Alert Archives - Page 390 of 512 - CIA Live

March 26, 2019
naveen-pitambar.jpg
1min7350

ઓડિસાના મુખ્ય પ્રધાન બીજેડીના નવીન પટનાયક સામે ભાજપે હિંજલીમાં રાજ્યના ઉપપ્રમુખ પિતાંબર આચાર્યને ઊભા રાખ્યા છે. પિતાંબર વિદ્યાર્થીકાળથી રાજકારણમાં છે, પરંતુ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે. ઓડિસા હાઈ કોર્ટના સિનિયર એડવોકેટ છે. ભાજપના પ્રવકતા પણ છે. આચાર્યને કટક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા હતી, પરંતુ આ બેઠક ઓડિસાના ડીજીપી પ્રકાશ મિશ્રાને અપાઈ છે તેથી વિધાનસભાની

બેઠકમાં નવીન પટનાયક સામે ચૂંટણી લડશે. હીંજલી બેઠકની ચૂંટણી 18 એપ્રિલે થશે. આ બેઠક પર નવીન પટનાયક ચાર મુદતથી ચૂંટાય છે.

March 25, 2019
cho3-1280x960.jpg
1min1725

સુરતમાં એવો ટ્રેન્ડ શરૂ થયો છે  કે સોસાયટીના ઝાંપે લાગેલા બોર્ડ પર સોસાયટીના નામના બોર્ડ પર ચોકીદાર ચોર નથી, ચોકીદાર 56ની છાતીનો છે વગેરે દર્શાવતા મોટા બેનર, પોસ્ટર લાગવા માંડ્યા છે. ચારેક દિવસ પહેલા કતારગામની ફક્ત 1 સોસાયટીમાં ચોકીદાર ચોર નથી એવું બોર્ડ લાગ્યું હતું હવે કતારગામમાં 5-6 સોસાયટીઓ અને તેના પરથી પ્રેરણા લઇને હવે ભાજપાના નેતાઓ પોતાના વિસ્તારમાં સોસાયટીવાસીઓને ચોકીદાર ચોર નથી તેવા બેનર લગાડવા માટે પ્રેરી રહ્યા છે.

(કતારગામના ભૂલાભાઇ દેસાઇ પાર્કના ઝાંપે આ પ્રકારનું બેનર લગાડવામાં આવી રહ્યું છે)

ભાજપા માટે આ એક માસ્ટર સ્ટ્રોક છે પ્રચારનો. ચોકીદારનું નામ લઇને સીધો જ મોદીનો પ્રચાર થાય છે અને આમ છતાં કોંગ્રેસની દશા એવી છે કે આચારસંહિતા ભંગની ફરીયાદ કરે તો કેવી રીતે કરે. મૈં ભી ચૌકીદારનું સૂત્ર આપીને નરેન્દ્ર મોદીએ ચોકીદાર એટલે ભાજપ એવી બ્રાન્ડ બનાવી દીધી છે.

(કતારગામ ભૂલાભાઇ દેસાઇ પાર્કના રહેવાસીઓ હોર્ડિંગ સાથે)

કતારગામ ભાજપાના કોર્પોરેટર રમેશભાઇ ઉકાણીના ફેસબુક વોલ પર આ મુજબની પોસ્ટ છે

મોદી (ભાજપા) નો બેરોકટોક પ્રચાર થઇ રહ્યો છે અને કોંગ્રેસ આચાર સંહિંતા ભંગની ફરીયાદ પણ કરી શકે તેમ નથી અને કરે તો કોની સામે કરે. સોસાયટીવાસીઓ પોતાની રીતે ચૌકીદારનું નામ લઇને ભાજપાનો પ્રચાર કરી રહ્યા છે અને ભાજપા પ્રત્યેની તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.

જાણકારો કહે છે કે ભાજપાના સમર્થકોએ શરૂ કરેલો આ ટ્રેન્ડ આગામી દિવસોમાં બન્ને તરફે એટલે કે ચૌકીદારની ફેવરમાં અને ચૌકીદારની વિરુધ્ધમાં પણ જોવા મળે તો નવાઇ નહીં. સોશ્યલ મિડીયા પર હાલ તો ચૌકીદાર ચોર નથી અને ચૌકીદારની તરફદારી કરતા પોસ્ટર લાગ્યા છે તે જોઇને ભાજપ વિરોધી તેમજ પાસના વિસ્તારોમાં ચૌકીદાર ચોર જેવા બેનરો લાગે તો નવાઇ નહીં.

 

March 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8460

સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોના એઆરઓને ઇવીએમ સમેતની મશીનરી સુપરત કરીને સ્ટ્રોંગ રૂમોમાં મૂકાશે

સુરતઃ સુરત સમેત ગુજરાતમાં મતદાનને એક મહિના જેટલો સમય બાકી છે આમ છતાં સુરત ચૂંટણી તંત્ર કોઇપણ તક કે જોખમ લીધા વગર મતદાન શાંતિપૂર્ણ રીતે સુપેરે પાર પડે તે માટે સતત પ્રયાસો હાથ ધરી રહ્યું છે. શહેરમાં વધુને વધુ મતદાન થાય અને લોકો મતાધિકારનો ઉપયોગ વિના વિધ્ને કરી શકે તે માટે આજે જિલ્લા ચૂંટણી તંત્રએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સનું રેન્ડમાઇઝેશન, પ્રાઇમરી ચેકિંગ કર્યું અને તે પણ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં અને તેમને વિશ્વાસમાં લઇને હવે વિધાનસભા ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ સમેતની વોટિંગ માટેની કીટ રવાના કરવામાં આવશે.

સુરત કલેક્ટરેટ ખાતે આજે રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારીઓએ અંદાજે 5421 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ, વીવીપેટ યુનિટ સમેતના સાધનોનું રેન્ડમાઇઝેશન કર્યું હતું. આ એક ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે. કયું ઇવીએમ કયા વિસ્તારમાં જશે એ કશું નિયત ન હોય, દરેક બેલેટ યુનિટ, વીવીપેટ યુનિટ વગેરેનું પ્રાઇમરી ચેકિંગ કર્યા બાદ તેને રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં જુદા જુદા વોટિંગ એરિયા એટલે કે સુરત શહેર જિલ્લા મળીને કુલ 16 વિધાનસભા ક્ષેત્રના એ.આર.ઓ. (આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર)ને સુપરત કરવાની વિધી હાથ ધરવામાં આવી હતી. આજે રેન્ડમાઇઝેશન પૂરું થતા તા.26મી માર્ટ એટલે કે આવતીકાલ મંગળવારથી એ જુદી જુદી વિધાનસભા બેઠકોના સ્ટ્રોંગ રમો તરફ રવાના કરવામાં આવશે.

હવે પછી ઇલેક્ટ્રોનિંગ વોટિંગ મશીન્સ વિધાનસભા એરીયા અનુસાર નિમાયેલા નાયબ ચૂંટણી અધિકારીઓના તાબા હેઠળ રહેશે. આજે તમામ પ્રક્રિયાને ચૂંટણી તંત્રએ પારદર્શી રીતે રાજકીય આગેવાનોને વિશ્વાસમાં લઇને પાર પાડી હતી. ક્યાંયે કોઇને અસંતોષ હોવાની કોઇ ફરીયાદ ન ઉપસ્થિત થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

 

દર્શના જરદોષે સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાંથી બાકડાં મૂકાવીને નિયમ ભંગ કર્યાની ફરીયાદ 

ચલિત વસ્તુઓ માટે એમ.પી.નું ફંડ વાપરી શકાય નહીં એવા નિયમ સાથે સંજય ઇઝાવાની ફરીયાદ કલેક્ટરે લીધી, હવે કેન્દ્ર સરકાર પાસેથી માર્ગદર્શન મેળવીને આગળ કાર્યવાહી કરાશે

વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન સુરતના સંસદ સભ્ય શ્રીમતી દર્શના જરદોશે પોતાના કાર્યકાલમાં સુરત મત વિસ્તારમાં વર્ષ ૨૦૧૬ -૨૦૧૭ માં આશરે ૪૨૦૦ જેટલા બેસવાના બાંકડા(બેન્ચ) અંદાજે ૧.૭૦ કરોડ ના ખર્ચે મુકાવ્યા હતા. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ  MPLADS ના માર્ગદર્શન મુજબ આખા વર્ષમાં કરવા લાયક વિકાસના કામોની યાદી જિલ્લા કલેક્ટર પાસે થી મંજૂર કરાવી જે તે ડીપાર્ટમેન્ટને કામ કરવા માટે સોંપી દેવામાં આવે છે. જેના માટે ડીપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર બાહર પાડી અલગ અલગ એજેન્સી પાસે કામ કરાવીને સાંસદ ફંડ (મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) માંથી પેમેન્ટ ચુકાવાતું હોય છે.

મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના માર્ગદર્શન એક વાર વાંચવાની તસદી પણ સાંસદો લેતા નથી એવું લાગી રહ્યું છે. કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના માર્ગદર્શન મુજબ કોઈ પણ મુવેબલ ( સ્થાન ફેર થઇ શકે તેવી ) વસ્તુઓ માટે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો ઉપયોગ કરી શકાય નહીં.

પણ સ્થાન ફેર થઇ શકે તેવી અમુક ચોક્કસ સાધનસામગ્રીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો ઉપયોગ કરી શકાય છે, જેનો ઉલ્લેખ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના માર્ગદર્શનમાં અલગથી અનેક્ષર -૩ માં કરવામાં આવ્યો છે.જેમાં બાંકડા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ માર્ગદર્શનમાં ના હોવા છતાં ૪૨૦૦ થી વધારે બાંકડા એક જ વર્ષમાં મુકવામાં આવેલ છે. સાંસદને વિકાસ એટલે બેસવા માટે બાંકડા એવું જ માની લીધું હોય એમ લાગે છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના માર્ગદર્શન મુજબ ફંડનો ઉપયોગ કામ વગરના બાંકડામાં વાપરનાર આ સાંસદો સુરતનો શું વિકાસ કરશે.

આ ફક્ત સુરત મતવિસ્તારનું કિસ્સો નથી. આખા સાઉથ ગુજરાતમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો દુરુપયોગ કરી બાંકડા મુકવામાં આવ્યા છે. આ મુદ્દા પર સંજય ઇઝાવા એ કરેલ રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીના જવાબ માં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડના સુરત જિલ્લા મત વિસ્તારના સક્ષમ સત્તા શ્રી ધવલ પટેલ, કલેક્ટર શ્રી એ સુરત જિલ્લા ને લેખિત ફરિયાદ કરી છે.

સાથે સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના લોક સભા કમીટી , કેગ અને લોકપાલ માં પણ આ વિષે ફરિયાદો દાખલ કરવા સંજય ઇઝાવા દ્વારા પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે.

March 25, 2019
mali-1.jpg
1min5780

માલીમાં 134 લોકોનો સામૂહિક સંહાર

બાળકોથી માંડીને ગર્ભવતી મહિલાઓને પણ વીંધી નખાઈ
આફ્રિકાનાં સૌથી મોટા દેશ પૈકી એક એવા માલીનાં એક ગામમાં 134 લોકોનાં સામૂહિક સંહારની ભયંકર ઘટનાએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. માલીમાં નજીકનાં ભૂતકાળનો આ સૌથી ઘાતકી હુમલો ગણાવાય છે.

આ હત્યાકાંડ શનીવારે મધ્ય માલીનાં ઓગોસ્સાગોઉ ગામમાં થયો હતો. જે આતંકવાદ પ્રેરિત વંશીય હિંસાગ્રસ્ત વિસ્તર છે. આ ઘટના વિશે જાણવા મળેલી વિગતો અનુસાર ડોંઝો શિકારીઓએ આ ઘાતકી કૃત્યમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પણ બક્ષ્યા નહોતાં. ઓગોસ્સાગોઉ ગામની નજીકનાં શહેર બંકાસનાં મેયરે આ હુમલાને જેહાદી હિંસા ગણાવી હતી. તેમનાં કહેવા અનુસાર ડોંઝો શિકારીઓનાં વેશમાં આવીને સવારે 4 વાગ્યાનાં સુમારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા હતાં.
સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં જારી હિંસાનાં દોરનો ઉકેલ શોધવા પ્રયત્નશીલ છે. થોડા સમય પૂર્વે જ તેની એક ટીમે પણ માલીની મુલાકાત લીધી હતી અને આ આંતરવિગ્રહમાં તેની દખલને પગલે પણ આ ઘાતકી હિંસા આચરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તેઆરેગ વિદ્રોહીઓ લીબિયામાં ગદ્દાફી માટે લડતા હતાં અને પાંચ-સાત વર્ષ પહેલા તે માલીમાં ઘુસવામાં સફળ રહ્યા હતાં. ત્યારબાદથી માલીમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ફ્રાન્સે આ જેહાદીઓને ખધેડવાનાં પ્રયાસો કર્યા હતાં. જો કે તેમાં તેને સફળતા મળી નહોતી.’
March 25, 2019
water.jpeg
1min5850

ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા પડેલા અપૂરતા વરસાદને લઈને નર્મદા ડેમ સહિતના ૧૦ જળાશયોમાં અપર્યાપ્ત જળસંગ્રહથી ઉનાળામાં ગુજરાતમાં ઘેરા જળસંકટનો પ્રજાએ સામનો કરવા પડશે. રાજ્યમાં હાલ મોટાં ૧૦ જળાશયોમાં ગત વર્ષ જાન્યુઆરી કરતા પણ હાલમાં ૧૭ ટકા ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. રાજ્યમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા, ખેડૂતો સહિત ઉદ્યોગો મીઠા જળ માટે છેલ્લાં ૬ વર્ષથી વલખાં મારી રહ્યા છે. દરિયાના પાણી નર્મદમાં ૫૦ કિલોમીટર સુધી અંદર આવી જતા સમસ્યા વધુ ઘેરી બનશે.

બે વર્ષ પહેલાં નર્મદા ડેમ પર ૩૦ દરવાજા મૂકી તેની ૧૩૮.૬૮ મીટર મહત્તમ ઊંચાઈનું કામ પૂર્ણ કરાયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહિ સર્જાય તેવો આશાવાદ વ્યકત કરાયો હતો. જાન્યુઆરી મહિનામાં જ નર્મદા ડેમ સહિત રાજ્યના મોટા ૧૦ ડેમોની સ્થિતિ ગત વર્ષના જાન્યુઆરી મહિના કરતા પણ ચિંતાજનક હોઈ આગામી ઉનાળામાં જળસંકટની સ્થિતિ ઉપજાવે તેવી શકયતા છે.

જાન્યુઆરીમાં જ નર્મદા ડેમ સહિત ઉકાઇ, ધરોઈ, કડાણા ભાદર, દાંતીવાડા, કરજણ, પાનમ, દમણગંગા શેત્રુજી સહિતનાં જળાશયોમાં જળસ્તર આ વખતે અત્યારથી જ ઊણાં ઊતર્યાં છે. ગત વર્ષે આ ૧૦ ડેમોમાં કુલ પાણીનો જથ્થો ૭૦૨૮ મિલિયન ક્યુબીક મીટર હતો જે આ વખતે ૬૦૦૭ એમસીએમ હોઈ જે જોતા રાજ્યમાં મોટા ૧૦ ડેમો ૧૭ ટકા ગત જાન્યુઆરીની તુલનામાં ઓછો સંગ્રહ ધરાવે છે.

રાજ્યની જીવાદોરી સમા નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ સરેરાશ આવક ૧૭,૨૩૪ ક્યુસેક થઈ રહી છે. ઉપરવાસમાં કાર્યરત જળવિદ્યુત મથકને લઈને આ પાણીની આવક સરદાર સરરોવરમાં આવી રહી છે. આવક સામે બાષ્પીભવનમાં જ ૩૦૦થી ૪૦૦ ક્યુસેક પાણી ઊડી જાય છે. જ્યારે ગોડબોલે ગેટમાંથી નિયમ મુજબ માત્ર ૬૧૭ ક્યુસેક નિચાણવાસમાં નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાં પણ પાણીનો પૂરતો જથ્થો ન રહેતા આગામી ઉનાળો ગુજરાત માટે જળસંકટ ઘેરુ બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

March 25, 2019
farmers.jpg
1min8080

ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે. વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન સવાલના જવાબની માહિતી આપવામાં આવી હતી કે ખેડૂતોની સખ્યામાં ૪,૩૪,૧૬૫નો વધારો થયો છે. જોકે, એક તરફ સીમાંત, નાના અને અર્ધ અધ્યમ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ મધ્યમ અને મોટા ખેડૂતોની સખ્યામાં ઘટાડો થયો છે.

એગ્રી સેન્સસ ૨૦૧૫-૧૬ના ભારત સરકારના પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ ગુજરાતમાં જમીન ધરાવતા ખેડૂતોની કુલ સખ્યાં ૫૩,૧૯,૭૭૫ છે. ૨૦૧૦-૧૧ના સેન્સસ સમયે ૪૮,૮૫,૬૧૦ ખેડૂત નોંધાયા હતાં. તે જોતા ૪,૩૪.૧૬૫ ખેડૂતોનો વધારો થયો હતો. બન્ને સેન્સસ મુજબ સીમાંત ખેડૂતોની સંખ્યાં ૨,૦૨,૧૭૯નો, નાના ખેડૂતોમાં ૧,૮૬,૮૪૨નો અને અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યામાં ૭૦.૭૮૧નો વધારો થયો હતો. તેની સામે મધ્યમ કક્ષાના ખેડૂતોમાં ૧૬,૭૫૯ અને મોટા ખેડૂતોમાં ૮૮૭૮નો ઘટાડો નોંધાયો હતો.

March 25, 2019
jj.jpg
1min9850

મુંબઇની જાણીતી જે. જે. મેડિકલ કૉલેજની વિદ્યાર્થિનીઓને કાર્યક્રમ દરમિયાન ટૂંકા વસ્ત્ર પહેરવાની તેમ જ પુરુષ મિત્રો સાથે બેસવાની મનાઇ ફરમાવવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓ સંપૂર્ણ શરીર ઢંકાઇ તેવા કપડાં અને મોઢા પર દુપટ્ટો બાંધીને કૉલેજ પ્રશાસનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

૨૧મી માર્ચના રોજ કૉલેજના કૅમ્પસમાં આયોજિત થયેલા હોળીના કાર્યક્રમમાં અમુક યુવાઓ દ્વારા ધમાલ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૉલેજ પ્રશાસને ફેસબુક અને વૉટ્સઍપ ગ્રુપ પર પોસ્ટ મૂકી છે. જેમાં શાળાના ડીન દ્વારા અમુક સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કૉલેજમાં આયોજિત થનાર ‘અસ્તિત્વ’ યુવા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં, તેમ જ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ અલગ અલગ બેસવાનું રહેશે.

આ અંગે વિરોધપ્રદર્શનમાં જોડાનાર એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે કયાં પરિધાન પહેરવા તે નક્કી કરવાનો અમને હક છે. કૉલેજ પ્રશાસન તેમાં દખલ કરી શકે નહીં. અમુક બેશિસ્ત વિદ્યાર્થીઓએ કરેલી ભૂલ માટે બધાને દંડ શા માટે આપવો જોઇએ.

દરમિયાન કૉલેજના ડીન ડૉ. અજય ચંદનવાલેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓએ યોગ્ય કપડાં પહેરીને આવવા, એવો મેસેજ મેં આપ્યો હતો. હોળીના કાર્યક્રમમાં કૉલેજમાં ધમાલ થયા બાદ અમે કડક નિયમો કર્યા છે. આ નિયમ માત્ર કાર્યક્રમ પૂરતા સીમિત છે. તેમ છતાં આ અંગે વિદ્યાર્થિનીઓની ફરિયાદને સાંભળવામાં આવશે અને નિયમો અંગે ફરી એકવાર વિચાર કરવામાં આવશે.

March 25, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min5820

આગામી લોકસભા ઇલેકશન બાદ દિલ્હીના તખ્તોતાજ પર કોની સરકાર આવી શકે છે એ ચારે તરફ ચર્ચાનો પ્રશ્ર્ન બની ચૂક્યો છે ત્યારે વિશ્લેષકોના અહેવાલ પ્રમાણે ઉત્તરપ્રદેશ તથા બિહાર દિલ્હી સરકારના પ્રશ્ર્ન સંદર્ભે મહત્ત્વનો રોલ ભજવી શકે છે. ૨૦૧૪માં ભાજપે બિહાર-યુપીની કુલ ૧૨૦ બેઠકોમાંથી ૯૩ બેઠકો મેળવી હતી જેમાં ઉત્તરપ્રદેશમાં ૭૧ અને બિહારમાં ૨૨ બેઠકો મેળવવામાં એનડીએ સરકાર સફળ થઈ હતી. પરંતુ હાલ સિનારિયો બદલાઈ ચૂક્યો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષનું ગઠબંધન અને બિહારમાં રાષ્ટ્રીય જનતાદળનું ગઠબંધન ભાજપ માટે બંને રાજ્યોમાં દિલ્હી દૂર હોવાનું સાર્થક કરી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. પાછલા થોડા સમયમાં મીડિયાએ યુપી, નોર્થ-સાઉથ બિહારની મહત્ત્વની ૧૫ બેઠકોના નાગરિકોને મળી તેમના વિચારો જાણવાનો પ્રયલૃ કર્યો હતો. મીડિયાએ તમામ જ્ઞાતિ-ધર્મ તથા ખાસ યુવાવર્ગને ધ્યાનમાં રાખી તેમનો જૂકાવ જાણવાનો કોશિશ કરી હતી. જણાયેલી ત્રુટિ અંતર્ગત વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચૂંટણી માટે એપ્રિલ ૧૧થી મેના બીજા સપ્તાહ સુધીનો તબક્કાવાર સમય મતદાતાઓની વિચારસરણી બદલવા પર્યાપ્ત થઈ પડે છે. ઘણી બેઠકોના ઉમેદવાર હજી જાહેર કરવામાં આવ્યા નથી.

મતદાતાઓમાં પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ઉપરાંત ગ્રાઉન્ડ રુટ પર મતદાતાઓનો મૂડ પારખવો પણ મુશ્કેલ જણાઈ રહ્યો હતો. બેઠક વ્યવસ્થા સંદર્ભે મતદારોનો મુડ-વળાંકજનક પરિણામો સર્જી શકે છે. હાલ પ્રવર્તતી પરિસ્થિતિ મુજબ વડાપ્રધાન નેરન્દ્ર મોદી અતિ પ્રખ્યાત નેતા છે જે યુવાનમતને વિશેષ આકર્ષી શકે છે. યુવાનોમાં મોદીની મક્કમતા, તેમની નિર્ણયશક્તિ પ્રિય છે. જોકે લોકોમાં તેમની રાજકીય કપટનીતિ પણ ચર્ચાનો વિષય રહ્યો છે. કેટલાકના મતે મોદી ગરીબોના નેતા છે તો કેટલાકને તેમન પ્રામાણિકતા અંગે સંદેહ છે. લોકોમાં મોદી સિવાય અન્ય વિકલ્પ નહીં હોવા અંગેની ચર્ચા વધુ સાંભળવા મળી હતી. બેરોજગારીના મુદ્દે ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નો માટે મોદી પર માછલા ધોઈ શકાય નહીં. લોકોમાં મોદીને વધુ સમય આપવાની નીતિ પણ સ્પષ્ટ જોવા મળી હતી. ૨૦૧૯ લોકસભાની ચૂંટણી મુખ્યત્વે નેશનલ લિડરશીપનો મુદ્દો બની ચૂકી છે, જે રીતે હવાનો વર્તારો જોવા મળી રહ્યો છે તે મુજબ ૨૩ મેના રોજ મોદી ફરી એક વાર મજબૂત નેતા તરીકે ઉભરી આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

હિન્દુવાદીઓનો મોદીને વિશેષ ટેકો છે. યુપી તથા બિહારમાં સવર્ણો સરકાર સાથે છે. શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇવ્સ કાયદા સમયે સર્જાયેલા વિખવાદ બાદ આર્થિક રીતે પછાત સમુદાયને ૧૦ ટકા આરક્ષણ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયે ઓબીસી, ઇબીસી તથા નોન યાદવ ઓબીસીને ભાજપ તરફી બનાવી દીધા છે. બિહારમાં પાસવાન તથા રવિદાસ સંપ્રદાય અને યુપીમાં ધોળી અને પાસી સમુદાયનો ભાજપને ટેકો છે. પરંતુ યુપીમાં બસપ અને સપાનું જોડાણ ભાજપ માટે જોખમ ઊભું કરી શકે છે. બંને પક્ષના જોડાણે મુસલમાન, યાદવ અને જાદવ સમુદાયનો વિશ્ર્વાસ સંપાદન કર્યો છે. ૨૦૧૪માં સ્વતંત્ર રીતે ચૂંટણી લડેલા બંને રાજકીય પક્ષોને ૨૦૧૯નું જોડાણ ફળદાયી – વધુ સારુ પરિણામ આપી શકે તેવી સંભાવનાઓ છે. ૨૦૧૪માં સપાને પાંચ બેઠકો મળી હતી જ્યારે બસપ એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. સર્વે મુજબ ૮૦ બેઠકો પૈકી ૪૭ બેઠકો પર મુસલમાન, યાદવ તથા દલિત મતોનું ૫૦ ટકાથી વધી પ્રભુત્વ છે. બસપ અને સપા જો મત મેળવવામાં સફળ થાય તો મોદીવેવની પછડાટ શક્ય થઈ શકે છે. જ્યારે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા પ્રતિબધ્ધ કોંગ્રેસ યુપીનું ચિત્ર બગાડી શકે છે.

ઉત્તરપ્રદેશનું ચિત્ર જોતા ભાજપ કરતા કોંગ્રેસની સીધી લડાઈ સપા-બસપ સાથે થવાની સંભાવના વિશેષ વ્યક્ત થઈ રહી છે. કોંગ્રેસ મુસ્લીમ મત સાથે ભાજપના સવર્ણના મત પણ તોડી શકે છે. પરંતુ બિહારમાં કોંગ્રેસની પીછેહઠ વધુ જણાઈ રહી છે. બિહારમાં રફેલ ડીલ અંગેના આક્ષેપો પણ રાહુલ ગાંધીને કોઈ પણ પક્ષનો ટેકો અપાવી શક્યા નથી. જનતા પણ કોંગ્રેસને નાપસંદ કરતી હોવાનું સર્વેમાં જણાયું છે. ઉપરાંત યુપી બિહારમાં પણ પુલવામા એટેક બાદ એનડીએ સરકારે કરેલી એરસ્ટ્રાઇક મહત્ત્વનો મુદ્દો બની ચૂકી છે. પાનના ગલ્લે, ચાની દુકાનો પર, શોપિંગ સેન્ટરમાં, યુનિવર્સિટી કેમ્પસમાં બાલાકોટની એરસ્ટ્રાઇક સાથે મોદીની મક્કમતાને મુલવવામાં આવી રહી છે. જેણે ભાજપ તરફના ઝૂકાવને વધુ ઘેરો કર્યો છે. ગ્રામવિકાસની યોજનાઓ, શૌચાલય, ગેસ કનેકશન, આવાસ યોજના, વીજળીની સગવડ જેવા મુદ્દા પણ ભાજપની મક્કમતામાં વધારો કરી રહ્યા છે.

March 25, 2019
bjp-1280x960.jpg
1min5210

ભાજપએ અત્યાર સુધીમાં લોકસભા બેઠક માટે છ યાદી બહાર પાડી છે જેમા ૨૯૭ ઉમેદવારોને ટિકિટ ફાળવાય છે જેમા વડા પ્રધાન મોદી વારાણસી બેઠક, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડશે.

પ્રથમ બે તબકકાની ચૂંટણીના લગભગ તમામ ઉમેદવાર ઘોષિત થઈ ગયા છે. પ્રથમ યાદીમાં ૧૮૪ ઉમેદવાર જાહેર કર્યાં હતા. શુક્રવારે ત્રણ યાદી, શનિવારે એક યાદી બહાર પાડી હતી.ગૃહપ્રધાન રાજનાથસિંહ લખનઊ, કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ બિહારના પટના સાહેબ તથા પક્ષના સંબીત પાત્રા ઓડીસાના પુરીથી ચૂંટણી લડનાર છે. અન્ય અગ્રણી નેતાઓ જેમને ટિકિટ ફાળવાય છે તેમા નરેન્દ્રસિંહ તોમર, જયંત સિંહા, શ્રીપદ નાયક, અનુરાગ ઠાકુર, હંસરાજ આહીર, રાધા મોહનસિંહ, ગિરીરાજ સિંહનો સમાવેશ છે.

મોટી ઉંમર ધ્યાનમાં લઈને એલ. કે. અડવાણીને ટિકિટ અપાઈ નથી. શાહનવાઝ હુસેનની બેઠક જેડીયુને ફાળે જતાં તેમનું પત્તુ કપાયું હતું.

ભાજપએ બિહારમાં જેડીયુ, મહારાષ્ટ્રમાં શિવસેના, તમિળનાડુમાં અન્ના ડીએમકે, પંજાબમાં અકાલી દળ સાથે યુતિ કરેલી છે તે ઉપરાંત રામવિલાસની પાર્ટી, આઠવલેની પાર્ટી સાથે પણ યુતિ છે.

March 25, 2019
congress.jpg
1min5060

૧૧મી એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને સોમવારે આખરી સ્વરૂપ આપવામા ંઆવશે. દિલ્હીમાંના અકબર રોડ પર કૉંગ્રેસના મુખ્યાલયમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યૂસી)ની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂંટણીઢંઢેરાને આખરી ઓપ આપવામાં આવશે. કૉંગ્રેસ પક્ષ દ્વારા કોઈ પણ વિષય પરનો અંતિમ નિર્ણય સીડબલ્યૂસીમાં લેવામાં આવતો હોય છે અને પક્ષ પ્રમુખ સીડબલ્યૂસીના અધ્યક્ષ હોય છે. પી. ચિદમ્બરમના વડપણ હેઠળ રચાયેલી ચૂંટણીઢંઢેરા સમિતિમાં અન્ય ૨૦ સભ્યો પણ છે. સમાજના વિવિધ વર્ગનો અભિપ્રાય લેવા અને તેમના સૂચનો આમેજ કરવા ઓનલાઇન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. સોમવારે સીડબલ્યૂસીની બેઠકમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા, ઓમન ચાંડી, તરુણ ગોગોઈ, હરીશ રાવત, પ્રિયંકા ગાંધી, યુવા નેતાઓ સહિત મહત્ત્વના નેતાઓ બેઠકમાં હાજરી આપશે. રાહુલ ગાંધી બેઠકના અધ્યક્ષ રહેશે.