
બનાવટી કંપની ઊભી કરી રૂ. ૫૦.૦૩ કરોડનું ઈનપુટ ટૅક્સ ક્રૅડિટ કૌભાંડ કરનાર વિશાલ નામની વ્યક્તિની જીએસટી અધિકારીઓએ ધરપકડ કરી હોવાનું નાણાં ખાતાએ રવિવારે કહ્યું હતું.
વ્યવસાયે ઍડવોકેટ અને દિલ્હીસ્થિત કારકારડૂમા કૉર્ટમાં પ્રેક્ટિસ કરતી વિશાલ નામની વ્યક્તિ દ્વારા સંચાલિત બનાવટી કંપનીઓનાં નૅટવર્કનો સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (સીજીએસટી)ના અધિકારીઓ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, એમ નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. પોતાના જ નામે બનાવટી કંપની ઊભી કરીને વિશાલે જીએસટી કૌભાંડ કરવાનું શરૂ કર્યું હતું. વિશાલે આ કંપની પોતાના નિવાસસ્થાને જ રજિસ્ટર કરાવી હતી. ત્યાર બાદ તેણે બનાવટી ઈનપુટ ટૅક્સ ક્રૅડિટ માટે કોઈપણ પ્રકારનો બિઝનેસ ન ધરાવતી અનેક બનાવટી કંપની ઊભી કરવા જુદી જુદી વ્યક્તિના કેવાયસીની વ્યવસ્થા કરી હતી. વિશાલના નિવાસસ્થાનની તપાસ કરતા ત્યાંથી જુદા જુદા કેવાયસી અને અનેક ચૅક મળી આવ્યા હતા.
ઈન્વૉઈસની રકમના બે ટકા કમિશનના બદલામાં વિશાલ બનાવટી ટૅક્સ ક્રૅડિટ ક્લાયન્ટને આપી દેતો હતો.
આ રીતે અત્યાર સુધીમાં તેણે રૂ. ૫૦.૦૩ કરોડની ઈનપુટ ટૅક્સ ક્રૅડિટનું કૌભાંડ કર્યું હતું.
તપાસ આગળ વધવાની સાથે આ આંકડો વધે તેવી શક્યતા હોવાનું નાણાં ખાતાએ કહ્યું હતું.
આરોપીને ૧૩ માર્ચ સુધીની ૧૪ દિવસની રિમાન્ડ કસ્ટડી આપવામાં આવી છે.
જીએસટીના અમલ બાદથી અત્યાર સુધીમાં જીએસટી સેન્ટ્રલ ટૅક્સ, દિલ્હી ઝોને રૂ. ૪,૦૧૯.૯૫ કરોડની જીએસટી કરચોરીના જુદા જુદા કેસને મામલે ૨૭ જણની ધરપકડ કરી છે, એમ નાણાં ખાતાએ કહ્યું હતું.






















