક્ષપ્રમુખની નિમણૂકનો માર્ગ મોકળો કરી દીધો છે. ભાજપના સંસદીય બોર્ડે બિહાર કેબિનેટના મંત્રી અને બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય બનનારા ૪૫ વર્ષના નિતિન નવીનની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે, જેઓ આગામી સમયમાં પ્રમુખ જેપી નડ્ડાનું સ્થાન લઈ શકે છે. નીતિન નબિનની નિમણૂક કરીને ભાજપે પક્ષના સંગઠન માળખામાં પેઢીગત પરિવર્તનના સંકેત આપ્યા છે.

નીતિન નબિન ભાજપના દિવંગત નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નબિન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે. તેમને અત્યંત ગતિશીલ અને વૈચારિક રીતે સંગઠન પ્રત્યે કટિબદ્ધ માનવામાં આવે છે તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. નીતિન નબિનની સંગઠન ક્ષમતા, ચૂંટણી રણનીતિ, વહીવટી અનુભવ અને જમીની સ્તર પર પકડને ધ્યાનમાં રાખતા તેમને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. પક્ષના સૂત્રો મુજબ આ નિમણૂક માત્ર સંગઠનાત્મક પરિવર્તન નહીં, પરંતુ આગામી સમયમાં રાષ્ટ્રીય રાજકારણની દિશા નિશ્ચિત કરનારું પગલું માનવામાં આવે છે.

બિહારમાં બે વખત મંત્રી તરીકેની સેવા તેમજ છત્તીસગઢમાં પક્ષના ઈન્ચાર્જ તરીકે તેમની ભૂમિકા અસાધારણ રહી છે. તેમણે પક્ષમાં સંગઠનના દરેક સ્તર પર કામ કર્યું છે. યુવા મોરચાથી લઈને રાજ્ય સરકાર અને હવે રાષ્ટ્રીય સંગઠન સુધીમાં તેમનો પ્રવાસ પક્ષની અંદર વિશ્વાસનું પ્રતિક મનાય છે.

દરમિયાન ભાજપે રવિવારે ઉત્તર પ્રદેશમાં પણ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પીયુષ ગોયલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં લખનઉમાં પક્ષની ઓફિસમાં એક કાર્યક્રમાં પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ તરીકે ઔપચારિક જાહેરાત કરી હતી. પંકજ ચૌધરીએ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ કરી લીધું છે.

મહારાજગંજથી સાત વખત સાંસદ બનેલા અને કેન્દ્રીય નાણાં વિભાગના રાજ્ય મંત્રી પંકજ ચૌધરી કુર્મી સમાજમાંથી આવે છે. પ્રદેશ અધ્યક્ષપદ પર તેમની નિમણૂકને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં ઓબીસી મતબેન્કને મજબૂત કરવાની ભાજપની રણનીતિ તરીકે જોવામાં આવે છે. આ પહેલાં શનિવારે પંકજ ચૌધરીએ એકમાત્ર ઉમેદવાર તરીકે પ્રદેશ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી હતી

December 1, 2025
sir-extended.png
1min78

  • ચૂંટણી પંચે ‘સર’ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે
  • 16 ડિસે.એ ડ્રાફ્ટ રોલ, 14 ફેબુ્ર.એ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે

દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની ‘ટૂંકી ટાઈમલાઈન’ના કારણે જનતા અને જમીન પરના ચૂંટણી કર્મચારીઓ માટે સમસ્યા ઊભી થઈ રહી હોવાના વિપક્ષના આક્ષેપોના પગલે ચૂંટણી પંચે ‘સર’ કાર્યક્રમની સમય મર્યાદા એક સપ્તાહ માટે લંબાવી છે. હવે મતદારો ૧૧મી ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે તથા અંતિમ મતદાર યાદી ૧૪ ફેબુ્રઆરીએ જાહેર કરાશે. દરમિયાન રવિવારે રાજસ્થાન-ઉત્તર પ્રદેશમાં ત્રણ બીએલઓનાં મોત થયા હતા.

ચૂંટણી પંચે બિહાર પછી હવે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ શરૂ કર્યો છે, જેનો પહેલો તબક્કો ચાર ડિસેમ્બરે પૂરો થવાનો હતો. જોકે, સરની કામગીરીના બોજ અને અનેક પ્રકારની જટીલતાઓના કારણે વ્યાપક સમસ્યાઓ ઊભી થઈ રહી છે તથા કામના બોજથી બીએલઓનાં મોત થઈ રહ્યા છે અથવા તેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેવા વિપક્ષના આક્ષેપોના કારણે ચૂંટણી પંચે રવિવારે ‘સર’ની ટાઈમલાઈન સાત દિવસ લંબાવી છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, હવે સરનો પહેલો તબક્કો જે ૪ ડિસેમ્બરે પૂરો થવાનો હતો તે ૧૧ ડિસેમ્બરે પૂરો થશે. એટલે કે મતદારો ૧૧ ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે. ચૂંટણી પંચે જાહેર કરેલી નોટિસ મુજબ પુનરીક્ષણ પછી મતદાર યાદીનો મુસદ્દો ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત કરાશે અને અંતિમ મતદારા યાદી હવે ૧૪ ફેબુ્રઆરીએ પ્રકાશિત કરાશે. મતદારો ૧૧ ડિસેમ્બરે ફોર્મ ભરીને આપે પછી ૧૨થી ૧૫ ડિસેમ્બર વચ્ચે કંટ્રોલ ટેબલ તૈયાર કરાશે.

ચૂંટણી પંચે કહ્યું કે, આ સમયમાં બધા જ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોની કાચી યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ તૈયાર કરાશે. મતદારો તેમના વાંધા ૧૬ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી વચ્ચે નોંધાવી શકશે. આ સમયમાં મતદારોના જવાબ મેળવાશે. ૧૦ ફેબુ્રઆરીએ બધા જ માપદંડો પર મતદાર યાદીના ડ્રાફ્ટ રોલની ચકાસણી થશે. ત્યાર પછી ૧૪ ફેબુ્રઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરાશે.

મતદાર યાદી સુધારણા માટે એસઆઈઆરનું કામ કરી રહેલા બીએલઓ પર કામનું વધુ દબાણ હોવાના અહેવાલો વચ્ચે ચૂંટણી પંચે બીએલઓનું માનદ વેતન રૂ. ૬,૦૦૦થી વધારીને રૂ. ૧૨,૦૦૦ તેમજ બીએલઓ સુપરવાઈઝરનું ભથ્થું રૂ. ૧૨,૦૦૦થી વધારીને રૂ. ૧૮,૦૦૦ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને બીએલઓ અને સુપરવાઈઝરને સુધારેલા ભથ્થાંની ચૂકવણી તાત્કાલિક અસરથી કરવા નિર્દેશ આપ્યા છે.

દરમિયાન રાજસ્થાનના ધોલપુરમાં બીએલઓની કામગીરી કરતા ૪૨ વર્ષના અનુજ ગર્ગ શનિવારે મોડી રાતે મતદારોનો ડેટા અપલોડ કરતી વખતે તેમના જ ઘરમાં ફસડાઈ પડયા હતા અને તેમનું નિધન થયું હતું.

પરિવારનો દાવો છે કે એસઆઈઆરની કામગીરીના અત્યાધિક બોજના કારણે તેમનું મોત થયું છે. એજ રીતે ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ધામપુર વિસ્તારમાં બીએલઓ ૫૬ વર્ષીય શોભારાનીનું કાર્ડિઆક અરેસ્ટના કારણે મોત થયું હતું. તેમના પરિવારે પણ બીએલઓની કામગીરીનો અત્યાધિક બોજ હોવાનો દાવો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ૪૬ વર્ષના બીએલઓ સર્વેશ સિંહે આત્મહત્યા કરી લીધી હતી. ચાર પુત્રીઓના પિતા સર્વેશ સિંહે સુસાઈડ નોટમાં દાવો કર્યો હતો કે તેમને એસઆઈઆરની કામગીરી માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો નહોતો.

બીએલઓને ટાઈગર સફારી, હેલિકોપ્ટર જોય રાઈડનું ઈનામ!

ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેની જવાબદારી બીએલઓને સોંપાઈ છે. બીએલઓ પર કામનું અત્યાધિક દબાણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશમાં નિશ્ચિત સમય મર્યાદા કરતાં વહેલા કામગીરી પૂરી કરનારા ‘સુપર બીએલઓ’ ટાઈગર સફારી, મુવી ટિકિટ અને હેલિકોપ્ટર રાઈડ જેવા શાનદાર ઈનામો મેળવી રહ્યા છે.

મધ્ય પ્રદેશના જબલપુરની સ્નેહલતા પટેલે તેમનાં કાર્યક્ષેત્રના તમામ બૂથોનું ૧૦૦ ટકા ડિજિટાઈઝેશન પૂરું કરતાં પહેલા બીએલઓ સુપરવાઈઝર બન્યા હતા. તેમણે પનાગર વિધાનસભા ક્ષેત્રના ૭,૭૦૬ મતદારોના ફોર્મ સમય પહેલાં અપલોડ કરી દેતા તેમને પીએમ શ્રી હેલી પ્રવાસન સેવાના માધ્યમથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાન્હા અને બાંધવગઢનો હવાઈ પ્રવાસ કરાવાયો હતો. એ જ રીતે રીવા જિલ્લામાં ૧૨ બીએલઓએ સમય પહેલાં કામગીરી પૂરી કરતાં તેમને પરિવાર સાથે વ્હાઈટ ટાઈગર સફારી મુકુંદપુર અને ફિલ્મ ટિકિટના ઈનામ અપાયા હતા.

November 12, 2025
image-9.png
1min91

બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ગઈ કાલે યોજાયેલા બીજા તબક્કામાં લગભગ 69 ટકા મતદાન નોંધાયું, બંને તબક્કા મળીને કુલ લગભગ 66 ટકા મતદાન નોંધાયું, જે ગત વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 9.6 ટકા વધુ છે. પરિણામ શુક્રવારે જાહેર થશે એ પહેલા કેટલાક એક્ઝિટ પોલ્સમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ની જીતની આગાહી કરવામાં આવી છે, NDA નેતા એક્ઝિટ પોલ્સને આવકારી રહ્યા છે, તો મહાગઠબંધનના નેતાઓ તેને નકલી ગણાવી રહ્યા છે.

11 નવેમ્બર 2025ના રોજ બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ મેટ્રિઝ, પી-માર્ક, પીપલ્સ પલ્સ, ભાસ્કર, પીપલ્સ ઇનસાઇટ, JVC અને પોલ ડાયરી જેવા એક્ઝિટ પોલ્સમાં અંદાજ લગાવવામાં આવ્યો કે બિહારની કુલ 243 વિધાનસભા બેઠકોમાંથી NDA ને 130થી વધુ બેઠકો મળી શકે છે, જે બહુમતના આંકડા 122થી વધુ છે. જ્યારે એક ન્યુઝ પોર્ટલ જર્નો મિરરે અંદાજ આપ્યો કે મહાગઠબંધનને ઓછામાં ઓછી 130-140 બેઠકો મળી શકે છે, જયારે NDAને 100-110 બેઠકો મળશે.

ભાજપે એક્ઝિટ પોલ્સને આવકાર્યા:

જાહેર થયેલા એક્ઝિટ પોલ્સને કારણે ભાજપ અને સાથી પક્ષોનો ઉત્સાહ વધ્યો છે. ભાજપના સાંસદ દિનેશ શર્માએ એક્ઝિટ પોલ્સનું આવકાર્યા, તેમણે કહ્યું કે બિહારમાંથી આરજેડી અને કોંગ્રેસની સફાઈ શરૂ થઈ ગઈ છે. આ વખતના પરિણામો સૌને ચોંકાવી દેશે.

ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે મહાગઠબંધને ચૂંટણી પરિણામો પહેલા જ હાર સ્વીકારી લીધી છે. પ્રચાર દરમિયાન અમને જે સમર્થન મળ્યું એ એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહાએ કહ્યું કે એક્ઝિટ પોલ દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે NDAને એક્ઝિટ પોલ્સ કરવા વધુ બેઠકો મળશે.

મહાગઠબંધને એક્ઝિટ પોલ્સને નકાર્યા:

NDA નેતા એક્ઝિટ પોલનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે મહાગઠબંધને એક્ઝિટ પોલને ફગાવી દીધા છે. મહાગઠબંધનનું માનવું છે કે બિહાર ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન સત્તા પરિવર્તનના સંકેત આપે છે.

રાષ્ટ્રીય જનતા દળ(RJD) સાંસદ સુધાકર સિંહે જણાવ્યું હતું “વધુ મતદાનને હંમેશા સત્તાધારી સરકાર સામે લોકોના જનાદેશ તરીકે જોવામાં આવે છે. આપણે અંતિમ પરિણામની રાહ જોવી જોઈએ. મને વિશ્વાસ છે કે ‘મહાગઠબંધન’ બિહારમાં સરકાર બનાવશે. એક્ઝિટ પોલ વાસ્તવિક નથી”.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક્ઝિટ પોલ્સને “પૂર્વયોજિત” અને “બનાવટી” ગણાવ્યા. તેમણે બિહારમાં સત્તા પરિવર્તન માટે મતદાન કરવા બદલ બિહારની જનતાના વખાણ કર્યા.

યાદવે એક્ઝિટ પોલના ડેટા અંગે મીડિયા પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું, “‘જીસકા દાના ઉસકા ગાના’”

અખિલેશ યાદવે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાનના એક્ઝિટ પોલની આગાહીઓ ખોટી સાબિત થઈ હતી.

November 11, 2025
image-5.png
1min91

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠકનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન થશે. બધા વિસ્તાર નેપાળની સાથે સરહદ ધરાવતા ક્ષેત્ર છે.

બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વહેલી સવારે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન થયું છે.

બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 45399 મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી 40073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.

122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.

બીજા તબક્કામાં મોટાભાગના જિલ્લા સીમાંચલના

મોટાભાગના જિલ્લા સીમાંચલમાં આવેલા છે અને અહીં મુસ્લિમોની વસ્તી મોટાપાયા પર હોવાથી ઇન્ડિયા બ્લોકના સારા પર્ફોર્મન્સની જવાબદારી તેના શિરે છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને શાસક પક્ષના કેબિનેટ પ્રધાન બિજેન્દ્રપ્રસાદ યાદવ સળંગ રેકોર્ડ બ્રેક સળંગ આઠમી વખત તેમની સુપૌલની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.આ જ રીતે તેમના કેબિનેટના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર પણ આઠમી વખત તેમની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે. અન્ય જાણીતા ચહેરોઓમાં જોઈએ તો ભાજપના મંત્રી બેટ્ટિયાના રેણુદેવી અને છતપુરના નીરજકુમાર જેવા જાણીતા ચહેરાની પણ બરોબરની કસોટી થશે. આ સિવાય જેડીયુના લેશીસિંહની ધમદાહા, શીલા મંડલની ફુલપારસ અને ચૈનપુરમાં ઝમાખાનના બળાબળના પારખા થશે.

કયા કયા દિગ્ગજ મેદાને?

ભાજપના જ અન્ય જાણીતા ચહેરાઓમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ સળંગ પાંચમી ટર્મ માટે તેમની કટિહાર સીટ જાળવવા ચૂંટણીના જંગમાં ઉતરશે. કટિહાર જિલ્લો બલરામપુર અને કડવા વિધાનસભા બેઠકો પણ ધરાવે છે. અહીં સીપીઆઈ-એમએલના મહેબૂબ આલમ અને શકીલ એહમદ ખાન તેમની સીટ જાળવવા ત્રીજી વખત ઉતરશે.

October 18, 2025
image-15.png
1min227

ગુજરાતના નવા મંત્રીમંડળની રચના સાથે જ રાજ્યના રાજકીય ચિત્રમાં અનેક રસપ્રદ પાસાઓ ઉભરી આવ્યા છે. સરેરાશ 55 વર્ષની વય અને 11 કરોડની સરેરાશ સંપત્તિ ધરાવતું આ મંત્રીમંડળ અનુભવ અને સમૃદ્ધિનું પ્રતિક છે, પરંતુ તેની અંદર રહેલી વિવિધતા ગુજરાતના રાજકારણની જટિલતાને પણ દર્શાવે છે.

સૌથી સંપત્તિવાન મંત્રી કોણ?

સંપત્તિમાં જમીન-આસમાનનો તફાવત આ મંત્રીમંડળમાં એક તરફ કરોડોમાં આળોટતા મંત્રીઓ છે, તો બીજી તરફ સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા ચહેરાઓ પણ છે. મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય તરીકે રીવાબા જાડેજા 97 કરોડથી વધુની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યારબાદ પરષોત્તમ સોલંકી 43.52 કરોડ) અને પ્રફુલ પાનસેરિયા (19.70 કરોડ) જેવા કરોડપતિ મંત્રીઓ છે.

જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. જયરામ ગામિત (47 લાખ) અને સ્વરૂપસિંહ ઠાકોર (91 લાખ) જેવા મંત્રીઓ પણ છે, જેમની સંપત્તિ એક કરોડથી પણ ઓછી છે. આ આંકડા દર્શાવે છે કે મંત્રીમંડળમાં આર્થિક રીતે ભયંકર અસમાનતા છે, જે ગુજરાતના રાજકારણમાં ધનબળના વધતા પ્રભાવ અને પાયાના કાર્યકરોની ભાગીદારી વચ્ચેના સંતુલનને રજૂ કરે છે.

સૌથી યુવા મંત્રી કોણ?

અનુભવ અને યુવા જોશનો સમન્વય મંત્રીમંડળની સરેરાશ ઉંમર 55 વર્ષ છે, જે દર્શાવે છે કે સરકાર ચલાવવામાં અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 74 વર્ષીય કનુ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ સરકારને સ્થિરતા અને માર્ગદર્શન આપશે. તો બીજી તરફ, રીવાબા જાડેજા (35 વર્ષ) અને હર્ષ સંઘવી (37 વર્ષ) જેવા યુવા ચહેરાઓ નવી પેઢીની ઉર્જા અને દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ મિશ્રણ સરકાર માટે એક જ સમયે અનુભવનો લાભ લેવા અને ભવિષ્ય માટે નવી નેતાગીરી તૈયાર કરવાની રણનીતિનો સંકેત આપે છે.

કોણ કેટલું ભણેલું

શિક્ષણનું વૈવિધ્યસભર ચિત્ર શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ પણ મંત્રીમંડળમાં વિવિધતા જોવા મળે છે. એક તરફ મનીષા વકીલ (PhD) અને પ્રદ્યુમન વાજા (MBBS) જેવા ઉચ્ચ શિક્ષિત મંત્રીઓ છે, તો બીજી તરફ નરેશ પટેલ અને સ્વરૂપસિંહ ઠાકોર જેવા 10 પાસ થયેલા મંત્રીઓ પણ છે. આ દર્શાવે છે કે રાજકારણમાં સફળ થવા માટે માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં, પરંતુ જનતા સાથેનું જોડાણ અને રાજકીય કુનેહ પણ એટલી જ મહત્વની છે.

આમ, ગુજરાતનું નવું મંત્રીમંડળ સંપત્તિ, વય અને શિક્ષણના મામલે એક અત્યંત વૈવિધ્યસભર જૂથ છે. આ ‘મિની ગુજરાત’ સરકાર સામે રાજ્યના વિકાસને આગળ ધપાવવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મોટો પડકાર રહેશે. આગામી સમય જ બતાવશે કે આ વિવિધતા સરકાર માટે તાકાત બને છે કે નબળાઈ.

October 16, 2025
BHUPENDRA.jpg
2min142

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.

ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.

ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

October 13, 2025
image-11.png
1min207

બિહારમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. બધા જ પક્ષો ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે લાંબી ખેંચતાણ પછી અંતે રવિવારે ભાજપ નેતૃત્વના એનડીએમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકલી ગયો છે. બિહારમાં ભાજપ અને નીતિશ કુમારના જદયુ ૧૦૧-૧૦૧ બેઠકો પર જ્યારે ચિરાગ પાસવાનના લોજપ સહિતના સાથી પક્ષો બાકીની ૪૧ બેઠકો પર ચૂંટણી લડશે.

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી એનડીએમાં બેઠકોની વહેંચણી માટે ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી સહિતના પક્ષોને મનાવવા ભાજપ માટે મુશ્કેલ બન્યું હતું. જોકે, ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને જદયુ નેતા સંજય ઝાએ રવિવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બેઠકોની વહેંચણીની કામગીરી સંતોષજનક રીતે પૂરી થઈ હોવાની જાહેરાત કરી હતી.

એનડીએના પક્ષોમાં બેઠકોની વહેંચણી અંગેની સમજૂતી મુજબ ભાજપ અને નીતિશ કુમારના જદયુ ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે ચિરાગ પાસવાનના પક્ષ લોકજનશક્તિ પક્ષ (લોજપ)ને ૨૯ બેઠકો આપવામાં આવી છે. આ સિવાય જિતનરામ માંઝીના પક્ષ ‘હમ’ અને ઉપેન્દ્ર કુશવાહાન અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષ રાષ્ટ્રીય લોક મોરચાને ૬-૬ બેઠકો ફાળવવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, પાછલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવે તો બેઠકોની વહેંચણીમાં સૌથી વધુ ૧૪ બેઠકો જદયુએ છોડવી પડી છે જ્યારે ભાજપે નવ અને હમે એક બેઠક ગુમાવી છે. બેઠક વહેંચણીની ચર્ચામાં જદયુએ અગાઉની ચૂંટણીમાં તેઓ જે બેઠકો પર લડયા હતા તેમાંથી કોઈ બેઠક ચિરાગ પાસવાનના લોજપ માટે નહીં છોડવાની જીદ ચાલી નહીં.

જદયુ નેતા સંજય ઝાએ લખ્યું અમે એનડીએના સાથીઓએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠકોનું વિતરણ કર્યું છે. એનડીએના બધા જ નેતા અને કાર્યકરો આ બેઠક વહેંચણીનું સ્વાગત કરે છે અને મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રચંડ બહુમતીથી ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે સંકલ્પ કરે છે. બિહાર ફરીથી એનડીએ સરકાર બનાવવા તૈયાર છે.

એનડીએની બેઠક વહેંચણીથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે મોટા ભાઈ- નાના ભાઈની ભૂમિકા ખતમ થઈ ગઈ છે, કારણ કે ભાજપ અને જદયુ બંને એક સમાન ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે. જોકે, આ બાબતના સંકેત બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે પહેલાથી જ આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં કોઈ મોટા ભાઈ-નાના ભાઈની ભૂમિકામાં નહીં રહે.

બેઠકોની વહેંચણી માટે ચિરાગ પાસવાનને મનાવવા અનેક પ્રયત્નો થયા હતા. જોકે, આ ફોર્મ્યુલા નિશ્ચિત થયા પછી પાસવાને કહ્યું, એનડીએ પરિવારે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પૂરી કરી લીધી છે. જિતનરામ માંઝીએ પણ કહ્યું કે, અમને લોકસભામાં એક જ બેઠક મળી હતી ત્યારે પણ નારાજ નહોતા અને હવે છ બેઠક મળી છે તો પણ નારાજ નથી. અમે અંતિમ શ્વાસ સુધી વડાપ્રધાન મોદી સાથે રહીશું.