
ચંડીગઢથી ભાજપના સાંસદ અને બોલીવુડની અભિનેત્રી કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત હોવાની વાત ખુદ તેમના પતિ અભિનેતા અનુપમ ખેરે જાહેર કરી છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને પત્નીને કેન્સર હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાથે જ હેલ્થ અપડેટ આપી છે.
અનુપમ ખેરે ગુરુવારે ટ્વિટ પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે, “આ એટલા માટે જણાવી રહ્યો છું જેથી અફવાઓ વધુ ના ફેલાય. સિકંદર અને હું જણાવવા માગીએ છીએ કે કિરણને મલ્ટીપલ માયલોમા (multiple myloma)નું નિદાન થયું છે. જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને અમને ખાતરી છે કે તે આમાંથી વધુ મજબૂત બનીને બહાર આવશે. અમે નસીબદાર છીએ કે, કિરણની સારવાર ખૂબ શ્રેષ્ઠ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. તે હંમેશાથી ફાઈટર રહી છે અને લડત આપતી રહી છે. કિરણ જે કંઈ કરે છે તે દિલથી કરે છે માટે જ લોકો તેને ચાહે છે. તમારો પ્રેમ તેને મોકલતા રહો અને તેને તમારી પ્રાર્થનામાં રાખજો. તેની રિકવરી સારી રીતે થઈ રહી છે અને તમારા સૌના પ્રેમ અને સહકાર માટે આભાર.”