ગુજરાતમાં મેડિકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમા મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. રવિવારે (31 ઓગસ્ટ) જનરક્ષક હેઠળ 112 ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઈમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં 150 જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. સાથેસાથે ગૃહમંત્રી અમિત શાહે 500 જેટલી 112 જનરક્ષક વાનનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યમાં મેડીકલ ઇમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડની સેવા માટે 101, અભયમ હેલ્પલાઇન માટે 181 તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં અલગ-અલગ સેવા માટે અલગ-અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. હવે 112 નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓનો લાભ લઈ શકાશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં 112 જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મૂકી હતી. આ સાથે પોલીસે હાઉસિંગના આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાયલ 112 માટે અમદાવાદ ખાતે એક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જે કૉલ રીસિવ કરીને તુરંત પ્રતિક્રિયા આપીને જે-તે સેવા પહોંચતી કરવા માટે જાણ કરશે. આ ઉપરાંત, દરેક જિલ્લાઓમાં 112 જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનનું રીયલ ટાઇમ મોનિટરિંગ કરશે. ગુજરાત પોલીસના બેડામાં નવી 500 વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે.
112 જનરક્ષક સેવાને 108 મેડિકલ ઈમરજન્સી મોડલના આધારે સંચાલિત રકીને વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં કૉલ સેન્ટરનો વ્યાપ વધશે.
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (પહેલી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવી સંભાવના છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં.
ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ 7 તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે.
દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સિનીયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઊભી કરાઈ છે. આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટર પ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત્ રચનાઓ થશે.
•1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર એરિયામાં કુલ 35 જેટલા પાર્કિંગ કરાયા છે. જેમાં કુલ 22541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 તથા હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે.
•શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show My Parking એપની ઓનલાઇન સુવિધા. પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા-આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા.
•પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ 1000થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. 1 ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
•યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિઃ શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
•સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો. 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ.
શ્રાવણ મહિનાના અંતમાં ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં આજે ગુજરાતનાં તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 79.06 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 82.91 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.33 ટકા, સૌરાષ્ટ્રમાં 78.57 ટકા અને પૂર્વ મધ્યમાં 75.56 ટકા વરસાદ વરસ્યો છે.
શનિવારે (23 ઓગસ્ટ) શિવભક્તિના પવિત્ર માસ શ્રાવણની પૂર્ણાહુતિ થશે અને તે સાથે જ સૌરાષ્ટ્રમાં ભાદરવી મેળાઓનો પ્રારંભ થશે. આ મેળાઓ સાતમ-આઠમના લોકમેળાની જેમ મુખ્યત્વે મનોરંજન માટે નહીં પરંતુ, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા મેળાઓ છે. જેમાં શ્રાવણી અમાસના દિવસે પાટણવાવ પાસે ઐતિહાસિક ઓસમ ડુંગર ખાતે માત્રી માતાજી તેમજ મોરબી પાસે રફાળેશ્વરના મેળાઓ અને દ્વારકાના પીંડારામાં પુરાતન મેળાનો આરંભ થયો છે. આ મેળો આગામી મંગળવાર ત્રીજથી ઋષિપાંચમ સુધી સૌરાષ્ટ્રની પાંચાળ ભૂમિની પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વવિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ થશે.
શ્રાવણી અમાસનો મેળો
મોરબી પાસે ઈ.સ. 1946માં રાજવી લખધીર સિંહજીએ ભવ્ય રફાળેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આ સ્થળે તે પહેલાથી સ્વયંભુ શિવલિંગ અને સ્વયંભુ પ્રાચીન શિવમૂર્તિ સ્થાપિત છે. આ સ્થળે 60 વર્ષ કરતા વધુ સમયથી શ્રાવણી અમાસે મેળો યોજાય છે અને જૂનાગઢના દામોદર કુંડની જેમ આ સ્થળનું પણ પિતૃતર્પણ માટે સદીથી મહત્ત્વ રહ્યું છે.
આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન
મનોરંજન નહીં પણ ભક્તિ ભાવના
આ ઉપરાંત ખંભાળિયાના શિરેશ્વર મહાદેવ, ભાવનગરના પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ, પાટણવાવ ખાતે ઓસમડુંગર પર માત્રી માતાજીના સાનિધ્યમાં, કાલાવડના રણુજા મંદિર સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અનેક સ્થળે ભાદરવી અમાસ સુધી મેળાઓ યોજાશે જે મેળામાં મનોરંજન નહીં પણ ભક્તિની ભાવના સદીઓથી રહેલી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઋતુચક્ર મુજબ આજથી શરદઋતુનો પ્રારંભ થયો છે.
આ પણ વાંચોઃ અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.
જુનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જુનાગઢમાં 1.97 ઇંચ, જુનાગઢ શહેરમાં 197 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જુનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, 16 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ
મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
જળાશયોમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા
વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા હાલ ડેમના 11 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો 1.70 મીટર છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલા ઓઝત-2 જળાશયમાં પણ પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે.
કંટ્રોલ રૂમ શરૂ
વહીવટીતંત્ર દ્વારા 35-40 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપી ૨૦ કરોડથી વધુના ડાયમંડ અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જન્માષ્ટમી રજાનો લાભ લઇ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ઘટનામાં મોટો વળાંક આવ્યો હતો. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી (ડીકે મારવાડી) જ શંકાના ઘેરામાં આવ્યો ગહતો.. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, 17 ઓગસ્ટ, રવિવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે.સન્સ કંપનીમાં ચોરીની ઘટના બની હતી. રાત્રિના 2 વાગ્યાની આસપાસ પાંચ ચોર બે રિક્ષા લઈને આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજી રિક્ષામાં બે ચોર હતા, જેમની પાસે ગેસ કટર સહિતનો સામાન હતો. ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ સુરત રેલવે સ્ટેશન પર રિક્ષામાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા, અને મુંબઈ કે રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
લીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂ. 10 લાખ આપવાની વાત થઈ હતી, જેમાંથી રૂ. 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા, અને બાકીના રૂ. 5 લાખ આપવાના બાકી હતા. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા વેપારી દ્વારા આવા પ્રકારનું તરકટ શા માટે રચવામાં આવ્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ટૂંક સમયમાં જ પોલીસ આ અંગે મોટો ખુલાસો કરશે.
શું હતો મામલો
સુરતમાં જન્માષ્ટમીની રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો હતો. સુરતના કાપોદ્રામાં આવેલી ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ ત્રાટકીને ૨૦ કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરીને કટરથી કાપી હતી અને 20 કરોડથી વધુના હીરા, રોકડની ચોરી કરી હતી. જો કે તેની સાથે જ તસ્કરો કંપનીની ઓફીસના સીસીટીવી-ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ તેમજ સુરત શહેર ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે જનસુનાવણી દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ, દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.
હુમલાખોરની વય 41 વર્ષની છે. આ હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રોજની જેમ સવારે સાત વાગ્યે પોતાની ઓફિસમાં જનસુનાવણી કરી રહ્યા હતા. જ્યાં રોજિંદા સેકડોં લોકો પોતાની ફરિયાદો લઈને તેમની પાસે આવે છે. આ હુમલાખોર પણ એક બેગ અને હાથમાં થોડા કાગળો સાથે મુખ્યમંત્રી નજીક આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બુમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ મામલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો અક્ષમ્ય ગુનો છે. એક મહિલા, એક દિકરી જે રાત-દિવસ દિલ્હીવાસીઓની સેવામાં જોડાયેલી છે. તેના પર હુમલો કરનારા અને કરાવનારાઓ કાયર છે. બંને ગુનેગાર છે. જ્યારે ગુનેગાર તર્ક અને તથ્યોના આધારે વાત કરવા સક્ષમ ન હોય ત્યારે તે આ પ્રકારનો ગુનો કરે છે. આ અત્યંત શરમજનક અને નિંદનીય ઘટના છે. પોલીસ આ મામલે સીસીટીવી ફુટેજ તપાસી રહી છે.
ગુજરાત પોલીસે બેડામાં ફરી હડકંપ જોવા મળ્યો છે. ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીનો ઓર્ડર આપ્યાં છે. રાજ્યભરમાં 105 IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપવામાં આવ્યાં છે. જુઓ આ રહી IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશની યાદી
પવિત્ર શ્રાવણ માસનો આજે 18/8/25 અંતિમ સોમવાર છે. આજના પાવન દિવસે રાજ્યભરના શિવાલયો ભક્તોના પ્રવાહથી ઊભરાઈ રહ્યા છે. સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેઓ ભોળાનાથ શંભુની પૂજા-અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છે.
સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથની પૂજા કરી હતી. ત્યારે આજે છેલ્લા સોમવારે શિવલિંગ પર દૂધ, બિલિપત્ર અને પુષ્પ અર્પણ કરીને વિશેષ અભિષેક કરવામાં આવી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. શિવલિંગને વિવિધ શણગાર કરીને મહાદેવને રિઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આજે છેલ્લા સોમવારે અભિજિત મુહૂર્ત બપોરે 12:17 થી 1:08 વાગ્યા સુધી ગણાશે, જે પૂજા અને અભિષેક માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શિવ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં સોમનાથ સહિતના પ્રસિદ્ધ શિવ મંદિરો પણ સામેલ છે. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી વાતાવરણ શિવમય બન્યું છે. ભક્તો શિવલિંગને અભિષેક કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.