સરકારની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર મોટો સાયબર હુમલો થયો હતો. તેમાં એરલાઈન્સના મુસાફરોની મહત્વની માહિતીઓ ચોરવામાં આવી હતી. તેમાં પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે સંલગ્ન માહિતી પણ સામેલ છે. એર ઈન્ડિયાએ જાણકારી આપી છે કે, તેનું SITA PSS સર્વર, જે મુસાફરી કરનારાઓની વ્યક્તિગત માહિતીઓ સ્ટોર અને પ્રોસેસ કરતું હતું, તેના પર સાયબર એટેક થયો હતો.
એર ઈન્ડિયાએ આ સાયબર હુમલાની જાણકારી હવે આપી છે. તેણે કહ્યું કે, આ હુમલો ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે કરાયો. તેમાં મુસાફરોની માહિતીની ચોરી કરવામાં આવી. તેમાં મુસાફરોના નામ, જન્મની તારીખ, કોન્ટેક્ટ સાથે જોડાયેલી માહિતી, પાસપોર્ટની જાણકારી અને ટિકિટની માહિતી સામેલ છે.
એર ઈન્ડિયાએ આ ઘટના અંગે કહ્યું કે, ‘અમને આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરપથી પહેલી વખત આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી. અમે એ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે, આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરફથી પ્રભાવિત ડેટાની જાણકારી માત્ર 25-03-2021 અને 5-04-2021એ આપવામાં આવી હતી.’
એરલાઈન્સે એમ પણ કહ્યું કે, આ અંગે તે સ્થિતિની યોગ્ય જાણકારી આપવા ઈચ્છે છે. આ જાણકારી 19 માર્ચે તેની વેબાસાઈટ પર આ અંગે અપાયેલી જાણકારી ઉપરાંતની છે. તેણે કહ્યું છે કે, આ સાયબર હુમલામાં સ્ટાર અલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર ડેટાની સાથે જ ક્રેડિટ કાર્ડના ડેટાની પણ ચોરી કરાઈ હતી.
સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના સર્વરને ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે નિશાન બનાવાયું હતું, આ સાયબર હુમલામાં મુસાફરોના ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી મહત્વની માહિતીઓની ચોરી
મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં ૧૩ નક્સલીઓ માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ગઢચિરોલીના ડીઆઇજી સંદીપ પાટિલના હવાલાથી આ જાણકારી આપી છે.
ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના જંગલ વિસ્તારમાં શુક્રવારે લગભગ ૧૩ નક્સલીઓના શબ મળ્યા હતા, જ્યાં મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ડીઆઇજી સંદીપ પાટિલ અનુસાર, ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે એક મોટી સફળતા છે અને શક્યતા છે કે અથડામણમાં વધુ નક્સલીઓનો સફાયો થાય.
પાટિલે કહ્યું કે, માહિતીના આધારે પોલીસે જંગલમાં શોધખોળ શરૂ કરી હતી. જેની જાણ નક્સલીઓને થતાં તેમણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે જણાવ્યું કે, અથડામણ લગભગ એક કલાક ચાલી હતી, જે બાદ બાકીના નક્સલી જંગલમાં ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ૧૪ મેના રોજ છત્તીસગઢમાં નક્સલીઓના ગઢ દંતેવાડા વિસ્તારમાં અથડામણ થઇ હતી. પોલીસ જવાનો અને નક્સલીઓ વચ્ચે લગભગ એક કલાક અથડામણ ચાલી હતી, જેમાં એક નક્સલી માર્યો ગયો હતો.
તાપી જિલ્લાનાં વડામથક વ્યારા ખાતે શુક્રવારના રોજ નિસિશ શાહ નામનાં બિલ્ડર પોતાની મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા ત્યારે વ્યારાનાં શનિ મંદિર ચારરસ્તા ઉપર કારમાં સવાર ચાર અજાણ્યા ઈસમોએ નિસિશ શાહ ઉપર તલવારનાં ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ હતી તાપી જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે પોહચી આગળની તપાસ હાથ ધરી છે
તાપી જિલ્લાનાં વ્યારા ખાતે બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ મનુભાઈ શાહ જેઓ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યાનાં સુમારે પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળી નજીકમાં આવેલા શનિદેવ મંદિર પાસેનાં ચારરસ્તા ખાતે આવેલા તરબૂચવાળાને ત્યાં ઊભા હતાં ત્યાં એક કાર નં.જીજે-5જેપી-2445 નાં ચાલકે જોરથી પોતાની કારથી ટક્કર મારી હતી જેથી નિસિશ શાહ પોતાનાં મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા અને હજુ ઉઠીને કઈક સમજે એ પહેલાં કારમાં આવેલ ચાર જેટલા ઇસમોએ તલવારો સાથે ઉતરી તલવારોનાં ઘા મારવા લાગ્યા. જેમને રોકવા જતાં તરબૂચ વેચનાર ગણેશ નામનાં ઈસમને પણ પેટમાં તલવાર વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.
બીજી તરફ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નિસિશ શાહને લોહીલુહાણ કરી દઈ પોતાની કારમાં નાસી છૂટ્યાં હતા. આ ઘટનામાં કારની ટક્કર એટલી જોરથી મારવામાં આવી હતી કે, જેનું બમ્પર છુટુ પડીને ઘટના સ્થળે રહી ગયું હતું. આટલી મોટી ઘટના બનતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમ બાબતે નગરમાં લોકોને જાણ થતાં લોકટોળા હોસ્પિટલની બહાર ઊમટી પડ્યાં હતા.
નિસિશ શાહના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અચાનક આવું બનવાથી સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારજનોનાં આક્રંદથી સમગ્ર માહોલમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ બાબતે તાપી પોલીસ દ્વારા આસપાસનાં તમામ વિસ્તારનાં જિલ્લાઓમાં કારનો નંબર આપી નાકાબંધી કરી દેવા માટે જણાવાયું હતું તેમજ આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ જોતાં પ્રાથમિક તારણમાં મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
મુળ મધ્ય પ્રદેશના વતની એવા આ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં અલગ – અલગ વિસ્તારોમાં દિવસ દરમ્યાન રેકી કરીને મોડી રાત્રે ઘટનાને અંજામ આપી નાસી છૂટતા હતા. શહેરના મોટા વરાછા ખાતે લેક ગાર્ડન પાસે કોમ્બિંગ દરમ્યાન ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલી આ કુખ્યાત ટોળકી વિરૂદ્ધ માત્ર સુરત શહેરમાં જ 14 ગુન્હા નોંધાયેલા છે. આ સિવાય રાજ્યના અમદાવાદ – આણંદ સહિતના અન્ય શહેરોમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.50 લાખ રૂપિયાના સોના – ચાંદીના દાગીના સહિત કુલ્લે 3.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સુરત પોલીસ કમિશ્નરે આજે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી સુરતના અમરોલી બ્રીજ પાસે આવેલ ખુલ્લા પ્લોટ પર શ્રમિકોનો વેશ ધારણ કરીને વસવાટ કરતા હતા. કોઈને શંકા ન થાય તે માટે આરોપીઓ પૈકી દેવા પારધી, રુકેશ ચોટલી, સચિન પારધી, કાલુ અને રાજકુમાર નામના ઈસમો શહેરના વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને રેકી કરતા હતા. અલગ – અલગ વિસ્તારોમાં રેકી કર્યા બાદ આ પાંચેય ઈસમો સાંજે સાતેક વાગ્યા સુધી પોતાની ટોળકી પાસે પરત પહોંચી જતા હતા અને બાદમાં આખે આખી ટોળકી રાત્રિના આઠેક વાગ્યા સુધી નક્કી કરેલા લોકેશન પર પહોંચી જતા હતા. જ્યાં આ ટોળકી નક્કી કરેલા લોકેશનની આસપાસ આવેલ અવાવરૂ જગ્યામાં છુપાઈ જતા હતા. રાત્રે દોઢથી બે વાગ્યાના સુમારે આ આરોપીઓ પોતાના તમામ કપડા કાઢીને માત્ર ચડ્ડી – બનિયાન પહેરી લુંગીમાં ઘરફોડ માટેના સાધનો છુપાવીને નક્કી કરેલા બંગલા પર ત્રાટકતા હતા.
તમામ આરોપીઓએ આ ધાડ દરમ્યાન પોત – પોતાની કામગીરી વ્હેંચી લેતા હતા. જેમાં બંગલાની બારીના ખિલ્લા પેચીયાથી ખોલવાનું કામ રાજકુમા્ર, દેવા પારધી અને ગજરાત કરતા હતા જ્યારે રુકેશ ચોટલી અને કાલુ નામના ઈસમો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાનું કામ કરતા હતા. આ સિવાય અન્ય આરોપીઓ બંગલાની આસપાસ ઉભા રહીને વોચ રાખતા હતા. આ દરમ્યાન જો કોઈ કુતરા કે માણસો આવી ચઢે તો ગિલોલથી તેઓને ભગાડી દેતા હતા. ધાડને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પુનઃ નક્કી કરેલા સ્થળે પહોંચી જતા જ્યાં પેન્ટ – શર્ટ પહેરીને સવાર થવાની રાહ જોતા હતા. લોકોની અવર – જવર શરૂ થતાં આ તમામ આરોપીઓ ભીડમાં ચાલતા ચાલતા અમરોલી બ્રીજ પાસે આવેલા ખુલ્લા પ્લોટ પર એકઠા થઈ જતા હતા. જ્યાં ધાડમાંથી મળેલા મુદ્દામાલનો સરખે હિસ્સે વહેંચી લેતા હોવાનું જાણવા મળ્યું છે.ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે આરોપીઓની ધરપકડ બાદ જણાવવામાં આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા માત્ર સુરતમાં જ નહીં રાજ્યના અમદાવાદ, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, બરોડા, નવસારીમાં ધાડ પાડવામાં આવી હતી. આ સિવાય આ ગેંગ દ્વારા મુંબઈ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબ ખાતે પણ અલગ – અલગ શહેરોમાં ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. જેની તલસ્પર્શી તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચના હાથે આજે ઝડપાયેલા આરોપીઓ મુળ મધ્ય પ્રદેશના અલગ – અલગ જિલ્લાના રહેવાસીઓ છે. જો કે, છેલ્લા ઘણા સમયથી આ ટોળકી દ્વારા સુરત શહેરમાં ધામા નાખવામાં આવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલી આ ટોળકીની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સુરત શહેરમાં જ 14 સ્થળે ધાડ પાડી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના પોશ વિસ્તારમાં આવેલા બંગ્લાઓને ટાર્ગેટ કરીને ધાડ પાડતી ગેંગની ધરપકડ દરમ્યાન પોલીસે આજે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ તમામ આરોપીઓ પણ મુળ મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વોન્ટેડ જાહેર કરવામાં આવેલા આરોપીઓમાં રૂકેશ ઉર્ફે ચોટલી સુરેશ પારઘી, દેવા રૂપા પારઘી, સચીન ભલ્લા ભીલ, ગજરાજ, મોન્ટી નંદુ પારઘી અને કાલાનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ તમામ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
ધાડપાડુ ગેંગના આરોપીઓ ખુબ જ શાતિર હોવાની સાથે સાથે પોતાના કામની પણ લાયકાત મુજબ વ્હેંચણી કરતા હતા. આ ગેંગના 10 સભ્યો પૈકી ત્રણ સભ્યો મકાનની બારીની ગ્રીલ ખોલતા જ્યારે બે સભ્યો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાની કામગીરી કરતા હતા. આ સિવાયના તમામ આરોપીઓ ટાર્ગેટ કરવામાં આવેલા મકાનની આસપાસ ઉભા રહીને ધાડને અંજામ આપનારા સભ્યોને ચેતવતા હતા. આ દરમ્યાન કુતરા કે અન્ય કોઈ ઈસમ આવી પહોંચે તો તેને ગિલોલમાં પથ્થર મુકીને મારવાનું શરૂ કરી દેતા. ઉલ્લેખનીય છે કે, લાખ્ખો રૂપિયાની ધાડને અંજામ આપનારાઓ દ્વારા ઘરફોડના સાધનો સિવાય માત્ર ગિલોલનો જ હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના પોશ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને આખો દિવસ રેકી કર્યા બાદ જે બંગલાને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય ત્યાં રાત્રે આઠ વાગ્યા પહેલા આ ટોળકી પહોંચી હતી. બંગ્લાની આસપાસ આવેલા અવાવરૂ સ્થળે કપડાં બદલીને આ ટોળકી છુપાઈને બેસી રહેતી. મોડી રાત્રે 1.30 વાગ્યા બાદ આ ટોળકી ચડ્ડી – બનિયાન પહેરીને ધાડની ઘટનાને અંજામ આપતા હતા. આ દરમ્યાન ધાડમાં મળેલ મુદ્દામાલ એકઠો કરીને આરોપીઓ રસોડામાં પ્રવેશ કરતા હતા અને જે કંઈ ભોજન બચ્યું હોય તે ખાઈ લેતા હતા. આ દરમ્યાન ઘરનો કોઈ સભ્ય જાગી જાય તો તેના પર પથ્થરથી હુમલો કરતા હતા.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને આ ટોળકી પોતાના વતન જવા માટેની કવાયત હાથ ધરી હતી. જો કે, ક્રાઈમ બ્રાંચે આ સંદર્ભે જાણ થતાં જ અલગ – અલગ ટીમો બનાવીને બાતમીવાળા સ્થળો પર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે દરમ્યાન આ તમામ આરોપીઓ મોટા વરાછા ગામ ખાતે આવેલા લેક ગાર્ડન પાસે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોના – ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયા અને ઘરફોડ ચોરીના સાધનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા હતા. સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટોડિયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને શંકા હતી કે, બંને શખસોને કોઈ સ્થાનિક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવા માટે મદદ કરી હતી ત્યારે અમદાવાદના આઇબીના પીએસઆઇ સહિત એક શખસની સંડોવણી બહાર આવી છે.
અમદાવાદ મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડની બે મેચમાં હજારોની મેદની ભેગી કરી કોરોના વધતાં બાકીની ત્રણ મેચમાં કોઈ દર્શકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારત ઈંગ્લેન્ડની છેલ્લી ટી-૨૦ મેચમાં જીસીએ અને પોલીસની મોટી બેદરકારી સામે આવી હતી. બે સટોડિયાઓ મજૂર બની અંદર ઘૂસ્યા હતા. પોલીસના ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત હોવા છતાં હરિયાણાના બે સટોડિયાઓ ખાનગી સપ્લાયર કંપનીના મજૂર બની અને સ્ટેડિયમમાં ઘૂસી ગયા હતા અને ટી ૨૦ મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં હતાં. તપાસ કરતાં બંનેએ અંદર પ્રવેશ મેળવી સટ્ટો રમતાં તેમની જુગારની કલમ હેઠળ ધરપકડ કરી હતી.
આરોપીઓએ એક સપ્લાયર કંપનીના મજૂરના પાસ મેળવી તેમાં તેમના ફોટો ચોંટાડી તેઓએ પાસ મેળવ્યા હતા અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. જેથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને હરિયાણાના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. બંને બેઠા હતા તે દરમ્યાનમાં એક વ્યક્તિને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પૂછતાં તેઓનું નામ પ્રિન્સ ગંભીર અને આશિષ યાદવ હોવાનું જાણવા મળ્યું. તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા. સ્ટેડિયમમાં એક સપ્લાયરનો જે કોન્ટ્રાક્ટરના મજૂરો પાસેથી બંનેએ પાસ મેળવી લીધાં હતાં અને તેઓ પાસ લઈ મજૂર બની સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાંથી તેઓ બેસી મેચ જોવા બેસી સટ્ટો રમતાં હતા.
બંને આરોપીઓની પૂછપરછમાં આઇબીના પીએસઆઇ અને ગોતાના વ્યક્તિની સંડોવણી બહાર આવી છે. સરકારી બોલેરામાં બેસાડી સટોડિયાઓને સ્ટેડિયમમાં પ્રવેશ અપાવ્યો હતો. પકડાયેલ આરોપી અગાઉ પણ બે વખત સ્ટેડિયમમાંથી સટ્ટો રમાડતા પકડાઈ ચૂક્યો હતો.
સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે રામબાણ ઈલાજ સમાન રેમડેસિવિર ઈન્જેકશનની અછત સર્જાવા પામી હતી. આ આફતને પણ અવસરમાં તબ્દીલ કરનાર સુરત શહેરની વધુ એક ટોળકીને શહેર પોલીસે રંગે હાથ ઝડપી લીધી છે. પોલીસે ઈન્જેક્શનની કાળાબજારી કરનાર ડોક્ટર સહિત ચાર જણાને ઝડપી પાડી ત્રણ ઈન્જેક્શનના બોક્ષ જપ્ત કર્યા હતા. જયારે ઈન્જેકશન સપ્લાય કરનાર અમરોલીના ડોકટરને વોન્ટેડ બતાવ્યો છે.
સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા હાલમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસોમાં સતત વધારો થયો હોય છે અને અંતર્ગત કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખુબ જ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વર્તા છે જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનુ બહાર આવતા આ દિશામાં કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, જૈનીશકુમાર પોપટ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે. તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા શો રૂમ પાસે પોતાની બાઈક પર બેઠો છે જે બાતમીને પીઆઈ એસ.જે.ભાટિયાએ વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી એક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશકુમાર પોપટ કાકડીયા (ઉ.વ.૨૩,રહે,ગૌતમપાર્ક કારગીલ ચોક પીપલોદ)ને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ઼્યો હતો.
જૈનીશકુમારની પૂછપરછમાં તેના સાગરીત ભદ્રેશ બાબુ નાકરાણી (રહે,સમ્રાટ સોસાયટી પુણગામ), જૈમીશ ઠાકરશી જીકાદરા (રહે,યમુનાપાર્ક સોસાયટી ડભોલી) અને ડો. સાહિલ વિનુ ધોધારી (રહે, હરીહરી સોસાયટી બાળ આશ્રમ સ્કુલની પાછળ કતારગામ)ને ઝડપી પાડ્યા હતાં. પીસીબીએ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન બોક્ષ નંગ-3 જેની કિંમત રૂપિયા 2697, મોબાઈલ ફોન નંગ-4 જેની કિંમત રૂપિયા 63,500, રોકડા રૂપિયા 12,520 તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,23,717 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક એન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે સસ્તા બિટકોઇન આપવાની લાલચ આપી યુવાનને મારમારી ત્રણ શખસ દ્વારા રૂ.40 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાઈ છે.
રાજકોટના ચેતન નામના શખસે ફેસબુક ઉપર ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી બનાવી ગૂગલ પર વળતર આપવા અંગેની એક જાહેરાત ગુગલ મારફત મૂકી હતી જેમાં મહેસાણાના ચંદ્રોદય’ સોસાયટીમાં રહેતા વિશાલ જગદીશભાઈ રાવલે અમદાવાદ બોડક દેવમાં શ્યામ વિહાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.જી-5 જજીસ બંગલો રોડ પર રહેતા વિકાસ વિજયેન્દ્ર જૈનને આ અંગે વાત કરી હતી.
રાજકોટના ચેતને વિકાસ જૈનના વોજીર એક્સ વોલેટમાં 14મી એપ્રિલે રૂ.25 હજારના બિટકોઇન ટ્રાન્સફર કર્યા જેનું પેમેન્ટ ચેતનનો માણસ દહેગામનો મનોજ દેસાઈ લઈ ગયો હતો. ત્યારબાદ તા.16મી એપ્રિલે ચેતને વિકાસ જૈનને ફોન કરી પોતાની પાસે 3 બિટકોઇન હોવાનું અને તેને રૂ.40 લાખમાં આપવા માટેની લાલચ આપી હતી અને બાદમાં વિકાસને સાયલા બોલાવ્યો હતો.
વિકાસ તેના મિત્ર વિશાલને લઈ સાયલા પહોંચ્યો હતો. સાયલા સર્કલ પાસે ચેતનના 3′ માણસ લીંબડીનો ઉદય સેલાભાઈ ચિહલા, જગદીશ વિરાભાઈ જોગરાણા અને ચુડાના મોરવાડનો ગોકળ રાજુભાઈ ગમારા નંબર વગરની કાર લઈને આવ્યા હતા પહેલા પૈસા દેખાડો પછી બિટકોઇન આપીએ તેમ કહ્યું હતું.
વિકાસે નાણાં આંગડિયા પેઢીમાં હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય શખસે નાણાં રોકડા આપવાની વાત કરતા અંતે આ સોદો ફેલ થયો હતો.
બાદમાં ફરી એક વખત તા.17 એપ્રિલના રોજ ચેતને ફોન કરીને વિશાલને બોલાવ્યો હતો. સસ્તા બિટકોઇનની લાલચમાં વિકાસ અને વિશાલ રૂ.40 લાખ રોકડા લઈ લીંબડી આવ્યા હતા ત્યારે ઉદય મિહલા, જગદીશ જોગરાણા, ગોકળ ગમારાએ વિકાસને કારમાં બેસાડી નજીકની સોસાયટીમાં લઈ ગયા પૈસા માગ્યા હતા ત્યાં વિકાસનાં મોં પર મુક્કો મારી રૂ.40 લાખની લૂંટ કરી 3 શખસ ફરાર થઈ ગયા આ બાબતે ફરિયાદ’ થતા પીએસઆઇ વી.એન. ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.
શહેર પોલીસ કમિશનરે કોરોના મહામારીમાં રેમડેસીવીર ઇન્જેકશનનો કાળાબજાર કરતા વ્યકિતઓને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલી હતી. જે અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તથા એસીપીએ પો.ઇન્સ. ડીસીબીએ શહેરમાં કાળાબજારીયાઓ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાળાબજાર કરનારા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે વોચ દરમિયાન શહેરના પરવત પાટીયા, વિજય મેડીકલ ખાતે ડમ્પી ગ્રાહકો થકી આરોપીઓ ઝડપાયા હતા.
આરોપી કલ્પેશ રણછોડભાઇ મકવાણા (ઉ.વ. 23) (રહે. એ- 386 સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ સુરતનાએ રૂા. 12000/-માં એક ઇન્જેકશન વેચાણથી અપાવશે તેમ જણાવતા ગ્રાહકે 6 ઇન્જેકશનોની માંગણી કરતા રૂા. 70,000/-માં મળી જશે તેવું જણાવ્યું હતું. બીજા આરોપી પ્રદીપ ચકોરભાઇ કાતરીયા ફયુઝન પેઠોલોજી લેબ પાસે લઇ જતાં લેબમાંથી પોતાની સાથે રેમડેસીવર ઇન્જેકશન લઇ નાણાની માંગણી કરતા રેઇડ દરમિયાન પકડાઇ ગયેલ હતો.
પોલીસે લેબોરેટરીમાં ચકાસણી કરતા અન્ય આરોપી શૈલેષભાઇ જશાભાઇ હડીયા (ઉ.વ. 29), નીતીનભાઇ જશાભાઇ હડીયા (ઉ.વ. 25) પાસેથી 6 ઇન્જેકશન રેમડેસીવર ઇન્જેકશન તથા વેચાણના 2,45,000/- મળી આવેલ તેથી પૂછપરછમાં યોગેશભાઇ બચુભાઇ કવાડ પાસેથી એક ઇન્જેકશન રૂા. 4000/- લેખે ખરીદી કર્યાંનું જણાવેલ અને પોતે રૂા. 12000/-માં ગ્રાહકોને આપતા હોવાની હકીકત જણાવેલ હતી. આરોપી યોગેશભાઇ બચુભાઇ કવાડ (ઉ.વ. 24)થી પૂછપરછમાં આ ઇન્જેકશનો નિત્યા મેડીકલ સ્ટોરવાળા વિવેક હીમતભાઇ ધામેલીયા (ઉ.વ. 29) પાસેથી ખરીદી આપેલ હોવાની અને ફયુઝન પેથોલેબ ખાતે વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિવેક હીંમતભાઇ ધામેલીયા નિતા મેડીકલ સ્ટોર નામનો રૂા. 670/-ના ભાવથી સીવીલ હોસ્પિટલ સુરત, નિત્યા હોસ્પિટલમાં દાખલ થયેલ કોવીડ પોઝીટીવ આવેલા દર્દીઓના આધાર કાર્ડની નકલનો ઉપયોગ કરી ડોકટરના પ્રીસ્કીપશન સાથે પોતાની હોસ્પિટલ વતી એક માણસને સીવીલ હોસ્પિટલ ખાતેથી રોજે રોજ મંગાવી તેમાથી વધેલા તથા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓના રેમડેસીવર ઇન્જેકશન કાળા બજાર કરી યોગેશ કવાડને વેચતો જે આગાળ ફયુઝન લેબોરેટરીને રૂા 4000/- માં વેચતો અને ફયુઝન લેબોરેટરીવાળા તેના માણસો રાખી ગરજાવ ગ્રાહકોને રૂા. 12000/-માં વેચતો હતો. પોલીસે રેમડેસીવીર ઇન્જેકશન નંગ 12 મળી કુલ્લે રૂપિયા 2,89,289/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
અમદાવાદના એક રમકડાંના વેપારીઓનો જીએસટીનો મામલો પતાવવા માટે દોઢ લાખની લાંચ લેવાના આરોપમાં સીજીએસટી વિભાગના જોઈન્ટ કમિશનર નિતુ સિંહ અને સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ યશવંતભાઈ રસાણિયાની એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં રમકડાનો વ્યવસાય કરતા વેપારીને GST મામલે એક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ મળતા વેપારીએ CGST વિભાગના જોઈન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડેન્ટ નિતુ સિંહ ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો. આ બેઠકમાં વેપારી પાસે 1.50 કરોડ રૂપિયાની પેનલ્ટી સામે કાર્યવાહી ન કરવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. બેઠક બાદ આખરે દોઢ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. જેમાંથી એક લાખ રૂપિયા નિતુ સિંહને અને બીજા 50 હજાર સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈ રસાણિયાને આપવા કહ્યું હતું.
વેપારીએ બેઠક બાદ એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)ના અધિકારીઓનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી. વેપારીની ફરિયાદના આધારે ACB દ્વારા રેડ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. જે મુજબ વેપારી લાંચના પૈસા આપવા માટે ACBના અધિકારી સાથે આનંદનગર સ્થિત CGSTની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે જોયું તો નિતુ સિંહ ઓફિસમાં નહોતા. તેથી વેપારીએ તેમને ત્યાં ફોન કર્યો તે નિતુ સિંહે કહ્યું કે હાલમાં તે કામથી બહાર આવ્યા છે તેઓ દોઢ લાખ રૂપિયા સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈને આપી દે. નિતુ સિંહના કહેવા પ્રમાણે વેપારીએ આ રકમ જ્યારે સુપ્રિટેન્ડેન્ટને આપી તે સમયે જ ACBની ટીમે તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પુરાવાના આધારે નિતુ સિંહની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘સચિન વઝેની NIA કેસ RC/1/2021/NIA/MUMમાં રાત્રે 11.50 કલાકે ધરપકડ કરવામાં આવી હતી.’ એનઆઈએએ કહ્યું કે, 25 ફેબ્રુઆરીએ કાર્મિકલ રોડ નજીક વિસ્ફોટક ભરેલી કાર મૂકવામાં ભૂમિકા અને સંડોવણી બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
તા.૧૩મી માર્ચને શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રમાં કાર્યરત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મુંબઈ પોલીસ એન્કાઉન્ટર સ્પેશિયાવલિસ્ટ પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડ મુકેશ અંબાણીના ઘર, એન્ટીલિયા નજીક મળી આવેલી વિસ્ફોટક ભરેલી કારના કેસમાં કરી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની મૃત્યુ બાદ તેમની પત્નીએ પણ સચિન વઝે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદથી જ સચિનની ધરપકડની માંગ કરવામાં આવી રહી હતી.
વઝે પોતાનું નિવેદન નોંધાવા માટે સવારે 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈના કુંબલા હિલ ખાતેની એજન્સીની ઓફિસ પહોંચ્યા હતા.
25 ફેબ્રુઆરીના રોજ કાર્મીકલ રોડ પર અંબાણીના ઘરની નજીક પાર્ક કરેલી સ્કોર્પિયો કારમાં કેટલીક જીલેટીન સ્ટીક અને ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વઝે પર થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેન હત્યા કેસમાં સંડોવણીનો આરોપ છે. જણાવી દઈએ કે, 5 માર્ચના રોજ થાણે જિલ્લામાં મનસુખ હિરેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (ATS) હિરેન હત્યા કેસની તપાસ કરી રહી છે. હિરેનનો મૃતદેહ મળ્યા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હિરેનની પત્નીએ દાવો કર્યો હતો કે, તેના પતિએ ગયા વર્ષે નવેમ્બરમાં વઝેને એસયુવી આપી હતી અને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કાર પરત કરી હતી. જો કે વઝેએ આ વાતનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનસુખના પત્ની વિમલા હિરેનની હત્યાના આરોપ બાદ સચિન વઝે પોતે જ પૂછપરછ માટે એટીએસ પહોંચ્યા હતા. ત્યારબાદ એટીએસ દ્વારા 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.