
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉન્નાવ બળાત્કાર સંબંધિત તમામ કેસ દિલ્હીની સીબીઆઈ કોર્ટમાં હાથ ધરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બની શકે તો સાત દિવસમાં અને વધુમાં વધુ ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે “ટ્રાન્સફર પિટિશનમાં (પીડિતાના પરિવારની) રજૂ કરવામાં આવેલા કારણ ધ્યાનમાં લેતા અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને લખેલા પત્રને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશની સીબીઆઈ કોર્ટમાંના બધા કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો અમે આદેશ આપીએ છીએ.
પીડિતાને વચગાળાની રાહત તરીકે ૨૫ લાખ રૂપિયા ચૂકવવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. બળાત્કારના કેસ સહિતના તમામ કેસ સીબીઆઈ કોર્ટના જજને રોજિંદા ધોરણે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ટ્રાયલને ૪૫ દિવસમાં પૂરી કરવાનો પણ ઓર્ડર આપવામાં
આવ્યો હતો. પીડિતા અને તેના પરિવારને સીઆરપીએફ દ્વારા સુરક્ષા પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સીબીઆઈને તપાસનું સ્ટેટસ જણાવવામાં કહેવામાં આવ્યું હતું. સીબીઆઈ એ એક દિવસનો સમય માગ્યો હતો પણ મુખ્ય ન્યાયાધીશે અન્ય અધિકારીને મોકલવા કહ્યું હતું. સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સંપત મીણા ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા અને રાયબરેલી અકસ્માત કેસ તથા કુલદીપ સેન્ગર સામેના એફઆઈઆર સંબંધમાં કરાયેલી તપાસની વિગત આપી હતી.

















