પહેલી ડિસેમ્બરથી અમલી બનતા રાજધાની, ઑગસ્ટ ક્રાંતિ રાજધાની, શતાબ્દી, સયાજીનગરી, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સહિતની અનેક એક્સ્પ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. કોરોનાને કારણે હાલમાં પશ્ર્ચિમ રેલવેમાં મુંબઈ સહિત અમદાવાદ ડિવિઝનમાં તહેવાર વિશેષ એક્સ્પ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, પરંતુ ઓપરેશન કારણસર આજથી વિશેષ એક્સ્પ્રેસ ટ્રેનના ઉપડવાના અને પહોંચવાના સમયમાં ફેરફાર થશે. મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સ્પ્રેસ (ડેઈલી) ટ્રેન (નંબર ૦૨૯૫૧-૦૨૯૫૨) રોજ મુંબઈ સેન્ટ્રલથી સાંજના ૫.૩૦ વાગ્યે ઉપડશે, જે રોજ પાંચ વાગ્યે ઉપડતી હતી. રાજધાની એક્સ્પ્રેસને હવે બંને દિશામાં બોરીવલી રેલવે સ્ટેશનનો હોલ્ટ રહેશે.
રાજધાની સિવાય ઑગસ્ટ ક્રાંતિ રાજધાની ટ્રેન (નંબર ૦૨૯૫૩-૦૨૯૫૪) મુંબઈ સેન્ટ્રલથી રોજ સાંજના ૫.૪૦ વાગ્યે ઊપડતી હતી, જે હવેથી સાંજના ૫.૧૦ વાગ્યે ઉપડશે, જેમાં બંને દિશામાંથી અંધેરી રેલવે સ્ટેશને હોલ્ટ રહેશે નહીં.
મુંબઈ અમદાવાદ વચ્ચે દોડાવાતી શતાબ્દી એક્સ્પ્રેસ ટ્રેન(નંબર ૦૨૦૦૯-૦૨૦૧૦)ના સમયમાં ફેરફાર થશે. અઠવાડિયામાં છ દિવસ દોડાવવામાં આવતી શતાબ્દી એક્સ્પ્રેસ સવારના ૬.૩૦ વાગ્યાના બદલે સવારના ૬.૪૦ વાગ્યે ઉપાડવામાં આવશે. રાજધાની, શતાબ્દી સિવાય દાદર ભુજ (ડેઈલ) વચ્ચેની સયાજીનગરી એક્સ્પ્રેસ ટ્રેન (નંબર ૦૯૧૧૫-૦૯૧૧૬) દાદરથી બપોરના ૩.૨૦ વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે ભુજ ૬.૩૫ વાગ્યે પહોંચશે, જ્યારે રિટર્નમાં ભુજ-દાદર વિશેષ ટ્રેન ભુજથી રાતના ૧૦.૩૫ વાગ્યે ઉપડશે. બાંદ્રા ટર્મિનસ-ભુજ વીકલી સ્પેશિયલ ટ્રેન (૦૯૪૫૫-૦૯૪૫૬)ના સમયમાં પણ ફેરફાર થશે. મુંબઈ સેન્ટ્રલ-સુરત વચ્ચેની વિશેષ ટ્રેન રોજ સાંજના ૫.૫૫ વાગ્યે ઉપડશે, જ્યારે સુરતથી મુંબઈ વચ્ચેની વિશેષ ટ્રેન રોજના સાંજના ૫.૦૫ વાગ્યે મુંબઈ માટે રવાના કરવામાં આવશે.
મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (૦૨૯૪૬) મુંબઈ સેન્ટ્રલથી રાતના ૯.૧૫ વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે બપોરના ૨.૫૫ વાગ્યે ઓખા પહોંચશે, જ્યારે ઓખાથી સવારના ૧૧.૦૫ વાગ્યાના સુમારે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ માટે રવાના કરવામાં આવશે, જે બીજા દિવસે મુંબઈ સેન્ટ્રલ બપોરના ૪.૫૫ વાગ્યાના સુમારે પહોંચશે, એવું પશ્ર્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

















