પબ્લિક સેક્ટર યુનિટ ગણાતા હજીરા સ્થિત ONGC યુનિટના સંચાલકોએ દુર્લભ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યુ હોવાનો રહસ્યસ્ફોટ જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે કર્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા પત્રમાં સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. ONGC જેવા કેન્દ્ર સરકારના યુનિટમાં પર્યાવરણને ભારે નુકસાન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ONGC કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડું હોવાની બાબતને પણ તેમણે ઉજાગર કરી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા આવેદનપત્રમાં સુરત જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે જણાવ્યું છે કે ONGCએ કોઇપણ પ્રકારની મંજૂરી વગર દાયકાઓ જૂના ગુલમહોર, લીમડા, પલટી જેવા મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે. કોઇ સામાન્ય વ્યક્તિ પોતાની પ્રીમાઇસીસમાં એક નાનું વૃક્ષ કાપે તો વન વિભાગ તેને પેનલ્ટી ઠોકી બેસાડે છે જ્યારે ખુદ કેન્દ્ર સરકારના યુનિટ ગણાતા ONGC હજીરાના સંચાલકોએ આખેઆખું વિશાળ વૃક્ષોના જંગલનું જ નિકંદન કાઢી નાંખ્યું છે આવી સ્થિતિમાં તપાસ કરીને ONGC સામે પગલાં ભરવા જોઇએ.

વડાપ્રધાન જ્યારે વૃક્ષારોપણના હિમાયતી હોય ત્યારે ONGC હજીરાની આ હરકત અક્ષમ્ય છે. એ સિવાય ONGC હજીરા કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. આ બાબત પણ કેન્દ્ર સરકારની નીતિ રીતીઓના વિરોધાભાસ સમાન છે. દર્શન નાયકે ફોટા સમેત સઘળી વિગતોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે. ONGC હજીરા યુનિટના સંચાલકો સામે આગામી સમયમાં રાજ્ય સરકાર પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાય રહી છે.



















