ભાજપની સ્થાનિક નેતાગીરી જેમને ટિકીટ પણ આપવા માંગતી ન હતી, પરંતુ કેન્દ્રીય મોવડીઓ સાથે સેટીંગ કરીને ભાજપાના ઉમેદવારોની પહેલી જ યાદીમાં પોતાનું નામ મૂકાવવામાં સફળ નિવડેલા ઓલપાડના ધારાસભ્ય લોકોની સેવા કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે

સ્થાનિક ભાજપની નેતાગીરી ઓલપાડ વિધાનસભાની સીટ પર રિપીટ કરવા માંગતી ન હતી, જેમની સામે સ્થાનિક નેતાગીરીને ભારે રોષ છે પણ કેન્દ્રીય ભાજપામાં કેટલાક નેતાઓ સાથે ચોક્કસ પ્રકારનો વ્યવહારુ સબંધ ધરાવતા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ મતદારોનું સેટિંગ કરવામાં સાવ નિષ્ફળ નિવડી રહ્યા છે. મતદારો કામ માગે છે અને આ સદંતર નિષ્ક્રીય રહેતા નેતાજી મુકેશ પટેલ ફક્ત સંકલનની બેઠકમાં પોતાની સેટિંગવાળી ફાઇલોમાં હોહા મચાવીને પોતે સક્રીય છે એવી હાજરી પૂરાવી લેતા હોય છે, પરંતુ, હવે ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના લોકોએ મુકેશ પટેલને પાઠ ભણાવવા માટે મુહિમ શરૂ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તાર ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે, કહેવાય છે કે મુકેશ પટેલ ફક્ત વોટ માંગવા માટે ત્યાં પહોંચ્યા હતા, એ પછી દેખાયા નથી. મુકેશ પટેલને કારણે ત્યાંના સ્થાનિક ભાજપાના નેતાઓ અને કાર્યકરોની પણ હાલત કફોડી થઇ જવા પામી છે.
સુરતના ઓલપાડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય મુકેશ પટેલ ગુમ થયાનાં બૅનરો રવિવાર તા.10મી ફેબ્રુઆરી 2019ના રોજ સુરત શહેરના વરાછા વિસ્તારના સુદામા ચોક અને મોટા વરાછા વિસ્તારના મતદારોએ લગાવ્યાં હતાં. મતદારોનું કહેવું હતું કે ‘૨૦૧૭માં ઇલેક્શન પૂરું થયા પછી મુકેશભાઈ ક્યારેય ક્યાંય જોવા મળ્યા નથી. તેમનો કૉન્ટૅક્ટ કરવામાં આવે તો પણ તેઓ મતવિસ્તાર પર ધ્યાન નથી આપતા અને તેમની મદદ માગવામાં આવે તો પણ તે ટાળી દે છે.
મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા આઠ મહિના દરમ્યાન ઓછામાં ઓછા પાંચ હજાર મોબાઇલ ફોન ચોરાયા છે, જેના માટે પોલીસને રજૂઆત કરવાનું મુકેશભાઈને કહેવામાં આવ્યું તો પણ મુકેશભાઈ ગલ્લાંતલ્લાં કરવા માંડતાં નાછૂટકે આ બૅનરો મતદારોએ લગાવવા પડ્યાં હતાં. બૅનરો લગાવવાની બાબતમાં પહેલ કરનારા નરેશ વીરાણી નામના મતદારે કહ્યું હતું કે ‘મતવિસ્તારના કામ કરવાનો જો સમય તેમની પાસે ન હોય તો અમારી પાસે પણ હવે તેમના માટે સમય નથી.’
બીજા અનેક ધંધાઓ, સેટિંગો કરવા માટે મુકેશ પટેલ પાસે સમય છે પણ પોતાના મતવિસ્તારના મતદારોના પ્રશ્નોને સાંભળવાનો પણ સમય નથી, ચૂંટણી સમયે ફક્ત વોટ માંગવા માટે મોટા વરાછા વિસ્તારમાં ગયા હતા એ પછી ફરક્યા પણ નથી. તેમના માટે પ્રચાર કરનારા સ્થાનિક ભાજપા નેતાઓ અને કાર્યકરોની હાલત કફોડી થઇ જવા પામી છે
નરેશ વીરાણીએ જ અન્ય લોકોને તૈયાર કર્યા અને ઓલપાડમાં પાંચસોથી વધારે બૅનરો લગાવીને મુકેશ પટેલ ગુમ થયા છે એવો પ્રચાર કર્યો. પોતાના માટે લાગેલાં આ બૅનરો માટે વિધાનસભ્ય મુકેશ પટેલે કહ્યું હતું કે ‘રાજકારણમાં આ બધું ચાલ્યા કરે. આવી વાતોને બાંધવાની ન હોય. એક વખત ત્યાં જઈ આવીશ એટલે બધા પાછા હતા એવા રાજી થઈ જશે.’























