ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે એવું રાજયના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.
રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે.
સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં Covid-19ના 17,407 નવા કેસ સામે આવ્યા છે, ત્યાર બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,11,39,516 થઈ ગઈ છે. આ સાથે જ 89 લોકોના મોત નીપજ્યાં છે અને કોરોનાથી થયેલા મૃત્યુદર 1,57,435 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 1,73,413 અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,08,26,075 થઈ ગઈ છે.
આઈસીએમઆર મુજબ દેશમાં 3 માર્ચ સુધી 21 કરોડ 91 લાખ 78 હજાર 908 નમૂનાઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે 7,75,631 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ સંક્રમણના કુલ 50 લાખ કેસ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઑક્ટોબરના રોજ 70 લાખ, 29 ઑક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડના પાર આંકડો ચાલી ગયો હતો.
Gujarat on 3/3/21 @ 9pm
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 358 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 264195 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 97.40%એ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 117, સુરતમાં 96, વડોદરામાં 94 તેમજ રાજકોટમાં 65 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2638 એક્ટિવ કેસમાંથી 39 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2599 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4412એ પહોંચ્યો છે.
રાજ્યમાં છોટા ઉદેપુર, ડાંગ, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 60,093 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું 2021-22નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ 2,27,029 કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.
587.88 કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક 1,67,969.40 કરોડ, મહેસૂલી ખર્ચ 1,66,760.80 કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત 1208.60 કરોડ, મૂડીની આવક 50751 કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ 56,571.72 કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) 5820.72 કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.
ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
– ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 3020 નવી જગ્યા ઉભી કરાશે
– 41 શહેરોમાં 6000થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે.
– પોલીસ તંત્ર માટે 876 વાહનો ખરીદવામાં આવશે
– પોલીસ આધુનિકીકરણ માટે 26 કરોડની જોગવાઈ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
– 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળીને 1000 નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે 500 વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે
– એસટી દ્વારા 50 ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકાશે. 50 સીએનજી વાહનોનો પણ સમાવેશ કરાશે
ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતો વિખ્યાત મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને લીધે મોકૂફ રાખવાની જિલ્લા કલેકટરે જાહેરાત કરી હતી. પણ સાધુ-સંતો દ્વારા પરંપરાગત જાળવવામાં આવશે.
કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને મેયર ધીરૂભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં સાધુ-સંતો ઉતારા મંડળના હાદ્દેઁદારની બેઠકમાં કલેકટરે કોરોના સંક્રમણ હોવાથી શિવરાત્રી મેળો મોકૂફ (રદ)ની જાહેરાત કરી હતી.
તેમણે ઉમેર્યું કે, શિવરાત્રી મેળાની સાધુ-સંતો દ્વારા પરંપરાગત’ જળવાશે. તેમાં આગામી તા.8 ને રવિવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાશે અને શિવરાત્રીની રાત્રે’ રવેડી નીકળશે પણ તેમાં માત્ર સાધુ-સંતોજ જોડાઈ શકશે. મેળામાં સાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં. આ નિર્ણયથી માત્ર પરંપરા જળવાશે. કલેકટરના આ નિર્ણયથી શિવરાત્રી મેળાની આશામાં બેઠેલાઓના અરમાનો ચકનાચૂર થઈ ગયા છે.
શિવરાત્રીનો મેળો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાવાય છે. તેથી મેળામાં વર્ષોવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે અને પાંચ દી’’ તળેટીમાં શિવનાદ ગુંજે છે પરંતુ આ વર્ષે માત્ર સાધુ-સંતો પૂરતો મર્યાદિત રહેશે.
જૂનાગઢ મનપા દ્વારા દોઢેક માસ પહેલા તૈયારીઓ આરંભી દેવાઈ હતી. આવતીકાલ તા.2ના તળેટીમાં સ્ટોલની હરાજી કરનાર હતી પણ આ નિર્ણયથી બંધ રખાઈ છે. આ બેઠકમાં કમિશનર તુષાર, સુમેરા ઉતારા મંડળના ભાવેશ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા.’
બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પણ બુદ્ધિના સ્વામી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના આશીર્વાદ લઇ રહ્યા છે
આજરોજ મંગળવાર અને અંગારકી ચોથની તિથિ અને એ પણ ચિત્રા નક્ષત્રમાં છે, ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ છે અને એટલે જ આજના યોગને દુર્લભ માનવામાં આવે છે. આજે ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સુરતના પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે આજે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. આજના પર્વને લઇને પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભારે ધૂમ છે. આજે દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિક ભક્તો પાલ આર.ટી.ઓ.ની બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના દર્શનાર્થે આવે તેવું મનાય છે.
આજના પર્વ અંગે વધુ માહિતી આપતા સિદ્ધિ વિનાયક મંદિર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ચિત્રા નક્ષત્રમાં અંગારકી ચોથ અને એ પણ મંગળવારે આવી હોય તેવા સંજોગોમાં ભગવાન ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, શાસ્ત્રોમાં આ બાબતનો ઉલ્લેખ છે અને એટલે જ પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે આજે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નીતિનભાઇએ કહ્યું કે આજે સવારે કેસર સ્નાનથી શરૂ કરીને દિવસ દરમિયાન અભિષેકાત્મક અથર્વ શિર્ષના પાઠ આખો દિવસ દરમિયાન વેદ પંડિતો દ્વારા મંદિર સંકુલમાં કરવામાં આવશે. ભગવાન શ્રી સિદ્ધિવિનાયક દાદાની આરાધના માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિકો આવી રહ્યા છે અને આવશે એમ મનાય છે. કોરોનાકાળ બાદ પાલ પાટીયા સ્થિત મંદિરમાં બિરાજમાન સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો મહિમા વધ્યો છે અને આજે ખાસ યોગે મંદિરમાં આરાધનાસભર કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમણે કહ્યું કે આજે સંધ્યા આરતીમાં સુરત મ્યુનિસિપલ વોર્ડ નં.9 અને 10ના નવનિર્વાચિત નગરસેવકો પણ જોડાશે. ચૂંટણી લડ્યા ત્યારે તેઓએ આ સંકલ્પ કર્યો હતો અને સંકલ્પ પૂર્તિના ભાગરૂપે તેઓ આજની આરતીમાં જોડાશે.
બોર્ડના પરીક્ષાર્થીઓ ખાસ આશીર્વાદ માટે મંદિરે આવે છે
પાલ પાટીયા સ્થિત મંદિર સંકુલમાં બિરાજમાન ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ફેબ્રુઆરીથી એપ્રિલ-મે માસ દરમિયાન ખાસ વિદ્યાર્થીઓ ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે આવે છે. આમેય ગણપતિ દાદાને બુદ્ધિના સ્વામી ગણાવાયા છે, અહીં જ્યારથી સિદ્ધિ વિનાયક દાદા બિરાજમાન છે ત્યારથી વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્વે તેમના આશીર્વાદ લેવા તેમજ બોલપેન તથા પરીક્ષાની સામગ્રી પણ અભિમંત્રિત કરાવી જાય છે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ સિદ્ધિ વિનાયક દાદાના આશીર્વાદ લેવા માટે આવવાનું શરૂ થઈ ચૂક્યું છે.
ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.
સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.
બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.
ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.
રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.
આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.
વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.
દેશમાં પહેલી માર્ચ, સોમવારથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી વધુ વયના અન્ય બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, પણ અનેક વરિષ્ઠ નાગરિકો હજી આ રસી લેવા અંગે અવઢવમાં છે અથવા તેઓને પૂરતી જાણકારીનો અભાવ છે.
કોરોનાના રસીકરણનો બીજો સૌથી મોટો તબક્કો શરૂ થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો કોવિડ-૧૯ની રસી માટે વધુમાં વધુ અઢીસો રૂપિયા લઇ શકશે.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે, પણ ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ રસી મુકાવવાના અઢીસો રૂપિયા આપવા પડશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રસીનો ભાવ રૂ. ૧૫૦ છે અને સર્વિસ ચાર્જ તરીકે ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો વધુમાં વધુ રૂ. ૧૦૦ લઇ શકશે. આ રીતે ખાનગીમાં રસી મુકાવનારને કુલ રૂ. ૨૫૦નો ખર્ચ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતની માહિતી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે: પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
રસી મુકાવવા માગતા લાભકર્તા સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.
૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિ પાસે નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.
જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં રસી મુકાવવા જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે રૂ. ૨૫૦ની ફી લેશે,
રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.
વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.
એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં રુ. 150 વેક્સિનની કિંમત પેટે અને રુ. 100 વહીવટી ચાર્જ સ્વરુપે એમ કુલ મળીને રુ. 250 પ્રતિ ડોઝ લેવામાં આવશે.
દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પહેલી માર્ચથી એટલે કે સોમવારથી 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ 45થી 59 વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરું કરવાં આવશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સમાન્ય નાગરીકો માટે કોરોના વેકસીનની કિંમત નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રુ. 250 ચૂકવવા પડશે જ્યારે સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.
45થી 59 વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે 20 પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, HIV, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ગુજરાતમાં 26/2/21 ના રોજ રાત્રે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 424 કેસ નોંધાયા છે જ્યારે 301 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 97.62 ટકા નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4408 પર પહોંચી છે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લા 3 દિવસમાં જ 11 જગ્યાઓ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે. એવામાં કોમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો શરૂ થયાની શંકા હેલ્થ ખાતાના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજું શહેરમાં છૂટા છવાયા કોરોનાના કેસો નોંધાવાનું તો ચાલું જ છે, આ સાથે હવે સોસાયટીઓમાં કોરોનાના ચેપ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે 22મી તારીખે સૌપ્રથમ 3 જગ્યાને, 23મી તારીખે 5 અને 24મી તારીખે વધુ 3 જગ્યાને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસના કેસમાં બુધવારે મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉછાળો ચિંતાજનક બની રહ્યો છે. રાજ્યમાં સતત 10 દિવસથી નવા નોંધાતા કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વધુ 8,807 કેસ નોંધાયા છે જેણે 129 દિવસ જૂનો (18 ઓક્ટોબરે 9,060 કેસ નોંધાયા હતા) રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં 80 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે, જે પાછલા 2 મહિનાના (24 ડિસેમ્બરે 89નાં મોત નોંધાયા હતા) સૌથી વધુ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 21,21,119 થયા છે જ્યારે 51,937 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,19,801 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,15,338 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
Gujarat Govt. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધો-9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધો-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ9 થી 12 ની પ્રથમ પરીક્ષા તા. 19મી માર્ચથી 27મી માર્ચ, 2021 તેમજ ધોરણ9 અને 11ની વાર્ષિક પરીક્ષા તા. 7મી જૂનથી 15 જૂન, 2021 સુધીમાં લેવાશે.
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય થંભી ગયું હતું. હવે વેક્સિન આવી ગઇ છે ત્યારે ધીમે ધીમે શાળામાં પણ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધો-9થી ધો-12 ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં ધો-9 થી ધો-12 ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ બોર્ડ દ્વારા જાહેર કરેલ વાર્ષિક પરીક્ષાના પશ્નપત્રો પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.