CIA ALERT

Alert Archives - Page 448 of 519 - CIA Live

November 14, 2018
suratairport1.jpg
1min7400

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ડેટા મુજબ સુરત એરપોર્ટ પર છેલ્લા 7 મહિનામાં થયેલી ફ્લાઇટ્સ તેમજ પેસેન્જરની આવન-જાવન અંગેની આંકડાવાર માહિતી આ મુજબ છે.

 

સુરત એરપોર્ટ સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિની નક્કરતા દર મહિનાના આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2018 મહિના દરમિયાન સુરતના એરપોર્ટ પર કુલ 52730 મુસાફરોએ અન્ય ડેસ્ટિનેશન્સ પર ઉડાન ભરી હતી, જેની સામે કુલ 54,576 મુસાફરો વિવિધ ડેસ્ટિનેશન્સ પરથી સુરત આવ્યા હતા. આમ સમગ્ર ઓક્ટોબર 2018 માસ દરમિયાન સુરત એરપોર્ટ પર કુલ 1 લાખ 7 હજાર 306 મુસાફરોની અવરજવર નોંધાઇ છે.

જોકે સપ્ટેમ્બર 2018 મહિના દરમિયાન કુલ 1.10 લાખ મુસાફરોની અવરજવર કરતા ઓક્ટોબર માસમાં મુસાફરોની 2883ની સંખ્યાં ઓછી નોંધાઇ છે. જોકે, ચાલુ નવેમ્બર 2018ના મહિનામાં આ આંકડો ફરીથી ઉંચકાશે એમ માનવામાં આવે છે કેમકે દિવાળી દરમિયાન સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો જોવાય રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટક સૂચવે છે કે સપ્ટેમ્બર 2018માં કુલ 1380 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની સંખ્યા નોંધાઇ હતી, જે ઓક્ટોબર 2018માં 1438 થઇ છે. આમ ફ્લાઇટ્સની સંખ્યા વધવા છતાં સુરત એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વધુમાં ચાલુ હિસાબી વર્ષ 2018-19 દરમિયાન સુરત એરપોર્ટ પર અત્યાર સુધી એટલે કે 31મી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 5,79,414 મુસાફરોની અવરજવર નોંધાઇ ચૂકી છે.

 

November 14, 2018
crud.jpg
1min6880

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાના ડિસેમ્બરથી ક્રૂડના ઉત્પાદન કાપ સામે ટ્વિટ કરીને વર્તમાન ભાવ હજી નીચા આવવા જોઈએ એમ જણાવતાં સોમવારે આવેલો ઉછાળો શમી ગયો હતો.

વૈશ્વિક ક્રૂડના ભાવ સોમવારની ટોચથી લગભગ ચાર ટકા ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ આગલા બંધની સામે લગભગ બે ટકા ઘટીને બેરલે 69 ડોલરની નીચે ગબડીને 68.32 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું જે 12 ફેબ્રુઆરી 2018 પછીનો સૌથી નીચો ભાવ હતો. આમ બ્રેન્ટ છેલ્લાં 12 દિવસથી સળંગ ઘટ્યું છે જેમાં વધ્યા મથાળેથી 20 ટકાનું ધોવાણ થયું છે.

માત્ર 12 દિવસના ઘટાડામાં ક્રૂડ નવ મહિનાની નીચી સપાટીએ ગબડ્યું છે. બ્રેન્ટને પગલે પગલે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ્સ (ડબલ્યુટીઆઇ)માં પણ એક તબક્કે 2.8 ટકાનો કડાકો બોલાયો હતો જે 26 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 11 ટકા ઘટીને બેરલે 59 ડોલરની નીચે ગબડીને 58.34 ડોલરની સપાટીએ રહ્યું હતું.

સાઉદીના ઊર્જા પ્રધાને ડિસેમ્બરથી દૈનિક પાંચ લાખ બેરલ્સના ઉત્પાદન કાપની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં આવેલો ઉછાળો ઝડપથી શમી ગયો હતો. ભાવ તૂટવાની સાથે વોલ્યુમ પણ 100 દિવસની એવરેજની સામે 67 ટકા વધીને રહ્યું હતું જે સૂચવે છે કે તેજીની પોઝિશન ઝડપથી સુલટાઈ રહી છે.

November 14, 2018
walmart-flipkar.jpg
1min10690

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં ભારતની આ સૌથી વધુ પ્રચલિત ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપ કાર્ટની સ્થાપના કરનાર બન્ને બંસલો આજે કંપનીમાંથી આઉટ થઇ ચૂક્યા છે.

ફ્લિપકાર્ટના સહસ્થાપક બિન્ની બંસલ સામે વ્યક્તિગત ગેરવર્તણૂકના આરોપ થયા બાદ તેમણે દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલરના ચેરમેન અને ગ્રૂપ સીઇઓપદેથી રાજીનામું આપી દીધું છે. ભારતીય કંપનીઓમાં આ હાઈ-પ્રોફાઇલ એક્ઝિટ પૈકી એક છે.

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં બંસલે વિદાય લીધી છે. અમેરિકન કંપની વોલમાર્ટે ‘ગંભીર વ્યક્તિગત ગેરવર્તન’ની તપાસ શરૂ કર્યા બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. વોલમાર્ટે આરોપો કયા પ્રકારના છે તે જણાવ્યું ન હતું.

તપાસમાં બિન્ની સામેના આરોપોને સમર્થન મળે તેવું કંઈ મળ્યું નથી. પરંતુ તેણે જજમેન્ટમાં બીજી ખામીઓ ટાંકી હતી, જેમ કે પારદર્શિતાનો અભાવ. બિન્નીએ પરિસ્થિતિનો જે રીતે પ્રતિભાવ આપ્યો તે પણ ખામીયુક્ત ગણવામાં આવે છે. તેના કારણે આ રાજીનામું આપવામાં આવ્યું છે તેમ વોલમાર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું.

35 વર્ષીય બિન્ની બંસલે ૨૦૦૭માં સચિન બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. બંને આઇઆઇટી દિલ્હીના ગ્રેજ્યુએટ્સ છે. બિન્ની બંસલ હવે ફ્લિપકાર્ટના બોર્ડમાં રહેશે. હિલચાલથી વાકેફ સૂત્રોએ કહ્યું હતું કે બિન્ની બંસલ સામેની સ્વતંત્ર તપાસ ચાલુ વર્ષમાં જુલાઈમાં શરૂ થઈ હતી અને સ્વતંત્ર કાનૂની પેઢી દ્વારા આ તપાસ કરવામાં આવી હતી.

બંસલે તા.13મી નવેમ્બર 2018ના રોજ ફ્લિપકાર્ટના કર્મચારીઓને એક ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, “મારી સામેના આરોપોથી મને આઘાત લાગ્યો છે અને હું તેને નકારી કાઢું છું. જોકે, તપાસમાં કેટલીક ખામીઓ શોધવામાં આવી છે. ખાસ કરીને પારદર્શિતાનો અભાવ. મારા માટે અને મારા પરિવાર માટે આ પડકારજનક સમય હતો.

તેના કારણે કંપની અને ટીમનું ધ્યાન અન્યત્ર ખેંચાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં હું ચેરમેન અને ગ્રૂપ સીઇઓ તરીકે રાજીનામું આપું તે વધુ યોગ્ય છે.”એક સૂત્રે કહ્યું કે, “મુખ્ય વાત એ છે કે બિન્ની કેટલાક સમયથી રાજીનામું આપવા વિચારતા હતા અને આ તપાસથી તેમનો નિર્ણય વધારે ઝડપથી લેવામાં આવ્યો છે.”

November 11, 2018
iccwomen.jpg
1min7780

પુરુષોની ક્રિકેટમાં તેમ જ હૉકીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળતી હોય છે, પરંતુ આજે અહીં મહિલા વર્લ્ડ કપમાં બન્ને દેશોની મહિલા ખેલાડીઓ એકમેક સામે ચડિયાતા પુરવાર થવા મુકાબલામાં ઊતરતી જોવા મળશે. આજે તા.11મી નવેમ્બર 2018ના રોજ ભારતીય સમય મુજબ રાત્રે ૮.૩૦થી ભારત-પાક મૅચ છે જેમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારત જીતવા માટે ફેવરિટ છે.

૨૦૧૬ની સાલમાં ઘરઆંગણે યોજાયેલા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પાકિસ્તાન સામે પરાભવ થયો હતો અને એનો આજે ભારતે બદલો લેવાનો છે. જોકે, વાસ્તવમાં ૨૦૧૬ની એ મૅચ પછી ભારતે ત્રણેય વાર પાકિસ્તાનની મહિલા ટીમને હરાવી છે. આજની મૅચમાં જવેરિયા ખાન પાકિસ્તાનની કૅપ્ટન છે.

November 11, 2018
jain.png
1min12380

જૈન બહુલ વસતિ, તેમજ જૈન દેરાસરોના વિસ્તાર તરીકે જાણીતા સુરતના ગોપીપરા વિસ્તારમાં એક જૈન સાધ્વીની છેડતીની ઘટનાએ સમગ્ર જૈન સમાજને હચમચાવી મૂક્યો છે. તા.10મી નવેમ્બર 2018ના રોજ શનિવારે રાત્રે સાધ્વી જૈન ઉપાશ્રયમાં સુતા હતા ત્યારે કોઇ અજાણ્યાએ આવીને છેડતી કરી હતી સાધ્વીએ બુમાબુમ કરતા અજાણ્યો ભાગી છુટયો હતો. છેલ્લાં બે મહિનામાં  આવી ત્રીજી ઘટના બનતા જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે.

ગોપીપરા વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રયમાં સાધ્વી એકલા હતા  એટલે  તાળા મારીને સુતા હતા પણ શનિવારે રાત્રે કોઇ અજાણ્યો તાળું તોડીને સાધ્વીના રૂમમાં ઘુસ્યો હતો અને છેડતી કરી હતી. સાધ્વીએ બુમાબુમા કરી મુકતા અજાણ્યો ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા જૈન સમાજના લોકો ભેગા થઇ ગયા હતા. બે મહિનામાં આવી ત્રીજી ઘટના બનવાને કારણે જૈન સમાજ આગામી દિવસોમાં પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને પેટ્રોલિંગની માગ કરશે એમ જાણવા મળ્યું છે.

November 11, 2018
MARKET.jpg
1min5720

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ ભાવાંતર યોજનાના મુદ્દે દિવાળી પહેલાથી સજ્જડ હડતાલ પર હતા. સામાન્ય રીતે દિવાળીની રજાઓ પછી લાભપાંચમથી યાર્ડો પૂન: શરૂ થઈ જતા હોય છે. આ વખતે હડતાલને કારણે લાભપાંચમના શુકન સચવાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ સર્જાયો હતો.

દરમિયાન આજે તા.11મી નવેમ્બર 2018ના રોજ ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં તેમણે ભાવાંતર યોજના મુદ્દે સરકારમાં વાત કરવા બાંયધરી આપી હતી. તેમજ રાજકોટ યાર્ડના ચેરમેન ડી કે સખીયાએ સરકાર સાથે 8 દિવસમાં મિટીંગ કરાવવા ખાતરી આપતા સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડ લાભપાંચમથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને આવતીકાલ તા.12 નવેમ્બર 2018ને લાભપાંચમના પર્વથી દરેક યાર્ડમાં નવી આવક ચાલુ કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું.

November 11, 2018
ap.jpg
1min7100

આંધ્ર પ્રદેશના એક ગામમાં દિવસે નાઇટી પહેરનાર મહિલાને રૂ.2000નો દંડ કરાતો હોવાની વાત જાણવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના પશ્ર્ચિમ ગોદાવરી જિલ્લાના ટોકાપલ્લી ગામના નવ વડીલોની કમિટીએ એવો ફતવો કાઢયો છે કે જે મહિલા સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા વચ્ચે નાઇટી પહેરીને ફરતી દેખાશે એને રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે. આટલું ઓછું હોય એમ, જે કોઇ મહિલા દિવસે નાઇટી પહેરીને ફરતી મહિલાની માહિતી આપે એને રૂ. 1000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ ફતવો આમ તો નવ મહિના પહેલા કાઢવામાં આવ્યો હતો, પણ કોઇ કામે એ ગામમાં ગયેલા જકાત અધિકારીઓને ગત ગુરુવારે જ જાણવા મળી હતી. આ વાત બહાર ગઇ તો વાત કરનાર ગામની મહિલાનો જાહેર બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સિવાય આ વાત ગુપ્ત રાખવાની અને સરકારી અધિકારીઓને ન જણાવવાની ચેતવણી ગામના અન્ય લોકોને અપાઇ હતી.

ટોકલપલ્લીના સરપંચ ફેન્ટાસીયા મહાલક્ષ્મીએ જણાવ્યું હતું કે નાઇટી પહેરીને જાહેરમાં કપડાં ધોવા, કરિયાણાની દુકાને જવું અને મીટિંગમાં હાજરી આપવી યોગ્ય વાત ન ગણાય.

જોકે, એમણે મહિલાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી હોવાની અને આવો કોઇ ફતવો કાઢયો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

November 10, 2018
drawan1.jpg
1min10560

અમેરિકાને પોતાનું દોસ્ત માની રહેલા પાકિસ્તાનની હાલત એવી થઇ છે કે અમેરિકા દોસ્તના સ્વરૂપમાં મોટામાં મોટું દુશ્મન સાબિત થયું છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનમાં 409 જેટલા ડ્રોન વિમાની હુમલા કરીને 2700થી વધુ લોકોનો ખાત્મો બોલાવી દીધો છે. ખુદ પાકિસ્તાનનું કહેવું છે કે અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો ત્રાસવાદી નહીં પણ સામાન્ય નાગરિકો હતા.

અમેરિકા કહે છે કે આતંકવાદને ખતમ કરવાના ઉદ્દેશથી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા સંચાલિત ડ્રોનહુમલા પાકિસ્તાનના બજાઉર, બાનુ, હાંગુ, ખૈબર, ખુર્રમ, મોહમ્મદ, ર્નોથ વઝીરીસ્તાન, સાઉથ વઝીરીસ્તાન અને ઓરવઝઈમાં ૨૦૦૪થી શરૂ કરવામાં આવ્યા હતા.

સૌથી વધારે ડ્રોન હુમલા ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના શાસનકાળમાં કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની નૅશનલ કાઉન્ટર ટેરરિઝમ ઑથોરિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦૦૮થી ૨૦૧૨ના ગાળામાં ૩૩૬ હવાઈ હુમલામાં ૨૨૮૨ લોકો માર્યા ગયા હતા અને ૬૫૮ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફક્ત ૨૦૧૦માં ૧૧૭ હુમલામાં ૭૭૫ જણ માર્યા ગયા હતા અને ૧૯૩ જણ ઈજા પામ્યા હતા. ૨૦૧૩થી ૨૦૧૮ સુધી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના શાસનકાળમાં ૬૫ ડ્રોનહુમલામાં ૩૦૧ જણ માર્યા ગયા હતા અને ૭૦ જણ ઘાયલ થયા હતા. ૨૦૧૮માં કરવામાં આવેલા બે ડ્રોનહુમલામાં એક જણ માર્યો ગયો હતો અને એક જણ ઈજા પામ્યો હતો. તહરીક-એ-પાકિસ્તાનના ટોચના નેતાઓ, તાલિબાનના વડા મુલ્લા અખ્તર મન્સૂર અને આતંકવાદી સંગઠન અલ-કાયદાના સુપ્રીમો અને અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન સહિત અનેક મોટા આતંકવાદીઓ અમેરિકાના આવા ડ્રોન-અટૅક્સમાં માર્યા ગયા છે.

November 10, 2018
surat.jpeg
1min22570

જયેશ બ્રહ્મભટ્ટ 

સરદાર, સાપુતારા, સૌરાષ્ટ્ર, શિરડી, સિંગાપોર અને સુરત…આ તમામ સ મૂળાક્ષર પરથી શરૂ થતાં ટૂરિંગ ડેસ્ટિનેશન અને સુરત વચ્ચે હાલમાં ગજબનો નાતો બંધાયો છે. દિવાળીના તહેવારો પૂરા થયા અને શોખીન સુરતીઓ ઉમટી પડ્યા છે સરદાર પ્રતિમા જોવા માટે, મૂળ સુરતીઓ ઉમટી પડ્યા છે સાપુતારાની સહેલગાહે અને સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા છે પોતાના વતન સૌરાષ્ટ્રમાં. પોતાની અનુકૂળતાઓ, દિવાળીની રજા અને બજેટ વચ્ચે સંતુલન રાખીને સુરતીઓ ફરવા ઉપડી ગયા છે. માલેતુજાર સુરતીઓ સિંગાપોર ભણી ઉપડ્યા છે.

ટૂંકમાં કહીએ તો સ મૂળાક્ષર પરથી નામ ધરાવતા તમામ ટૂરિંગ ડેસ્ટિનેશન પ્રત્યે હાલ સુરતીઓ આકર્ષાયા છે. પીવાના શોખીન સુરતીઓ આમ તો મામાના ઘરે એટલે દમણ પણ ઉમટ્યા છે પણ એના કરતા વધારે સરદારની વિશ્વભરમાં ઉંચી પ્રતિમા જોવા, સાપુતારાની સહેલગાહે, શિરડી, સેલવાસ વગેરે તમામ ડેસ્ટિનેશન શરૂ થઇ રહ્યા છે સ મૂળાક્ષર પરથી. દીવ-ગોવા, દહેરાદૂન, સિમલા વગેરે સ્થળોએ પણ સુરતીઓ ગયા છે પણ એટલી સંખ્યામાં નહીં કે જેટલી સંખ્યા સ પરથી શરૂ થતા ડેસ્ટિનેશન્સ પર જોવા મળે છે.

દિવાળી વેકેશનમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી બન્યું હૉટ ડેસ્ટિનેશન

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે સહેલાણીઓનો ધસારો : બે દિવસમાં ૪૦ હજારથી વધુ પ્રવાસીઓ ઊમટી પડ્યા : પ્રવાસીઓના ધસારાને જોઈને છેલ્લા બે દિવસથી એન્ટ્રી એક કલાક વહેલી શરૂ કરી દેવાઈ હતી.

statue

ખાસ કરીને સુરતી સહેલાણીઓ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા તેમ જ તેમના જીવનને જાણવા બનાવેલું સરદાર પટેલ મ્યુઝિયમ, નર્મદા નદીના બન્ને કાંઠે બનેલી વૅલી ઑફ ફ્લાવર્સ, પ્રતિમા પર બનેલી વ્યુઇંગ ગૅલેરી, ડુંગરોની વચ્ચે ટેન્ટ સિટી ઉપરાંત નજીકમાં આવેલો નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડૅમ સહિતનાં સ્થળોનો નજારો માણવા માટે ભારે ધસારો થયો હતો. જ્યાં જુઓ ત્યાં જી.જે.-5 પાસિંગની ગાડીઓની જ બોલબાલો જોવા મળી રહી છે. પાર્કિંગ માટે જગ્યા મળતી નથી, હોટેલ રેસ્ટોરેન્ટ ફૂલ હોય છે ત્યાં સુધી કે ચા કોફી માટે પણ વેઇટિંગ જોવા મળે છે.

સાપુતારાનું સેટિંગ જી.જે.-5 વાહનોએ ખોરવી નાંખ્યું

ભાઇબીજના દિવસથી સાપુતારા હિલ સ્ટેશન નહીં બલ્કે કોઇ બજાર હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે GJ-5 પાસિંગ નંબરના વાહનો તેમજ વલસાડ, વાપી, નવસારી, ભરૂચ પાસિંગના વાહનોથી સાપુતારામાં હાલ ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. ગમે તેવી હોટલમાં નો-રૂમનું સ્ટેટસ છે. ઓવરનાઇટ સ્ટેના ઇરાદે આવતા લોકો એક દિવસની મોજ કરીને પરત ફરવું પડી રહ્યું છે. સાપુતારામાં ફરવા લાયક તમામ પોઈન્ટ ઉપર લોકોની ભીડ ઉમટી પડતાં ચારેકોર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. વાહનો પાર્ક કરવા માટેની જગ્યા પણ ખૂટી પડી છે અને પોલીસની હાજરી અપૂરતી જણાય રહી છે.

સાપુતારામાં પ્રવાસીઓની સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ હતી. આનેલીધે અવ્યવસ્થા જેવી સ્થિતિ બની રહી છે. સાપુતારામાં સંખ્યાબંધ સ્થળએ કલાકો સુધી ચક્કાજામ જેવા હાલ થવા માંડ્યા છે.

એવું નથી કે સાપુતારામાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી છે, ડાંગ જિલ્લાના અન્ય સ્થળો જેવા કે કિલાદ કેમ્પ સાઈટ, બોટનીકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઈટ જેવા સ્થળોએ તેમજ રોડ સાઇટ પર જ્યાં સાઇટ સિંઇંગ જોવા મળે ત્યાં લોકો બેસીને ઉજાણી કરતા જોવા મળે છે.

શિરડી ઉપડ્યા પગપાળા યાત્રીકો

શિરડીવાલે સાઇ બાબાના ભક્તજનો દર ભાઇબીજના દિવસથી સુરતથી શિરડી પગપાળા આખો સંઘ ઉપાડતા હોય છે. 25થી લઇને 300 સુધીનો સંઘ પગપાળા ઉપડે છે. આ સંઘમાં મોટા ભાગે અસ્સલ સુરતીઓ જોડાતા હોય છે. શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ લોકો પગપાળા શિરડી પ્રવાસે ઉપડે છે.

સેલવાસમાં રિલેક્સ થાય છે સુરતીઓ

પાછલા 3 વર્ષમાં સેલવાસમાં રિસોર્ટસથી લઇને હોટેલ્સની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. જેનું મુખ્ય કારણ છે સુરતીઓનો ટ્રાફિક, સુરતીઓ આમ તો ચાન્સ મળે કે વીકએન્ડ મળે એટલે સેલવાસ ભણી જતા રહે છે. આ વખતે પણ લોંગ વીકએન્ડનો યોગ સર્જાયો છે અને મોટા ભાગના સુરતીઓ શોર્ટ ટર્મ અને લૉ બજેટની ટૂર પર સેલવાસ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે.

સિંગાપોરમાં સુરતીઓની બોલબાલો

આમ તો આ વખતે સિંગાપોર જનારા સુરતીઓની સંખ્યા અન્ય ઇન્ટરનેશનલ ટૂરિંગ ડેસ્ટિનેશન્સ કરતા એટલા માટે વધુ છે કેમકે એક માર્કેટિંગ ચેઇન ધરાવતી કંપનીના સુરત સ્થિત 1500થી વધુ સ્ટાફને સિંગાપોરની ટ્રીપ પર લઇ જવાયા છે એથી વિશેષ હજીરાની એક ઇન્ડસ્ટ્રીઝે પણ તેમના કર્મચારીઓ માટે હોંગકોંગ સિગાપોર ક્રુઝ સમેતનું પેકેજ આપ્યું છે અને હજારો લોકો ત્યાં ઉપડી રહ્યા હોઇ, સિંગાપોરમાં સુરતીઓની આ વખતે ભારે બોલબાલા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ઠલવાયું, વરાછા-કતારગામ-પૂણા

સુરતને કર્મભૂમિ બનાવનારા મૂળ સૌરાષ્ટ્રવાસી પરિવારો તો જેવું હીરા બજાર અને ટેક્સટાઇલ બજારે વેકેશન જારી કર્યુ ત્યારથી જ વતન સૌરાષ્ટ્ર ભણી રવાના થઇ રહ્યા છે. ઘણાં દિવાળી સુરતમાં મનાવીને વતન સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા છે. આમ સુરતમાં વરાછા, કતારગામ, પૂણા, વેડરોડ, અમરોલી વગેરે વિસ્તારોમાં રહેતા સૌરાષ્ટ્રીયન પરિવારો હાલ સૌરાષ્ટ્રમાં રજાની મોજ માણી રહ્યા છે.

November 10, 2018
raghu-1280x720.jpg
1min14860
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આજરોજ તા.10મી નવેમ્બરે અમેરિકાના કેર્લિફોનિયા ખાતે જાહેર સમારોહને સંબોધતા કહ્યું હતું કે નોટબંધી તેમજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લીધે વિતેલા વર્ષે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો નોંધાયો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સાત ટકાનો વૃદ્ધિ દર દેશની જરૂરિયાત માટે પર્યાપ્ત નથી.
બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શુક્રવારે એક સંબોધનમાં રાજને જણાવ્યું કે નોટબંધી અને જીએસટી લાગુ થતા પૂર્વે ચાર વર્ષ (2012-2016) સુધી ભારતના આર્થિક વિકાસ દરની ગતિ ઝડપી રહી હતી.
ફ્યૂચર ઓફ ઈન્ડિયા પર બીજું ભટ્ટાચાર્ય વ્યાખ્યાન આપતા તેમણે જણાવ્યું કે, નોટબંધી તેમજ જીએસટી એમ એક પછી એક બે આંચકાથી ભારતના વિકાસ દર પર ગંભીર અસર પડી છે. વિકાસ દર એવા સમયે નીચો ગયો છે જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ઉછાળો જોવા મળ્યો હતો.