
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવો ઘાટ સૌરાષ્ટ્રના સીંગદાણાની નિકાસ ક્ષેત્રે સર્જાયો છે. સીંગદાણાની નિકાસમાં કટ્ટર હરીફ ગણાતા આફ્રિકન દેશ સુદાનમાં કટોકટી લાગુ થઈ છે, નિકાસ સોદા ઠપ થઈ ગયા છે. એ કારણથી ચીનની માગ સૌરાષ્ટ્રમાં આવી છે પણ મગફળીનો જંગી જથ્થો નાફેડ પાસે પડયો છે ને વેંચવા માટે હજુ ચૂંટણી પસાર થવાનું મુહૂર્ત જોઇ રહી હોઇ નિકાસની સોનેરી તક સરી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
નાફેડ પાસે ચાલુ સીઝનની આશરે 4.50 લાખ ટન મગફળી ખરીદેલી પડી છે. અગાઉ પહેલી એપ્રિલથી મગફળી વેંચવાની હતી પણ એકાએક ચૂંટણીનું કારણ આપીને 30 એપ્રિલ પહેલા વેંચશે નહીં એવી જાહેરાત થઈ છે. જોકે ચૂંટણી પછી નાફેડ ક્યારે વેંચશે તેની કોઇ તારીખો બહાર આવતી નથી પરિણામે થાળીમાં ભોજન હોવા છતાં ખાઇ નહીં શકાતો હોવાની લાગણી વેપારીઓ અને નિકાસકારો અનુભવી રહ્યા છે.
ગુજરાતમાં 23મીએ ચૂંટણી પૂરી થઈ રહી છે ત્યારે નાફેડ જેવી સહકારી સંસ્થા ઈચ્છે તો 24મીથી મગફળી વેંચી શકે પણ અકારણ 30મી સુધી વેંચવાની નથી. જોકે એ પછી પણ ક્યારે વેંચશે એ ય નક્કી નથી, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે સુદાનમાં રાજકીય કટોકટી સર્જાતા નિકાસનાં કામકાજ ઠપ થઇ ચૂક્યાં છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાંથી આશરે 500 કન્ટેઇનર (આશરે 9-10 હજાર ટન)ના સોદા થયા છે. ખુલ્લા બજારમાં આવક નથી ત્યારે નાફેડ ઉપર જ આશરો છે પરંતુ નાફેડ મગનું નામ મરી પાડતી નથી. નાફેડ ન વેંચે તો સોદા પૂરા કરવામાં મુશ્કેલી પડી જાય.
નાફેડ ન વેંચે તો નિકાસમાં માલ મોકલી શકાય તેમ નથી કારણ કે મોટાભાગનો સ્ટોક સંસ્થા પાસે છે. નાફેડ દ્વારા રાજસ્થાનમાં પણ મગફળી વેંચવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં શા માટે વેચાણમાં વિલંબ કરાઈ રહ્યો છે તેવો સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
એક નિકાસકાર કહે છે, નાફેડ પાસે કુલ સ્ટોકમાંથી 20 ટકા ઝીણી મગફળી છે. મોટાભાગનો માલ બોલ્ડ અર્થાત જાડી મગફળીનો છે. ચીનની માગ સીધા ઉપયોગ માટે છે અને જાડો માલ મોકલી શકાય તેમ છે. જોકે ચીનમાં માલ મોકલવો હોય તો 15 મે પહેલા શિપમેન્ટ કરવા પડે તેમ છે. એ પછી ત્યાં માગ રહેતી હોતી નથી. સુદાન કટોકટીનો લાભ વહેલાસર લેવામાં આવે તો નાફેડના માલના સ્ટોક હળવા કરવામાં પણ સહાયતા મળશે અને મગફળી નિકાસ સાવ અટકેલી છે તે પણ સજીવન થશે.
ચીનમાં જાડા 40-50 કાઉન્ટમાં 1050 ડોલર અને 50-60 કાઉન્ટમાં 1000 ડોલરના ભાવથી સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુદાન ભારતની તુલનાએ 100-150 ડોલર સસ્તાં દાણા વેંચી રહ્યું હતું. જે અત્યારે હરીફાઇમાં નથી.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં પીપાવાવ – મુંદ્રા પહોંચની શરતે જાડા દાણાનો ભાવ 50 – 60 કાઉન્ટમાં રૂ.66,000 પ્રતિ ટન હતો. 40-50માં રૂ. 67,000 હતો. બે દિવસમાં રૂ. 1000નો સુધારો થયો છે. ઝીણામાં ટીજે 80-90ના રૂ. 69,000 અને 50-60ના રૂ. 71,000 હતા. જાવા 80-90ના રૂ.70,000 અને 50-60ના રૂ. 72,000 હતા.