ગુજરાતમાં બે દિવસથી ગરમીમાં રાહત બાદ સોમવારે એકાએક ગરમીનો પારો ઊંચકાતાં રાજ્યભરમાં લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, પાટણ, બનાસકાઠા, ભાવનગર, જૂનાગઢ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળતાં શહેર અને ગ્રામ્યકક્ષાએ લોકોની સાથે મૂંગા પશુઓ અને પક્ષીઓની હાલત કફોડી થઈ ગઈ હતી અને અનેક જિલ્લાઓમાં ડીહાઈડ્રેશનના બનાવો ઉપરાંત 90 જેટલા લોકો ગરમીથી બેભાન થઈ ગયાના અને પાણીજન્ય બીમારીથી 1250થી વધુ લોકો સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરી હતી. અમદાવાદમાં ગુજરાતનું સૌથી વધુ તાપમાન 41.5 ડિગ્રી રહ્યું હતું. જોકે લોકોએ 43 ડિગ્રીની ગરમીનો અહેસાસ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચૈત્રના આરંભ સાથે ગરમીમાં બે દિવસથી લોકોને રાહત થતાં લોકોને કાતિલ ગરમીમાંથી છુટકારા બાદ સોમવારના દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો એકાએક ઊંચો જતા અને જિલ્લાઓમાં ગરમીના કારણે જાણે આકાશમાંથી અગનગોળા ફેકાતા હોય તેવો માહોલ સર્જાયો હતો.
જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 41.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ ખાતે તાપમાન 40.8 ડિગ્રી અને અમદાવાદમાં તાપમાનનો પારો 41.6 સુધી પહોંચી ગયો હતો. રાજ્યના હવામાન ખાતાએ હજુ પાંચ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી હતી. જ્યારે અમરેલી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લામાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન પર માઠી અસરો પડી હતી અને આકરી ગરમીને કારણે શહેરો અને જિલ્લાભરમાં લોકોની બીપી, ડીહાઈડ્રેશન, ઝાડા-ઊલટી, જેવી બીમારીનો ભોગ બન્યા હતા જેના કારણે અનેક શહેરી અને જિલ્લાના આરોગ્ય કેન્દ્રોલોકોની ભીડથી ઊભરાઈ રહ્યા છે. જ્યારે મનપાએ અમદાવાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર બપોરના એકથી સાંજના પાંચ નહીં નીકળવા સૂચનો કર્યા હતા. સાથે સાથે ખૂબ જ પાણી પીવાની તેમ જ ખુલ્લામાં વેચાતા ખોરાકો ઉપરાંત બરફના ગોળા ઠંડક માટે ઉપયોગ ન કરવા સૂચનો જારી કર્યા હતા. મનપા દ્વારા શહેરભરમાં ઠેર ઠેર ઠંડા પાણીની પરબો ઊભી કરવામાં આવી હતી. આમ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો એકાએક ઊંચકાતા જનજીવન પર માઠી અસરો પડી રહી છે અને ગરમીને કારણે અનેક લોકોની તબિયત બગડવાના બનાવો પણ વધી ગયા છે.

















