રાજ્યની સી.આઇ.ડી.ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગેરકાયદેસર બનાવટી લે-ભાગુ કંપનીઓ વિરુદ્ધ વર્ષ – 2016થી મે- 2018 સુધી 28 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરાઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં 4,62,687 રોકાણકારોના અંદાજે રૂ.713 કરોડના નાણાં છેતરપિંડી કરીને લે-ભાગુ કંપનીઓએ ઉઘરાવી લીધા છે અને પરત કર્યા નથી. આવી કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને 114 જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્ત કરાઇ છે. જે સંબંધે રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હુકમો કરી ડેઝીગેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી છે ત્યારે હવે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને તેની હરાજી કરીને લોકોના નાણાં પાછા આપવામાં આવશે.

ગુજરાતના ગ્રૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ શહેરો – જિલ્લાઓમાં કેટલીક લે – ભાગુ કંપનીઓ દ્વારા લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવા રોકાણકારોના નાણાં સત્વરે પાછા મળે તે માટે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ આ મિલકતોની હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે પણ નિમણૂક કરી દીધી છે. આ લે-ભાગું કંપનીઓ રિઝર્વ બેંકની મંજૂરી લીધા વગર ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાના પ્રલોભનો આપીને નાગરિકોની માતબર રકમ પચાવી પાડી છેતરપિંડી કરતી હોય છે. આ માટે રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના દાખવીને આ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. જેના કારણે રોકાણકારોના નાણાં સત્વરે પરત મળશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં જી.પી.આઇ.ડી. એક્ટ અન્વયે નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારીઓની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂક કરાઇ છે. કાયદામાં ડેઝીગેટેડ કોર્ટની નિમણૂક કરવાની જોગવાઇ છે. જે મુજબ સમગ્ર રાજય માટે અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે ડેઝીગેટેડ કોર્ટોની રચના પણ કરી દેવાઇ છે. સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી તપાસનું અસરકારક સુપરવિઝન થઇ શકશે અને એકંદરે રોકાણકારોને ફાયદો થશે.



















