ગુજરાતની અસ્મિતાની ઓળખ વિશ્વનો સૌથી મોટો સમૂહ નૃત્યોત્સવ એવા જગતજનની જગદંબાનું મહાપર્વ નવરાત્રીનો આજે તા.10મી ઓક્ટોબર 2018ને બુધવારથી પ્રારંભ થયો છે. ગુજરાતભરમાં ગામેગામ, નગરીનગરી, શહેર-શહેરમાં ઠેકઠેકાણે પ્રાચીન ગરબી મંડળના માતાજીના સ્વરૂપ સમી બાલિકાઓ ગરબે ઘૂમશે તો અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ – લાઇટ મ્યુઝિક અને જૂના-નવા ગરબા-લોકગીતોને સંગ ખેલૈયાઓ ઝૂમી ઊઠશે. બીજી તરફ માતાજીના શણગાર, ફૂલહાર, પૂજાપા સહિતની સામગ્રી ખરીદવા માટે શ્રદ્ધાળુઓની બજારોમાં ભીડ જોવા મળી હતી. નવલી નવરાત્રીનું પર્વ શાંતિ અને સલામતીના વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર અને પોલીસ પણ સતર્ક થઈ છે.
નવરાત્રી રૂમઝૂમ કરતી આવી પહોંચી છે ત્યારે તેની ઊજવણી કરવા સુરત શહેરમાં હજારો વોલ્ટના સાઉન્ડ સિસ્ટમની જાહેરાત વચ્ચે કેટલાક સ્થળે સાઇલન્ટ ગરબાના આયોજન અન્ય શહેરો માટે પ્રેરક બની શકે છે. સૌરાષ્ટ્રના નગર-મહાનગરોમાં નવરાત્રી પર્વને રંગેચંગે ઊજવવા માટે તા.9મી ઓક્ટોબરની પૂર્વસંધ્યાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. નવરાત્રીની નવેનવ રાત્રે મોઘામાં મોંઘા કલાકારોને પોતાના આયોજનોમાં બુક કરી લેવામાં આવ્યા છે.
સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં નવરાત્રિ દરમિયાન સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે આ વર્ષે કડક નિયમો બનાવ્યા છે. પાર્કિંગ હોય તેટલા જ પાસનું વિતરણ કરવાની સૂચનાઓ આપી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૧ પાર્ટીપ્લોટોના આયોજનામાં ઘટાડો નોંધાયો છે.



























