CIA ALERT

ક્રાઇમ Archives - Page 16 of 37 - CIA Live

April 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6730
આ સ્ક્રીન શૉટ ઓ.એલ.એક્સ. પર ફરતો થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સરદાર પટેલની વિરાટ પ્રતિમા રૂ.30 હજાર કરોડમાં વેચવાની છે. જોકે, ગણતરીના કલાકોમાં ઓ.એલ.એક્સ. દ્વારા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. તેમજ કેવડીયા પોલીસ મથકમાં વણઓળખાયેલા વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ભારત સમેત સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે વિશ્વયુદ્ધથી મોટી લડાઇ લડી રહ્યા છે ત્યારે એક વણઓળખાયેલા શખ્સે ભારતની શાન સમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સરદાર પટેલની વિરાટ પ્રતિમાને રૂ.30 હજાર કરોડમાં સેલિંગ શોપિંગ સાઇટ OLX પર વેચવા મૂકી દીધી હતી. વણઓળખાયેલા શખ્શની આ કરતૂતની જાણ OLXને પણ કલાકો બાદ થઇ હતી જ્યારે સોશ્યલ મિડીયામાં તેના સ્ક્રીન શૉટ ફરવા માંડ્યા હતા. તુરંત જ OLX દ્વારા એ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી.

ગઇ તા.4 એપ્રિલના રોજ OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો એક લખાણ સાથે વાયરલ થયો હતો. જેમાં લખ્યું હતું કે, ‘ઈમરજન્સી! હોસ્પિટલ અને હેલ્થકેરના સાધનો માટે રૂપિયાની તાત્કાલિક જરૂર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાનું છે’

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ તા.4 એપ્રિલ 2020ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા પોલીસ સ્ટેશનમાં વણઓળખાયેલા ઇસમ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ ઈરાદાપૂર્વક ભારત માટે ગૌરવ સમા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાને ઓનલાઈન પર વેચાણ માટે મૂકી દીધી હતી. ભારત સમેત વિશ્વના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું આ કૃત્ય હતું.

‘સમગ્ર રીતે ગેરકાનૂની અને વિશ્વભરને ગેરમાર્ગે દોરીને સરકારી સંપત્તિને વેચવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સ સામે અમે ફરિયાદ નોંધાવી છે’, તેમ SoUના ડેપ્યુટી CEO નિલેશ કુમાર દુબેએ જણાવ્યું. કેવડિયા પોલીસ સ્ટેશનના પી.ટી. ચૌધરીએ જણાવ્યું કે, ‘અમારી પાસે SoUને ઓનલાઈન વેચવાના પ્રયાસના સ્ક્રીનશોટ છે. જે પણ વ્યક્તિએ આ કરતૂત કરી છે, તેને અમે ઝડપી પાડીશું’.

April 1, 2020
fakemask.jpg
1min4900

સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અત્રેના વેરહાઉસમાંથી આશરે ૧૨,૦૦૦ બનાવટી એન-૯૫ માસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા, એવી પોલીસે મંગળવારે માહિતી આપી હતી.

કોરોનાવાઇરસ ફાટી નીકળવાને પગલે એન-૯૫ માસ્કની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો છે. આ રોગને કારણે દેશભરમાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મૃત્યુ થયા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૫૧ થઇ છે. સોમવારે રાતે કલ્યાણ નગર વિસ્તારમાં આવેલા વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ૨૦ લાખ રૂપિયાની કિંમતના ૧૨,૩૦૦ એન-૯૫ માસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા. બજારમાં એન-૯૫ માસ્કની ભારે તંગી છે અને આ માસ્ક તેની મૂળ કિંમત કરતા ઘણા વધુ ભાવે વેચાઇ રહ્યા હોવાની ઘણી ફરિયાદ સત્તાવાળાઓને મળી છે. 

March 30, 2020
sanitizer.jpg
1min5040

કુરાર પોલીસે શનિવારે સવારે મલાડમાં કાર રોકી નીલકુમાર રાજેશભાઈ શાહને પકડી પાડ્યો હતો. તેની કારમાં સેનિટાઈઝરનાં કેન મળી આવ્યા હતા, જેની પર કોઈ પણ અધિકૃત કંપનીનું લેબલ નહોતું, ઉત્પાદનની તારીખ, ગ્રુપ નંબર, એક્સપાયરી ડેટ નહોતી. ઉત્પાદન કરતી સંસ્થાનો લાઈસન્સ નંબર વગેરે વિગતો પણ નહોતી. પોલીસે પૂછપરછ કરતાં નીલે બરોબર જવાબ આપ્યા નહોતા. આથી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.

ડ્રગ્સ ઈન્સ્પેક્ટર ખિવસરાએ પૂછપરછ કરતાં નીલે કેનમાં સેનિટાઈઝર છે, જે સુરતમાં પોતાની કંપનીમાં ઉત્પાદન કરીને મુંબઈમાં લોઅર પરેલમાં વેચવા માટે આવ્યો હતો એવું જણાવ્યું હતું. જોકે તે સેનિટાઈઝર ઉત્પાદનની પરવાનગી આપતું લાઈસન્સ રજૂ કરી શક્યો નહોતો. કારમાંથી ખાખી રંગનાં ૪૦ બોક્સ મળી આવ્યાં હતાં. એક બોક્સમાં અંદાજે ૫ લિટર સેનિટાઈઝરના ૧૬૦ કેન હતા. એક કેનની કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૮૦,૦૦૦નો માલ હતો. આમાંથી ચાર કેન તાબામાં લઈ દ્રવ્યની તપાસ અને વિશ્લેષણ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. નીલની ધરપકડ કર્યા પછી જામીન પર છોડી મુકાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

March 20, 2020
nirbhaya-case_1580530774.jpeg
1min4790

7 વર્ષ જેટલા લાંબી અને કાયદાકીય ગૂંચોને ઉકેલતા ઉકેલતા આખરે આજે તા.20મી માર્ચે નવી દિલ્હી સ્થિત વિશ્વભરમાં બહુચર્ચિત નિર્ભયા પર ગેંગરેપ કરીને તેની ઘાતકી હત્યા કરનારા ચારેય નરાધમો, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસી આપી દેવામાં આવી હતી છે. છેલ્લી ઘડી સુધી આ ચારેય હરામખોરોના વકીલોએ ફાંસી અટકાવવાના પ્રયાસો કરી જોયા પરંતુ, તમામ આંટીઘૂંટીઓ નિષ્ફળ નિવડી હતી.

કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું તે અનુસાર બરાબર આજે શુક્રવાર તા.20મી માર્ચે સવારે 5.30ના ટકોરે તિહાર જેલના જેલરે સફેદ રુમાલ ફરકાવીને જલ્લાદને ફાંસીનું લીવર ખેંચવા ઈશારો કર્યો હતો, અને તે જ સેકન્ડે આ ચારેયના ગળામાં ફાંસીનો ફંદો મૂકાઈ ગયો હતો.

જેલ મેન્યુઅલ અનુસાર, સાડા પાંચે ફાંસી આપ્યા બાદ ચારેયને અડધો કલાક સુધી ફંદા પર લટકાવી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તિહાર જેલના મેડિકલ ઓફિસરે ફાંસીના ફંદા પર ઝૂલી રહેલા નરાધમોની નાડી ચકાસી હતી, અને આખરે તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરાયા હતા. આ સાથે જ નિર્ભયાને ન્યાય મળ્યો હતો.

March 13, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min5640

યસ બેન્કના સ્થાપક રાણા કપૂરે તેની મુદતમાં જે રૂ. 30 હજાર કરોડની લોનો મંજૂર કરી હતી તે પૈકી રૂ. 20 હજાર કરોડની બેડ લોનમાં ફેરવાઈ ગયાનું એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ખાસ પીએમએલએ કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું. કોર્ટે ઈડીમાંની તેની કસ્ટડી 16 માર્ચ સુધી લંબાવી છે. રાણાના કુટુંબ સાથે સંકળાયેલી 78 કંપનીઓ ભણી (એનપીએ) થયેલા આ માતબર રકમ વાળી દેવાઈ છે કે કેમ તેની તપાસ એજન્સી કરી રહી છે.

March 12, 2020
gujrat-012.jpg
1min7540

સૌરાષ્ટ્રમાં ગુજકોટ હેઠળની પ્રથમ ફરિયાદ અમરેલીમાં થઇ છે. લેડી ડોનની છાપ ધરાવતી રાજકોટની સોનું ડાંગર સહિત નવ સામે ગુજટોક હેઠળ અમરેલીમાં ગુનો નોંધાયો છે.

અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં હત્યા, ખૂનનો પ્રયાસ, અપહરણ, ખંડણી, મિલકતો પચાવી પાડવી, ઉંચા વ્યાજે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરી દહેશત ફેલાવવા સહિતના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલ લેડી ડોન સોનું ડાંગર અને તેની ટોળકીના નવ શખસ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ હેઠળ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અમરેલી પોલીસવડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એલસીબીના અધિકારી દ્વારા સોનું ઉર્ફે સોનલ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર, રબારીકાના શિવરાજ ઉર્ફે મુન્ના રામકુભાઇ વીછિંયા, દોલતીના શૈલેષ નાથાભાઇ  ચાંદુ, દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ, લુવારાના અશોક જૈતાભાઇ બોરીચા, બાલસીંગ જૈતાભાઇ બોરીચા, નાનીધારીના વનરાજ મંગળુભાઇ વાળા, સેંજળના નરેન્દ્ર ઉર્ફે નટુ સુરંગભાઇ ખુમાણ, ગૌત્તમ નાજકુભાઇ ખુમાણ સામે જીસીટીઓની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવવામાં આવ્યો હતો.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગુજકોટનો આ પ્રથમ ગુનો હોવાનું જણાવાઈ છે. અમદાવાદની હોટલમાંથી મહેફીલ માણતા પકડાયેલ સોનું ડાંગરનો મિત્ર શિવરાજ ઉર્ફે મુન્ના વીછિંયા સામે સાવરકુંડલા પોલીસમાં ગુના નોંધાયા હોવાથી ટ્રાન્સફર વોરન્ટના આધારે તેનો કબજો લેવાયો હતો. બાદમાં સોનું ડાંગરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કરીને પડકાર ફેંકયો હતો. પોલીસે સોનું ડાંગરને ઉદયપુરમાંથી ઝડપી લીધી હતી. તેની બાદમાં શિવરાજની પાસામાં અટકાયત કરવામાં આવી હતી. હવે તે બન્ને અને તેની ટોળકી સામે ગુજકોટ હેઠળ ગુનો નોંધાયો છે.

March 7, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min10380

કરોડોના કૌભાંડો કરનાર એટલા મૂર્ખ હોય કે પોતાના ઘરે કોન્ફીડેન્સીયલ દસ્તાવેજો સંતાડતા હશે?

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારે તા.6 માર્ચ 2020ની મોડીરાત્રે યસ બૅંકના સ્થાપક રાણા કપૂરના મુંબઈ ખાતેના નિવાસસ્થાન પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ તેમની સામેના મની લૉન્ડરિંગને લગતી તપાસના સંદર્ભમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અહીં તાર્કિક દલીલ એ છે કે યસ બેંકને ડૂબાડવામાં જેમની ભૂમિકા રહી છે એ રાણા કપૂરે કૌંભાડના દસ્તાવેજો પોતાના ઘરે રાખ્યા હશે કે તેમના ઘરે ઇ.ડી.એ. રેઇડ કરીને મિડીયાને માહિતી પણ આપી દીધી, બીજો સવાલ એ થાય કે કોઇ બેંક કે કચેરીના ઉચ્ચાધિકારીઓ પોતાના ઘરે કોન્ફીડેન્સીયલ ડોક્યુમેન્ટસ રાખતા હોય કે તેમની અન્ય ખુફીયા કચેરીઓ કે અડ્ડાઓ પર રાખતા હોય. કોમન સેન્સનો સવાલ છે આટલા મોટા કૌભાંડ કરનારા એટલા મૂર્ખ હોય કે કૌભાંડના દસ્તાવેજો પોતાના ઘરમાં સંતાડીને રાખતા હોય.

અધિકારીઓએ કહ્યું હતું કે મુંબઈમાં પશ્ચિમ વિભાગમાં કપૂરના સમુદ્ર મહલ નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો છે. કહેવાય છે કે રાણાએ એક જાણીતી કંપનીને લોન આપવાની સાથે પછીથી કટકી લીધી હતી. એ કટકી તેની પત્નીના ખાતાઓમાં સ્વીકારવામાં આવી હોવાનું મનાય છે. અન્ય કેટલીક ગેરરીતિઓ વિશે પણ તપાસ ચાલુ છે.

યસ બૅંક લોન ભરપાઈ કરવામાં ડિફોલ્ટર બનેલી કૉક્સ ઍન્ડ કિંગ્સની સૌથી મોટી ધિરાણકર્તા હતી. યસ બૅંક તરફથી એ કંપનીને ૨,૨૮૫ કરોડ કરતાં વધુ રૂપિયાની લોન અપાઈ હોવાનું મનાય છે. આ ડિફોલ્ટર કંપની કૉક્સ ઍન્ડ કિંગ્સ પાસેથી કુલ ૫,૯૧૧ કરોડ રૂપિયા લેવાના નીકળતા હોવાનું એના આર્થિક લેણદારોએ રજૂ કરેલા દાવાઓમાં જણાવાયું હતું. પુણે નજીકની પિંપરી ચિંચવડ સુધરાઈએ શુક્રવારે જણાવ્યું હતું કે યસ બૅંકમાં એની કુલ ૯૦૦ કરોડ કરતાં પણ વધુ રકમ ડિપોઝિટ તરીકે છે. 

March 6, 2020
scam.png
1min6620

જૂનાગઢ પોલીસે ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે ડુપ્લીકેટ હોલ ટિકીટ (ફી રશીદ) છાપીને ડમી વિદ્યાર્થીઓને બેસાડવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

જૂનાગઢમાં ચાલતી ધો. ૧૨ની પરીક્ષાની ડુપ્લિકેટ રિસીપ્ટના કૌભાંડનો પર્દાફાશ કરીને નકલી રિસીપ્ટ બનાવવાના સાધનો સાથે અન્ય 3ની ધરપકડ કરી હતી તેમ જ કુલ ૪૭ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસને માહિતી મળી હતી કે જૂનાગઢના ભવાનીનગર ખાતે રહેતો રાજેશ ડાયા ખાંટ નામનો વ્યક્તિ પોતાના ઘરે કેશોદના રણજિત ગઢવી તેમ જ પ્રવીણ સોલંકીએ સાથે મળીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૦ (ધો.૧૨)ના બનાવટી પ્રવેશપત્રો (હોલટિકીટ) છાપવાનું ગેરકાનૂની કામ કરી રહ્યો છે.

આ માહિતી મળતા એસઓજીના ઇન્ચાર્જ પી.આઈ. તેમ જ હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે દરોડો પાડી પોલીસે સ્થળ પરથી ધો. ૧૨ની પરીક્ષાના વિદ્યાર્થીઓની અસલ રિસીપ્ટ તેમજ ઝેરોક્ષ વગેરે મળી આવી હતી. એસઓજીએ ડુપ્લિકેટ રિસીપ્ટ બનાવવા સાધનો વગેરે મળી કુલ રૂ. ૪૫,૨૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

આ સમગ્ર કૌભાંડમાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસમાં વિદ્યાર્થીઓ સહિત કુલ ૪૭ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષાના પ્રારંભ પૂર્વે જૂનાગઢમાં ધોરણ ૧૨ની પરીક્ષાની બનાવટી રિસીપ્ટ બનાવવાનું કારસ્તાન ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો.

આ કૌભાંડમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં ડુપ્લિકેટ રિસીપ્ટના આધારે પાસ કરાવી દેવાના કૌભાંડની પણ આશંકા દર્શાવવામાં આવી હતી. શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવટી રિસીપ્ટના આધારે ડમી વિદ્યાર્થીને પરીક્ષામાં બેસાડવાનું કૌભાંડ પણ હોય શકે છે.

March 6, 2020
nirbhaya-case_1580530774.jpeg
1min4860

નવી દિલ્હીની એક અદાલતે નિર્ભયા પર સામૂહિક બળાત્કારના ચારેય આરોપીઓને ૨૦ માર્ચે સવારે સાડાપાંચ વાગ્યે ફાંસી આપવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો. અગાઉ, ચારેય બળાત્કારીની ફાંસી ત્રણ વખત મુલતવી રખાઇ હતી. રાષ્ટ્રપતિએ તેઓની દયાની અરજીઓ નકારી કાઢી હતી.

ઍડિશનલ સૅશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ બળાત્કારીઓ – મુકેશકુમાર સિંહ (૩૨ વર્ષ), પવન ગુપ્તા (પચીસ વર્ષ), વિનય શર્મા (૨૬ વર્ષ) અને અક્ષયકુમાર સિંહ (૩૧ વર્ષ)ને ૨૦મી માર્ચે સવારે ૫.૩૦ વાગ્યે ફાંસી આપવાનો હુકમ કર્યો હતો. અહીંની તિહાડ જેલમાં ચારેય બળાત્કારીને સાથે ફાંસી અપાશે.

અગાઉ, દિલ્હી સરકારના વકીલોએ બળાત્કારીઓના બચાવના બધા માર્ગ બંધ થયા હોવાની માહિતી અદાલતને આપી હતી.

નિર્ભયાની માતા આશાદેવીએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે દોષીઓને ૨૦મી માર્ચે સવારે ફાંસી આપી દેવાશે. નિર્ભયા જેવા બળાત્કાર ભવિષ્યમાં ક્યારેય બનવા ન જોઇએ. સામૂહિક બળાત્કારના ચારેય દોષીની ફાંસી છ અઠવાડિયાંમાં ત્રણ વખત મુલતવી રહી હતી. કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી અદાલતમાં રજૂઆત કરનારા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગુનેગારો ફાંસીથી બચવા માટેના દરેક માર્ગ અપનાવી ચૂક્યા છે.

March 4, 2020
violence_delhi.jpg
1min4470

ઈશાન દિલ્હીમાં ગયા અઠવાડિયે થયેલા કોમી રમખાણો દરમિયાન ૭૯ ઘર અને ૩૨૭ દુકાન આગમાં સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હોવાનું નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે કહ્યું હતું.

અત્યાર સુધીમાં ૪૧ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હોવાનું પોલીસે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

રમખાણના અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ. ૩૮.૭૫ લાખનું વળતર આપવામાં આવ્યું હોવાનું સરકારે કહ્યું હતું.

રમખાણમાં માર્યા ગયેલાઓના પરિવારજનોને અત્યાર સુધીમાં બાવીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

ઈજાગ્રસ્તોને અત્યાર સુધીમાં નવ લાખ રૂપિયા તો જેમના ઘર અને માલસામાનનું નુકસાન થયું હોય તેવા લોકોને રૂ. ૭.૫ લાખ આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

દરમિયાન, છેલ્લા ૨૪ કલાકમાં શિવપુરી, મુસ્તફાબાદ અને કરવાલ નગર વિસ્તારમાંથી ૧૦૦૦ જેટલા અસરગ્રસ્ત લોકો મુસ્તફાબાદ ખાતે સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી રાહત છાવણીમાં સ્થળાંતર કરી ગયા હોવાનું સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

રાહત છાવણીઓમાં ડૉક્ટર, દવા, ખોરાક, શૌચાલય, કપડાં તેમ જ જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

વળતરનું ફૉર્મ ભરવા માટે રાહત છાવણીઓમાં મદદનીશ પણ રાખવામાં આવ્યો છે.

રમખાણોમાં જરૂરી દસ્તાવેજો ગુમાવનારાઓ નવેસરથી તે મેળવી શકે તે માટે વિશેષ હૅલ્પ ડૅસ્ક પણ ઊભી કરવામાં આવી છે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના અન્ય પ્રધાન પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.