CIA ALERT

બિઝનેસ Archives - Page 33 of 87 - CIA Live

May 13, 2021
sgcci_dgp.jpg
1min569

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની આજરોજ તા.13મી મે 2021ના રોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ નીચે મુજબના મહત્વના મુદ્દાઓ અંગે આશિષ ભાટીયાને વિસ્તૃતપણે રજૂઆત કરી હતી.

1. દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગની હોલસેલ દુકાનો દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦ થી બપોરે રઃ૦૦ કલાક સુધી ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.

2. રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ છે, પરંતુ ટ્રેડીંગ એકટીવિટી બંધ હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ બંધ થવાની કગાર પર છે. આથી ટ્રેડીંગ એકટીવિટીની પરવાનગી તા. ૧૮ મે, ર૦ર૧થી નવા જાહેર થનાર હુકમથી મળી રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

3. કારીગરો હાલમાં પોતાના વતન જઈ શકે તેવી સ્થિતિમાં નથી અને જો આ સંજોગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કોઈપણ કારણસર બ્રેક લાગશે તો આ કારીગરો રસ્તા ઉપર આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવી ભીતિ છે. કારણ કે, કાપડ માર્કેટની દુકાનો બંધ હોવાથી વિવિંગ અને પ્રોસેસિંગ એકમો દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે અને બે પાળીને બદલે એક પાળીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ છે. જો કાપડની માર્કેટો બંધ જ રહેશે તો વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પણ બંધ થવાની ભીતિ સેવાઇ રહી છે. આવા સંજોગોમાં કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન ચાલુ રહે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ.

4. બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલુ છે પણ તેને સંલગ્ન રેતી–કપચી, સિમેન્ટ અને સ્ટીલ જેવી એન્સીલરી સર્વિસની દુકાનો બંધ હોવાથી બાંધકામ પ્રવૃત્તિ ઉપર રોક લાગી ગઇ છે. આથી બાંધકામ ઉદ્યોગ ચાલુ રહે તેના માટે એન્સીલરી સર્વિસની દુકાનોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.

5. એકસપોર્ટ – ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાનું કામ કરવા પરવાનગી આપવામાં આવે. કારણ કે, એકસપોર્ટના ઓર્ડર્સ જો સમયસર ડીલીવર ન થાય તો તેનો આર્થિક બોજો ઘણો મોટો હોઇ વૈશ્વિક બજારમાં ભારતની ઈમેજને પણ ખરાબ કરી શકે છે. આથી તાત્કાલિક ધોરણથી આ હુકમ અમલવાર થવો જોઇએ.

6. રાજ્યમાં તમામ પ્રકારની મેઈન્ટેનન્સ અને રીપેર સર્વિસીઝ ચાલુ રહે તેવો હુકમ તાત્કાલિક ધોરણથી કરવામાં આવે.

7. ફરસાણ, નમકીન અને મિઠાઇની દુકાનો ચાલુ રાખવાનો ગૃહ વિભાગનો હુકમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ આ દુકાનોને બંધ રાખવામાં આવે છે. આથી સ્થાનિક તંત્રને આ હુકમ અંગે સૂચનો મળી રહે તે માટે ઘટતું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ રાજ્યની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો કરવામાં આવેલી રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીમાં ઉદ્યોગ – ધંધાને સ્પર્શતા ઉપરોકત મુદ્દાઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સે તેમને કરેલી રજૂઆતોને તેઓ મુદ્દાસર મુખ્યમંત્રી દ્વારા બનાવાયેલી કોર કમિટી સમક્ષ રજૂ કરશે. તદુપરાંત આ અંગે જે કઇ નિર્ણય લેવામાં આવશે તેની જાહેરાત કરશે.

May 7, 2021
lic.jpg
1min425

જાહેર ક્ષેત્રની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસઈ)ના કર્મચારી યુનિયન તેમજ મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો અંત આવ્યો છે. હવેથી એલઆઈસીમાં સપ્તાહના ફક્ત પાંચ દિવસ કામકાજ થશે. 10 મેથી આ નવો નિયમો લાગુ પડશે. સપ્તાહમાં સોમથી શુક્રવાર સુધી જ એલઆઈસીની કચેરીઓમાં કામગીરી ચાલુ રહેશે અને શનિ-રવિ રજા રાખવામાં આવશે.

15 એપ્રિલ 2021ના એક પરિપત્ર મુજબ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે શનિવારે એલઆઈસીની કચેરીમાં રજા રહેશે. તમામ પોલીસી ધારકો અને હિસ્સેદારોએ આ વાતનો ખ્યાલ રાખવો કે 10મેથી આ નિયમ અમલમાં આવશે.

10 મેથી એલઆઈસીની ઓફિસોમાં સોમવારથી શુક્રવાર 10થી 5.30 સુધી કામકાજ રહેશે તેમ જણાવાયું હતું.

May 7, 2021
radhe_salman_release_date.jpg
1min513

ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ અને સલમાન ખાન ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ `રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai) દ્વારા થનારા નફાથી દેશમાં કોવિડ-19 રાહત કાર્ય માટે મદદ કરવા બુધવારે સંકલ્પ લીધો. સલમાન ખાન દ્વારા અભિનીત આ ફિલ્મ 13 મેના રિલીઝ થશે અને સાથે જ આ ફિલ્મનું સ્ટ્રીમિંગ ઓટીટી અને ડીટીએચ સેવાઓ સહિત અનેક પ્લેટફૉર્મ પર કરવામાં આવશે.

પ્રભુદેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ `રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai)પે-પર-વ્યૂ પ્રસારણ પ્લેટફૉર્મ `ઝી પ્લેક્સ` પર પણ રિલીઝ થશે. ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ લિમિટેડ અને સલમાન ખાન ફિલ્મ્સ Salman Khanએ રાહત સહાયતા આપવા માટે દાન સ્ટેજ `ગિવ ઇન્ડિયા`ની સાથે ભાગીદારી કરી છે. આમાં ઑક્સીજન સિલેન્ડર, સાંદ્રક અને વેન્ટિલેટરથી લઈને જરૂરી ચિકિત્સા ઉપકરણોનું દાન પણ સામેલ છે.

બન્ને કંપનીઓએ શ્રમિકોના પરિવારોને પણ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જે આ મહામારીથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ્સ (Salman Khan)ના એક પ્રવક્તાએ કહ્યું, “અમને આ મહાન કાર્યનો ભાગ બનીને ખુશ છીએ જેથી અમે કોવિડ-19 વિરુદ્ધ દેશની લડાઇમાં પોતાનું થોડુંક યોગદાન આપી શકશું. ગયા વર્ષથી અમે કોવિડ-19થી લડવાના પ્રયત્નોમાં સતત લાગેલા છીએ. એમાંય ખાસ વાત એ છે કે અમે એ પણ અનુભવ્યું છે કે એવી ફિલ્મની રિલીઝને અટકાવવાથી કોઇપણ પ્રકારની મદદ નહીં મળે જેની શૂટિંગ થઇ ચૂક્યપં છે. પણ આથી મળતા નફાનો ઉપયોગ મહામારીથી લડવાની દિશામાં કરવાથી જરૂર લાભ થશે.”

May 3, 2021
GSPC.jpg
1min353

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ હેઠળ છ મહિના જેલની સજા પણ થશે.

જારી કરવામાં આવેલી એક નોટીસમાં જણાવ્યું હતું કે જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે સામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માગ મોટા પ્રમાણમાં વધી છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિ:સહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈને કાઉન્સિલે’ નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં આ માટે ફરિયાદ કરી શકે છે. વધુમાં રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ તેવી પણ કાઉન્સિલે અપીલ કરી છે.

May 3, 2021
gst.jpg
1min368

સરકારે જીએસટીના માર્ચ અને એપ્રિલ મહિનાના માસિક જીએસટીઆર-૩બી ફાઇલિંગના રિટર્નમાં વિલંબ માટે લૅટ ફી નહીં લેવાનું નક્કી કર્યું છે અને લૅટ ફાઇલિંગ કરનારાઓ માટે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.

પાંચ કરોડ રૂપિયાથી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતાઓને તેના જીએસટીના માસિક રિટર્ન ફાઇલ કરવા અને ટૅક્સ ભરવા માટે વધુ ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ ૧૫ દિવસ માટે તેમણે ૯ ટકાના ઓછા દરે વ્યાજ લેવામાં આવશે અને ત્યાર બાદ ૧૮ ટકાના દરે વ્યાજ લેવામાં આવશે. અગાઉના નાણાકીય વર્ષમાં જેમનું ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા સુધીનું હોય તેમને માર્ચ અને એપ્રિલ મહિનાના રિટર્ન ફાઇલ કરવા માટે વધુ ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે આ સમય માટે તેમણે લેટ ફી નહીં ચૂકવવી પડે. આ સમયગાળા બાદ તેમણે ૯ ટકા અને ૩૦ દિવસ બાદ ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે.

સીબીડીટી દ્વારા પહેલી મેના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતુું. આ છૂટછાટ ૧૮ એપ્રિલથી અમલમાં આવી છે.

એપ્રિલ સેલ્સ ટૅક્સ રિટર્ન જીએસટીઆર-૧ની તારીખ પણ ૧૧મી મેથી લંબાવીને ૨૬મે કરવામાં આવી છે.

April 26, 2021
bankholiday.jpg
1min538

નાણાકીય વર્ષના બીજા મહિનામાં એટલે કે મે મહિનામાં સાર્વજનિક અને ખાનગી બેંક નવ દિવસ બંધ રહેશે. દેશમાં કોરોનાના વધી રહેલા સંકટને કારણે બેંકમાં કામ કરવાની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર મે મહિનામાં મહારાષ્ટ્ર દિન, રમઝાન, બુદ્ધ પૂર્ણિમા જેવા તહેવારો આવતા હોવાથી બેંક બંધ રહેશે.

પહેલી મેના દિવસે મહારાષ્ટ્ર દિન અને લેબર ડે, સાતમી મેના ઉમત-ઉલ-વિદા, ૧૪મી મેના પરશુરામ જયંતી, અક્ષય તૃતિયા અને રમઝાન ઇદ તથા ૨૬ મેના દિવસે બુદ્ધ પૂર્ણિમા હોવાથી બેંકમાં રજા જાહેર કરવામાં આવી છે. મે મહિનામાં બે, નવ, ૧૬ અને ૩૦ તારીખે રવિવાર તથા આઠ અને ૨૨ મેના રોજ બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે.

ક્ટેઇન્મેન્ટ ઝોનમાં આવેલી બેંકના કર્મચારીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે સુવિધા મર્યાદિત કરવામાં આવી છે. આ સહિત અનેક રાજ્યમાં બેંકના કામકાજનો સમય પણ ઓછો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

April 23, 2021
cashless-treatment.jpg
2min521

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

એક તરફ ભારતમાં કોરોનાના દર્દીઓ વિક્રમી સંખ્યામાં વધી રહ્યા છે, હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા અને બીજી તરફ ભારતની કેટલીક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કેશલેશ મેડીક્લેમ પોલીશી ધારકોને તેનો લાભ આપવાનો ઇન્કાર કરી રહી છે, ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને આ ટ્વીટ કરવું પડ્યું છે. નાણામંત્રીના ટ્વીટ બાદ હરકતમાં આવેલા ઇરડાના સંચાલકોએ હોસ્પિટલોને ચીમકી આપી છે કે કોરોનાના દર્દીઓને કેશલેશ મેડીક્લેમ વીમાની સુવિધા આપવી જ પડશે. જો કોઇ આ સુવિધા આપવાનો ઇન્કાર કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

નાણામંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે કોરોના કાળમાં સાવ હંગામી રીતે ઉભી કરવામાં આવી હોય તેવી કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોએ પણ કેશલેશ મેડીક્લેમની સુવિધા આપવી પડે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી બોડી ઇરડાએ કેશલેશ વીમાની સુવિધા નહીં આપતી હોસ્પિટલોને ચીમકી આપી

હોસ્પિટલો કેશલેશ મેડીક્લેમ ન સ્વીકારે તો અહીં કમ્પ્લેન કરો

કેશલેશ મેડીક્લેમ નહીં આપતી હોસ્પિટલ સામે ફરીયાદ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.irdai.gov.in/ADMINCMS/cms/NormalData_Layout.aspx?page=PageNo225&mid=14.2

April 21, 2021
banking.jpg
1min566

આજ 21/4/21 થી બેંકોમાં કામના કલાકોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, ગ્રાહકોની સેવા માટેનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

મહાગુજરાત બેંક એમ્લોયી અસોસિએશન (MGBEA) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવ્યાના એક દિવસ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો અમલ 30/4/21 સુધી ચાલુ રહેશે.

ગુજરાતમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જાહેર અને ખાનગી ક્ષેત્રની મોટી બેંકોના હેડ, અમદાવાદ RBIના રિજનલ ડિરેક્ટર અને ગુજરાત SLBCના કન્વીનરે આ અંગે બેઠક યોજી હતી અને બેંકિંગ પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી હતી.

આ સમયગાળા દરમિયાન, બેંકની શાખાઓ અને તેની ઓફિસો ગ્રાહકોને માત્ર જરૂરી સેવાઓ આપશે, જેમાં કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોઅલ, RTGS, રિમિટન્સ અને ક્લીયરન્સનો સમાવેશ થાય છે. બેંકિંગ સેવાઓનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.

‘કોરોના વાયરસના ફેલાવાનો ઓછો કરવા માટે શાખાઓમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટાડવામાં આવશે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે’, તેમ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું.

વિભાગે બેંકોને ATMમાં પૂરતી રોકડની ખાતરી કરવા અને ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ મોડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ જણાવ્યું છે.

‘કેન્દ્ર, રાજજ્ય સરકાર અને અન્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલી કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે’, તેમ પરિપત્રમાં વધુમાં લખ્યું હતું.

April 20, 2021
maharashtra_lockdown.jpg
1min452

રાજકોટમાં આવતા શનિ-રવિ એટલે કે વિકેન્ડ ઉદ્યોગો સ્વયંભૂ લોકડાઉન પાળે એવું નક્કી થયું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે યોજેલા વેબિનારમાં રાજકોટ અને આસપાસના ઉદ્યોગ સંગઠનોએ સ્વેચ્છાએ આવી વાત સ્વીકારી હતી. જો કે, બુધવારે ઉદ્યોગો અઠવાડિક રજા નહીં પાળે. એ દિવસે કારખાના ચાલુ રહેશે.

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, મેટોડા, લોધીકા, પડવલા વિગેરે ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ વેબિનારમાં ઉપસ્થિત હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિકેન્ડમાં બંધ પાળવાની અપીલ કરી હતી જે બધાએ સ્વેચ્છાએ સ્વીકારી હતી.

એકાદ દિવસમાં શહેરના વેપારી સંગઠનોની પણ બેઠક કરી બધા વિકેન્ડમાં બંધ પાળે એવા પ્રયત્નો થશે. અગાઉ ચેમ્બરની અપીલ નાકામિયાબ નીવડી હતી.

આજે Dt 19/4/21 મુખ્યમંત્રી સાથે રાજ્યની દરેક ચેમ્બરોની બેઠક મળેલી. વીડિયો કોન્ફરન્સથી કેટલીક ચર્ચાઓ થઇ હતી. રાજકોટ ચેમ્બર દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાઓને દર્દીઓનું સ્ટેટસ જાણવા મળે એ જરૂરી છે. આ માટે હેલ્પ ડેસ્ક હોવી જોઇએ. અત્યારે આવી વ્યવસ્થા છે. ચેમ્બર એમાં મદદરૂપ થશે. ચા-પાણીની વ્યવસ્થા પણ વિચારાઈ છે.

મુખ્યમંત્રીએ રાજકોટમાં કોવિડ દર્દીઓને વધુ સગવડ મળે એ માટે ચેમ્બરની આગેવાનીમાં ધાર્મિક-સામાજિક સંસ્થાઓ આગળ આવે. આ મુદ્દે આવતીકાલે બીએપીએસનાં અપૂર્વમુનિની ઉપસ્થિતિમાં આવી બેઠક મળવાની છે.

ચેમ્બર દ્વારા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે થતા વિલંબને નિવારવા રાજકોટ આસપાસનાં રોડ સાઈડ ગામડાના સ્મશાનોનો આ માટે ઉપયોગ થાય એવું સૂચન પણ થયું હતું.
જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર વિગેરે ચેમ્બરે પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં. કેટલીક ચેમ્બર દ્વારા લોકડાઉનનું સૂચન થયેલું પણ મુખ્યમંત્રીએ સ્વૈચ્છિક લોકડાઉન પાળવા કહ્યું હતું.

April 16, 2021
CIA_Live_Logo_New2.jpg
1min616
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી.

સમગ્ર સુરતમાં શનિ અને રવિ બે દિવસ જનતા શિસ્ત કાર્યક્રમની ચેમ્બર દ્વારા જાહેરાત

સભામાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાનો કહેર જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વેપારીઓમાં પણ સ્વૈચ્છિક રીતે વેપાર–ધંધા બંધ રાખવાનો ગણગણાટ શરૂ થયો છે. કેટલાક વેપારીઓ અવઢવમાં છે અને તેથી અસમંજસભરી પરિસ્થિતિ ઉભી થઇ છે. આમ, આ ચિંતાનું વાતાવરણ દૂર થાય અને સૌ સાથે મળીને જો એક જ નિર્ણય લે તો તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઇ શકે.

આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે.

આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવો. સાથે સાથે જનતા સ્વયં શિસ્તનો આ કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઈએ. ઉપસ્થિત તમામ એસોસીએશનો દ્વારા આ સ્વયંભૂ બંધ – જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ તકે ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કારીગરોની અને માલિકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને સામાજિક જવાબદારીના ભાગ રૂપે બે દિવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવું જોઈએ તથા આ બે દિવસ દરમ્યાન કામદારો કારણ વગર બહાર નહીં નીકળે તે ઇચ્છનીય છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી જે તે કારખાનેદારની અને સ્થાનિક એસોસીએશનોની છે.

સભા સંચાલન કરતા સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજી ભાલાળાએ આ સ્વૈચ્છિક એલાનને સફળ બનાવવા માટે તમામ ઓફિસ ધારકોને પણ ખાસ વિનંતી કરી હતી. પોતાની ઓફિસના સ્ટાફને ઓફિસમાં નહીં બોલાવીને આ એલાનને સફળ બનાવવું એ સૌની નૈતિક ફરજ છે એવો સંદેશો ત્વરિત ગતિએ ફેલાવવો એ સમયની માંગ છે. મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ધરાવતા સંચાલકોએ સ્વયંભૂ રીતે જ આ અપીલને ધ્યાનમાં રાખીને આ બે દિવસ અમારા કોમ્પ્લેક્ષની તમામ ઓફિસો સ્વૈચ્છિક બંધ પાળશે તેવું એલાન કરવું જરૂરી બનશે.

ચર્ચાનું સમાપન કરતા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે માટે આપણે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા–રોજગાર બંધ રાખવા તે પૂરતું નથી પરંતુ આ બે દિવસ દરમ્યાન અત્યંત જરૂરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અન્યથા ઘરમાં જ રહેવું જોઈએ.

ચેમ્બરના માનદ્દ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ૬:૦૦ કલાકથી સોમવારે સવારના ૬:૦૦ કલાકનો સમય ગણીએ તો ફક્ત ૪૮ કલાક પોતાના ઘરમાં રહેવાનું છે. આ રીતે સ્વયં શિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઈન તૂટશે.

આ સભામાં, ચેમ્બરના માનદ્દ ખજાનચી મનિષ કાપડિયા, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડૉ. નિર્મલ ચોરારિયા, સમગ્ર પાટીદાર સમાજના પ્રતિનિધિ કાનજી ભાલાળા, સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુ વેકરીયા, સુરત બિલ્ડર્સ એસોસીએશન – ક્રેડાઈના પ્રતિનિધિ જસમત વિડીયા, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફિયાસ્વી અને સાસ્કમાના પ્રમુખ ભરત ગાંધી, એસ.આર.ટી.ઇ.પી.સી.ના નેશનલ ચેરમેન ધીરુ શાહ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિ કથીરીયા, સચિન ઇન્ડસ્ટ્રીના અગ્રણી મહેન્દ્ર રામોલીયા, વોર્પ નીટર્સ એસોસીએશનના બ્રિજેશ ગોંડલીયા, સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગત અને મિતેશ શાહ, ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેકચરર્સ એસોસીએશનના મંત્રી હિમાંશુ બોડાવાલા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિનેશ શાહ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ચિરાગ શાહ, પાંડેસરા વીવર્સ કો–ઓપ. લિ.ના વિમલ બેકાવાલા, મેહુલ વિઠ્ઠલાણી, બરકત પંજવાણી, સુરત ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્ર લાલવાલા, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના વિજય માંગુકીયા, વરાછા કો–ઓપ. બેંકના ચેરમેન ભવાન નવાપરા ઉપસ્થિત રહ્યા હતા અને લેવાયેલા નિર્ણયને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન (એસજીટીપીએ), ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા), ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ્સ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા), સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટિરિયલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, સધર્ન ગુજરાત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, પાંડેસરા વીવર્સ કો–ઓપ. સોસાયટી, સાસ્કમા, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, સુરત હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ્‌સ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિમિટેડ (વાસ્કોફ), સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોસાયટી, હેન્ડીક્રાફટ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સુરત ખાખરા એસોસીએશન, સુરત ડ્રાય ફ્રુટ એસોસીએશન, સુરત નમકીન એસોસીએશન, સુરત મિઠાઇ એસોસીએશન અને સુરત સિરામિકસ એસોસીએશન દ્વારા પણ બે દિવસ સ્વયંભૂ બંધ માટે સમર્થન જાહેર કર્યું છે.