CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 61 of 139 - CIA Live

August 29, 2020
corona_testing1.jpg
2min4500

જાન્યુઆરી 2020થી કોવિડ-19 સામેની લડતમાં, ભારતે વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. સંચિત પરીક્ષણોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે અને તે આજે કરોડને પર થઇ ગયા છે.

કેન્દ્રની આગેવાની હેઠળ કેન્દ્રિત, સુસંગત અને સંકલિત પ્રયત્નોથી અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સફળ અમલીકરણને લીધે ભારતે 4,04,06,609 લોકોના પરીક્ષણ કરવાનું નવું સીમાચિહ્ન પાર કર્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં પુણેની લેબોરેટરીમાંથી માત્ર એક પરીક્ષણથી શરુ કરીને 4 કરોડ પરીક્ષણો કરવા સુધીની એક લાંબી મજલ કાપી છે.

દૈનિક પરીક્ષણોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પહેલાથી જ દરરોજ 10 લાખ પરીક્ષણોની પરીક્ષણ ક્ષમતા પ્રાપ્ત કરી હોવાથી છેલ્લા 24 કલાકમાં 9,28,761 પરીક્ષણો કરવામાં આવ્યા.

આનાથી પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ) તીવ્ર વધારા સાથે 29,280 થયા છે. કેટલાક રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યું છે કે જ્યાં પરીક્ષણમાં વધારો કર્યો છે, ત્યાં પોઝિટિવિટી દર આખરે ઉચ્ચ સ્તરના પરીક્ષણ સાથે ઘટ્યો છે. રાષ્ટ્રીય પોઝિટિવિટી દર ઓછો રહ્યો છે એટલે કે 8.57% રહ્યો છે અને તે સતત ઘટી રહ્યો છે.

ભારત ટેસ્ટ, ટ્રેક, ટ્રીટના વ્યૂહાત્મક અભિગમનું પાલન કરી રહ્યું છે, જ્યાં કોવિડ માટે પરીક્ષણને પ્રતિસાદ અને સંચાલનમાં મુખ્ય નિર્ણાયક સ્તંભ તરીકે રાખવામાં આવ્યો છે. સઘન પરીક્ષણ દ્વારા જ પોઝિટિવ કેસ પ્રારંભિક તબક્કે ઓળખવામાં આવે છે, તેમના નજીકના સંપર્કોને તાત્કાલિક ટ્રેક કરી અને આઇસોલેટ કરી શકાય છે અને હોમ આઇસોલેશનમાં રહેલા લોકો અને હોસ્પિટલમાં દાખલ લોકો માટે સમયસર અને અસરકારક સારવારને સુનિશ્ચિત કરી શકાય છે.

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્ક અને ઘણા નીતિગત પગલા દ્વારા દેશભરમાં સરળ પરીક્ષણ માટેની સુવિધાએ રાષ્ટ્રીય પરીક્ષણ દરમાં આ ઉછાળાને નોંધપાત્ર વેગ આપ્યો છે. દેશમાં 1576 જેટલી લેબ્સ છે; સરકારી ક્ષેત્રે 1002 લેબ્સ અને 574 ખાનગી લેબ્સ કાર્યરત છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 806 (સરકારી: 462 + ખાનગી: 344)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 650 (સરકારી: 506 + ખાનગી: 144)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 120 (સરકારી: 34 + ખાનગી: 86)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

August 29, 2020
Saurastra.png
1min4740

કોવિડ-19 મહામારી જાણે સૌરાષ્ટ્રમાં ઘર કરી ગઈ હોય તેમ હવે જુદા જુદા વિસ્તારોમાંથી નવા કેસ આવી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતો રહે છે. આજે તો રાજકોટમાં કોરોનાના રેકર્ડબ્રેક 105 કેસ નોંધાયા હતા તો જામનગરમાં રેકર્ડબ્રેક 97 દરદી કોરોનામુક્ત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં 10, જામનગરમાં 10 અને અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં એક-એક દરદીએ સારવાર દરમિયાન દમ તોડયો હતો.

રાજકોટ શહેરમાં નવા 78 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2978 થયો હતો. જ્યારે તાલુકા-ગ્રામ્ય પંથકમાં નવા 27 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4435 થઈ હતી. બીજી તરફ આજે શહેરના 10 અને ગ્રામ્યના 1 મળીને 11 દરદીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જો કે, ગોંડલના પ્રતિનિધીના જણાવ્યાનુસાર તાલુકામાં છેલ્લા ચોવિસ કલાકમાં 23 કેસ નોંધાયા છે અને 5 દરદીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે જિલ્લાની યાદીમાં ગ્રામ્યમાં માત્ર એક જ મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત શહેરના 22 અને ગ્રામ્યના 15 દરદી કોરોનામુક્ત થયા હતા. રાજકોટ સિવિલમાં 370 અને ખાનગી હોસ્પિટલમાં 361 મળીને કુલ 731 દરદી સારવાર હેઠળ છે.

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 10 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં જામનગર શહેરના 6, ગ્રામ્યના 1 અને દ્વારકા જિલ્લાના 3 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે હોસ્પિટલમાં શહેરી વિસ્તારના 74 અને ગ્રામ્યના 11 મળીને નવા 85 કોરોના પોઝિટિવ દરદી સારવાર માટે ખસેડાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2230 થઈ હતી. જેમાંથી આજે સારી બાબત એ છે કે, જામનગર જિલ્લાના 97 દરદીઓ કોરોનામુક્ત થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસ કરતા ડિસ્ચાર્જ દરદીનો આંક વધતો જાય છે.

જૂનાગઢ જિલ્લામાં આજે 14 પોલીસ કર્મી સહિત નવા 32 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં બે મહિલા કોન્સ્ટેબલ, એક ડ્રાઈવર, એક ટી.આર.બી.જવાન તથા બે હોમગાર્ડ કોરોનાની ઝપટે ચડયા હતા. જ્યારે વંથલીમાં છેલ્લા ચાર દિવસમાં એક મહિલા સહિત આઠ પોલીસ જવાનો કોરોનાગ્રસ્ત આવ્યા છે. જૂનાગઢ શહેરમાં આજે 17, કેશોદમાં 3, વિસાવદર, માંગરોળ, માણાવદર, માળીયા અને ભેંસાણમાં 2-2 તથા વંથલી અને જૂનાગઢ ગ્રામ્યમાં 1-1 સહિત જિલ્લામાં નવા 32 કેસ નોંધાયા હતા. જ્યારે 39 દરદી સાજા થયા હતા.
ભાવનગર શહેરમાં 27 પુરુષ અને 10 સ્ત્રી મળીને 37 તેમજ ભાવનગર ગ્રામ્ય, ગારીયાધાર, ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર તથા ઉમરાળા તાલુકાઓમાં 28 સહિત જિલ્લામાં નવા 65 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2669 થયો હતો. જેમાંથી આજે શહેરના 29 અને ગ્રામ્યના 21 એમ કુલ 50 દરદી કોરોનામુક્ત થતા હાલ 524 એક્ટિવ કેસ છે.

અમરેલી જિલ્લામાં નવા 28 કેસ નોંધાતા કુલઆંક 1191 થયો હતો. જ્યારે આજે 29 દરદી કોરોનામુક્ત થયા હતા અને એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના કોટડાપીઠા પાસેના પાનસડા ગામે અઠવાડીયામાં કોરોનાના ત્રણ કેસ આવતા ફફડાટ ફેલાયો છે.

મોરબી શહેર-તાલુકામાં 21 તેમજ વાંકાનેર અને હળવદમાં 2-2 તથા માળીયામાં 1 મળીને નવા 26 કેસ નોંધાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં 6, વેરાવળમાં 5, ઉનામાં 4, કોડીનારમાં 1 મળીને 16 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 1000ને પાર અર્થાત 1006 થયો હતો. જેમાંથી આજે 13 દરદી ડિસ્ચાર્જ થયા હતા અને કોડીનારના એક દરદીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના પાટનગર તાલાલામાં બે દિવસમાં બે મૃત્યુ નોંધાયા છે અને મામલતદાર કચેરીમાં બે સહિત શહેરમાં કુલ 99 કેસ નોંધાયા છે.

પોરબંદર શહેર-જિલ્લામાં નવા 12 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 443 થઈ છે. જેમાંથી આજે શહેરના એક દરદીનું અન્ય જિલ્લામાં મૃત્યુ નિપજતા કુલમૃત્યુઆંક 32 થયો હતો અને હાલ 103 દરદી સારવારમાં છે.

બોટાદ શહેરમાં 4, બરવાળા અને કારીયાણી ગામે એક-એક એમ નવા 6 કેસ નોંધાયા હતા અને વધુ 8 દરદી કોરોનામુક્ત થતા હાલ 81 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.

August 28, 2020
real_cia-1-1280x1022.jpg
1min7740

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના એક્ટીવ કેસોમાં ભારત તા.28મી ઓગસ્ટ 2020ના રોજ સમગ્ર વિશ્વમાં બીજા નંબરે પહોંચી ગયું છે. એક્ટીવ કેસો અને કુલ કેસોમાં હવે ભારતથી આગળ અમેરીકા રહ્યું છે.

વર્લ્ડો મીટરના આંકડા મુજબ તા.28મી ઓગસ્ટે બપોરે 1 કલાકે ભારતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 7 લાખ 45 હજાર 540 થઇ હતી. જ્યારે અત્યાર સુધી ભારતથી આગળ ચાલતા બ્રાઝીલમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા 6 લાખ 98 હજાર 517 થઇ છે. આમ, બ્રાઝીલમાં કુલ કોરોના કેસ ભલે ભારત કરતા વધુ હોય પરંતુ, એક્ટીવ કેસોમાં હવે ભારત અમેરીકા પછી બીજા નંબરે પહોંચ્યું છે.

વિશ્વમાં સૌથી વધુ કોરોના એક્ટીવ કેસ અમેરીકામાં છે. તા.28મી ઓગસ્ટ 2020ની લેટેસ્ટ માહિતી મુજબ અમેરીકામાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 25 લાખ 15 હજાર 137 છે. જે ભારતથી સાડા ત્રણ ઘણી વધુ છે.

કોરોનાની સંખ્યામાં વિશ્વના ટોચના પાંચ દેશોની સંખ્યા

વિશ્વમાં કુલ કોરોના એક્ટીવ કેસોની સંખ્યા 67 લાખ 3 હજાર 590 છે.

August 28, 2020
corona-gujarat.jpg
1min4220

કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ મહાનગરો, જિલ્લાઓમાંથી નવા ૧૧૯૦ દર્દીઓ મળી આવ્યા છે એની સામે ચોવીસ કલાકમાં વધુ ૧૧૯૦ દર્દીને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ સાજાં થઇ જવાથી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, આ સમયમાં સુરતમાં વધુ ૫, અમદાવાદ અને રાજકોટમાં ૩-૩, વડોદરા, અમરેલી, આણંદ, કચ્છ, પાટણ અને વલસાડમાં ૧-૧ મળી કુલ ૧૭ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯ના કારણે થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ સાથે રાજ્યમાં કોરોનાના ચેપગ્રસ્તો શોધવા માટે ચાલી રહેલી વ્યાપક ટેસ્ટીંગ ઝુંબેશના પગલે કુલ ટેસ્ટનો આંક ૨૦ લાખને પાર થઇ ગયો છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંક પણ વધીને ૯૧૩૨૯ થયો છે જ્યારે સાજા થનારાની સંખ્યા ૭૩૫૦૧ થઇ છે. જોકે, મૃત્યુ આંક ૨૯૬૪ સુધી પહોંચ્યો છે જે ૩.૪ ટકા જેટલો થવા જાય છે. જુલાઇ મહિનાની સરખામણીમાં મૃત્યુનું દૈનિક સ્તર ખાસ્સું ઘટ્યું છે એવો દાવો સરકારે કર્યો છે.

રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત દર્દીઓમાં સુરતમાં કુલ ૨૫૩ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૬૪ કેસનો સમાવેશ થાય છે અને ૩ દર્દીના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સતત બીજા દિવસે નવા ૮૯ કેસ મળ્યા છે અને બે દર્દીના અવસાન થયા છે. અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૩ કેસ મળ્યા છે અને ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ નવા કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાંથી નવા વીસ કેસ તો ગ્રામ્યમાંથી ઘટીને ૮ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરામાં સતત વધતાં કેસ વચ્ચે નવા ૮૯ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે ગ્રામ્ય વિસ્તારમાંથી બીજા દિવસે નવા ૩૪ કેસનો ચિંતાજનક ઉમેરો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી નવા ૭૯ કેસ અને ગ્રામ્યમાંથી ૧૦ કેસ મળી ૮૯ કેસનો ઉમેરો થયો છે. રાજકોટ શહેરમાંથી ૬૬ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ ગ્રામ્યામંથી નવા ૩૦ કેસ અને એક દર્દીનું મૃત્યુ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી નવા ૩૦ અને ગ્રામ્યના ૨૧ મળી કુલ ૫૧ કેસ, જૂનાગઢમાંથી કુલ ૨૮ કેસમાં શહેરના ૧૫ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમરેલીમાંથી નવા ૩૦ કેસ, પંચમહાલમાંથી ૨૮, કચ્છમાંથી ૨૭, મોરબીમાંથી ૨૪, ભરૂચ અને મહેસાણામાંથી ૨૧-૨૧ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી વધુ ૧૯ કેસ, બનાસકાંઠા, દ્વારકા, ગીર સોમનાથમાંથી ૧૭-૧૭ કેસ સત્તાવાર જાહેર કરાયા છે. પાટણ જિલ્લામાંથી નવા ૧૬ કેસ નોંધાયા છે જ્યારે બોટાદ અને નર્મદામાંથી ૧૪-૧૪ કેસ ઉમેરાયા છે. નવસારીમાંથી ૧૨, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૧-૧૧ કેસ, ખેડામાંથી નવા ૮ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ડાંગ, સાબરકાંઠા અને તાપીમાંથી ૭-૭ નવા કેસ નોંધાયા છે. પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાંથી નવા ૫-૫ કેસ તેમજ અરવલ્લીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે.

આમ, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૭૬,૨૨૭ ટેસ્ટ કરાયા હતા એ સાથે કુલ આંક ૨૦,૪૫,૯૫૧ સુધી પહોંચ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૪૮૬૪ સુધી પહોંચી છે તો એમાંથી ૯૧ દર્દી વેન્ટીલેટર ઉપર રાખવા પડ્યા છે અને બાકીના ૧૪૭૭૩ સ્ટેબલ હોવાનો દાવો કરાયો છે.

August 27, 2020
neet.jpg
1min4170

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તા.26મી ઓગસ્ટને બુધવારે રાષ્ટ્રવ્યાપી પ્રવેશ પરીક્ષાઓ મેડીકલ ડેન્ટલ માટેની NEET અને એન્જિનિયરિંગ માટેની JEE પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારના પગલાં સંદર્ભે બિનભાજપી સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન મિટીંગ યોજી હતી.

આ બેઠકમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ સિંહ બધેલ, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, પુડુચેરીના સીએમ નારાયણસામી, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો. આ બધા રાજ્યો કોરોનાના સમયમાં NEET અને JEEની પરીક્ષા ટાળવાની માગ કરી રહ્યા છે.

Opposition CMs join hands against holding NEET - india news - Hindustan  Times

આ રાજ્યોની સરકારની NEET અને JEEની પરીક્ષા ટાળવાની માગ

  • છત્તીસગઢ
  • રાજસ્થાન
  • પંજાબ
  • પુડુચેરી
  • મહારાષ્ટ્ર
  • ઝારખંડ
  • પશ્ચિમ બંગાળ
August 27, 2020
government_gujarat.jpg
1min6150

છ માસમાં આવશે કોર્ટનો ફેંસલો : ગુનેગારને 14 વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવી’ સજા અને દંડની જોગવાઈ

મહેસુલ મંત્રી કૌશિક પટેલે ગુજરાતની કેબિનેટ દ્વારા પારિત કરાયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેની વિગતો આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાને મંજૂરી આપી છે.

જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્ત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્ત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરતા હોવાનુ સામે આવ્યું છે.

રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપિંડીથી ગેરકાયદેસર કબજો જમાવીને ઉપરાંત કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરીને પણ જમીન પચાવી પાડવામાં આવતી હોવાનું સરકારની નજરમાં આવ્યું છે. જેને કડક હાથે ડામી દેવા માટે રાજ્યસરકારે મોટો નિર્ણય કર્યો છે.

કૌશિક પટેલે કહ્યું કે, જમીનો પચાવવાના કિસ્સામાં કેસ દાખલ થયાના છ જ મહિનામાં કોર્ટ દ્વારા ફેંસલો અને ગુનેગારને 14 વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવા આકરી સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર કેસોની ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણૂક કરશે. મહત્વનું છે કે, કાયદામાં માત્ર ખાનગી, ધાર્મિક- શૈક્ષણિક- સામાજિક સંગઠનોની માલિકીની જ નહી પણ સરકારી, પાલિકા- પંચાયત સહિત સ્થાનિક સત્તા મંડળોની જમીનોમાં જે કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વ્યક્તિને પણ ગુનેગાર ગણવાનું ઠેરવ્યું છે.

કેબિનેટમાં પસાર થયેલા લેન્ડ ગ્રાબિંગ પ્રોહિબિશન એક્ટને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો હતો.

August 26, 2020
corona-gujarat.jpg
1min4700

કોરોનાથી સંક્રમિત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૦૯૬ કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે વધુ ૧૦૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, સારવાર હેઠળ રહેલા વધુ ૨૦ દર્દીઓના હોસ્પિટલના બિછાને મૃત્યુ થયાં છે. સૌથી વધારે સુરતમાં સાત, અમદાવાદમાં ચાર, જૂનાગઢ અને અમરેલીમાં બે-બે, વડોદરા, રાજકોટ, તાપી, ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરત મહાનગરમાં ૧૬૯ અને ગ્રામ્યમાંથી વધુ ૮૧ નવા દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. આ જ રીતે અમદાવાદ મહાનગરમાંથી ૧૪૫ તથા ગ્રામ્યમાંથી ૧૨ મળી ૧૫૭ કેસ નવા નોંધાયા છે. વડોદરા શહેરમાંથી નવા નેંવું તથા ગ્રામ્યના ૩૨ મળી ૧૨૨ કેસ ઉમેરાયા છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ગાંધીનગર, માણસા, દહેગામ, કલોલ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૧૪ કેસ ઉમેરાયા છે. સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી સતત પાંચમા દિવસે ૭૪ નવા કેસ ઉમેરાયા છે જ્યારે જિલ્લામાંથી છ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી વધુ ૬૬ અને ગ્રામ્યમાંથી ૨૯ નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેરમાંથી ૨૧ તથા ગ્રામ્યના ૧૫ મળી ૩૬ કેસ નોંધાયા છે. જૂનાગઢમાં શહેર અને ગ્રામ્યમાંથી ૧૪-૧૪ કેસ આવ્યા છે.

અમદાવાદ શહેરમાં હવે બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, વાડજ, શાહીબાગ, નારોલ, વસ્ત્રાલ, નરોડા જેવા વિસ્તારોમાંથી નવા નવા કેસ ઉમેરાય છે. હવે અનલોક-૪ માટે નવી ગાઇડલાઇન્સ થોડા દિવસોમાં જાહેર થવા જઇ રહી છે એમાં હાલ નિયંત્રણ હેઠળની પ્રવૃત્તિઓમાં કેટલીક છુટછાટ મળી શકે એવી શક્યતાઓ છે.

સોમવારથી અમદાવાદની વિવિધ ક્લબ શરૂ થઇ છે. હવે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સના સંચાલકો રાત્રિ ખાણીપીણીનો સમય વધારવા માગણી કરી રહ્યા છે તથા મલ્ટીપ્લેક્સ, સિનેમા ગૃહના સંચાલકો પણ પ્રેક્ષકોને પ્રવેશ માટે ઉતાવળા થયા છે. જોકે, શાળા અને કોલેજો અંગે કેન્દ્રીય માનવસંસાધન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ સંદર્ભે સ્પેશ્યલ ઓપરેટિવ પ્રોસિઝર ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરે પછી જ અંતિમ નિર્ણય લેવાશે ત્યાં સુધી તેને ખોલવાની મંજૂરી અપાશે નહીં. આ પરિસ્થિતિમાં કોચિંગ ક્લાસિસ પણ હાલ ખુલે એવી શક્યા નહીવત છે.

દરમિયાન, રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો પંચમહાલમાં નવા ૨૯, ભરૂચમાં ૨૬, કચ્છમાં ૨૨ નવા કેસ ઉમેરાયા છે. જ્યારે ગીર સોમનાથમાંથી ૧૯, દાહોદ અને મહેસાણામાંથી ૧૭-૧૭ કેસ, મોરબી અને પાટણમાં ૧૫, અમરેલી, ખેડા, નર્મદામાંથી ૧૪-૧૪ કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી ૧૧, નવસારી, સાબરકાંઠા અને વલસાડમાંથી ૯-૯ કેસ, છોટાઉદેપુર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૮-૮ કેસ, બોટાદ અને તાપીમાંથી ૭-૭, આણંદ અને મહીસાગરમાંથી ૬-૬, અરવલ્લામાંથી ૫, છોટાઉદેપુરમાંથી ૩ નવા કેસ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૭૨,૫૭૭ ટેસ્ટ કરાયા હતા એના પગલે કુલ આંક ૧૮,૯૧,૭૭૫ સુધી પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા ૮૮,૯૪૨ થઇ છે. આ પૈકી ૭૧,૨૬૧ ડિસ્ચાર્જ થયા છે અને ૨૯૩૦ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૪૭૫૧ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૪૬૭૨ સ્ટેબલ છે.

August 25, 2020
gujrat-012.jpg
1min5760

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સોમવારે સવારે 6 વાગ્યે છેલ્લા 24 કલાકમાં 2.66 ઈંચ વરસાદ વરસી ગયો, જે રાજયના મોસમી વરસાદના 8 ટકા છે. ભારે વરસાદની સાથે રાજ્ય સીઝનના 69 દિવસમાં 100 ટકાને પાર કરી રહ્યું છે.

2019 અને 2017માં રાજયમાં 100% કરતાં વધારે મોસમી વરસાદ નોંધાયો હતો. 2019માં 5 સપ્ટેમ્બરના દિવસે 100 ટકા વરસાદ પૂરો થયો હતો જ્યારે 2017માં 30 ઓગસ્ટે. 2018 અને 2016માં 31 ઓક્ટોબર સુધીમાં કુલ મોસમી વરસાદ અનુક્રમે 76.7% અને 91% હતો.

જો કે, ઓગસ્ટના પહેલા 23 દિવસમાં સોમવારે 6 વાગ્યા સુધીમાં 19.80 ઈંચ વરસાદ એટલે કે 59% વરસાદ નોંધાયો હતો. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી મેઘરાજા સતત વરસતા રાજ્યમાં 1.19 ઈંચ નોંધાયો હતો. સોમવાર સવાર સુધીમાં ગુજરાતના 251 તાલુકામાંથી 109માં 100 ટકા કે તેથી વધુ મોસમી વરસાદ વરસ્યો.

24 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં અનુક્રમે 91%, 126% અને 119% મોસમી વરસાદ નોંધાયો હતો. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 13 ટીમ અને SDRFની 1 ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાડોશી વિસ્તારમાં લો-પ્રેશર તેમજ ઉત્તર-પશ્ચિમી અરબ સાગર પર સાયક્લોન સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે. આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. વધુમાં નિષ્ણાતોની નજર બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી સિસ્ટમ પર છે, જે રાજ્યમાં વધારે વરસાદ લાવી શકે છે.

August 25, 2020
k3-1280x720.jpg
1min4970

મોરબી જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હોય તેમ 24 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. તેમાંય ટંકારામાં માત્ર 2 કલાકમાં જ 7 ઈંચ વરસાદથી તાલુકાના તમામ ડેમ, નદી-નાળા, વોંકળા બે કાંઠે વહેવા લાગ્યા હતા તો વાંકાનેરમાં 30 કલાકમાં 10 ઈંચ વરસાદ પડયો હતો.
મોરબી શહેર-તાલુકામાં બે દિવસમાં અનરાધાર મેઘ તાંડવથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. બંધુનગર નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

પંચાસર રોડ સ્થિત’ ઓઈલ મીલમાં પણ પાણી ઘુસ્યું હતુ તો માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાતા વેપારીઓમાં ચિંતા વધી હતી. બીજી તરફ મોરબીના માણેકવાડા ગામે બે કાચા મકાન ધરાશાયી થયા હતા, જો કે, કોઈ જાનહાની થઈ ન હતી.

ટંકારા તાલુકામાં ગત સવારથી જ આવી ચડેલી મેઘસવારીએ ધીમે ધીમે ગતિ પકડતા 26 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ 53 ઈંચથી વધુ થયો હતો. તાલુકાના આસપાસના ગામડાઓમાં પણ 10થી 12 ઈંચ વરસાદ નેંધાયો હતો. ટંકારા તાલુકા પંચાયત પાછળ આવેલા પૂરવઠાના ગોડાઉનમાં કામ કરતા 8 મજુરોને ગત મોડી રાત્રે સરકારી સ્ટાફે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડયા હતા. બીજા બનાવમાં ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પર આવેલી ફેક્ટરીમાં ચારે તરફ પાણી ફરી વળતા તેમાં ફસાયેલા 17 જેટલા મજુરોને સરપંચ ફિરોજભાઇ તથા યુવાનોએ રેસ્કયુ કર્યા હતા.

વાંકાનેરમાં ત્રીસ કલાકમાં 10 ઈંચ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે જડેશ્વર રોડ પર આવેલું વડસર તળાવ ઓવરફ્લો થયું હતુ તેમજ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કેડ સમા પાણી ભરાયા હતા. આમરણ ચોવીસી પંથકમાં ગત શનિવારથી આજસુધીમાં 25 ઈંચ વરસાદ વરી ગયો હતો. ધુળકોટ, કોયલી, અંબાલા, પાડાબેકડ, બેલા, કોઠારીયા, ઉટબેટ, ફડસર સહિતના ગામ બેટમાં ફેરવાયા હતા. જ્યારે જામનગર-કંડલા કોસ્ટલ હાઈવે પર માનુગામના પાટિયા પાસે એક મોટું નાળું ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થયો હતો. હાટકેશ્વર તળાવ પણ ઓવર ફ્લો થયું હતુ. આમરણ ગામે 112, ઝિંઝુડા ગામે 100, ઉટબેટ ગામે 25 લોકોનું સ્થળાંતર કરાયું હતુ.

મચ્છુ-2 ડેમના 18 દરવાજા ખોલવામાં આવતા માળિયા મીયાણા પંથકમાં કચ્છ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યોહ તો. જ્યારે તાલુકાનું ખીરઈ, હરિપર, ફતેપર, વિરવિદરકા સહિતના ગામ બેટમાં ફેરવાયા હતા અને સંપર્ક વિહોણા થયા હતા. માળિયા શહેરમાં નગરપાલિકા, મામલતદાર કચેરી સહિત નીચાણવાળા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.

રાયસંગપુર ગામે વોંકળામાં પિતા-પુત્ર તણાયા
મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક તારાજી સર્જાઈ હતી. તેમાં હળવદ તાલુકાના રાયસંગપુર ગામે ઉપરવાસના વરસાદના કારણે હળવદથી રાયસંગપુર જવા રસ્તા પર આવેલો ઓકરો કાંઠે થયો હતો. દરમિયાન રાયસંગપુર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી (ઉ.45) પોતાના પુત્રની પરીક્ષા આપવા હળવદ આવતા હતા ત્યારે 18 વર્ષનો શ્રીપાલ અને તેના પિતા બંને પાણીમાં તણાવા લાગ્યા હતા. બનાવની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, ગામના સરપંચ તેમજ રાયસંગપુર ગામના આગેવાનો ઓકરા પાસે દોડી ગયા હતા. તરવૈયાની ટીમ, ટ્રેક્ટર અને રસિઓ સાથે રેસ્ક્યુ હાથ ધરીને બંન્નેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

August 25, 2020
1min4310

ગુજરાતમાં કોરોનાના સંક્રમણને લીધે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩ દર્દીઓએ દમ તોડ્યો છે. આ સાથે રાજ્યનો કોરોનાથી મૃત્યુ આંક વધીને ૨૯૧૦ થઇ ગયો છે. જે સરેરાશ ૩.૪ ટકા થવા જાય છે. બીજી તરફ નવા ૧૦૬૭ દર્દીઓ પોઝિટિવ મળતાં કુલ આંક ૮૭,૮૪૬ સુધી પહોંચી ગયો છે. આ સાથે આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ચોવીસ કલાકમાં ૧૦૨૧ દર્દીઓને રજા અપાતા કુલ ડિસ્ચાર્જ આંક ૭૦,૦૦૦ને પાર થઇ ૭૦૨૫૦ સુધી પહોંચ્યો છે. આમ, રિવકરી રેટ ૮૦ ટકા થયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં સૌથી વધુ પાંચ, અમદાવાદમાં ત્રણ, રાજકોટ અને વડોદરામાં બે-બે તેમજ ભાવનગર શહેરમાંથી એક દર્દી મળી કુલ ૧૩ના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયાની પુષ્ટી હેલ્થ બુલેટિનમાં કરવામાં આવી છે.

સુરતમાંથી કુલ ૨૨૯ નવા કેસ મળ્યા છે એમાં શહેરના ૧૫૯ કેસનો સમાવેશ થાય છે આ જ રીતે અમદાવાદમાંથી કુલ ૧૬૫ કેસ નોંધાયા છે એમાંથી શહેરના ૧૫૧ કેસ છે. વડોદરામાં કુલ ૧૨૦ કેસમાં શહેરના ૮૮ કેસનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેરના ૧૦ મળી કુલ ૨૬ કેસ નવા નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે જામનગર શહેરમાંથી સૌથી વધારે ૭૭ કેસ નવા નોંધાયા છે. અલબત્ત, જિલ્લામાંથી માત્ર ૯ કેસ નવા ઉમેરાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૭ અને જિલ્લાના ૩૨ મળી કુલ ૯૯ કેસ થાય છે. ભાવનગરમાંથી કુલ ૪૯ કેસમાં ૩૦ શહેરના કેસ છે. જ્યારે જૂનાગઢમાંથી ૧૩-૧૩ મળી કુલ ૨૬ નવા  કેસ નોંધાયા છે. રાજ્યભરમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે પણ એક હજાર કરતાં વધુ કેસ મળી રહ્યા છે. અલબત્ત, વરસાદને લીધે ટેસ્ટીંગના પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૬૩,૦૬૫ ટેસ્ટ કરાયા હતા. જોકે, કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વરસાદી માહોલ બાદ વકરનારી બિમારીઓના લીધે ચેપગ્રસ્તોની સંખ્યા વધશે.