ભાવનગરના સિન્ધુનગર રસાલા કેમ્પમાં રહેતા અને શાકમાર્કેટમાં શાકભાજીના હોલસેલ વેપાર સાથે સંકળાયેલા સિંધી વેપારી વિજયભાઈ ગુરુમુખભાઈ સાહિત્યના પુત્ર ચિરાગ વિજયભાઇ સાહિત્ય (ઉ.વ.૧૬) વાળાનું રસાલા કેમ્પ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખતા અપહ્યતને હેમખેમ છોડાવ્યો અને અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.
અપહરણ કર્યા બાદ વેપારીના દિકરા ચિરાગના મોબાઇલ ફોન ઉપરથી એક કરોડની ખંડણી ચિરાગના પિતા વિજયભાઇ પાસે માંગી હતી. વિજયભાઈએ પોલીસને આ બાબતથી વાકેફ કર્યા હતા.
કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ મહાનિરીક્ષક તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પો.અધિ.ના માર્ગદર્શન હેઠળ અપહૃત બાળકના અપહરણકર્તાઓને પકડી પાડવા ભાવનગર નીલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખા વગેરેને સૂચના આપવામાં આવી હતી.
ભાવનગર પોલીસે સંકલન સાધતા ટેકનિકલ સેલ તથા બાતમીદારોથી મળેલી માહિતીઓના આધારે, નીલમબાગ પોલીસ, તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી. દ્વારા સંકલનથી જુદી જુદી ટીમો બનાવી હતી.
પોલીસે સરદારનગર સીન્ધુનગર ખાતે નવજુવાન મંડળ પાસે જમણવારમાં અપહૃત બાળકના અપહરણકર્તાઓ હોવાની હકીકત મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇને રેડ કરી હતી. જેમાં નવજુવાન મંડળથી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા જેમાં અપહરણકર્તા જયેશ મુલચંદભાઇ ચેતવાણી (ઉ. વ. ૨૨) તથા કિશન અશોક લોયડા (ઉ. વ. ૨૧) તથા પ્રશાંત ઉર્ફ પ્રભુ ભુદેવ રસિકભાઈ પાઠક (ઉ. વ.૩૨) તથા મોહિત મનોજભાઈ ગેહીજા ભાવનગરવાળાઓની આ ગુનામાં ધરપકડ કરી, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આગળની તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.
















