ઈશાન મુંબઈના હાલના ભાજપ સાંસદ કિરીટ સોમૈયાનું પત્તું કાપી પક્ષના નગરસેવક મનોજ કોટકને ઉમેદવારી જાહેર કરી છે. જો કે કિરીટ સોમૈયા અને ઘરવાપસી કરેલા પ્રવીણ છેડાના સમર્થકો પક્ષની આ જાહેરાતથી નારાજ થયા છે, જેનું પરિણામ ચૂંટણીના રિઝલ્ટ પર પડી શકે તેમ એક સિનિયર નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. બીજી બાજુ પક્ષમાં ગણગણાટ થઈ રહ્યો છે કે ભાજપએ તેની ઈશાન મુંબઈની બેઠક એનસીપીને તાસકમાં ભેટ ધરી દીધી છે. મનોજ કોટકનો સામનો અહીં એનસીપીના ઉમેદવાર સંજય દીના પાટીલ સામે છે, જેનું સારું વર્ચસ્વ ઈશાન મુંબઈમાં છે.

હાલના સાંસદ કિરીટ સોમૈયાને ફરીથી ટિકિટ આપવા સામે શિવસેનાનો વિરોધ હતો તો શું ભાજપની ઉમેદવારી શિવસેના નક્કી કરશે. તેવો પ્રશ્ર્ન પણ ચર્ચાઈ રહ્યો છે. મોવડીમંડળના ઈશારે સોમૈયાએ માતોશ્રી સામે મોરચો ખોલ્યો હતો. આમ છતાં તેમનું પત્તું કાપી ફક્ત મુલુંડ પૂરતું વર્ચસ્વ ધરાવનારા નગરસેવક મનોજ કોટકને ઉમેદવારી આપવાથી પક્ષના જ કેટલાક નેતાઓ તેને હરાવવાની કોશિશ કરશે તેમ ચર્ચાઈ રહ્યું છે.
10મું ભણેલા મનોજ કોટક વિધાનસભાની ચૂંટણીમાં ભાંડુપ વેસ્ટમાં શિવસેનાના ઉમેદવાર સામે 2014માં હારી ગયા હતા. જો કે મુખ્ય પ્રધાનના વિશ્ર્વાસુ ગણાતા મનોજ કોટકને વિધાનપરિષદમાં બે વખત મોકલવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હોવાનું વેબસાઈટના અહેવાલમાં જણાવાયું છે. જોકે હવે મનોજ કોટકનો સામનો એનસીપીના તગડા ઉમેદવાર સંજય દીના પાટીલ સામે છે ત્યારે ચૂંટણીના પરિણામ પર સહુની નજર રહેશે. તેમાં શંકા નથી. નારાજ કિરીટ સોમૈયાને રાજ્યસભામાં લઈ જવાની વેતરણ કરાતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.




























