CIA ALERT

ઇન્ડીયા Archives - Page 7 of 209 - CIA Live

September 4, 2025
image-6.png
1min117

બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.

3/9/25 GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.

આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.

બાંધકામ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. GST ઘટાડાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટવાથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી આગળ વધશે. જેનાથી રોજગારની તકોમાં પણ વધારો થશે, કારણ કે બાંધકામ ઉદ્યોગ અનેક અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને બજારમાં સકારાત્મક માહોલ ઊભો થશે.

રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલુ બાંધકામ ઉદ્યોગ માટે માત્ર રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે. સરકારના આ નિર્ણયથી નવા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઘરો ઉપલબ્ધ થશે, જે દેશના હાઉસિંગ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

September 4, 2025
image-5.png
2min119

જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલી લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લગાવાયા છે. બેઠકમાં હાજર તમામ સભ્યો તમાકૂ ઉત્પાદનો પર 40 ટકા ટેક્સ લાદવા માટે સંમત થયા છે. તો જાણીએ કયા કયા ઉત્પાદનો પર 40 ટકા લાદવામાં આવ્યો.

આ પણ વાંચો : 5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

આ ચીજવસ્તુઓ પર 40 ટકા GST

સુપર લક્ઝરી ચીજવસ્તુઓ
પાન મસાલા
સિગારેટ ગુટખા
ચાવવાની તમાકુ
જરદા
એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ
વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ
લક્ઝરી કાર
ફાસ્ટ ફૂડ

આ ચીજવસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાદવા ઉપરાંત અલગથી સેસ પણ લાગી શકે છે.

જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી

હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%
માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%
પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%
વાસણો 12% થી 5%
ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%
સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5%
આરોગ્ય ક્ષેત્રે રાહત

હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય
થર્મોમીટર 18% થી 5%
મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%
ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%
ચશ્મા 12% થી 5%
સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી

નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય
પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય
પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય
ઇરેઝર 5% થી શૂન્ય

ખેડૂતોને રાહત

ટ્રેક્ટર 12% થી 5%
ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%
જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%
જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5%
વાહનો થશે સસ્તા

પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%
350 CC સુધીના બાઇક 28% થી 18%
માલ પરિવહન માટેના વાહનો 28% થી 18%
ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો

એર કંડિશનર 28% થી 18%
32 ઇંચથી મોટા ટીવી 28% થી 18%
મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18%
ડીશ વોશિંગ મશીન 28% થી 18%

September 2, 2025
image-4.png
1min198

સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં સોમવારે (પહેલી સપ્ટેમ્બર) નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આદેશ આપ્યો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.

કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, નવા શિક્ષકો માટે TET પાસ કરવી ફરજિયાત છે, આ ઉપરાંત પહેલાથી નોકરી કરી રહેલા શિક્ષકો જો બઢતી મેળવવા ઈચ્છે તો તેમના માટે પણ TET પાસ કરવી ફરજિયાત રહેશે. કોર્ટે કહ્યું કે, જો કોઈ શિક્ષક નવી નોકરી અથવા બઢતી મેળવવા ઈચ્છે તો TET પાસ કર્યા વગર તેમનો કોઈપણ દાવો માન્ય ગણાશે નહીં. જોકે, બેન્ચે પાંચ વર્ષથી ઓછો સમય બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. આવા શિક્ષકોને TET પાસ કરવાની જરૂરિયાત રહેશે નહીં અને તેઓ તેમની નિવૃત્તિ સુધી નોકરી પર રહી શકશે. પરંતુ જો આવા શિક્ષકો બઢતી મેળવવા ઈચ્છે તો તેમને TET પાસ કરવી ફરજિયાત રહેશે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે, જે શિક્ષકો શિક્ષણનો અધિકાર કાયદો (RTE-2009) લાગુ થતાં પહેલાં નિમણૂક થયા છે અને જેમની પાંચ વર્ષથી વધુ સેવા બાકી છે, તેમણે બે વર્ષની અંદર TET પાસ કરવી જ પડશે. જો તેઓ આ ગાળામાં TET પાસ ન કરે તો તેમને નોકરી ગુમાવવી પડશે અને તેમને માત્ર ટર્મિનલ બેનિફિટ્સ જ મળશે.

સુપ્રીમ કોર્ટે લઘુમતી દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને હાલ પૂરતી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે, આ આદેશ હમણાં તે સંસ્થાઓ પર લાગુ પડશે નહીં. RTE કાયદો આ શાળાઓને લાગુ થાય છે કે નહીં, તે કાયદાકીય સવાલ હાલ સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે. જ્યાં સુધી આ અંગે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી લઘુમતી સંસ્થાઓના શિક્ષકો માટે TET પાસ કરવી ફરયિજાત નહીં રહે.

ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) એક રાષ્ટ્રીય સ્તરની પાત્રતા પરીક્ષા છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો ધોરણ-1થી ધોરણ-8માં શિક્ષક બનવા માંગનાર ઉમેદવારની યોગ્યતા નક્કી થાય છે. આ પરીક્ષા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા 2010માં ફરજિયાત કરાઈ હતી. NCTEએ શિક્ષકોને TET પાસ કરવા માટે પાંચ વર્ષનો સમય આપ્યો હતો, જેને પાછળથી ચાર વર્ષ સુધી લંબાવાયો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં TET ફરજિયાત પાસ કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ આ નિર્ણય લીધો છે, હવે દેશભરના શિક્ષકો પર અસર કરી છે.

September 1, 2025
image-2.png
1min145

ગુજરાતમાં મેડિકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમા મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. રવિવારે (31 ઓગસ્ટ) જનરક્ષક હેઠળ 112 ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઈમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં 150 જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. સાથેસાથે ગૃહમંત્રી અમિત શાહે 500 જેટલી 112 જનરક્ષક વાનનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્યમાં મેડીકલ ઇમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડની સેવા માટે 101, અભયમ હેલ્પલાઇન માટે 181 તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં અલગ-અલગ સેવા માટે અલગ-અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. હવે 112 નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓનો લાભ લઈ શકાશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં 112 જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મૂકી હતી. આ સાથે પોલીસે હાઉસિંગના આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાયલ 112 માટે અમદાવાદ ખાતે એક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જે કૉલ રીસિવ કરીને તુરંત પ્રતિક્રિયા આપીને જે-તે સેવા પહોંચતી કરવા માટે જાણ કરશે. આ ઉપરાંત, દરેક જિલ્લાઓમાં 112 જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનનું રીયલ ટાઇમ મોનિટરિંગ કરશે. ગુજરાત પોલીસના બેડામાં નવી 500 વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે.

112 જનરક્ષક સેવાને 108 મેડિકલ ઈમરજન્સી મોડલના આધારે સંચાલિત રકીને વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં કૉલ સેન્ટરનો વ્યાપ વધશે.

August 30, 2025
jharange.png
1min122

મરાઠા સમાજમાં ઓબીસી આરક્ષણ આપવામાં આવે તે માટે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ કર્યા શરૂ કર્યા છે. ગઈકાલે 29/8/25 જરાંગે મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈ આવી પહોંચતા દક્ષિણ મુંબઈ લગભગ બંધ જેવું થઈ ગયું હતું અને ઘરની બહાર નીકળેલા મુંબઈગરાઓ બેહાલ થઈ ગયા હતા.

મનોજ જરાંગેને આ પોલીસે માત્ર 5,000 સમર્થકોને આઝાદ મેદાનમાં જમા કરવાની પરવાનગી આપી છે, પરંતુ મળતી માહિતી અનુસાર સવારથી જ સમર્થકોની ભીડ જમા થઈ ગઈ છે. ગઈકાલે 29/8/25 ઈસ્ટર્ન એકપ્રેસ વે, વાશી સહિતના દક્ષિણ મુંબઈમાં પ્રવેશ મેળવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

ટ્રાફિક પોલીસે લોકોને બની શકે તો દક્ષિણ મુંબઈ તરફ ન આવવા જણાવ્યું હતું. જે લોકો કામ માટે નીકળી ગયા હતા તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સીએસટી અને ચર્ચગેટ સ્ટેશનો પર પણ સમર્થકોએ ધસારો કરતા રોજ પ્રવાસ કરતા મુંબઈના મુસાફરો અટવાયા હતા.

આજે પણ જરાંગેના ઉપવાસ ધરણા ચાલુ છે અને લોકો આઝાદ મેદાન આસપાસ જમા થયા છે. આ સાથે જૈનોની સંવતસરી અને ગણેશોત્સવની પણ ધૂમ છે તો બીજી બાજુ શહેરમાં વરસાદી માહોલ હોવાથી લોકોએ બને તો પ્રવાસ ટાળવો તે જ સલાહભર્યું લાગે છે.

નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે મનોજ જરાંગેના આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેકને આંદોલન કરવાનો, પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે.

જરાંગેની માગણીઓ માટે અમે એક સમિતિ બનાવી છે, જે આ વિષય પણ અભ્યાસ કરી રહી છે. તેમણે જરાંગે અને તેમના સમર્થકોને શાંતિપૂર્વક આંદોલન કરવા અને મુંબઈમાં અવ્યવસ્થા ઊભી ન કરવા પણ અપીલ કરી હતી.

August 30, 2025
image-44.png
1min131

ભારતીય ક્રિકેટના વહીવટમાં સર્વોચ્ચ સ્તરે મોટો ફેરફાર થયો છે જેમાં રોજર બિન્ની (ROGER BINNY)એ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)નું પ્રમુખપદ છોડી દીધું છે અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV SHUKLA) તેમના સ્થાને કાર્યવાહક પ્રમુખ (PRESIDENT) બની ગયા છે.

1983માં ભારતને વન-ડે વર્લ્ડ કપની ઐતિહાસિક ટ્રોફી અપાવનાર કપિલ દેવની ટીમના મહત્વના ખેલાડી રોજર બિન્નીએ ઑક્ટોબર 2022માં સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈ (BCCI)નું પ્રમુખપદ સંભાળ્યું હતું.

19મી જુલાઈએ રોજર બિન્ની 70 વર્ષના થયા અને બીસીસીઆઈના બંધારણ મુજબ કોઈ પણ હોદ્દેદાર 70 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ બોર્ડમાં કોઈપણ પ્રકારના હોદ્દા પર રહી ન શકે એ નિયમને બિન્ની અનુસર્યા હોવાનું મનાય છે. દરમ્યાન, ટીમ ઇન્ડિયા માટે બીસીસીઆઈ નવા મુખ્ય સ્પોન્સરની શોધમાં પણ છે.

65 વર્ષના રાજીવ શુક્લા 2020ના વર્ષથી બીસીસીઆઈના ઉપ-પ્રમુખપદે છે. અગાઉ તેઓ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાં હતા. તેઓ આગામી વાર્ષિક સભા સુધી ક્રિકેટ બોર્ડનો રોજબરોજનો કારભાર સંભાળશે.

બીસીસીઆઈની ઍન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ) સપ્ટેમ્બરમાં યોજાવાની સંભાવના છે અને એ મીટિંગમાં તમામ રાજ્યોના ક્રિકેટ અસોસિયેશનોના મત જાણ્યા પછી નવા ફુલ-ટાઈમ પ્રમુખ નક્કી કરવામાં આવશે.

અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે બીસીસીઆઈ હવે નવા રાષ્ટ્રીય ખેલફૂદ ખરડા હેઠળ આવી ગયું હોવાથી એના એક નિયમ મુજબ કોઈપણ સ્પોર્ટ્સ ફેડરેશનના હોદ્દેદાર 75 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે.

જોકે બીસીસીઆઈના વર્તમાન બંધારણમાં હોદ્દા પર રહેવા 70 વર્ષની વયમર્યાદા છે અને કહેવાય છે કે રોજર બિન્નીએ આ નિયમને અનુસરીને હોદ્દો છોડી દીધો છે. બીસીસીઆઈ કેન્દ્ર સરકારના નવા ખરડાનો હજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે.

રોજર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં કુલ ૧૮ વિકેટ લીધી હતી અને એ ટૂર્નામેન્ટના તમામ બોલર્સમાં તેમની 18 વિકેટ હાઈએસ્ટ હતી.

2000ની સાલમાં બિન્નીના કોચિંગમાં ભારતની અન્ડર-19 ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારે મોહમ્મદ કૈફ ટીમનો કેપ્ટન હતો અને એ ટીમમાં યુવરાજ સિંહ પણ હતો. બિન્ની પછીથી સિલેકટર પણ બન્યા હતા.

August 29, 2025
image-42.png
1min73

મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ કામ કરી શકે છે, તેણે કામ કરવું જોઈએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. સંઘના વડા મોહન ભાગવતે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના ત્રીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ મોહન ભાગવતે પત્રકાર પરિષદમાં ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમને 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવા અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ કામ કરી શકે છે, તેણે કામ કરવું જોઈએ.

મોહન ભાગવતે કહ્યું, “મેં ક્યારેય કહ્યું નથી કે હું નિવૃત્ત થઈશ કે કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘમાં અમને કામ આપવામાં આવે છે, ભલે અમે ઇચ્છીએ કે ન ઇચ્છીએ. જો હું 80 વર્ષનો હોઉં અને સંઘ કહે કે જાઓ અને શાખા ચલાવો, તો મારે તે કરવું પડશે. સંઘ જે કહે તે અમે કરીએ છીએ. આ કોઈના નિવૃત્તિ માટે નથી. અમે નિવૃત્તિ લેવા અથવા સંઘ ઇચ્છે ત્યાં સુધી કામ કરવા તૈયાર છીએ.”

થોડા સમય પહેલા મોહન ભાગવતે નિવૃત્તિ અંગે ટિપ્પણી કરી હતી. આ પછી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે. મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે પરિવારના વ્યક્તિને RSS વડા બનવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તે વ્યક્તિએ પોતાનો સંપૂર્ણ સમય સંગઠનને સમર્પિત કરવો જોઈએ.

August 29, 2025
image-41-1280x768.png
1min169

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને 28 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જાપાન માટે રવાના થતા પહેલા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે.

મુલાકાતના પહેલા તબક્કામાં, વડાપ્રધાન મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે. ત્યારબાદ, તેમણે ચીન જશે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મુલાકાત માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ તિયાનજિનમાં યોજાનારી શિખર સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા માટે ઉત્સુક છે.

જાપાનમાં, વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે શિખર સંમેલન કરશે. જાપાન મુલાકાત અંગે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સમય દરમિયાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેણે છેલ્લા 11 વર્ષમાં સતત નોંધપાત્ર પ્રગતિ કરી છે. જાપાન મુલાકાતનો હેતુ પરસ્પર સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો, આર્થિક અને રોકાણ સંબંધોનો વ્યાપ વધારવાનો અને AI તેમજ સેમિકન્ડક્ટર જેવી નવી ટેક્નોલોજીમાં ભાગીદારીને આગળ વધારવાનો રહેશે. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક બનશે.

બીજા તબક્કામાં, વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીનના તિયાનજિનની મુલાકાત લેશે. ત્યાં તેઓ SCO સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત SCO દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી સામાન્ય પડકારોનો ઉકેલ શોધી શકાય અને પ્રાદેશિક સહયોગ વધુ ગાઢ બને. જાપાનની મુલાકાત પછી, હું ચીનના પ્રમુખ શી જિનપિંગના આમંત્રણ પર તિયાનજિનમાં યોજાનારી SCO સમિટમાં હાજરી આપીશ. ભારત SCOનું સક્રિય અને રચનાત્મક સભ્ય છે અને તેના કાર્યકાળ દરમિયાન, ભારતે ઇનોવેટિવ, હેલ્થ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે.

August 23, 2025
cheque-bounce.png
1min94

મોટા મોટા ટ્રાન્ઝેક્શન માટે આજે પણ લોકો ચેકથી જ લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે એક વિશ્વસનીય માધ્યમ છે. ઘણી વખત આપણામાંથી અનેક લોકો સાથે એવું બન્યું હશે કે એકાઉન્ટમાં બેલેન્સ ના હોવાને કારણે ચેક બાઉન્સ થયો હોય. આવી સ્થિતિમાં થોડું આર્થિક નુકસાન થાય છે અને એની સાથે ચેક આપનારની શાખ પર પણ તેની અસર જોવા મળે છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્ત્વના નિયમ લાગુ કર્યા છે, જે જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.

ચેક બાઉન્સિંગના પરિણામો

કોઈ પણ ઔપચારિક વ્યવહાર દરમિયાન ચેકનો ઉપયોગ આજે પણ મહત્ત્વનો માનવામાં આવે છે. જ્યારે ચેક પાસ નથી થતો ત્યારે આખી પ્રક્રિયા થંભી જાય છે અને માહોલ થોડો ગરમાઈ જાય છે. પહેલાંના સમયમાં તો બેંક દ્વારા તેની જાણ પણ મોડેથી થતી હતી, જેને કારણે મુશ્કેલીઓ વધી જતી હતી. પણ હવે એવું નથી.

24 કલાકની અંદર એલર્ટ આપવું જરૂરી

આરબીઆઈના નવા નિયમ અનુસાર જો હવે કોઈ ચેક બાઉન્સ થાય છે તો બેંકને 24 કલાકની અંદર જ એસએમએસ કે ઈમેલના માધ્યમથી ગ્રાહકને તેની જાણ કરવી ફરજિયાત છે. આને કારણે કસ્ટમર તરત જ ગ્રાહકની સ્થિતિને સમજીને યોગ્ય કાર્યવાહી કરી શકશે અને નુકસાન ખૂબ જ ઓછું થશે.

24 કલાકની અંદર કસ્ટમરને એલર્ટ આપવા સિવાય આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટો ચેક આપે છે તો તેના પર પહેલાંથી વધારે સખત કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં આ માટે વધુમાં વધુ એક વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 2 વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે ભારે દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

જો કોઈ ખાતાધારક વારંવાર ચેક બાઉન્સ કરે છે તો બેંક તેની ચેકબુકની સુવિધા જ બંધ કરવામાં આવશે. આવા લોકો માત્ર ડિજિટલ કે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકશે. આ નિયમ ઈમાનદાર ગ્રાહકોની સુરક્ષા અને લેવડ-દેવડને વધારવા માટે લાગુ કરવામાં આવ્યો છે.

August 23, 2025
image-38-1280x640.png
1min78

ભારત સરકારે ચાઈનીઝ શોર્ટ વીડિયો શેયરિંગ પ્લટેફોર્મ ટિકટોકને અનબ્લોક કર્યું હોવાના સમાચાર વહેતા થયાં હતાં. પરંતુ વાસ્તવમાં ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો છે, આ માત્ર અફવાઓ છે. જેથી અફવાઓથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે. દરેક ભારતીય નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે ભારત સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. ગત રાત્રે જ આ સમાચાર વહેતા થયા હતા કે, હવે ભારતમાં ટિકટોક ફરી શરૂ થવાનું છે. જો કે, હવે તે અફવા હતી તેવું સરકારે સ્પષ્ટીકરણ કર્યું છે.

ભારતે ચીનની કઈ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો?

ભારત સરકારે 2020માં આ ટિકટોક પર પ્રતિબંધ લાદ્યો હતો. આ વખતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન
ઘાટીમાં ઘર્ષણ થયું હતું. જેથી આ વખતે ભારત સરકારે દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ચાઈનીઝ એપ જેવી કે ટિકટોક, Wechat અને Helo સહિત અનેક સોશિયલ એપ્સ ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી. જો કે, અત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધાર આવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી આ અફવા શરૂ થઈ હતી કે, ભારતે તે એપ્સ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે.

શું ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવ્યો છે?

સમાચાર એવા પણ મળી રહ્યાં છે કે, ભારત અને ચીન વચ્ચે અત્યારે વિઝા સેવાઓ પણ ફરૂ શરૂ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રવાસીઓ, વ્યવસાયો, વેપારીઓ અને મીડિયા અને અન્ય લોકોની મુસાફરી પર જે પ્રતિબંધ હતો તેને હટાવી દેવામાં આવશે! હમણાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી 3 દિવસની ભારત મુલાકાતે આવ્યાં હતાં. જેમાં ભારતમાં સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. આ સાથે સાથે પીએમ મોદી પણ બે દિવસ માટે ચીનના પ્રવાસે જવાના છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે જવાના છે. જેથી ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવી શકે છે.